
from India Today | Top Stories https://ift.tt/2T7ARpp
‘ક્યાંય જવાની જરૂર નથી, ડોક્યુમેન્ટ આપી દો, જ્યાનો પાસ જોઈતો હશે મળી જશે અને તમને કોઇ રોકશે પણ નહીં. અત્યારે મારી પાસે ઘણા બધા લોકો પાસ કઢાવવા માટે આવે છે, થોડો સમય લાગશે.’ આ વાત તમને પ્રથમ દૃષ્ટિએ કોઇ સેવાભાવી વ્યક્તિની અથવા તો ઓફિસમાં કોઇ સારો હોદ્દો ધરાવતા અધિકારીની લાગશે પરંતુ અહીં તદન ઊલટું છે. આ શબ્દો બોલી રહ્યો છે એક દલાલ કે જે થોડા પૈસા માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. જી હા, રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતો અને ગમે તે જિલ્લામાં જવા આવવા માટે 3500 રૂપિયામાં પાસ કાઢી આપવાનો દાવો કરનારા દિપેન કોટેચાનો સતત આઠ દિવસ સુધી પીછો કરીને દિવ્ય ભાસ્કર અને કલેક્ટર તંત્રે સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કર્યો છે. ભાસ્કરનો હેતુ હાલની સ્થિતિમાં એકબીજા જિલ્લામાં થતી અવર જવર રોકવાનો નહીં પરંતુ એવા તત્ત્વો કે જે ખોટી રીતે મજબૂર લોકોનો લાભ લઈને પૈસા લૂંટી રહ્યા છે તેને ડામવાનો છે. વાંચો, આઠ દિવસ થયેલી એક એક વાતચીત અને સમગ્ર પ્રકરણ પરથી કઇ રીતે પડદો ઉઠ્યો.
કલેક્ટરે ઓપરેશન શરૂ કર્યું
લોકડાઉન 3.0 બાદ લેભાગુ તત્ત્વો પાસને પણ ધંધો બનાવી ચારે બાજુ ફૂટી નીકળ્યા છે તે વાત ધ્યાને આવ્યા બાદ દિવ્ય ભાસ્કર અને કલેક્ટર રેમ્યા મોહને આવા તત્ત્વોને ખુલ્લા પાડવા ઓપરેશન ‘ના’પાસ શરૂ કર્યું હતું. પાસના નામે તોતિંગ રકમ વસૂલતા દલાલ દિપેન કોટેચાના ઓડિયો વીડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એકત્રિત કરીને બુધવારે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને ભાસ્કરની ટીમે એક્શન પ્લાન તૈયાર કર્યો અને રાત્રીના ભગવતીપરામાં પ્રાંત અધિકારી, ભાસ્કરની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી અને દલાલ દિપેનને ઉઠાવી લઈ પૂછપરછનો દોર શરૂ થયો હતો. આ મામલામાં કલેક્ટર તંત્રે ફરિયાદી બની દલાલ દિપેન સામે ગુનો નોંધાવ્યો હતો. આ મામલામાં કોની કોની સંડોવણી છે તે અંગે મોડી સાંજથી કલેક્ટર રેમ્યા મોહને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.
આ ગુનો તો છે, મોટું પાપ પણ છે: કલેક્ટર
અત્યારે આવા માહોલમાં લોકોની મજબૂરીને અવસર માની આર્થિક લાભ મેળવવો તે કાયદાની દૃષ્ટિએ ગુનો તો છે જ પણ માનવતાની દૃષ્ટિએ એક મોટું પાપ છે. આવા લોકો સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે તે માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. દલાલ ઉપરાંત આ કૃત્યમાં અન્ય જે કોઇ વ્યક્તિની સંડોવણી હશે તેની સામે તપાસ અને કાર્યવાહી થશે. આવી કોઇ ગેરરીતિ ધ્યાનમાં આવે તો નાગરિક પણ તંત્રનું ધ્યાન દોરી શકે છે. > રેમ્યા મોહન, જિલ્લા કલેક્ટર
ભાસ્કરની ટીમ ભગવતીપરામાં પહોંચી, દલાલ દિપેન કારમાં બેસે છે અને જે સંવાદ થયા તે અક્ષરશ:
તા.5 સમય સાંજે 6 વાગ્યે :
કોઈ એક વ્યક્તિ 3500 રૂપિયા લઈને અન્ય જિલ્લામાં જવા માટેનો પાસ કાઢી આપવાની વાત ભાસ્કર સુધી પહોંચી અને ભાસ્કરે સમગ્ર ઓપરેશન શરૂ કર્યું. એક વ્યક્તિની વાત રજૂ કરી તરત જ દલાલે કેટલા ડોક્યુમેન્ટ જોશે તેનો મેસેજ કર્યો. ભાસ્કરે ઊંડાણપૂર્વક તપાસ માટે ફેરવી ફેરવીને પૂછ્યું તો એક વાત સામે આવી કે હમણા જ સુરત જવા માટે એક પતિ-પત્નીને 3500 રૂપિયા લઈને પાસ કાઢી આપ્યો છે.
તા.6 સમય સવારે 10 કલાકે :
ભાસ્કરે ફરી વખત દલાલનો સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ તેના ફોન રિસીવ થયા નહીં દરમિયાન જે વ્યક્તિ પાસેથી ભાસ્કરને વિગત મળી હતી તેને સુરતનો પાસ મોકલવામાં આવ્યો અને તે પાસ ભાસ્કર સુધી પહોંચ્યો.
તા. 7 સમય સવારે 11 કલાકે :
ભાસ્કરે દલાલ દિપેન કોટેચા હોવાનું શોધી કાઢ્યું અને તેના મોબાઈલ નંબર પણ મેળવી લીધા. ફોન પર વાત ન કરતા દલાલે મેસેજથી સંવાદ શરૂ કર્યો.
ભાસ્કર : મારે પાસ કઢાવવો છે. તમે ફોન નથી ઉપાડતા
દલાલ : હાલ મારી પાસે 20 પાસનો ઓર્ડર છે અત્યારે ડોક્યુમેન્ટ કલેક્શન માટે નીકળ્યો છું તમે ચિંતા ન કરો કામ થઈ જશે. (ત્યારબાદ દલાલ સંપર્ક કાપી નાખે છે)
તા. 8ના સવારે 8થી ભાસ્કરની ટીમ દલાલને મળવા માટે કહે છે એક વખત સંપર્ક થતાં જ દલાલ કહે છે વિરાણી ચોકના બગીચા પાસે બપોરે 1 વાગ્યે મળીશુ પરંતુ ત્યાં બે કલાક સુધી રાહ જોઈ દલાલ આવતો નથી. ભાસ્કર સતત તેનો સંપર્ક અને મળવાની કોશિશ કરે છે તે જવાબ આપે છે કે હમણા બહુ સ્ટ્રીક્ટ છે, થોડી શાંતિ રાખો કામ કરાવી દઈશ. ત્યારબાદ ભાસ્કરે ફરીથી રૂબરૂ મળવાની વાત કરી અને કહ્યું કે તમે ન આવી શકતા હોય તો અમને કહો અમે આવી જઈએ.
ભાસ્કર : તમારી સાથે વાત થઈ હતી એ મુજબ અમારે અંકેલશ્વર જવાનો પાસ જોઈએ છે :
દલાલ : બે દિવસથી એ ભાઈ સાથે વાત કરું છું તે ફોન ઉપાડતા નથી, તમે મને વોટ્સએપમાં ડોક્યુમેન્ટ સેન્ડ કરી દો
ભાસ્કર : કેટલા પૈસા થાય છે, તમે કહો તો અત્યારે જ ચૂકવી દઈએ.
દલાલ : અંકલેશ્વર જવું છે ને? કેટલા વ્યક્તિને જવાનું?
ભાસ્કર : દંપતી છે,
દલાલ : 3500 રૂપિયા થશે
ભાસ્કર : આ પહેલા તમે કર્યું હતું કે ક્યાંનું હતું?
