Ad

Thursday, April 2, 2020

વડોદરામાં કોરોના મૃતકના અંતિમ સંસ્કાર પછી સ્મશાનમાં એમ્બ્યુલન્સના સ્ટાફે કિટ ખુલ્લામાં ફેંકી દીધી

ઘાતક કોરોના વાઇરસે વડોદરામાં આજે 51 વર્ષીય દર્દીનો ભોગ લીધો હતો. શૈલેન્દ્રભાઇ દેસાઇ છેલ્લા 12 દિવસથી કોરોના આઇસોલેશન વોર્ડમાં સઘન સારવાર લઇ રહ્યાં હતા. કોરોના વાઇરસ અને જીંદગી સામેની જંગ દરમિયાન ગુરુવારે વહેલી સવારે 3.30 કલાકે તેમને આઇસોલેશન વોર્ડના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેમના મૃતદેહને સીધો જ ખાસવાડી સ્મશાનગૃહમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેમના નીકટના બે પરિવારજનો અને મેડિકલ સ્ટાફની હાજરીમાં ખાસ વાડીની વિશેષ ગેસચિતા પર અંતિમવિધિ કરવામાં આવી હતી.
નિઝામપુરાના બિલ્ડર શૈલેન્દ્રભાઇની અંતિમ ક્રિયાના સમયે પરિવારજનો સાથે આવનાર વ્યક્તિઓમાં એસએસજીનો અને એમ્બ્યુલન્સનો સ્ટાફ પણ હતો. અંતિમવિધિ બાદ સ્મશાનના કર્મચારીઓની નજર ત્યાં જ ફેંકી દેવાયેલી એક પીપીઇ કિટ જેવા ડ્રેસ પર પડતાં તેઓ ચોંકી ગયા હતા અને હોબાળો કર્યો હતો. તેની જાણ પણ એસએસજીને કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ તેને ઉઠાવીને નિકાલ કરાયો હતો. શૈલેન્દ્રભાઇ અને તેમના પત્ની શ્રીલંકાના પ્રવાસેથી 14મી માર્ચે પરત ફર્યા હતા. તેમની સાથે વડોદરામાં અન્ય 12 વ્યક્તિઓ પણ હતી. 17મી માર્ચે શૈલેન્દ્રભાઇ અને તેમના પત્ની નિલિમાબહેનની તબિયત કથળી હતી. તેઓ 19મી માર્ચે એસએસજીમાં ગયા હતા અને ત્યારબાદ દાખલ કરાતા તેમની સારવાર ચાલી હતી. 21મી માર્ચે શૈલેન્દ્રભાઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પહેલા નિલિમાબહેનનો અને ત્યારબાદ શૈલેન્દ્રભાઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત શ્રીલંકાના પ્રવાસે ગયેલા રેખાબહેન શેઠનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ પણ સારવાર હેઠળ છે.
નિઝામપુરાના ડોક્ટરે ત્રણ દિવસ યોગ્ય સારવાર નહિં કરતાં મોત થયાનો આક્ષેપ
આજે શૈલેન્દ્રભાઇ દેસાઇના ભાણેજ પ્રણવ શાહે નિઝામપુરાના એક ફિઝિશયન તબીબ સામે ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ડો. ચૈતન્ય જોશીની બેદરકારીને લીધે જ શેલૈન(શૈલેન્દ્ર) મામાને અમે ગુમાવ્યાં છે, તેઓ અમારા પરિવારના મોભી હતા. ડો. ચૈતન્ય જોશીએ શૈલેન્દ્રભાઇની ત્રણ દિવસ સુધી વાઇરલની દવાઓ ન કરી હોત અને અમને સમય સમયસર ચેતવી દીધા હોત તો તેઓ આજે જીવતા હોત.’ શૈલેન્દ્રભાઇ શ્રીલંકાથી પરત ફર્યા બાદ તેમને ખાંસી-શરદી અને કફ થતાં તેઓ નિઝામપુરાના ફિઝિશિયન ડો. ચૈતન્ય જોશી પાસે પહેલીવાર ગયા હતા. આ આક્ષેપને યોગ્ય ન ગણાવતા ડો. ચૈતન્ય જોશીએ જણાવ્યું કે, ‘ જ્યારે તેઓ(શૈલેન્દ્રભાઇ) મારી પાસે આવ્યા ત્યારે શ્રીલંકામાં કોરોના ન હતો અને તે કોરોના નોટિફાઇડ દેશમાં ન હતો. તેથી મેં તેમના લક્ષણોના આધારે વાઇરલ ઇન્ફેક્શનની દવાઓ આપી હતી. પણ જ્યારે એક્સરે રિપોર્ટમાં તેમના ફેફસામાં કફ હોવાનું જણાવતા મેં જ તેમને અને તેમના પુત્રને એસએસજીમાં કોરોનાનો ટેસ્ટ કરવા જણાવ્યું હતું. હું પોતે પણ હાલમાં ક્વોરેન્ટાઇન છું.
પુત્ર અને પત્નીને PPE કિટ પહેરાવીને શૈલેન્દ્રભાઈના અંતિમ દર્શન કરાવ્યાં
શૈલેન્દ્રભાઇના મૃત્યુની જાણ કોરોના આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલા પુત્ર સમીરભાઇ અને તેમના પત્નીને પણ કરવામાં આવી હતી. તેમને પીપીઇ કિટ પહેરાવીને શૈલેન્દ્રભાઇના અંતિમ દર્શન કરાવ્યાં ત્યારે તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને 100 માઇક્રોનથી જાડી પ્લાસ્ટિકની વિશેષ બેગમાં અને તેના પર વિશેષ બોડી જેકેટથી ઢાંકીને અંતિમ સંસ્કાર માટે લઇ જવાયો હતો. આ સમયે પીપીઇ કિટમાં એસએસજીના તબીબ સહિતનો ત્રણ વ્યક્તિનો સ્ટાફ પણ આવ્યો હતો. બપોરે બાર વાગ્યાના સુમારે તેમના પરિવારજનોએ તેમના અસ્થિઓ ખાસવાડી સ્મશાનેથી લીધા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કોરોનાગ્રસ્તની અંતિમ ક્રિયા બાદ હોસ્પિટલમાંથી આરોગ્ય વિભાગના કર્મચારીએ તેની કોરોના કિટને ખુલ્લામાં ફેંકી દેતા હોબાળો થયો હતો. કિટને આ રીતે લાકડીથી ઉચકવામાં આવી હતી.


from Divya Bhaskar https://ift.tt/2R1AEDl

No comments:

Post a Comment