
અમદાવાદના વિવિધ સ્મશાનો અને કબ્રસ્તાનોમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં અંતિમવિધિ અને દફનવિધિની સંખ્યામાં અઢીથી ચાર ગણો વધારો થયો છે. જે મૃતકોની અંતિમક્રિયા કરવામાં આવી છે તેમાંના સંખ્યાબંધના મોત કોરોનાથી થયાની આશંકા છે, જે સરકારી ચોપડે નોંધાયા નથી. મૃત્યુઆંક પર ઢાંકપીછોડો કરવા માટે મધ્ય ઝોનના ડેપ્યુટી હેલ્થ ઑફિસરે કોઈ પણ પોલીસ સ્ટાફ કે અન્ય સંસ્થાઓને મરણની માહિતી નહીં આપવા તથા જો કોઈ માગે તો તેમને હેલ્થ કચેરીએ મોકલવાનો આદેશ નોંધણીદારોને આપ્યો છે. જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું છે, ‘લોકોને એમ છે કે જો સિવિલ હોસ્પિટલમાં જઈશું તો પાછા નહીં આવીએ.’
ગંજ શહિદ કબ્રસ્તાન ટ્રસ્ટના ટ્રસ્ટી ઝફર અજમેરીએ જણાવ્યું હતું કે, મુસ્લિમ વિસ્તારોમાં મોટાભાગની ક્લિનિક બંધ છે, જેથી બીપી, ડાયાબિટીસ, શ્વાસનાં, તાવનાં દર્દીઓ ઘરમાં જ રહે છે. લોકોમાં ડર પેસી ગયો છે કે જો ડોક્ટરને બતાવશે તો કોરોના વોર્ડમાં દાખલ કરી દેશે. માટે ઘરમાંથી બહાર નીકળતાં નથી. સપ્તર્ષિ સ્મશાન ગૃહમાં એપ્રિલની સામે મેમાં અઢી ગણા વધુ અંતિમ સંસ્કાર થયા છે. આ આંકડો એટલા માટે ચિંતાજનક છે, કારણ કે કોરોનાના જે મૃતકોને અંતિમદાહ આપવાનો હોય છે તેમને સામાન્ય રીતે વાસણા સ્મશાને લઈ જવાય છે.
4 કબ્રસ્તાનમાં થયેલી દફનવિધિ
કબ્રસ્તાન | એપ્રિલ 2019 | એપ્રિલ 2020 |
મુસા સુહાગ | 70 | 176 |
ચાર તોડા | 60 | 120 |
ગંજ શહિદ | 70 | 199 |
છીપા સમાજ | 30-40 | 143 |
(તમામ આંકડા મુસ્લિમ સમાજના આગેવાનોએ આપેલા અંદાજ મુજબ)
ચાર તોડા કબ્રસ્તાનમાં દર મહિને સરેરાશ 60ને દફન કરાય છે, એપ્રિલમાં 120ને દફન કરાયા
સુન્ની મુસ્લિમ વકફ કમિટી અમદાવાદનાં ચેરમેન રીઝવાન કાદરીએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, વકફ કમિટી હેઠળનાં બે મોટા કબ્રસ્તાનમાં સામેલ મુસા સુહાગ કબ્રસ્તાન (શાહીબાગ) અને ચાર તોડા કબ્રસ્તાન(ગોમતીપુર)માં ગત વર્ષના એપ્રિલ માસની સરખામણીમાં આ વર્ષે વધારે મૃત્યુ નોંધાયા છે. મુસા સુહાગ કબ્રસ્તાનમાં એપ્રિલ 2019માં અંદાજે 70 લોકોની દફનવિધિ થઈ હતી જ્યારે એપ્રિલ-2020માં 176 પર આંકડો પહોંચ્યો છે. તો ચાર તોડા કબ્રસ્તાનમાં દર મહિને સરેરાશ 60થી 70 દફનવિધિ થાય છે જેની સામે એપ્રિલ 2020માં 120 દફનવિધિ કરવામાં આવી છે. મે મહિનામાં પણ કબ્રસ્તાનમાં દફનવિધિની સંખ્યામાં ચાર ગણો વધારો નોંધાયો છે. મૃતકોમાં કોરોના મૃતકો કરતાં નૉન-કોરોના મૃતકોની સંખ્યા વધારે છે. શક્ય છે કે ઘરે થયેલા મૃત્યુમાં કોઈ મૃતક કોરોનાથી પીડિત પણ હોઈ શકે. રીઝવાન કાદરીએ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મૃતકોના પરિવારજનોનો ટેસ્ટ કરવાની માગણી પણ કરી છે.
સપ્તર્ષિ ખાતે અગ્નિ સંસ્કારની સંખ્યા અઢી ગણી વધી
સપ્તર્ષિ સ્મશાનમાં ગત એપ્રિલમાં શરૂઆતના 10 દિવસમાં 74 મૃતકોને અગ્નિદાહ અપાયા હતા જેની સરખામણીમાં મે મહિનાના 10 દિવસમાં 191 મૃતકોને અગ્નિદાહ અપાયા છે. આ જ સ્થિતિ શહેરના અન્ય સ્મશાનગૃહોમાં પણ છે.
મે મહિનામાં 500થી વધુ દફનવિધિ થવાની સંભાવના
દાણીલીમડા સ્થિત ગંજ શહિદ કબ્રસ્તાન ટ્રસ્ટનાં ટ્રસ્ટી ઝફર અજમેરીએ કહ્યું હતું કે, સામાન્ય રીતે 60થી 70ની સામે આ એપ્રિલમાં 199 મૃતક નોંધાયા છે. મે મહિનામાં રોજનાં 15થી 20 મૃતકો આવી રહ્યા છે તે જોતાં આંકડો 500ને પાર કરી જશે.
છીપા કબ્રસ્તાનમાં 3થી 4 ગણી વધુ દફનવિધિ
અમદાવાદ છીપા સમાજ પ્રમુખ ફિરોઝ રીંછણીવાલાએ કહ્યું કે, અમારા સમાજનાં કબ્રસ્તાનમાં એપ્રિલ 2019માં 30થી 40 મૃત્યુની સામે એપ્રિલ 2020માં 143 મૃત્યુ નોંધાયા છે. મે મહિનામાં 9 તારીખ સુધી 70 મોત થઇ ગયા છે.
સપ્તર્ષિ સ્મશાન ગૃહના આંકડા
તારીખ | એપ્રિલ | મે |
1 | 4 | 19 |
2 | 12 | 19 |
3 | 7 | 13 |
4 | 4 | 18 |
5 | 8 | 16 |
6 | 7 | 16 |
7 | 7 | 31 |
8 | 9 | 20 |
10 | 6 | 21 |
કુલ | 74 | 191 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fDVenS
No comments:
Post a Comment