દલાલ : એની એપ્લિકેશન નાખી અને 3 જણાની પાસ થઈ હતી. અહીંથી ચોટીલા વટી જાઓ એટલે તકલીફ નથી. પાસ વગર જ નીકળાય જ નહીં એ વ્યક્તિ ઓફિસમાં સારા સંપર્ક ધરાવે છે.
દલાલ : આવવા-જવાનો પાસ જોઈએ છે?
ભાસ્કર : હા, તમે ઓલા ભાઈને ફોન કરી ઝડપ કરો ને
(દલાલ ગૌરાંગ નામથી સેવ કરેલા મોબાઈલ નંબર પર ફોન કરે છે અને એ વ્યક્તિ કલેક્ટર ઓફિસમાં હોવાનું દલાલનો દાવો હતો)
દલાલ : હેલ્લો, અંકલેશ્વર જવાનો પાસ કઢાવવાનો છે, થઈ જશે? અગાઉ જેનો પાસ કાઢ્યો તે ભાઈ ઘરે આવ્યા છે, જવાના એ પણ સાથે છે (ફોન કાપીને ભાસ્કર સાથે સંવાદ ફરી શરૂ કરે છે)
દલાલ : તમે બધા ડોક્યુમેન્ટ વોટ્સએપ કરી દો, કાલ બપોર સુધીમાં તમને જે હશે તે સ્પષ્ટ કરી દઈશ
ભાસ્કર : પૈસા અત્યારે ચૂકવી દઈએ?
દલાલ : ના, કાલે એને આપજો અથવા ગૂગલ પે કરી દેજો
ભાસ્કર : ક્યાંય જવું પડશે?
દલાલ : ના, ક્યાંય જવાની જરૂર નથી વોટ્સએપ પર કામ થઈ જશે. કલેક્ટરનો સિક્કો મારેલો પાસ આવશે જે કારના કાચ પર મારી દેજો કોઇ નહીં રોકે
ભાસ્કર : કેટલા થશે બેય જણાના?
દલાલ : અગાઉ સુરતના 3500 થયા હતા, સવારે ગૌરાંગ સાથે વાત થઈ જાય પછી ડોક્યુમેન્ટ મોકલી દેજો, પૈસા ગૂગલ પે કરી દેજો, રોકડા હાથમાં દેવાની જરૂર નથી.
દલાલ : સવારે 12 વાગ્યે ફોન કરીશ
ભાસ્કર : તમે ફોન ઉપાડતા નથી
દલાલ : 20 લોકો પાસ માટે સતત ફોન કરે છે, અત્યારે સ્ટ્રીક્ટ ચાલે છે જેવું એ ભાઈ મને કહેશે એટલે એવું જ બધાના એકસાથે પાસ નીકળી જશે.
પાસની અરજી કરવાના 100-100 રૂપિયા લેતો શખ્સ પકડાયો
સંજય મકવાણા નામના વ્યક્તિએ ઓનલાઈન અરજી કરવાને પોતાનો ધંધો બનાવી લીધો હતો. તે અરજદાર પાસેથી 100-100 રૂપિયા લઈને તેમની અરજી કરી આપતો હતો. કલેક્ટર કચેરીના પાસના ફોટા સાથે તેણે પેમ્ફલેટ બનાવી વોટ્સએપમાં વહેતું મૂક્યું હતું. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સુધી આ માહિતી પહોંચતા તેમણે સંજય મકવાણાને ડમી ગ્રાહક બનીને ફોન કરી પૂછપરછ કરી હતી તેમાં તેણે બધી વાત કરી હતી. પ્રાંત અધિકારીએ પોલીસ ફરિયાદ કરતા ધરપકડ કરાઈ છે.
બજાજ ઓટોના એમડી રાજીવ બજાજ અને તેમની કંપનીના કર્મચારીઓ કોરોના વાઇરસ સામેના જંગમાં હોમ્યોપેથી પર ભરોસો કરી રહ્યા છે. તેઓ પોતાની ઇમ્યુનિટી વધારવા માટે હોમ્યોપેથિક દવા કેમ્ફોરો 1એમનો ઉપયોગ કરી રહ્યા છે. રાજીવે મહામારીને રોકવા માટે હોમ્યોપેથી, આયુર્વેદ અને વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓને પ્રોત્સાહહિત નહીં કરવા અંગે સરકાર સામે સવાલ પણ ઉઠાવ્યા હતા.તેમણે સરકારને હોમ્યોપેથી દવાના ઉપયોગની પરવાનગી મળે તો રૂ. 650 કરોડ ખર્ચી દેશના 130 કરોડ નાગરિકોને મફત દવા આપવાની તૈયારી પણ બતાવી છે. રાજીવ સ્વભાવે બડબોલા છે. તેમણે ઘણી વખતે સરકારની નીતિઓની ટીકા પણ કરી છે. તાજેતરમાં તેમણે સરકારના લોકડાઉનના નિર્ણયની ટીકા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય અર્થતંત્ર માટે યોગ્ય નહીં હોય, તેના બદલે સાવચેતી રાખી યુવાઓને કામ કરવા દેવાની વાત કરી હતી.
આશરે 10 હજાર લોકોએ જેલ્સીમિયમ દવા લીધી
રાજીવને તેમના ફેમિલી ડોક્ટર રાજન શંકરને હોમ્યોપેથીથી વાકેફ કરાયા હતા. 10 વર્ષ પહેલાં જ્યારે પુણેમાં સ્વાઇન ફ્લૂએ કેર વર્તાવ્યું હતું, ત્યારે ડૉ. રાજનના માર્ગદર્શમાં બજાજ સહિત આશરે 10 હજાર લોકોએ જેલ્સીમિયમ દવા લીધી હતી. જે લોકોએ આ દવા લીધી હતી, તેમને સ્વાઇન ફ્લૂના ચેપની અસર થઇ નહતી. રિપોર્ટ મુજબ ઇરાન, રોમાનિયા જેવા દેશોમાં કોરોનાના દર્દીઓને કેમ્ફોરા 1એમ જવા અપાઇ. જેના સારા પરિણામો પણ મળ્યા છે.
નીરજા બિરલાએ કોરોના મેન્ટલ હેલ્થ હેલ્પલાઈન શરૂ કરી
ઉદ્યોગપતિ કુમાર મંગલમ્ બિરલાનાં પત્ની અને એમપાવરનાં ફાઉન્ડર અને ચેરપર્સન નીરજા કોરોના કાળમાં લોકોના મેન્ટલ આરોગ્યને સારી કરવાની દિશામાં કામ કરી રહ્યાં છે. તેમણે બીએમસી અને રાજ્ય સરકાર સાથે મળી 3 એપ્રિલથી એક હેલ્પલાઇન શરૂ કરી છે. 24 કલાક કાર્યરત આ હેલ્પલાઇન પર ત્રણ ભાષામાં વાત કરી શકાય છે. નીરજા કહે છે કે આ હેલ્પલાઇન પર દરરોજ 40,000 કોલ આવી રહી છે.
ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુનો વધી રહેલો આંકડો ચિંતાજનક છે, મહત્તમ કિસ્સામાં શ્વાસ લેવામાં પડતી ગંભીર મુશ્કેલી અને ફેફસા કામ કરતાં બંધ થવાને કારણે આ સ્થિતિ ઊભી થાય છે. આમ થતું અટકે તે માટે ગુજરાત સરકારે ટોસિલિઝુમેબ ઇન્જેક્શનો મોટા પ્રમાણમાં મંગાવી ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા દર્દીને આપી તેનો જીવ બચાવવામાં આવશે.
