
ગુજરાતના ૭૪% કેસ માત્ર અમદાવાદમાં ગુજરાત-અમદાવાદમાં એક જ દિવસમાં સૌથી વધુ મૃત્યુનો બીજો સર્વોચ્ચ આંક
અમદાવાદ, તા. 17 મે 2020, રવિવાર
લોકડાઉન-૩ના અંતિમ દિવસે ગુજરાતમાં કોરોનાની મહામારીનો ફરી એકવાર ગંભીર ચહેરો સામે આવ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૯૧ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે તો મૃત્યુનો બીજીવારનો સૌથી મોટો આંક ૩૪ પણ આજે જ નોંધાયો છે. દર વખતની જેમ અત્યંત ગંભીર સ્થિતિ અમદાવાદમાં છે.
આજે ૫ણ ૨૭૬ કેસ-૩૧ના મરણ સાથે અમદાવાદ મોખરે જ રહ્યું છે. આ સાથે જ ગુજરાતમાં કુલ કેસનો આંક ૧૧૩૮૦ જ્યારે મરણનો આંક ૬૫૯ થયો છે. આજે નોંધાયેલા કેસોમાં અમદાવાદ પછી સૌથી વધુ ૪૫ કેસ સુરતમાં, ૨૧ કેસ વડોદરામાં અને એકસાથે ૧૪ કેસ નોંધાવવાનો પહેલો બનાવ કચ્છમાં નોંધાયો છે. આવતીકાલથી લોકડાઉન-૪નો અમલ થવાનો છે તે પૂર્વે જ ગુજરાત-અમદાવાદનું ચિત્ર બિહામણું સાબિત થઇ રહ્યું છે.
ગુજરાતમાં કારોના વાયરસ તેની બેફામ ગતિ પર બ્રેક લગાવવાનું જાણે નામ જ લઈ રહ્યો નથીય. છેલ્લા ૨૪ કલાક દરમિયાન પ્રાથમિક રીતે કોવિડ-૧૯ના કારણે ૧૪ના જ્યારે કોમોર્બિડિટી-હાઇ રિસ્ક અને કોવિડ-૧૯ને કારણે ૨૦ના એમ કુલ ૩૪ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાથી થયેલા મૃત્યુનો બીજો સર્વોચ્ચ આંક છે. અગાઉ પાંચ મેના એક જ દિવસમાં ૪૯ વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો હતો.
અમદાવાદમાં પણ આજે પાંચ મે બાદ કોરોનાથી બીજો સર્વોચ્ચ મૃત્યુઆંક નોંધાયો છે. ગુજરાતમાં અત્યારસુધીના પોઝિટિવ દર્દીની સંખ્યા ૧૧૩૮૦ છે. આ પૈકી ૩૮ હાલ વેન્ટિલેટર પર છે અને ૬૧૮૪ સ્ટેબલ છે. અત્યારસુધી કુલ ૪૪૯૯ દર્દીઓ કોરોનામુક્ત થયેલા છે. હજુ એક્ટિવ કેસની સંખ્યા ૬૨૨૨ છે. હાલની સ્થિતિએ એક્ટિવ કેસનું પ્રમાણ ૫૪.૬૭%, દર્દીના સાજા થવાનું પ્રમાણ ૩૯.૫૩% જ્યારે મૃત્યુદર ૫.૭૯% છે. ગુજરાતના ૨૦ જિલ્લામાં આજે કોરોનાનો કમસેકમ ૧ કેસ નોંધાયો છે.
આજે નોંધાયેલા ૩૪ મૃત્યુમાંથી ૨૭ પુરુષ-૭ મહિલાઓનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદમાંથી ૨૪ પુરુષ-૭ મહિલા, સુરતમાંથી ૨ પુરુષ-પંચમહાલમાંથી ૧ પુરુષે કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો કુલ ૮૪૨૦ કેસમાંથી ૫૨૪ના મૃત્યુ થયા છે જ્યારે ૫૨૩૬ એક્ટિવ કેસ છે. અત્યારસુધી નોંધાયેલા સૌથી વધુ કેસમાં અમદાવાદ બાદ સુરત ૧૦૯૪ સાથે બીજા, વડોદરા ૬૬૦ સાથે ત્રીજા અને ગાંધીનગર ૧૬૮ સાથે ચોથા સ્થાને છે.આમ, ગુજરાતમાં કોરોનાના જે કુલ કેસ નોંધાયા છે તેમાંના ૭૩.૯૯ ટકા માત્ર અમદાવાદમાંથી જ છે.
ગુજરાતમાં વધુ ૧૯૧ દર્દીઓ કોરોનાને હરાવ્યો
ગુજરાતમાંથી છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૧ દર્દીઓ કોરોનાને પરાસ્ત કરવામાં સફળ રહ્યા છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૧૧૫, સુરતમાંથી ૨૧, બનાસકાંઠામાંથી ૧૩નો સમાવેશ થાય છે. આ સાથે જ ગુજરાતમાં કુલ ૪૪૯૯ વ્યક્તિ કોરોનાને હરાવવામાં સફળ રહી છે. હાલમાં ગુજરાતનો રીક્વરી રેટ વધીને ૩૯.૫૩% થઇ ગયો છે.
એકલા અમદાવાદમાં ઉત્તર પ્રદેશ અને બિહાર કરતા વધુ કેસ
અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક વધીને હવે ૮૪૨૦ થઇ ગયો છે. આમ, દેશના કેટલાક મોટા રાજ્યોની સરખામણીએ એકલા અમદાવાદમાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે. જેમાં રાજસ્થાનમાં ૫૦૮૩, મધ્ય પ્રદેશમાં ૪૯૭૭, ઉત્તર પ્રદેશમાં ૪૪૬૪, પશ્ચિમ બંગાળમાં ૨૬૭૭, પંજાબમાં ૧૯૬૪, બિહારમાં ૧૨૫૧, કર્ણાટકમાં ૧૧૪૭, કેરળમાં ૬૦૨ કેસ નોંધાયા છે. ગુજરાતમાં હાલ કોરોનાથી ૬૫૯ના મૃત્યુ થયા છે અને તેનાથી ઓછા કેસ કેરળમાં નોંધાયેલા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bFhlqV