Ad

Friday, May 8, 2020

8 કલાકમાં અમદાવાદ-સુરતથી 1800 લોકો આવ્યા, દિવાળી સુધી સૌરાષ્ટ્રની બહાર ન નીકળવાનો નિર્ણય

ગુજરાતમાં કોરોનાના દર્દી વધી રહ્યાછે, લોકડાઉન3 ક્યારે પૂરું થશે, ત્યારબાદ અન્ય કોઇ લોકડાઉન આવશે કે કેમ સહિતના પ્રશ્નો લોકોના માનસમાં ઘૂમરા મારી રહ્યાછે. લોકડાઉનને કારણે તમામ ધંધા રોજગાર બંધ છે અને તે પણ ક્યારે ચાલુ થશે તેની આગાહી કોઇ કરી શકે તેમ નથી. લોકડાઉન 3 જાહેર થયું તે સાથે જ લોકો પોતાના વતન જવા જાણે અધિરા બની ગયા હતા. પરપ્રાંતીય શ્રમિકો માટે રાજ્ય સરકારે ટ્રેનની વ્યવસ્થાઓ શરૂ કરી છે, તેવી જ રીતે સુરત, અમદાવાદ અને બરોડામાં કામ કરતાં સૌરાષ્ટ્રવાસીઓ પણ પોતાના વતન જવા અધિરા બન્યા છે, જે તે જિલ્લાના કલેક્ટર દ્વારા યોગ્ય કારણવાળી વ્યક્તિને અન્ય જિલ્લામાં જવા માટે મંજૂરી આપવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કેટલા લોકો આવી રહ્યાછે, મંજૂરી પાસ સાથે લોકો આવે છે કે પોલીસને ચકમો આપી ઘૂસી જાય છે, બહારથી આવતી વ્યક્તિની મેડિકલ તપાસણી થાય છે કે નહીં સહિતની બાબતો ચકાસવા ગુરૂવારે મધરાત્રે 3 વાગ્યે ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે રાજકોટ અમદાવાદ હાઇવે કુવાડવા રોડ પર 4 કલાક સુધી હાઇવે પર થતી અવરજવર અને તંત્રની કામગીરી ચકાસી હતી, મહત્તમ લોકો મંજૂરી સાથે આવતા હતા, તો કેટલાક વગર મંજૂરીએ પોતાની મંઝિલે પહોંચવા નીકળી પડ્યા હતા લોકો અને સરકારીતંત્ર વચ્ચે કેવો સંવાદ થતો હતો તે અત્રે પ્રસ્તુત છે.

સાત હનુમાન પાસે અટકાવીને પૂછ્યું ક્યાં જવું છે?
ગ્રીનલેન્ડ ચોકડીથી રાત્રીના 2.55 વાગ્યાથી ભાસ્કરની ટીમે કુવાડવા તરફ જવાનું શરૂ કર્યું હતું. ગ્રીનલેન્ડ ચોકડીએ ટ્રાફિક બ્રિગેડના માત્ર બે જવાન જાગતા હતા અને પસાર થતાં વાહનોને અટકાવતા હતા, અમે કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર નજીક પહોંચ્યા ત્યારે રસ્તા પર બેરિકેટ જોવા મળી હતી, તે ક્રોસ કરી ત્યારે ઊભેલા પોલીસ જવાનોને અમે અમારા ઓળખકાર્ડ આપતા તેમણે જવા માટે ઇશારો કર્યો હતો પરંતુ ક્યાં જવું છે તેવો પ્રશ્ન પણ પૂછ્યો હતો, ત્યાંથી અમે આગળ વધ્યા ત્યારે ત્રિમંદિર પાસેના ડાયવર્ઝને કેટલાક ટ્રક મોરબી રોડ તરફ વળીને રાજકોટ આવતા દેખાયા હતા, ત્યાંથી કુવાડવા ચોકડી સુધી સામેની તરફથી વાહનો આવતા નજરે પડતા હતા પરંતુ રાજકોટ તરફથી બહાર નહીવત લોકો જતા હતા. કુવાડવા ચોકડીથી પરત સાત હનુમાન ચેકપોસ્ટે અમે આવ્યા અને ત્યાં પોલીસ તથા આરોગ્યની ટીમની કામગીરીની માહિતી મેળવી હતી.

મંજૂરી વગર બરોડાથી જામનગર જવા આવ્યો અને ફસાયો
કુવાડવા તરફથી એક બાઇક આવતા પોલીસે તેને અટકાવ્યું હતું, યુવકે પોતાની ઓળખ વડોદરા રહેતા ઇમરાન ખલીફા તરીકે આપી હતી અને જામનગર રહેતા તેના માતા પડી ગયા હોય તેમની પાસે જઇ રહ્યાની વાત કરી હતી, જોકે પાસ નહીં હોવાથી પોલીસે તેને અટકાવ્યો હતો. પાસ નહીં હોવાને કારણે આગળ નહીં જવા દે તેવું પોલીસે કહેતા ઇમરાન નાસીપાસ થઇ ગયો હતો અને નજીકમાં રહેલી ખુરશી પર બેસી ગયો હતો. પોલીસે તેને ઓનલાઇન અરજી કરી પાસ મેળવવાની સલાહ આપી હતી, વહેલી સવાર સુધી યુવક ગુમસુમ બેઠો રહ્યો હતો.