ઇન્જેક્શનથી 30માંથી 14 દર્દીઓ સાજા થઇ ગયા
આ ઇન્જેક્શનની કિંમત 40,000 રૂપિયા છે અને આવાં બે વાયલ એટલે કે ડોઝ આપવા પડે છે. ભારતીય ફાર્મા કંપની સિપ્લા તેનું ઉત્પાદન કરે છે. અગાઉ ગાંધીનગરના આલમપુર માર્કેટ યાર્ડના સેક્રેટરી યુવાનને શ્વાસ લેવામાં મુશ્કેલી શરૂ થતાં તેને આ ઇન્જેક્શન અપાયું હતું અને તે સ્વસ્થ થઇને થોડા જ દિવસમાં ઘરે પરત ફર્યો હતો. મુંબઇમાં પણ આ ઉપચાર ચાલું છે અને ત્રીસમાંથી ચૌદ દર્દીઓ સાજા થઇ ગયા હતા.
ઇન્જેક્શનદર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે
આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે મંગળવારે જ રાજ્ય સરકારે આ દવાનો જથ્થો મંગાવી લીધો છે અને આ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે. આ દવાના ખૂબ સારા પરિણામ મળ્યા છે અને જરૂર લાગે તે દર્દીને આ ઇન્જેક્શન અપાશે. હજુ પણ આ દવાનો નવો સ્ટોક મંગાવાયો છે.
શું છે ટોસિલિઝુમેબ
આ દવા રુમેટોઇડ આર્થરાઇટિસ, કેન્સર, અથવા ટ્રાન્સપ્લાન્ટેશન કરાવેલા દર્દીઓમાં અમુક પ્રકારના એન્ટિબોડી બની શરીરમાં આંતરિક અંગો જેવા કે આંતરડા કે ફેફસામાં સોજો ન લાવે તે માટે વપરાય છે. હાલ કોરોના વાઇરસના ગંભીર સંક્રમણના કિસ્સામાં ઉપચાર માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ વિશ્વમાં પ્રાયોગિક રીતે થઇ રહ્યો છે. મૂળમાં આંતરરાષ્ટ્રીય ફાર્મા કંપની રોશ તે ડ્રગ તૈયાર કરે છે, પરંતુ હાલ ભારતીય કંપની સિપ્લા સાથે તેના કરાર હોઇ તેનું ઉત્પાદન ભારતમાંથાય છે. અહીંથી જ અન્ય દેશોમાં પણ સપ્લાય થાય છે. યુરોપ અને અમેરિકામાં દર્દીઓની સ્થિતિ વધુ ખરાબ હોવાથી ત્યાં ભારત કરતાં વધુ જરૂર છે.
કેન્દ્ર સરકારના 20 લાખ કરોડના આત્મનિર્ભર ભારત રાહત પેકેજથી લધુ અને મધ્યમ ઉદ્યોગો-એમએસએમઇ સેક્ટરને બૂસ્ટરડોઝ મળી જશે. ખાસ કરીને એમએસએમઇ સેક્ટરને 3 લાખ કરોડની લોન ફાળવણીની જાહેરાતથી ગુજરાતને વધુ લાભ થવાની આશા છે. દેશમાં કુલ 45 લાખ પૈકી 10 ટકાથી વધુ એમએસએમઇ ગુજરાતમાં છે જેના કારણે ગુજરાતને સરેરાશ 65000-70000 કરોડનો ફાયદો થવાનો આશાવાદ ટોચના ઉદ્યોગ નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત સૌથી વધુ ફાયદો એમએસએમઇની વ્યાખ્યા બદલવામાં આવી છે તેનાથી થશે. મોટા ભાગના ઉદ્યોગો રાહત પેકેજમાં આવરી લેવાશે.
ગેરેન્ટી ફ્રી લોન 4 વર્ષ માટે હશે
ગુજરાતના પાયાના સેક્ટર ગણાતાં રિયલ એસ્ટેટ, ફાર્મા, કેમિકલ્સ, ટેક્સટાઇલ-ગારમેન્ટ, એનબીએફસી, હોસ્પિટાલિટી સહિત ઉત્પાદન સેક્ટર તેમજ ખેડૂતોને સીધો લાભ થશે. લઘુ અને મધ્યમ ઉદ્યોગો-એમએસએમઇ સેક્ટરને લોન ફાળવણી કરાઇ છે જેમાં ગેરેન્ટી ફ્રી લોન 4 વર્ષ માટે હશે અને પ્રથમ વર્ષે પ્રિન્સિપલ રકમ ચૂકવવી પડશે નહિ. જેના કારણે ઉદ્યોગોને એક વર્ષ સુધી નાણાંભીડનો સામનો નહીં કરવો પડે.ગુજરાતમાં ઉદ્યોગો કોરોના મહામારીના કારણે વેન્ટિલેટર પર હતા ત્યારે બુસ્ટર ડોઝ મળી જવાના કારણે ઝડપી રિકવર થઇ શકશે.
ગુજરાતના ફાર્મા, કૃષિ-ખેડૂતો, ટેક્સટાઇલ, હોસ્પિટાલિટી, NBFC સેક્ટરને થશે ફાયદો
સેક્ટર | કેન્દ્ર સરકારે શું આપ્યું | ગુજરાતને શું ફાયદો |
એમએસએમઇ | રૂ. 3 લાખની કોલેટરલ ફ્રી લોન, રૂ. 100 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીને રૂ. 25 કરોડ સુધી લોન મળશે | દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાત એમએસએમઇનો 20-22 ટકા હિસ્સો જોતાં રૂ. 70 હજાર કરોડનો ફાયદો થઇ શકે. |
એનબીએફસી | 75 હજાર કરોડનું પેકેજ તેમાં 30 હજાર કરોડ નોન-ગેરંટી લોન અને 45 હજાર પાર્શિયલ ગેરન્ટી લોન | ગુજરાતની 10-12 એનબીએફસીને ફાયદો, વ્હીકલ, પર્સનલ, કોર્પોરેટ લોન આપી શકશે |
રિયલ એસ્ટેટ | રેરા હેઠળ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમયમર્યાદા વઘારાઇ | વ્યાજ, GST, અને સ્ટેમ્પ ડ્યુટીમાં ઘર ખરીદારનારને રાહત અપાય તો રૂપિયા 1.80 લાખ કરોડના પ્રોજેક્ટને ગતિ મળી શકે. |
ફાર્માસ્યુટિકલ્સ | એમએસએમઇને આપેલા ફાયદાઓનો લાભ નાની ફાર્મા કંપનીઓને થશે, કોરોના ઈમ્પૅક્ટ 25 થી 30 ટકાના સ્થાને 70 થી 80 ટકા ઉત્પાદન થઇ શકશે. | કંપનીઓ વિદેશી ઓડિટમાં ખર્ચાઓના કારણે NPA થઇ હતી તે કંપનીઓ હવે લોનની હકદાર બનશે. 800 કંપનીઓને રાહત થશે. |
ટેક્સટાઇલ- ગાર્મેન્ટ | એમએસએમઇને અપાયેલા લાભનો ફાયદો આ સેક્ટરને પણ થશે. રોજગારી જાળવવામાં મદદ મળી રહેશે. | સરળ ધિરાણ મળતાં નાણાખેંચમાંથી બહાર આવી નવો વેપાર થશે. ગુજરાતને સૌથી વધુ ફાયદો થશે. |
ઓટોમોબાઇલ | રૂ. 20 લાખ કરોડના પેકેજની જાહેરાતમાં સીધો લાભ નહિં, ઓટો સેક્ટરને સ્પેશિયલ પેકેજ આપવામાં ઉદાસીનતા | ગુજરાતમાં ઓટો ડિલસ કે સંબંધિત ઉદ્યોગ- ધંધા એમએસએમઇ ગણાતા નથી. તેના કારણે તેનો સીધો લાભ નહિં. |
હોસ્પિટાલિટી | હોટલ, ટૂરિઝમ અને રેસ્ટોરન્ટ્સને કોલેટરલ ફ્રી ધિરાણનો લાભ મળશે. જોકે સર્વિસ સેક્ટરની જાહેરાતો હજુ બાકી | ગુજરાતના હોસ્પિટાલિટી ઉત્પાદન કરતું નહિં હોવાથી સીધો લાભ નથી. સર્વિસ ઇન્ડસ્ટ્રી માટે અલગ પેકેજનો આશાવાદ છે. |
કર્મચારીઓ | નાના પગાર દાર જેમકે રૂ.15000થી ઓછા પગારમાં ઇપીએફ સરકાર આપશે. પીએફ ફંડમાંથી પણ નાણાં ઉપાડી શકાશે | કમર્ચારીઓની ટેક હોમ સેલરીમાં બે ટકા વધારો થશે તેના કારણે કર્મચારીઓની ખર્ચ ક્ષમતામાં પણ વધારો થશે, લિક્વિડિટી વધશે. |
એગ્રી-ખેડૂતો | પીએમ કિસાન યોજના- ઉજ્જવલા- ફસલ વીમાને પેકેજમાં મોટા ભાગના ખેડૂતોને આવરી લેવાયા | ગુજરાતના અંદાજે 50 લાખ ખેડૂતોને વાર્ષિક 6 હજાર લેખે રૂ. ત્રણ હજાર કરોડ બેન્ક ખાતામાં સીધા જમા કરાવાશે |
એક્સપર્ટનો મત
પોરબંદરના ખારવા સમાજ તેમજ કોંગ્રેસના અગ્રણી પ્રવિણભાઇ બરીદુનને 4 મેએ કેન્સર હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ કોરોનાના ટેસ્ટનું કહી તેમને સિવિલની કોવિડ હોસ્પિટલના ICUમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલ તંત્રનો દાવો છે કે, તેમનું ગત 8 મેએ કોવિડના આઇસીયુમાં કેન્સરની બીમારીથી થયું હતું, તેમજ હોસ્પિટલ સ્ટાફે સગાંને શોધવાની સાથે મોબાઇલ નંબર પર ત્રણ દિવસ સુધી ફોન કર્યા હતા, બુધવારે સવારે દર્દીના સગા હોસ્પિટલ આવતાં તેમને મૃતદેહ સોંપાયો છે.
