
દેશમાં 68 દિવસમાં લૉકડાઉન પછી રેલવે પહેલી જૂનથી 200 ટ્રેન દોડાવી રહી છે. આ ટ્રેનોમાં રિઝર્વેશન સિવાય કોઈ બેસી નહીં શકે. રિઝર્વ બોગીઓમાં ફક્ત કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફર જ બેસી શકશે. વેઈટિંગ ટિકિટ વાળા પ્રવેશી નહીં શકે. જનરલ બોગીઓમાં પણ સીટ હશે એટલા જ મુસાફરોને ટ્રેનમાં જવા દેવાશે. આ વાત રેલવે અને વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે રવિવારે ભાસ્કર સાથે ચર્ચા કરતી વખતે કરી. તેમની સાથેની વાતચીતના અંશ...
સવાલ: ટ્રેન વ્યવહાર ક્યારે સામાન્ય થશે?
પિયૂષ ગોયલ: જેમ જેમ માગ વધશે, ટ્રેનોની સંખ્યા વધારાશે. સ્થિતિ ઝડપથી સામાન્ય થશે. અમે હજુ 200 ટ્રેન દોડાવી રહ્યા છીએ, જે સંપૂર્ણ ફૂલ નથી થઈ. લોકો જરૂરી હોય તો જ પ્રવાસ કરી રહ્યા છે.
સવાલ: 15 જોડી રાજધાની ટ્રેન શરૂ કરાઈ છે, જેમાં ડાયનેમિક ફેર વસૂલાય છે? એવું કેમ?
પિયૂષ ગોયલ: મોટા ભાગની ટ્રેન હજુ ફૂલ નથી જઈ રહી. જૂની સિસ્ટમમાં કોઈ પરિવર્તન નથી કરાયું, ફક્ત કેટરિંગ ચાર્જ ઓછો કર્યો છે. બધું પહેલા જેવું જ છે.
સવાલ: રેલવે ફક્ત કન્ફર્મ ટિકિટના આઈડિયા પર દોડશે?
પિયૂષ ગોયલ: આ વિચારવા લાયક મુદ્દો છે, અમે આ દિશામાં વિચાર્યું ન હતું. હજુ અમે શ્રમિકોની સેવામાં વ્યસ્ત છીએ. દેશના ખૂણે ખૂણે શ્રમિકો અને સામાન પહોંચે એ જ પ્રાથમિકતા છે.
સવાલ: શ્રમિક સ્પેશિયલ ટ્રેનોને લઈને કેરળ, પ. બંગાળ, મહારાષ્ટ્રએ ભેદભાવના આરોપ મૂક્યા છે. શું કહેશો?
પિયૂષ ગોયલ: હું દાવાથી કહી શકું છું કે, પીએમ મોદીની સરકારમાં કોઈ પણ મંત્રીએ, કોઈ પણ રાજ્ય સરકાર સાથે ભેદભાવ નથી કર્યો. રાજ્યોએ જેટલી ટ્રેનો માંગી છે, તેટલી અમે આપી છે. રાજ્ય સરકારોએ માંગી એ દોડી પણ નથી શકી. મહારાષ્ટ્રની તમે વાત કરો છો, તો કહીશ કે 109 ટ્રેન અમે તેમની રિક્વેસ્ટ પછી તૈયાર કરી, પરંતુ તેઓ દોડાવી ના શક્યા. પ. બંગાળ તો ટ્રેન આવા જ નથી દેતું. તેમણે તો આ ટ્રેનોને કોરોના એક્સપ્રેસ સુદ્ધા કહી દીધી હતી. પરંતુ હજુ કોઈ ટ્રેન માંગશે તો અમે આપીશું, શ્રમિકોની સેવા કરતા રહીશું.
સવાલ: સોશિયલ ડિસ્ટન્સિંગના સમયમાં કાઉન્ટર બુકિંગનું શું ભવિષ્ય હશે?
પિયૂષ ગોયલ: પહેલાં અમે કાઉન્ટર બુકિંગ શરૂ નહોતું કર્યું. IRCTCની વેબસાઇટ પરથી જ બુકિંગ થતું. પછી ઘણા રાજ્યોની રિક્વેસ્ટ મળી કે તેમને ત્યાં ઘણા લોકો જવા માગે છે પણ તેમને ઇન્ટરનેટ યુઝ કરતા નથી ફાવતું. તેથી અમે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કાઉન્ટર શરૂ કર્યા.
સવાલ: લૉકડાઉન દરમિયાન ગુડ્સ ટ્રેનો દ્વારા દેશભરમાં કેટલો માલસામાન પહોંચાડ્યો?
પિયૂષ ગોયલ: 24 માર્ચથી 25 મે દરમિયાન 16 કરોડ ટન માલનું પરિવહન થયું. દેશના એકેય ખૂણામાં એક દિવસ પણ અનાજ, ખાતર, કોલસા વગેરેની અછત નથી સર્જાઇ.
સવાલ: રેલવેનું આ વર્ષે કમાણીનું શું લક્ષ્ય છે?
પિયૂષ ગોયલ: આ એક સમસ્યા છે. અમે નાણા મંત્રાલય સાથે ચર્ચા કરીને આગળનો રસ્તો કાઢીશું. હાલ અમારી પ્રાથમિકતા એ જ છે કે બધાને સમયસર સામાન મળે અને શ્રમિકો તેમના ઘરે પહોંચે.
સવાલ: શ્રમિક એક્સપ્રેસ ટ્રેનો દ્વારા કેટલા લોકોને તેમના મુકામે પહોંચાડવામાં આવ્યા?
પિયૂષ ગોયલ: 30 મે સુધીમાં દેશમાં 4,040 શ્રમિક એક્સપ્રેસ દ્વારા અંદાજે 54 લાખથી વધુ શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવામાં આવ્યા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cjQ4un
No comments:
Post a Comment