Ad

Sunday, April 26, 2020

ગુજરાતમાં આવેલા લોકોના વાઈરસના બંધારણમાં ફરક, તેથી રિકવરી દર ધીમો છે

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓના સાજા થવાનો દર ઓછો છે તેની પાછળનું કારણ છે કે ગુજરાતમાં ચેપ ફેલાવી રહેલો વાઈરસ અન્ય રાજ્યો કરતાં જુદો છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ કેરળનું ઉદાહરણ આપતાં કહ્યું કે વિદેશમાંથી કેરળ આવેલાં યાત્રિકો અને ગુજરાત આવેલાં યાત્રિકો અલગ-અલગ પ્રકારના સ્ટ્રેન ધરાવતાં વાઇરસ લઇને આવ્યાં છે, તેથી કેરળ કરતાં ગુજરાતના દર્દીઓ સાજા થવાનો દર ધીમો છે. કોવિડ-19 વાઇરસનો સ્ટ્રેન બદલાય તો તે અન્ય સ્ટ્રેન ધરાવતા કોવિડ-19 વાઇરસથી થોડો જુદી રીતે વર્તે છે. નોંધનીય છે કે ગુજરાતમાં કુલ પોઝિટીવ કેસ નોંધાવાની સરખામણીએ સાજાં થયેલાં દર્દીઓની સરેરાશ દસ ટકા આસપાસ છે, જ્યારે કેરળ, હરિયાણા સહિતના અન્ય રાજ્યોમાં તે સરેરાશ પંચોતેર ટકાથી લઇને 35 ટકા જેટલી છે.

35 દિવસમાં દર્દીઓની સંખ્યા 3300ને પાર
આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે રાજ્યસરકારના તબીબો તથા અન્ય તજજ્ઞો રાજ્યમાં કોરોના વાઇરસના પ્રસારની સ્થિતિની સતત સમીક્ષા કરતાં રહે છે અને તે પ્રમાણે જોઇએ તો પ્રથમ કેસ ગુજરાતમાં 19 માર્ચે નોંધાયો હતો અને તે પછી 26 માર્ચે એટલે કે 35મા દિવસે કુલ પોઝિટીવ દર્દીઓ 3301 છે. તેની સરખામણીએ આટલી જ વસતી ધરાવતા ઇટાલીમાં 35મા દિવસે 80536, સ્પેનમાં 94410 અને ફ્રાન્સમાં 56972 પોઝિટીવ કેસો નોંધાયા હતાં.

તાપમાન વધારે હોવાથી વાઇરસ ફેલાવવાની ગતિ ધીમીઃ ડો. જયંતિ રવિ
આરોગ્ય સચિવે ઉમેર્યું કે આ પાછળના કારણો અને તારણોની તાર્કિક સમીક્ષા પણ કરાય છે અને તે જોતાં તજજ્ઞોનું કહેવું છે કે જે દેશોમાં બાળકોને બીસીજીની રસી અભિયાનની જેમ અપાઇ તે દેશોમાં કોરોના ઓછું નુક્સાન કરે છે અને ભારત છેલ્લાં 40 વર્ષથી બીસીજી રસી બાળકોને આપે છે તથા તે સંપૂર્ણ રસીકરણ અભિયાનમાં શામેલ છે. આ ઉપરાંત જે-તે વિસ્તારનું તાપમાન અને સ્થાનિક લોકોની રોગપ્રતિકારક શક્તિ પણ કેસોની વધવાની ગતિ પર ખાસ્સો પ્રભાવ રાખે છે. ભારતમાં તાપમાન વધુ રહેતું હોવાથી ઠંડા પ્રદેશો એવાં યુરોપ-અમેરિકાની સરખામણીએ અહીં વાઇરસ ધીમે પ્રસરે છે.

વેન્ટિલેટર પર રાખેલાં દર્દીને ઊંધા સુવડાવો, સીધા પરિણામ મળશે
આરોગ્ય સચિવે જણાવ્યું કે આપણાં ગુજરાતના અનેક તબીબી તજજ્ઞો વિવિધ દેશોમાં કોરોના મામલે થઇ રહેલાં સંશોધનોનો અભ્યાસ કરી રહ્યાં છે. તે મુજબ અમેરિકામાંથી આવેલાં તારણ પ્રમાણે જો વેન્ટિલેટર પર રાખેલાં દર્દીને ઊંધો સુવડાવવામાં આવે તો તેમનામાં સુધારો ઝડપી થાય છે અને ફેફસાંને ઓછો શ્રમ પડે છે. આથી ગુજરાતમાં પણ હવે વેન્ટિલેટર પર રહેલાં દર્દીઓને ઊંધા સુવડાવવાની પદ્ધતિ શરુ કરાઇ છે.

તો પણ ગુજરાતની સ્થિતિ યુરોપિયન દેશ કરતાં સારી
ગુજરાત સરકાર તરફથી જાહેર કરાયેલાં આંકડા અનુસાર ગુજરાતની કુલ વસતી યુરોપના દેશો ઇટાલી, સ્પેન અને ફ્રાંસને સમકક્ષ છે. છતાં સ્વયંશિસ્ત અને લોકડાઉનના પાલનને કારણે પ્રથમ કેસ નોંધાયાના 35માં દિવસે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા આ દેશો કરતાં ઘણી ઓછી છે અને તે સરકાર તથા જનતાની એક મોટી ઉપલબ્ધિ કહેવાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3aDGuSo

No comments:

Post a Comment