પરિવારનો સંપર્ક ન થઈ શકતા તેમનો મૃતદેહ કોલ્ડરૂમમાં રખાયો:જયંતી રવિ
આ અંગે કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ સિવિલ હોસ્પિટલ પર આક્ષેપો કર્યા હતા. જ્યારે આરોગ્ય વિભાગના સચિવ જયંતી રવિએ કહ્યું હતું કે, તેમનું મોત થતા તેમના પરિવારનો સંપર્ક ન થઈ શકતા તેમનો મૃતદેહ કોલ્ડરૂમમાં રખાયો હતો.
કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હતો
સિવિલ હોસ્પિટલના સીઓડી ડો. એમ. એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે, પ્રવિણભાઇ કોવીડ હોસ્પિટલના ઓ-3 આઇસીયુમાં દાખલ હતા, જયાં 8 મેએ તેમનું મૃત્યુ થયું હતું. તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જેથી કેન્સરથી મૃત્યુ થયાની શક્યતા છે. બુધવારે સવારે દર્દીના સગા આવતાં તેમને મૃતદહે સોંપવામાં આવ્યો છે.
લૉકડાઉન વચ્ચે અટવાયેલા પરપ્રાંતીઓને તેમના વતન મોકલવા માટે રાજ્ય સરકાર દ્વારા બસ તેમજ ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી છે પરંતુ આ સેવાનો વ્યાપ સામાન્ય જન હજુ સુધી પહોંચ્યો નથી એવું જણાઈ રહ્યું છે .શહેરના અનેક વિસ્તારોમાં વતન જવાની વાટ જોઈ રહેલા મજૂરોને તેમની ટિકિટ ભાડું ઉપરાંત વધારાની રકમ ન આપે તો બસમાં બેસવા નહીં દેવામાં આવતા હોવાના કિસ્સાઓ બહાર આવ્યા છે. આવી કટકી કરી મજૂરોને વતન પહોંચાડવામાં વચેટિયા ધંધો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બસમાં બેસવા ન મળતાં શ્રમિકો નિરાશ થઈ પાછા જાય છે
શહેરના શ્રેયસ ટેકરા પાસે આવેલા ખુલ્લા મેદાનમાં છેલ્લા ત્રણ દિવસથી મજૂરો મોટી સંખ્યામાં વહેલી સવારથી આવી જાય છે અને ધોમધખતા તાપમાં મોડી સાંજ સુધી બેસીને પોતાના વતનમાં લઈ જતી બસની રાહ જોઈ રહ્યા છે. આ અંગે સ્થળ ઉપર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કેટલાક લોકો આ મજૂરોને તેમના ટિકિટ ભાડા ઉપરાંત 200 થી 400 રૂપિયા જેટલી રકમ વધારે માંગી રહ્યા છે જો આવી રકમ આપવાનો ઈનકાર કરવામાં આવે તો તેમના નામ રજિસ્ટર હોવા છતાં પણ તેમને બસમાં બેસવા દેવામાં આવતા નથી. પરિણામે જેમણે વધારાના પૈસા આપ્યા હોય તેઓ બસમાં ચઢી જાય છે અને બાકીના લોકો નીચે ઊભા રહી જાય છે જેમને હવે બીજા દિવસે આવું કહી રવાના કરી દેવાય છે.
પરપ્રાંતના લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારું રજિસ્ટ્રેશન થયા બાદ અમને અમારા કોન્ટ્રાક્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારી બસ આવી ગઈ છે તમે આવી જાવ જ્યારે અમે સ્થળ પર પહોંચે છે ત્યારે માંડ એકાદ બે બસમાં મજૂરોને લઈ જવાય છે જ્યારે બાકીનાને પાછા ઘરે ધકેલી દેવાયા છે મોટાભાગના મજૂરોએ જણાવ્યું હતું કે લૉકડાઉન દરમિયાન તેમની હાલત અત્યંત કફોડી થઇ ગઇ છે આસપાસના પડોશીઓ પાસેથી પૈસા ઉધાર લઇ તેઓ પોતાને જવા માંડ ટિકિટ ભાડું ભેગું કરી રહ્યા છે તેવામાં અમુક વચેટિયા પૈસાની માગણી કરી તેમને પરેશાન કરી રહ્યા છે. એક મજૂર પોતાના વતન જવા માટે ભટકતો હતો તેની સાથે બસમાં બેસવાની વાત કરતા તેની આંખોમાંથી આંસુ નીકળી ગયાં હતાં . તેણે કહ્યું હતું કે , હું રોજ આવીને પાછો જાવ છું અમે શું ગુનો કર્યો છે.
સામાન ઊંચકીને ખભા પણ છોલાઈ ગયા
રાજીવ નગરમાં રહેતા રામજશ ઠાકુરદીન મિશ્રા નામના વૃદ્ધે જણાવ્યું હતું કે તેમણે વતન જવા માટે છેલ્લા છ દિવસમાં એટલી બધી રઝળપાટ કરી છે કે સામાન ઊંચકીને તેમના બંને ખભા છોલાઈ ગયા છે .મજૂરી કરી જીવતા આ વૃદ્ધ પાસે વતન જવાના ટિકિટ માટે પૈસા પણ નથી તેણે પોતાના પાડોશી પાસેથી પૈસા ઉધાર લીધા છે. દરરોજ નવી આશા સાથે સામાન ખભે ઊંચકી બસમાં બેસવા જાય છે પણ બસ નહીં મળતા પાછા આવવું પડે છે જેના કારણે સમાન ઊંચકીને ખભા પણ છોલાઈ ગયા છે.
1000 પરપ્રાંતીયોમાંથી 35 જઈ શક્યા
આનંદ નગર વિસ્તારના રાજીવનગરમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીયો ભાડાના મકાનોમાં વસે છે અહીં સ્થાનિક લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે 1000 જેટલા પરપ્રાંતીઓએ તેમના નામનું રજિસ્ટ્રેશન તેમના કોન્ટ્રાક્ટરો મારફતે કરાવ્યું છે. પરંતુ બસમાં બેસવા માટે કટકી કરનારા લોકોના કારણે આ લોકોમાંથી માત્ર 35 વ્યક્તિઓ છે તેમના વતન સુધી પહોંચ્યા છે જ્યારે બાકીનાઓને નિરાશ થવું પડ્યું છે.
