Ad

Saturday, May 16, 2020

ઉંમરને ભૂલવી હોય તો હૈયું ખોલીને બધું વહેંચો, લાંબુ જીવવા માટે શૅરિંગ જરૂરી, આજે હું ભલે નૃત્ય નથી કરી શકતી પણ મારું મન જરૂર કરે છે!

જીવનમાં બધું લયબદ્ધ હોય તો ભીતરથી આપોઆપ જોમ આવી જાય છે. આજે 90 વર્ષનાં થઇ રહેલાં દેશનાં સૌથી વયસ્ક કથ્થક ગુરુ કુમુદિની લાખિયાના જીવનની આ જ ફિલસૂફી છે. આ જુસ્સાના જોરે જ તેઓ 55 વર્ષથી અમદાવાદમાં કથ્થક કેન્દ્ર ‘કદમ્બ’ ચલાવી રહ્યાં છે. હજારો શિષ્યો ત્યાં કથ્થક શીખીને દુનિયામાં આ શૈલીને વિસ્તારી રહ્યાં છે. ભાસ્કરે તેમની સાથે ખાસ વાતચીત કરી.
પ્રશ્નઃ આ ઉંમરે આટલી સર્જનાત્મકતા અને જોમનું રહસ્ય શું છે?
જવાબઃ મારું માનવું છે કે તમે જીવન પાસેથી શું ઇચ્છો છો તે હંમેશા સ્પષ્ટ રાખો. ઉંમરને ભૂલવી હોય તો બધું વહેંચતા શીખો, હૈયું ખોલીને વહેંચો. પછી તે જ્ઞાન હોય કે મનની વાતો હોય. હું 8 વર્ષથી માંડીને 28 વર્ષના સ્ટુડન્ટ્સ સાથે મારી વાતો શૅર કરું છું. હું માનું છું કે શૅરિંગ ઇઝ ધ મોસ્ટ વન્ડરફુલ થિન્ગ. જોકે, હવે હું નૃત્ય નથી કરી શકતી પણ મારું મન તો કરે છે ને!
પ્રશ્નઃ તમને કથ્થકમાં સૌથી વધુ પ્રયોગો કરવાનું શ્રેય અપાય છે. તેમ કરવાની જરૂર કેમ પડી?
જવાબઃ એક વાર એક ફ્રેન્ડના કહેવાથી મેં સોલો પરફોર્મન્સની જગ્યાએ કથ્થકને કોરિયોગ્રાફ કરવાનું શરૂ કરી દીધું. સર્વેશ્વર દયાલ સક્સેનાની કવિતા પણ કોરિયોગ્રાફ કરી. હું સ્ટુડન્ટ્સને પણ ઇનોવેશન કરવા માટે પ્રેરિત કરું છું, કેમ કે કથ્થકનો સાર માત્ર ‘ભાવ’ નહીં, ‘કથા’ પણ છે, જેથી તે કહેવા માટે નવા દ્રષ્ટિકોણ પણ શોધવા પડે.
પ્રશ્નઃ ‘ઉમરાવ જાન’ ફિલ્મમાં રેખા સાથે કામનો અનુભવ કેવો રહ્યો? આજકાલના ડાન્સ વિશે શું વિચારો છો?
જવાબઃ મેં 3 ફિલ્મમાં કોરિયોગ્રાફી કરી છે પણ ‘ઉમરાવ જાન’ હિટ રહી. એક ફિલ્મમાં જયા પ્રદાને પણ કથ્થક શીખવ્યું. મુઝફ્ફર અલીની એક ફિલ્મ પણ કરી હતી. રેખાને ભરતનાટ્યમ આવડે છે. તેણે નૃત્યમાં બહુ મહેનત કરી હતી. ત્યારની ફિલ્મોમાં મીનિંગફુલ ડાન્સ હતા. આજકાલ તો ડાન્સ નહીં પણ એરોબિક્સ હોય છે.
પ્રશ્નઃ હાલ કોરોનાના કારણે લોકો ઘરમાં કેદ છે, તેમના પર નકારાત્મકતા હાવી છે. હકારાત્મકતા કેવી રીતે જાળવી શકે છે?
જવાબઃ તમે લાઇફને કેવી રીતે ટ્રીટ કરો છો તે મહત્ત્વનું છે. કોરોના આવ્યો એમાં શું ડરવાનું? આ ખરાબ દિવસોથી શું ડરવાનું? સારા દિવસો નથી ટકતા તો ખરાબ દિવસો શું ટકવાના? આનાથી હતાશ થવાની જરૂર નથી. નકારાત્મકતા એટલે છે કે લોકો કાયમ તેમની પાસે જે હોય તેનાથી વધુ ઇચ્છતા હોય છે. તેના કારણે જ તણાવ છે,નકારાત્મકતા છે.
ઉપલબ્ધિઓઃ
પદ્મશ્રી, પદ્મભૂષણ, સંગીત નાટક અકાદમી એવોર્ડ, ટાગોર રત્નથી સન્માનિત.
કથ્થકને સોલો ડાન્સમાંથી કોરિયોગ્રાફીમાં પરિવર્તિત કરવાનું શ્રેય.
સર્વેશ્વર દયાલ સક્સેનાની કવિતા પર આધારિત ડાન્સ પ્રસ્તુતિ.
પ્રસિદ્ધ શિષ્યાઓ - સંધ્યા દેસાઇ, દક્ષા સેઠ, અદિતિ મંગળદાસ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કથ્થક ગુરુ કુમુદિની લાખિયા - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/364sdgV

No comments:

Post a Comment