Ad

Saturday, May 9, 2020

લોકોના મનમાં ભય છે, તેઓ બીમારી છુપાવે છે, હૉસ્પિટલ મોડા આવે છે એટલે આટલા મૃત્યુ થઈ રહ્યાં છે: ડૉ. ગુલેરિયા

ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના નિરંકુશ બની રહ્યો છે ત્યારે દિલ્હી સ્થિત એઇમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાના વડપણ હેઠળ નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ શનિવાર અમદાવાદ આવી હતી. દિવ્ય ભાસ્કરે ડૉ.ગુલેરિયા સાથે વિસ્તૃત વાતચીત કરીને રાજ્યમાં કોરોનાના કારણો, મૃત્યુદર પાછળના પરિબળો અને નિયંત્રણની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. અમદાવાદમાં સૌથી વધારે મૃત્યુ સિવિલ હૉસ્પિટલમાં થયાં છે.
એઇમ્સની જેમ સિવિલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઘણું સારું છે
આ અંગે ડૉ. ગુલેરિયાએ કહ્યું હતું કે એઇમ્સની જેમ સિવિલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઘણું સારું છે. ડૉક્ટર્સ પણ સારી ટ્રીટમેન્ટ આપી રહ્યાં છે. વધારે લોકોના મોત થઈ રહ્યા છે એની પાછળનું કારણ એ છે કે દર્દીઓની સ્થિતિ અત્યંત વણસે એ પછી જ તેમને હૉસ્પિટલમાં લાવવામાં આવે છે. વાંચો ડૉ. ગુલેરિયા સાથેની વિસ્તૃત વાતચીત...
સવાલ: દેશમાં સૌથી વધુ મૃત્યુમાં ગુજરાત બીજા નંબરે છે. ઊંચો મૃત્યુદર કેમ?
ડૉ. ગુલેરિયા:
સતત થઈ રહેલા મોતને લઈને આજે અમે વિવિધ મિટિંગ્સ કરી છે. ડૉક્ટર્સ, સરકાર, કોર્પોરેશનના અધિકારીઓ તથા એક્સપર્ટ્સની સાથે ચર્ચા કરી હતી. સૌથી મોટું કારણ એ બહાર આવ્યું છે કે લોકોમાં કોરોના અંગે ઘણો ભય છે. તેથી પ્રારંભિક લક્ષણો જોવા મળતા હોવા છતાં લોકો હૉસ્પિટલ આવતા નથી. તેઓ એને છુપાવવાની કોશિશ કરે છે. બીમારી જ્યારે વધી જાય ત્યારે તેઓ હૉસ્પિટલ આવે છે. તેના લીધે એમને બચાવવા મુશ્કેલ બની જાય છે.
સવાલ: શું માત્ર આ જ કારણ છે?
ડૉ. ગુલેરિયા:
ના. વાસ્તવમાં જેટલાં મોત થયા છે તેમાં મોટા ભાગના એવા લોકો હતા જેમને કોરોના ઉપરાંત અન્ય ગંભીર બીમારીઓ પણ હતી. જેમ કે હાયપરટેન્શન તો કોઈને કેન્સર, સુગર અને હાર્ટની બીમારી. કોરોનાની અસર સીધી ફેફસાં પર થાય છે. તેથી અન્ય બીમારીઓ હોવાથી તે કિલર કૉમ્બીનેશન બની જાય છે. લોકો જો સમયસર હૉસ્પિટલ પહોંચી જાય તો જીવ બચાવી શકાય છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉન્સનને માત્ર ઑક્સિજન આપવામાં આવ્યો હતો અને તેઓ સાજા થઈ ગયા હતા.
સવાલ: પણ શું અન્ય રાજ્યના લોકોમાં બીમારીનો ડર અને ગંભીર બીમારીઓ નથી?
ડૉ. ગુલેરિયા:
એવું નથી. મૃત્યુ દરેક જગ્યાએ થઈ રહ્યાં છે. મુંબઈ, ઇન્દૌર, દિલ્હી દરેક જગ્યાએ આ સ્થિતિ છે. અન્ય શહેરો અને રાજ્યોની તુલનામાં અમદાવાદમાં આ કારણો વધારે જોવા મળે છે. અમે એ કારણોની વાત કરીએ છીએ જેના લીધે વધુ લોકોના મોત થઈ રહ્યાં છે. દેશમાં કોવિડ 19નો મૃત્યુદર 3.3 છે જ્યારે અમદાવાદમાં તે 6.4 છે.
સવાલ: કોરોના ક્યાં સુધીમાં નિયંત્રણમાં આવશે?
ડૉ. ગુલેરિયા:
તેની કોઈ સમયમર્યાદા કહી શકાય એમ નથી. વધુને વધુ ટેસ્ટ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, હળવા લક્ષણો જોવા મળે તો પણ સારવાર દ્વારા જ વાઇરસને દૂર કરી શકાય એમ છે. તેથી જાગૃતિ ફેલાવવાની જરૂર છે. લોકો જરે નહીં અને બીમારીને છુપાવે નહીં.
સવાલ: એવો દાવો કરાય છે કે ગુજરાતમાં વુહાનવાળો વાઇરસ તબાહી ફેલાવી રહ્યો છે?
ડૉ. ગુલેરિયા:
આ કારણ પણ શક્ય છે. પણ અમે દાવો કરી શકીએ નહીં. તેની તપાસ થઈ રહી છે. પણ આપણે એ જોવું જોઈએ કે દેશમાં મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે. આપણે સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને વૃદ્ધોની. જેમના ઘરમાં વડીલો છે તેમણે વધારે એલર્ટ રહેવાની જરૂર છે. હળવા લક્ષણો જોવા મળે તો પણ તત્કાળ તપાસ કરાવવી જોઈએ.
સવાલ: જનજીવન પહેલાની જેમ ક્યારે ધબકતું થશે?
ડૉ. ગુલેરિયા:
આગામી ચાર-છ મહિનામાં પહેલાની જેમ જનજીવન ધબકતું થશે એ ભૂલી જવું. વાઇરસનો સફાયો થઈ જશે તો પણ આપણે નવી લાઇફ સ્ટાઇલ અપનાવવી પડશે. ગ્લવ્સ, માસ્કની આદત પાડવી પડશે. સેનેટાઇઝરનો ઉપયોગ કરવો પડશે. હાથ મિલાવવાનું બંધ કરવું પડશે. સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું પડશે. ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું પડશે. અગાઉ જેવી જીવનશૈલી થતા વાર લાગશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
એઇમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયા.


from Divya Bhaskar https://ift.tt/3cfeLJc

No comments:

Post a Comment