અમદાવાદમાં કોરોનાથી થતાં મૃત્યુના આંકડાને ઓછો બતાવવા તંત્રએ ઘાલમેલ શરૂ કરી દીધી છે. જેતે દિવસે થતાં મૃત્યુ જાહેર કરાતા નથી પણ ટુકડે ટુકડે પાછળના દિવસોમાં જાહેર કરાય છે. બુધવારે અમદાવાદમાં 25 મૃત્યુ થયા હોવાની જાહેરાત કરાઈ છે.
મૃતકોની યાદીમાં 13 તારીખે એક પણ મૃત્યુ થયાનું દર્શાવવામાં આવ્યુ નથી. બલ્કે 25 માંથી 17 મૃત્યુ 11 તારીખે થયા હતા જ્યારેબીજા આઠ મૃત્યુ 10 મે અને 12 મે ના રોજ થયા હતા. તે જ રીતે, 12 મે એ 21 મૃત્યુની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 10 મૃત્યુ સાત તારીખે થયા હતા, ચાર મૃત્યુ 11 તારીખે થયા હતા.જો એમ માનીએ કે મોડેથી દાખલ થયેલા મૃતકોના રિપોર્ટ મોડા આવે છે તો પણ જે અગાઉથી દાખલ થયા છે તેવા દર્દીઓના મૃત્યુ પણ જાહેર કરાતા નથી.
હવામાન વિભાગે ચોમાસા અંગે બુધવારે સુખદ આગાહી કરી છે, જે મુજબ આ વખતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ વહેલું આવી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર બંગાળના અખાતમાં દક્ષિણ-પૂર્વ ક્ષેત્ર અને તેને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્રમાં બુધવારે સવારે લો પ્રેશરના બે ઝોન બન્યા છે. ચોમાસુ 15 મેએ બંગાળના દક્ષિણી અખાતના મધ્ય ભાગોમાંથી આગળ વધીને શ્રીલંકા પહોંચશે.
ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા
16 મેની સાંજ સુધીમાં દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય અખાત પર ચક્રવાતી તોફાન સર્જાઇ શકે છે, જેને અમ્ફાન નામ અપાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું કે ચક્રવાત ચોમાસુ આગળ વધવામાં મદદ કરશે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા છે. આંદામાન-નિકોબાર ટાપુઓ પર 15 અને 16 મેએ હળવાથી ભારે વરસાદની શક્યતા છે, જે દરમિયાન 45થી 55 કિ.મી. પ્રતિ કલાક અને 17 મેએ 85 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
કેટલાક રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદની શક્યતા
ગુરુ અને શુક્રવારે કેરળ, તમિલનાડુ, પુડ્ડુચેરી, દક્ષિણ કર્ણાટક, લક્ષદ્વીપમાં ભારે વરસાદ થઇ શકે છે. ઉ.ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉ.રાજસ્થાન તથા પશ્ચિમ ઉ.પ્ર.ના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે.
ગુજરાતમાં ચોમાસુ 3થી 7 દિવસ મોડું
ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્ર., છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉ.પ્ર.ના કેટલાક ભાગોમાં ચોમાસાના આગમનમાં 3થી 7 દિવસનો વિલંબ થઇ શકે છે.
કેરળમાં 1 જૂનથી ચોમાસુ બેસશે
આ વર્ષે કેરળમાં ચોમાસુ 1 જૂનથી બેસશે જ્યારે દિલ્હીમાં 23થી 27 જૂન, મુંબઇ અને કોલકાતામાં 10-11 જૂનથી વરસાદ આવી શકે છે.
દેશભરમાં ચોમાસુકયા વર્ષે ક્યારે બેઠું?
2018 | 29 જૂન |
2017 | 19 જુલાઇ |
2016 | 13 જુલાઇ |
2015 | 26 જૂન |
2014 | 17 જુલાઇ |
2013 | 16 જૂન |
2012 | 11 જુલાઇ |
2011 | 9 જુલાઇ |
2010 | 5 જુલાઇ |
2009 | 9 જુલાઇ |
રેલવેએ સ્પેશિયલ ટ્રેનોની સાથોસાથ ટૂંક સમયમાં મેલ, એક્સપ્રેસ અને શતાબ્દી જેવી ટ્રેનો દોડાવવાના પણ સંકેત આપ્યા છે. રેલવે બોર્ડ દ્વારા બુધવારે જારી પરિપત્રથી આવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. તેમાં 22 મે અને ત્યાર પછીની ટ્રેનો માટે વેઇટિંગ ટિકિટ આપવા આદેશ કરાયો છે. આ બુકિંગ 15 મેથી કરાવી શકાશે. આદેશમાં વેઇટિંગ લિસ્ટની લિમિટ નક્કી કરાઇ છે, જે મુજબ થર્ડ એસીમાં 100, સેકન્ડ એસીમાં 50, સ્લીપરમાં 200, ચેર કારમાં 100 અને ફર્સ્ટ એસી તથા એક્ઝિક્યુટિવ ક્લાસમાં 20-20 ટિકિટ વેઇટિંગ લિસ્ટની રખાશે.
નાના શહેરો માટે પણ ટ્રેન સેવા શરૂ થઇ શકે
આ આદેશ સંકેત આપે છે કે રેલવે ભવિષ્યમાં હાલની એસી ટ્રેનો સિવાયની ટ્રેનો પણ શરૂ કરવાની તૈયારીમાં છે. મોટા શહેરો માટે દોડાવાતી રાજધાની ટ્રેનો ઉપરાંત નાના શહેરો માટે પણ ટ્રેન સેવા શરૂ થઇ શકે છે.
કોરોના મહામારીએ ન્યાયતંત્રને પણ કામ કરવાની પદ્ધતિની સાથોસાથ ડ્રેસ કોડ બદલવા મજબૂર કરી છે. દેશની સુપ્રીમકોર્ટના ઇતિહાસમાં બુધવારે એ સમયે નવો અધ્યાય ઉમેરાયો કે જ્યારે પહેલી વાર જજીસે ગાઉન, જેકેટ અને કોટ પહેર્યા વિના કેસોની સુનાવણી કરી. ચીફ જસ્ટિસ શરદ બોબડેએ કહ્યું કે કોરોના કટોકટી રહે ત્યાં સુધી જજીસ અને વકીલો માટે નવા ડ્રેસ કોડનો આદેશ જલદી જારી કરીશું.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી બાદ સુપ્રીમકોર્ટમાં વધુ એક મોટો ફેરફાર
વૉટ્સઍપ પેમેન્ટ સર્વિસ સંપૂર્ણપણે બંધ કરવા અંગેના એક કેસ મામલે બુધવારે સુપ્રીમકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી ચાલી રહી હતી. ચીફ જસ્ટિસ બોબડે અને સાથી જજ ઋષિકેશ રાયએ જેકેટ, કોટ અને ગાઉન વિના માત્ર સફેદ શર્ટ અને નેક બેન્ડ પહેર્યા હતા. અરજદારના વકીલ કપિલ સિબ્બલે તેમને પૂછી લીધું કે બેન્ચે ગાઉન કેમ નથી પહેર્યું?
માત્ર સફેદ શર્ટ અને બેન્ડ પહેરીને સુનાવણી કરી
ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે તેમણે કોરોનાના સંક્રમણથી બચાવ અંગે ડૉક્ટર્સ અને નિષ્ણાતોનો અભિપ્રાય માગ્યો હતો, જેમના કહેવા મુજબ ભારે અને ખુલતા કપડાંથી કોરોના સરળતાથી ફેલાય છે. તે અંગે વિચારીને અમે માત્ર સફેદ શર્ટ અને બેન્ડ પહેરીને સુનાવણી કરી રહ્યા છીએ. અમે વકીલો માટે પણ આ સંદર્ભમાં વિચારી રહ્યા છીએ. ત્યાર બાદ અન્ય એક કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ જજીસનું અનુકરણ કરીને સફેદ શર્ટ અને બેન્ડમાં દેખાયા. નોંધનીય છે કે દેશ આઝાદ થયા બાદ પહેલી વાર ન્યાયતંત્રમાં આવો ફેરફાર થઇ રહ્યો છે. સુપ્રીમકોર્ટના પૂર્વ જસ્ટિસ બી. એસ. ચૌહાણના કહેવા મુજબ, બંધારણમાં જોગવાઇ છે કે અસામાન્ય પરિસ્થિતિમાં કે ડૉક્ટરની સલાહથી ડ્રેસ કોડમાં છૂટ આપી શકાય છે.