હીરાના કારખાનાં બંધ છે, દિવાળી સુધી તો પરત નહીં જ જાય
ખાનગી ટ્રાવેલ્સની બસ આવતા જ તેને અટકાવવામાં આવી હતી અને તેમાંથી 36 મુસાફરોને બસમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા, તમામનું તબીબી પરીક્ષણ કરાવવા માટે કતારમાં ઊભા રખાયા હતા. જામકંડોરણાના રોઘલ ગામના વતની કિશોરભાઇ રામોલિયાએ કહ્યું હતું કે, પોતે વર્ષોથી સુરત સ્થાયી થયા છે અને રત્નકલાકાર તરીકે કામ કરે છે, લોકડાઉનમાં ધંધા બંધ છે, પોતે જ્યાં નોકરી કરેછે તે નાનું કારખાનું હોવાથી પગાર થતા નથી, જમવાનું ખૂટ્યું હતું, હવે વતન જઇ રહ્યા છે અને દિવાળી પૂરી થાય પછી સુરત જવાનું વિચારશે.

એક વ્યક્તિનું રૂ.1200 ભાડું નક્કી કર્યું, બાદમાં બસ બાંધી
ગોંડલના અાંબરડીના હિતેષ સાવલિયાએ કહ્યું હતું કે, સુરતમાં પોતે ઇલેક્ટ્રિકનું કામ કરે છે, સ્થિતિ રાબેતા મુજબ થતાં વાર લાગશે, ત્યાં સુધી તો વતન આંબરડી રહીને ખેતીકામ કરશે. સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના લોકોએ સાથે મળીને વતન જવા પાસની અરજી કરી હતી, જેમ જેમ અરજી મળી તેમ તમામ લોકો ભેગા થયા અને બસ ભાડે કરી હતી. એક વ્યક્તિના રૂ.1200 ભાડું નક્કી થયું હતું. વિશાલ પાનસુરિયાએ પણ પરત જતા દિવાળી તો આવી જ જશે તેવો નિસાસો નાખ્યો હતો.

મંજૂરી પૂરી થઇ ગઇ’તી, પોલીસે શહેરમાં પ્રવેશવા દીધા નહીં
સુરતથી કારમાં ચાર વ્યક્તિ આવી પહોંચતા પોલીસે કાર અટકાવી હતી. પોલીસને સુરત રહેતા ભૃગુ જોષી નામના યુવકે મંજૂરી પાસ બતાવ્યો હતો અને માધવપુર ઘેડ જઇ રહ્યાનું કહ્યું હતું. પોલીસે પાસ ચેક કરતાં એ વ્યક્તિએ તા.7 સુધીમાં માધવપુર ઘેડ પહોંચી જવાનું હતું, પરંતુ તા.8ના સવારે 5 વાગ્યે જોષી પરિવાર કુવાડવા ચેકપોસ્ટે હતો. પોલીસે તેમને મંજુરી પુરી થઇ ગયાનું કહી આગળ જતાં અટકાવ્યા હતા. જોષી પરિવારે અનેક રજુઆત કરી હતી પરંતુ પોલીસ પણ નિયમને પાળવા મજબૂર હતી.

80 ટકા લોકોએ મેડિકલ, ખેતીના પાસ મેળવ્યા હતા
મંજૂરી પાસ સાથે આવેલા લોકોને પણ ચેકપોસ્ટે અટકાવવામાં આવતા હતા અને તમામ લોકોના મંજૂરી પાસની તપાસણી થતી હતી, શહેરમાં આવવા ઇચ્છુક લોકોએ મંજૂરી માટે મેડિકલ ઇમરજન્સીનું બહાનું બતાવ્યું હતું તો ગામડે જતા લોકોએ ખેતીનું બહાનું આગળ ધરી પાસ મેળવ્યો હતો, જે વ્યક્તિની બીમારીનું કારણ બતાવ્યુું હોય તે વ્યક્તિ જ્યારે વાહનથી નીચે ઉતરે ત્યારે તેના નખમાં પણ રોગ હોય તેવું લાગતું નહોતું, આમ મંજૂરીપત્ર માટે ખોટા બહાના બતાવાતા હોવાનું સ્પષ્ટ લાગતું હતું.

નંબર પ્લેટ વગરની જીપ સાથે MPથી રાજકોટ સુધી બે શખ્સ પહોંચી ગયા
ક્રૂઝર જીપ ચેકપોસ્ટ નજીક પહોંચી, તેમાં આગળના ભાગે નંબર પ્લેટ દેખાતી નહોતી, પોલીસે તેને અટકાવી બાજુ પર ઊભી રાખી હતી, જીપના ડ્રાઇવર સલીમ ડાવર પાસે પાસ માગતા જ તેણે પાસ નહીં હોવાનું કહેતા પોલીસે જીપ ડિટેન કરવાની ચીમકી આપી હતી. સલીમ ડાવર શાપર નજીક વાડીમાં રહેતા એમપીના 9 શ્રમિકોને લેવા માટે જીપ લઇને એમ.પી.થી નીકળ્યો હતો, રસ્તામાં કોઇએ તેને અટકાવ્યો નહોતો, જોકે રાજકોટ પોલીસની જાગૃતતાથી તે ફસાઇ ગયો હતો. પોલીસે તેને શહેરમાં પ્રવેશવા દીધો નહોતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુરતથી આવેલી એક બસમાંથી તમામ મુસાફરોને નીચે ઊતારીને મેડિકલ તપાસ કરવામાં આવી હતી. બે બાળકો પણ બસમાં હોવાની જાણ થતાં આરોગ્ય વિભાગે 15 દિવસના બાળકની પણ તપાસ કરી હતી.


from Divya Bhaskar https://ift.tt/2yFqXo3

No comments:

Post a Comment