Ad

Wednesday, May 13, 2020

શ્રમિકો પાસેથી દલાલો રૂ.400 માગે છે, ન આપે તો બસમાં બેસવા દેતા નથી

લૉકડાઉન વચ્ચે અટવાયેલા પરપ્રાંતીઓને તેમના વતન મોકલવા માટે રાજ્ય સરકાર દ્વારા બસ તેમજ ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી છે પરંતુ આ સેવાનો વ્યાપ સામાન્ય જન હજુ સુધી પહોંચ્યો નથી એવું જણાઈ રહ્યું છે .શહેરના અનેક વિસ્તારોમાં વતન જવાની વાટ જોઈ રહેલા મજૂરોને તેમની ટિકિટ ભાડું ઉપરાંત વધારાની રકમ ન આપે તો બસમાં બેસવા નહીં દેવામાં આવતા હોવાના કિસ્સાઓ બહાર આવ્યા છે. આવી કટકી કરી મજૂરોને વતન પહોંચાડવામાં વચેટિયા ધંધો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બસમાં બેસવા ન મળતાં શ્રમિકો નિરાશ થઈ પાછા જાય છે
શહેરના શ્રેયસ ટેકરા પાસે આવેલા ખુલ્લા મેદાનમાં છેલ્લા ત્રણ દિવસથી મજૂરો મોટી સંખ્યામાં વહેલી સવારથી આવી જાય છે અને ધોમધખતા તાપમાં મોડી સાંજ સુધી બેસીને પોતાના વતનમાં લઈ જતી બસની રાહ જોઈ રહ્યા છે. આ અંગે સ્થળ ઉપર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કેટલાક લોકો આ મજૂરોને તેમના ટિકિટ ભાડા ઉપરાંત 200 થી 400 રૂપિયા જેટલી રકમ વધારે માંગી રહ્યા છે જો આવી રકમ આપવાનો ઈનકાર કરવામાં આવે તો તેમના નામ રજિસ્ટર હોવા છતાં પણ તેમને બસમાં બેસવા દેવામાં આવતા નથી. પરિણામે જેમણે વધારાના પૈસા આપ્યા હોય તેઓ બસમાં ચઢી જાય છે અને બાકીના લોકો નીચે ઊભા રહી જાય છે જેમને હવે બીજા દિવસે આવું કહી રવાના કરી દેવાય છે.
પરપ્રાંતના લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારું રજિસ્ટ્રેશન થયા બાદ અમને અમારા કોન્ટ્રાક્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારી બસ આવી ગઈ છે તમે આવી જાવ જ્યારે અમે સ્થળ પર પહોંચે છે ત્યારે માંડ એકાદ બે બસમાં મજૂરોને લઈ જવાય છે જ્યારે બાકીનાને પાછા ઘરે ધકેલી દેવાયા છે મોટાભાગના મજૂરોએ જણાવ્યું હતું કે લૉકડાઉન દરમિયાન તેમની હાલત અત્યંત કફોડી થઇ ગઇ છે આસપાસના પડોશીઓ પાસેથી પૈસા ઉધાર લઇ તેઓ પોતાને જવા માંડ ટિકિટ ભાડું ભેગું કરી રહ્યા છે તેવામાં અમુક વચેટિયા પૈસાની માગણી કરી તેમને પરેશાન કરી રહ્યા છે. એક મજૂર પોતાના વતન જવા માટે ભટકતો હતો તેની સાથે બસમાં બેસવાની વાત કરતા તેની આંખોમાંથી આંસુ નીકળી ગયાં હતાં . તેણે કહ્યું હતું કે , હું રોજ આવીને પાછો જાવ છું અમે શું ગુનો કર્યો છે.
સામાન ઊંચકીને ખભા પણ છોલાઈ ગયા
રાજીવ નગરમાં રહેતા રામજશ ઠાકુરદીન મિશ્રા નામના વૃદ્ધે જણાવ્યું હતું કે તેમણે વતન જવા માટે છેલ્લા છ દિવસમાં એટલી બધી રઝળપાટ કરી છે કે સામાન ઊંચકીને તેમના બંને ખભા છોલાઈ ગયા છે .મજૂરી કરી જીવતા આ વૃદ્ધ પાસે વતન જવાના ટિકિટ માટે પૈસા પણ નથી તેણે પોતાના પાડોશી પાસેથી પૈસા ઉધાર લીધા છે. દરરોજ નવી આશા સાથે સામાન ખભે ઊંચકી બસમાં બેસવા જાય છે પણ બસ નહીં મળતા પાછા આવવું પડે છે જેના કારણે સમાન ઊંચકીને ખભા પણ છોલાઈ ગયા છે.
1000 પરપ્રાંતીયોમાંથી 35 જઈ શક્યા
આનંદ નગર વિસ્તારના રાજીવનગરમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીયો ભાડાના મકાનોમાં વસે છે અહીં સ્થાનિક લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે 1000 જેટલા પરપ્રાંતીઓએ તેમના નામનું રજિસ્ટ્રેશન તેમના કોન્ટ્રાક્ટરો મારફતે કરાવ્યું છે. પરંતુ બસમાં બેસવા માટે કટકી કરનારા લોકોના કારણે આ લોકોમાંથી માત્ર 35 વ્યક્તિઓ છે તેમના વતન સુધી પહોંચ્યા છે જ્યારે બાકીનાઓને નિરાશ થવું પડ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રામજશ ઠાકુરદીન મિશ્રાએ વતન જવા માટે છેલ્લા છ દિવસમાં એટલી બધી રઝળપાટ કરી છે કે સામાન ઊંચકીને તેમના બંને ખભા છોલાઈ ગયા છે.


from Divya Bhaskar https://ift.tt/2yU2Q5a

No comments:

Post a Comment