અધિકારીઓ, કર્મચારીઓને એપ્રિલમાં જ ડ્રેસ કોડથી રાહત મળી ચૂકી છે
સુપ્રીમકોર્ટ તેના કર્મચારીઓ, અધિકારીઓને ડ્રેસ કોડથી પહેલેથી જ રાહત આપી ચૂકી છે. 24 એપ્રિલે જારી આંતરિક પરિપત્રમાં જણાવાયું હતું કે નિષ્ણાતોના મતે કોરોના સંક્રમણ રોકવા રોજ ધોયેલા કપડાં પહેરવા જોઇએ. કોટ-ટાઇ રોજ ધોઇ શકાય નહીં, જેથી આગામી આદેશ સુધી તમામ અધિકારીઓ, કર્મચારીઓ કોટ-ટાઇ વિના ફરજ પર આવી શકશે.
ઇન્ડોનેશિયા સરકારે કોરોના વાઇરસનું સંક્રમણ રોકવા માટે નવા નિયમ બનાવ્યા છે. જે મુજબ લોકડાઉન તોડનારા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરવા બદલ સજાની સાથે ભારે દંડની જોગવાઇ પણ કરી છે. દક્ષિણ-પૂર્વ એશિયન દેશોમાં કોરોનાનો સૌથી વધુ કેર ઇન્ડોનેશિયામાં જ છે. તેથી સરકારને લોકડાઉન અને ડિસ્ટન્સિંગના નિયમ વધુ કડક કરાવાનો નિર્ણય લેવો પડ્યો છે. નવા કાયદા મુજબ માસ્ક પહેર્યા વિના બહાર નીકળનારાને આશરે અઢી લાખ ઇન્ડોનેશિયન રૂપિયા (આશરે 1300 ભારતીય રૂપિયા)નો દંડ થશે. જો કોઇ કંપની લોકડાઉનનું ઉલ્લંઘન કરે છે અથવા કોઇ દુકાનદાર આ દરમિયાન પોતાનો ધંધો ચાલુ રાખે છે તો તેમના પર સ્થાનિક ચલણમાં પાંચ કરોડ રૂપિયા (ભારતીય તલણમાં આશરે અઢી લાખ રૂપિયા)નો દંડ થશે.
‘કાયદો તોડનારા’નું લેબલ પણ લગાવી દેવાશે
ઉપરાંત કાયદાનું ઉલ્લંઘન કરનારા માટે કેટલીક રસપ્રદ જોગવાઇ પણ છે. જે મુજબ બનિયાન પહેરી બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. તેમજ ટોળા કે મોટી સંખ્યામાં એકઠા થવા પર પણ દંડ લગાવાયો છે. સાથે જ આવા લોકોએ જાહેર સ્થળો કે સૌચાલયોની સફાઇ કરવી પડશે. તે દરમિયાન આ લોકોના કપડા કે શરીર પર ‘કાયદો તોડનારા’નું લેબલ પણ લગાવી દેવાશે.
નિષ્ણાતોએ સંક્રમણ વધવાની ચેતવણી આપી
જાકાર્તામાં ગત મહિને આંશિક લોકડાઉન હતું. નિષ્ણાતોએ સંક્રમણ વધવાની ચેતવણી આપી હતી. વીકએન્ડ પર રેસ્ટોરન્ટ, ફાસ્ટફૂડ અને અન્ય સ્થળોએ ભીડ એકઠી થઇ ગઇ. તેનાથી સંક્રમણ વધી ગયું. ત્યારે સરકારે કડકાઇ કરી છે.
મધ્યપ્રદેશના બાલાઘાટના કુંડે મોહગાંમનો રામુ ઘોરમારે અને તેની પત્ની ધનવંતાબાઇ હૈદરાબાદમાં મજૂરી કરતા હતા. લોકડાઉનના કારણે કોન્ટ્રક્ટરે કામ બંધ કરી દીધું. તેથી આ મજૂર પરિવાર રોજી-રોટીથી મોહતાજ થઇ ગયું.
રામુએ વાંસ અને લાકડીથી એક હાથગાડી બનાવી
ઘર વાપસીનું સરકારી સાધન ન મળ્યું તો રામુ ગર્ભવતી પત્ની અને બે વર્ષની પુત્રી અનિરાગિનીની સાથે પગપાળો જ 800 કિમીની સફરે નીકળી પડ્યો. થોડી દૂર સુધી તો પુત્રીને ખોળામાં રાખી. જ્યારે પત્ની અને પુત્રીની હિમ્મત તૂટવા લાગી તો રામુએ વાંસ અને લાકડીથી એક હાથગાડી બનાવી . તેના પર પત્ની અને પુત્રીને બેસાડી, હાથગાડી ખેંચી બાલાઘાટ તરફ નીકળી પડ્યો. 17 દિવસ બાદ બાલાઘાટની લાંજી સરહદે પહોંચ્યા. અહીં એસડીઓપી નેતેશ ભાર્ગવે તેમને ગાડીથી ઘરે પહોંચાડ્યા.
ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામે બુધવારના રાત્રે 9 કલાકે અચાનક આકાશમાં કોઈ અગનગોળા ઉડતા હોય તેવું દેખાતા ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાવા પામ્યો હતો. ગામના કેટલાક યુવાનો દ્વારા તાકીદે મોબાઇલમાં વિડીયો શુટીંગ કરવામાં આવ્યું હતું. આ તકે ઘણા લોકોએ તર્ક વિતર્કો સાથે કહ્યું હતું કે કોઈ ઊંચાઈએ પ્લેન ઉડી રહ્યું છે અને તેમાંથી અગન ગોળા છોડવામાં આવી રહ્યા છે. જ્યારે વાસ્તવમાં વિડીયો શુટીંગમાં પણ આવી જ રીતે અલગ અલગ ઘટનાઓ દેખાઈ રહી છે. આ પદાર્થ કોઈ ફાઈટર પ્લેન હોવા અંગે ગ્રામજનોમાં ચર્ચા છે પણ દિવ્યભાસ્કર આની પુષ્ટિ કરતું નથી.
વારાફરતી ત્રણ ચાર ગોળા દેખાયા અને અવાજ પણ આવ્યો
ગોંડલના પત્રકાર દ્વારા પ્રાંત અધિકારી રાજેશકુમાર આલને જાણ કરાતા તેઓ દ્વારા રાજકોટ કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને તાકીદની જાણ કરવામાં આવી હતી. તાલુકા પોલીસ મથકના પીએસઆઇ અજયસિંહ જાડેજા દ્વારા પણ આશ્ચર્ય ભરી ઘટના હોવાનું જણાવાયું હતું.
અનિડા ભાલોડી ગામના સરપંચ સામતભાઈ બાંભવાએ જણાવ્યું હતું કે ગામના પાદરમાં અમે પાંચ સાત વ્યક્તિઓ બેઠા હતા ત્યારે પહેલા એક અગનગોળો દેખાયો હતો બાદમાં વારાફરતી ત્રણ ચાર ગોળા દેખાયા હતા અને એનો અવાજ પણ સંભળાયો હતો.
