
રાજસ્થાનના બૂંદી જિલ્લાના હિંડૌલી કસ્બામાં એક અનોખી પ્રથા છે. લગ્નોત્સુક યુવકો મંદિરમાંથી પાર્વતીજીની મૂર્તિ ચોરી જાય છે. લગ્ન થઇ ગયા બાદ પાછી મૂકી જાય એટલે બીજો કોઇ કુંવારો યુવક ચોરી જાય. જોકે, હાલ લૉકડાઉનના કારણે લગ્નો નથી થઇ રહ્યાં તેના કારણે મંદિરમાં મૂર્તિ પાછી આવી શકે તેમ નથી તો બીજી તરફ કુંવારાઓની લાઇન પણ ઓછી થઇ રહી નથી.
મૂર્તિ ચોરી જાય તેના લગ્ન જલદી થઇ જાય
રાજસ્થાનના બૂંદી જિલ્લાના હિંડૌલી કસ્બામાં એક એવું મંદિર છે કે જ્યાંથી મૂર્તિ ચોરી જવા બદલ કોઇ પોલીસકેસ થતો નથી. અહીંના રામસાગર સરોવરના કાંઠે રઘુનાથ ઘાટ મંદિરેથી પાર્વતીજીની મૂર્તિ ચોરવા પાછળનું કારણ અનોખું છે. એવી માન્યતા છે કે જે યુવકનાં લગ્ન ન થતાં હોય તે આ મંદિરમાંથી પાર્વતીજીની મૂર્તિ ગૂપચૂપ ચોરી જાય તો તેનાં લગ્ન જલદી થઇ જાય છે. આ જ કારણથી કુંવારા યુવકો મંદિરમાંથી પાર્વતીજીની મૂર્તિ રાત્રે ગૂપચૂપ ચોરી જાય છે.
પાર્વતીજીકુંવારા યુવકના ઘરે હોમ ક્વોરન્ટીન
મંદિરમાં મહાદેવજી (શિવલિંગ)ની બાજુમાં જ પાર્વતીજીની મૂર્તિ સ્થાપિત છે પણ મહાદેવજી પાર્વતીજી સાથે ભાગ્યે જ જોવા મળે છે. કુંવારા યુવકો પાર્વતીજીની મૂર્તિ ચોરી જવા ટાંપીને જ બેઠા હોય છે. હાલ કેટલાય દિવસોથી પાર્વતીજી મહાદેવજીથી વિખૂટા પડી ગયા છે. તેઓ કોઇ કુંવારા યુવકના ઘરે હોમ ક્વોરેન્ટાઇન છે. લૉકડાઉનના કારણે આ વખતે અખાત્રીજ જેવા મુહૂર્ત પર પણ લગ્નો ન થયાં. લૉકડાઉન ન ખૂલ્યું અને લગ્નો ન થયાં તો જુલાઇથી 4 મહિના માટે દેવપોઢી જશે. એવામાં પાર્વતીજી મહાદેવજી પાસે જલદી પાછાં ફરે તેવી શક્યતા ઓછી છે. લાઇનમાં લાગેલા કુંવારાઓએ આ વખતે લાંબી રાહ જોવી પડશે. છેલ્લાં 35 વર્ષથી મંદિરમાં પૂજારી તરીકે સેવા આપી રહેલા રામબાબુ પારાશર જણાવે છે કે અત્યાર સુધીમાં 15-20 વખત પાર્વતીજીની મૂર્તિ ચોરાઇ ચૂકી છે. ચોરનારનાં લગ્ન પણ થઇ ચૂક્યાં છે. અમને ચોરીની ખબર પડી જાય તોપણ કોઇને ટોકતા નથી. વર્ષમાં માંડ એક-બે મહિના જ પાર્વતીજીની મૂર્તિ મંદિરમાં બિરાજેલી રહી શકે છે. તેઓ મંદિરમાં પાછા આવે એટલામાં તો ફરી તેમને કોઇ ચોરી જાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YwyArg
No comments:
Post a Comment