
એસવીપી હોસ્પિટલના મેડિસિન વિભાગના એચઓડી ડો. અમી પરીખે જણાવ્યું હતું કે, ડોક્ટર તરીકે અમે ગંભીર રીતે બીમાર દર્દીઓને જોવા ટેવાયેલા છીએ પણ જે ઝડપે કોવિડ-19નો ફેલાવો થઈ રહ્યો છે તે અમારા માટે પણ આઘાતજનક છે. એક દર્દી હોસ્પિટલમાંથી સાજો થઈને જાય તે કોઈ પણ ડોક્ટર માટે ખુશીની વાત છે. પરંતુ જ્યારે કોઈ દર્દી જીવ ગુમાવે છે ત્યારે અમને પણ ઊંડી ઠેસ પહોંચે છે. અમે ડોક્ટરોની ટીમ દર્દીને કેમ ગુમાવવો પડ્યો તેનાં કારણોની વિશેષ ચર્ચા કરીએ છીએ. રેસિડન્ટ ડોક્ટર્સ તો દર્દીઓના એટલા ક્લોઝ ટચમાં હોય છે કે બન્ને વચ્ચે લાગણીનો સંબંધ બંધાઈ જાય છે. કેટલાક કેસમાં તો પરિણામ નથી મળે તેવું જાણવા છતાં ડોક્ટરો દર્દીના છેલ્લા શ્વાસ સુધી મહેનત કરે છે. કોવિડના બધા કેસ નિરાશાજનક હોય છે એવું નથી, કેટલાક દર્દી તો એ સ્ટેજ પરથી સાજા થયા છે કે અમે સ્વપ્ને પણ ના વિચાર્યું હોય.
વાઈરસ ફેફસામાં એટલો બધો પ્રસરી ગયો હોય છે કે વાત ના પૂછો
દર્દીઓ છેલ્લી ઘડીએ સારવાર માટે આવતા હોવાથી જ કોવિડમાં મોર્ટાલિટી રેટ ઊંચો હોવાનું કહેવું યોગ્ય નથી, કારણ કે ઘણા દર્દીમાં તો વાઈરસ એટલો ઝડપથી ફેલાતો હોય છે કે ટાઈમ જ નથી મળતો. કંઈ સમજાય તે પહેલાં તો વાઈરસ ફેફસામાં એટલો બધો પ્રસરી ગયો હોય છે કે વાત ના પૂછો. જોકે આ લક્ષણ દરેક દર્દીમાં હોય તેવું નથી. લક્ષણો નહીં ઘરાવતાં કોવિડના દર્દીને બહુ જોખમ નથી હોતું. મેડિકલની ભાષામાં તેમને માઈલ્ડ કહેવામાં આવે છે, પરંતુ દર્દી બાથરૂમ જવા જેવો સહેજ પરિશ્રમ કરે અને શ્વાસમાં તકલીફની ફરિયાદ કરે કે બ્લડ ટેસ્ટમાં અમુક ચોક્કસ પ્રકારના માર્કર વધુ પ્રમાણમાં દેખાય તો સારવારની પદ્ધતિ બદલવી પડે છે. કોવિડના દર્દીનાં ફેફસાં ખરાબ થઈ જતાં હોવાથી લોહીમાં ઓક્સિજન પહોંચતો નથી. આવા દર્દીને બહારથી ઓક્સિજન આપવો પડતો હોય છે. કેટલાક કેસમાં તો શ્વાસનળીમાં ટ્યૂબથી ઓક્સિજન આપવો પડે છે જેને મેડિકલની ભાષામાં મિકેનિકલ વેન્ટિલેશન કહે છે.
અમેરિકા-બ્રિટનના ડોક્ટરોનો ઓપિનિયન માગતા હોઈએ છીએ
જો કે એટલું ચોક્કસ કહીશ કે ડોક્ટર તરીકેની કારકિર્દીમાં હજુ સુધી આવી આફત જોઈ નથી. આમ છતાં આઈસીયુના સિરિયસ પેશન્ટનો ડેટા તમે વર્લ્ડ ડેટા સાથે સરખાવો તો આપણા માટે ગૌરવની વાત છે કે આપણો રિકવરી રેટ ઊણો નથી ઉતરતો. કોઈ એમ કહે કે એસવીપીનો મોર્ટાલિટી રેટ ઊંચો છે, પણ કેસની સંખ્યા, સાજા થઈને ઘરે ગયેલા દર્દી સરખાણી કરો તો ખબર પડશે કે સાચી વાત શું છે.અમદાવાદના કોવિડના દર્દીઓની સારવાર એસવીપી અને સિવિલમાં થાય છે. આમ બન્ને હોસ્પિટલ પર કેવું ભારણ છે અને કયા લેવલનું કામ છે તે સમજી શકાય એમ છે. ઉપચારની વાત કરીએ તો કોવિડ માટે કોઈ ચોક્કસ દવા નથી. આઈસીયુમાં ટાઈમ ટુ ટાઈમ અપડેટ લેવો એક વિકલ્પ છે. દર્દીની સ્થિતિ મુજબ અમે એઈમ્સ, લખનઉ કે મદ્રાસના નિષ્ણાત ડોક્ટરોની સલાહ લેતા હોઈએ છીએ. આ ઉપરાંત અમેરિકા-બ્રિટનના ડોક્ટરોનો ઓપિનિયન માગતા હોઈએ છીએ. તમામ સારવાર એઈમ્સ અને પીજીઆઈની ગાઈડલાઈન મુજબ કરાય છે. સરકારે નિયુક્ત કરેલા નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવાતું હોય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zV0EdU
No comments:
Post a Comment