ચમકતો પદાર્થ ટમલિંગ સેટેલાઈટ હોઇ શકે
વિજ્ઞાન કેન્દ્રના નીલેશ રાણાના જણાવ્યા અનુસાર ઘણીવાર રાત્રિના સમયે આકાશમાં ઉપગ્રહ દેખાતા હોય છે આ વિડિયોમાં દેખાતુ અગનગોળા જેવું ટમલિંગ સેટેલાઈટ હોઈ શકે તેમ છે, ટમલિંગ સેટેલાઈટ પર જો સૂર્યપ્રકાશ પડે તો અગન ગોળ જેવો ભાસ થાય છે કારણ કે તેનો ઝબકારો અમુક સેકન્ડનો જ હોય છે અને તુરંત જ ટમલિંગ સેટેલાઈટ પૃથ્વીના પડછાયામાં જતું રહેતું હોય છે, જો આવું ત્રણ-ચાર વખત દેખાયું હોય તો તેને ટમલિંગ સેટેલાઈટ કહી શકાય પરંતુ આ વીડિયોમાં ફોક્સ ઓછું છે અને દિશા સૂચન થઈ શકતું નથી તેથી ટમલિંગ સેટેલાઈટ જ છે તેવું કહી શકાય નહીં, પ્લેન કે એરક્રાફ્ટ તો નથીજ, કોઈ અવકાશી ઘટના પણ નથી, માનવ નિર્મિત છે તેમ કહી શકાય જો અવકાશી ઘટના કે ઉલ્કા હોય તો તેનો લીસોટો દેખાય અને તે સેકન્ડના દશમાં ભાગમાં દેખાતો બંધ પણ થઈ જાય પણ આવી ઘટના ટમલિંગ સેટેલાઈટ થી બને અને ઘોડાની જેમ ઉલટ થતું હોય તેવું જણાય.
અમેરિકામાં કોરોનાના મોટા હોટસ્પોટ ન્યૂયોર્ક સિટીને જૂન સુધી બંધ કરી દેવાયું છે. જ્યારે ન્યૂયોર્ક પ્રાંતના ત્રણ અન્ય વિસ્તારોને 15 મેથી ખોલવાની તૈયારી થઇ રહી છે. ન્યૂયોર્ક સિટીના મેયર બિલ ડે બ્લાસિયોએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે ન્યૂયોર્કમાં દરરોજ સંક્રમણ અને મોતનો દર ઓછો થઇ રહ્યો છે. સ્થિતિ સુધરવા સુધી વધુ સતર્કતા જરૂરી છે. સંભવ છે કે મેના અંત સુધીમાં સ્થિતિ સુધરશે.
રાજ્યમાં બંધનો હાલનો આદેશ 15 મેના રોજ પુરો થઇ રહ્યો છે
દરમિયાન ગવર્નર એડ્રયુ ક્યૂમોએ જાહેરાત કરી કે ત્રણ વિસ્તારો ફિંગર લેક્સ, સધર્ન ટીયર અને મોહાક વેલી રીઝન્સ એ 7 માપદંડોને પુરા કરે છે જે ક્ષેત્રીય તબક્કાવાર ઢીલ માટે મહત્વપૂર્ણ છે. ન્યૂયોર્ક રાજ્યમાં બંધનો હાલનો આદેશ 15 મેના રોજ પુરો થઇ રહ્યો છે. તેથી અહીં વેપાર-ધંધા ખુલી શકે છે. જેમાં બાંધકામ, ઉત્પાદન, જથ્થાબંધ સપ્લાય, રિટેઇલ વ્યવસાય, કૃષિ અને માછલી પાલન સામેલ છે. નોર્થ કન્ટ્રી અને સેન્ટ્રલ ન્યૂયોર્ક શહેર 7માંથી 6 માપદંડોને પુરા કરે છે. તે આ સપ્તાહના અંત સુધી તૈયાર થઇ શકે છે. થોડા ઓછા જોખમ વાળા કારોબાર અને મનોરંજક પ્રવૃત્તિઓને 15 થી ફરી ખોલવાની મંજૂરી હશે. ન્યૂયોર્ક રાજ્યમાં કોરોનાના 3,37055 કેસ આવ્યા. જ્યારે 26000 લોકોનાં મોત થયાં. ન્યૂયોર્ક સિટીમાં 1,83662 કેસ અને 14928 મોત થયા.
અત્યાર સુધી 90 લાખ તપાસ થઇ ગઇ
આ સપ્તાહે ટેસ્ટનો આંકડો એક કરોડને પાર થશે: પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં ટેસ્ટની સંખ્યા આ સપ્તાહે એક કરોડને પાર જતી રહેશે. અત્યાર સુધી 90 લાખ તપાસ થઇ ગઇ છે. ત્રણ સપ્તાહ પહેલાં સુધી અમેરિ કા દર રોજ 1.50 લાખ તપાસ કરાવી રહ્યું હતું. જે વધીને રોજની 3 લાખ થઇ ગઇ છે.
શરદી, ખાંસી, તાવની સાથે આંખ લાલ કે ગુલાબી(કન્ઝેક્ટિવાઇટિસ) થવી તે કોરોનાના ખતરાની ઘંટડી સમાન છે, જેથી ઘરની બહાર નીકળતા લોકોને માસ્કની સાથે ગોગલ્સ પહેરવાની સલાહ આંખના નિષ્ણાત આપી રહ્યાં છે.
નેત્રાલય આઇ હોસ્પિટલનાં વિટ્રિયો રેટીના ઓક્યુલર ટ્રોમા સર્જન ડો. પાર્થ રાણા જણાવે છે કે, કોરોનાના વાઇરસથી બચવા નાક-મોઢાની સાથે આંખની સુરક્ષા અત્યંત જરૂરી છે. તેમજ પોઝિટિવ કે હોમ ક્વોરન્ટાઇન કરેલા લોકોના સગાં અને ઘરની બહાર જતાં દરેકે આંખ પર સાદા ચશ્મા કે ગોગલ્સ પહેરવા જોઇએ. તેથી જ ડોક્ટરની પ્રોટેક્ટિવ કિટમાં ચશ્માનો સમાવેશ થાય છે.
નાકનાં ડ્રોપ્લેટ આંખમાં પણ આવી શકે
સિવિલ હોસ્પિટલનાં રેટીના વિભાગના વડા ડો. સોમેશ અગ્રવાલનાં જણાવ્યા મુજબ, આંખ અને નાક એક નસ દ્વારા જોડાયેલા હોવાથી નાકનાં ડ્રોપ્લેટ આંખમાં પણ આવી શકે અને આંખનાં આંસુ કે પાણી કન્ઝેક્ટિવાઇટિસથી પણ ફેલાઇ શકે છે. જેથી કોરોનાથી બચવા ગોગલ્સ પહેરવા જોઇએ.
દર્દીની છીંકનું ડ્રોપલેટ સીધુ આંખમાં પહોંચે છે
ગુજરાત ઓપ્થલમોલોજિકલ સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ ડો. જગદીશ રાણાએ જણાવ્યું હતું કે, કોરોનાગ્રસ્ત વ્યક્તિની ખાંસી-છીંકનું ડ્રોપ્લેટ સીધું આંખમાં પહોંચે છે. આ સમયે આપણે માસ્ક પહેર્યું હોય પણ આંખ ખુલ્લી હોય તો આંખથી શરીરમાં પ્રવેશી શકે છે. જેથી શરદી-તાવ-ખાંસી અને કન્ઝેક્ટિવાઇટિસની સાથે શ્વાસની તકલીફમાં કોરોનાની પ્રબળ શક્યતા છે.
કોવિડ-19 મુદ્દે અમારી પ્રતિક્રિયા ખૂબ જ ઝડપી હતી. અમારી પાસે સંસાધનો અને નિષ્ણાતો હતા. આ સંકટે અમને એક લક્ષ્ય આપ્યું કે, આ કામ કરવાનું છે અને આટલા સમયમાં કરવાનું છે. લક્ષ્ય સામે જોઈને જ કામ ઝડપથી થયું. દવા અને વેક્સિન શોધવાના કામમાં ઘણો સમય જોઈએ, પંરતુ ટ્રેકિંગ, ટ્રેસિંગ, સેનિટાઈઝેશન પર અમે ખૂબ જ નવા અને ઈનોવેટિવ ઉકેલો આપ્યા, જેથી આયાત પર નિર્ભર ના રહેવું પડે. આ શબ્દો છે, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયને સચિવ પ્રો. આશુતોષ શર્માના. આવનારા સમયમાં સ્થિતિ સામાન્ય બનાવવા વિજ્ઞાન કેવી રીતે ઉપયોગી રહેશે એ મુદ્દે તેમની સાથે ખાસ વાતચીત.
સવાલ: કોવિડ-19ની દવા કે વેક્સિન માટે હજુ કેટલો સમય રાહ જોવી પડશે?
પ્રો. આશુતોષ: જે થઈ રહ્યું છે, તેનાથી વધુ ઝડપથી તો દુનિયામાં ક્યાંય ના થઈ શકે. વિજ્ઞાન તો વૈશ્વિક હોય, પરંતુ તેના આધારે ઉકેલો સ્થાનિક સ્તરે શોધવામાં આવે. હાલની દવાઓનો નવી રીતે ઉપયોગ કરવાના મામલામાં ત્રણ-ચાર પ્રકારના કોમ્બિનેશન પર કામ ચાલી રહ્યું છે. આશા છે કે, આવનારા એક-બે મહિનામાં સારા પરિણામ મળશે. એકવાર દવા નક્કી થઈ જાય તો તેનું ઉત્પાદન પણ ઝડપથી શરૂ થશે. જો દવા કે વેક્સિન ભારત બહાર પણ ક્યાંય બની ગઈ, તો તેનો ઉપયોગ અને ઉત્પાદન બંને આપણે પણ કરી શકીએ કારણ કે, ફાર્મા મેન્યુફેક્ચરિંગમાં પણ આપણી મહારત છે.
સવાલ: કોવિડ-19 પછી ફરીથી બધું સામાન્ય થવામાં વિજ્ઞાન કેવી રીતે મદદરૂપ થશે?
પ્રો. આશુતોષ: હવે આપણે સામાન્ય શબ્દની વ્યાખ્યા બદલવી પડશે. વાઈરસ પછી શોર્ટ ટર્મ ઈકોનોમીને પાટા પર લાવવાની છે, જે સ્વદેશી, મેડ ઈન્ડિયાથી આગળ વધી શખે છે. આપણે ઘણું બધું આયાત કરીએ છીએ, જે હવે આપણે બનાવી શકીએ છીએ. વાઈરસ તો જતો રહેશે, પરંતુ આપણી મુશ્કેલીઓ ત્યાંની ત્યાં રહેશે. પછી તે ક્લાઈમેટ ચેન્જ હોય, સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ હોય કે ઈન્ડસ્ટ્રી. તેમાં ઓટોમેશનથી ઘણી નોકરીઓ જતી રહેશે. એટલે લોન્ગ ટર્મ ઈકોનોમી વિશે વિચારવું પડશે. કોરોના તો ટ્રેલર હતું. આફણી સંસ્થા ટાઈફૈક તરફથી ‘રોલ ઓફ ટેક્નોલોજી’ વિષય પર એક-બે દિવસમાં વ્હાઈટ પેપર આવશે, જેમાં લૉકડાઉન પછી ધીમે ધીમે ઉદ્યોગો કેવી રીતે શરૂ કરવા તેના પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ભય છોડીને સાવધાની સાથે ઉદ્યોગ-ધંધા પર પરત ફરવાનો સમય આવી ગયો છે. આપણી તૈયારી અને આત્મવિશ્વાસ- બંને છે.
સવાલ: સંકટથી ભારતીય વિજ્ઞાન જગતે શું શીખ્યું?
પ્રો. આશુતોષ: વિજ્ઞાનમાં ભારત શક્તિશાળી છે. આપણી પાસે સાધનો અને લોકો છે. સંકટે આપણને દિશા આપી, લક્ષ્ય સાથે ટીમ ભાવનાથી કામ કરતા શીખવ્યું. પરિણામો સામે છે. આપણી ફક્ત એક સંસ્થા શ્રી ચિત્રા ઈન્સ્ટિટ્યુટ જ છેલ્લા દોઢ મહિનામાં ઓછામાં ઓછા 15-16 ઉકેલ લઈને આવી. એ પણ સમજાયું કે, સ્પર્ધા છોડીને પરસ્પર સમન્વયથી આગળ વધવાનું રહેશે. ઈન્ડસ્ટ્રી અને સાયન્સે સાથે આવવું પડશે.
સવાલ: અટકળો છે કે, ચોમાસામાં સંક્રમણ ચરમસીમાએ હશે. હવામાનના પૂર્વાનુમાનની જેમ શું કોઈ સાયન્ટિફિક મોડેલના આધારે એ વિશે પણ જણાવી શકાય?
પ્રો. આશુતોષ: દેશમાં 20 જુદી જુદી ટીમ મેથેમેટિકલ મોડેલ સિમ્યુલેશન પર કામ કરે છે. અમે તેમની સાથે એક નેશનલ મોડેલ વિકસિત કરવા ઈચ્છીએ છીએ. જોકે, હજુ તો વાઈરસનું વર્તન પણ જાણી શકાયું નથી. શરીરમાં જે એન્ટિબોડી વિકસ્યા છે, તે આપણને કેટલા સુરક્ષિત રાખે છે તે પણ હજુ ખબર નથી. બીજી વાર સંક્રમણ ક્યારે થશે તે અને તાપમાન, ભેજની અસર વિશે પણ આપણે કશું નથી જાણતા. ભવિષ્યમાં લોકોના વર્તન વિશે પણ કશું ના કહી શકાય. આમ છતાં, નજીકના ભવિષ્યનું અનુમાન લગાવી શકાય છે. એક મહિનામાં આ દિશામાં કંઈક ને કંઈક લઈને સામે આવીશું.
‘રક્ષક’ ટીમ એઆઈ થકી શરીરમાં વાઈરસની તપાસ કરી રહી છે
સાયબર ફિઝિકલ સિસ્ટમ મિશન હેઠળ 17 આઈઆઈટીમાં હબ બનાવાયા છે. તેની જવાબદારી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, રોબોટિક્સથી ઉકેલ શોધવાના છે. તેમની સામે કોવિડ-19ને સૌથી મોટી સમસ્યાના રૂપમાં મૂકાયો છે. આ ટીમને રક્ષક નામ અપાયું છે. એ લોકો પ્રયાસ કરી રહ્યા છે કે, સ્ટેથેસ્કોપની જેમ સ્માર્ટફોનથી હૃદયના ધબકારા સાંભળીને તેનો ડેટા મશીનને મોકલવામાં આવે અને જણાવી દે કે, શરીરમાં વાઈરસ છે. આ રીતે એક્સ-રે કે સિટી સ્કેન કરીને ડેટા મશીનને મોકલવાથી ગણતરીની સેકન્ડોમાં જ તે વિશ્લેષણ કરીને રિપોર્ટ આપી દેશે.
લૉકડાઉન વચ્ચે વિવિધ રાજ્યોમાં શ્રમિકોની મોટા પાયે ઘરવાપસી વચ્ચે તેમનામાં કોરોનાના સંક્રમણના કેસ પણ સામે આવવા લાગ્યા છે. ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ અને હરદોઇમાં મંગળવારે આવા 8 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઇ. ફર્રુખાબાદમાં સંક્રમિત જણાયેલા 6 તાજેતરમાં ખાનગી વાહનોમાં મુંબઇથી પોતપોતાના ગામમાં પાછા ફર્યા હતા. હરદોઇમાં ગુજરાતથી ખાનગી વાહનમાં આવેલા 2 લોકો પોઝિટિવ જણાયા છે.
મહારાષ્ટ્રથી કેરળ પાછા ફરેલા 4 લોકો સંક્રમિત
કેરળના કાસરગોડમાં મહારાષ્ટ્રથી પાછા ફરેલા 4 લોકો સંક્રમિત જણાયા. લુધિયાણામાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની ડ્યુટીમાં તહેનાત આરપીએફના 14 જવાનમાં સંક્રમણની પુષ્ટિ થઇ છે.