
“માં રેવા રેવા તારું પાણી નિર્મળ...” આ ગીત આજે સાચા અર્થમાં સાકાર થઇ રહ્યું છે. ફેબ્રુઆરી 2019માં એનજીઓના સરવેમાં ભરૂચ સંગમ સ્થાનના 20 કિમી વિસ્તારમાં નર્મદાનું પાણી પીવાલાયક નહીં હોવાનો રિપોર્ટ બહાર આવ્યો હતો. બરાબર એક વર્ષ બાદ લૉકડાઉનમાં ઉદ્યોગો બંધ રહ્યા, તહેવારો, મેળા અને પરિક્રમા પણ નહીં થતાં નર્મદાના નીર શુદ્ધ બન્યા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે લૉકડાઉન પહેલા અને લૉકડાઉન દરમિયાન નર્મદાના પાણીના પાણેથાથી અંકલેશ્વર વચ્ચે 8 જગ્યાના નમૂના લઇ ચકાસણી કરી ક્લાસ- એ રિપોર્ટ આપ્યો છે. આ મુજબ પાણી પીવાલાયક છે, ખાસ ટ્રીટમેન્ટની જરૂર નથી, માત્ર જંતુરહીત કરવું તેવી રિમાર્ક કરી છે. જીપીસીબીના મેમ્બર સેક્રેટરીએ પાણીની લૉકડાઉનની સ્થિતિમાં સુધારો થયો હોવાનું જણાવ્યું છે. જીપીસીબીએ રાજ્યની વિવિધ નદીના જળસ્તર પર લોક ડાઉન પૂર્વે અને લૉકડાઉન બાદ પાણીમાં થયેલા સુધારા વધારા અંગે વિશેષ સેમ્પલ લીધા હતાં.
પીએચમાં પણ ઘટાડો નોંધાયો
નર્મદા નદીના પાણેથાથી અંકલેશ્વર વચ્ચે જુદા જુદા સ્થળેથી સેમ્પલ લઇ ચકાસણી કરતાં બાયો કેમિકલ ઓક્સિજન ઓન ડિમાન્ડ (બી.ઓ.ડી) મિનિમમ 3 મી.લી ગ્રામ પ્રતિ લિટર હોવી જોઈએ. જે લૉકડાઉન પહેલા 0.98 મિલી ગ્રામ પ્રતિ લિટર હતું, તેમાં સુધારો થઇ 0.89 મિલી ગ્રામ/ લિટર જોવા મળ્યું છે. કેમિકલ ઓક્સિજન ઓન ડિમાન્ડ ( સી.ઓ.ડી) લૉકડાઉન પૂર્વે 7.58 મિલી ગ્રામ/લિટર આવતું હતું, જે હવે 6.05 થી 7.05 મિલીગ્રામ/લિટર આવી રહ્યું છે. અગાઉ પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન (પીએચ) 8.11 હતી જે લૉકડાઉન દરમિયાન ઘટીને 7.12 સુધી થઇ છે. પાણીમાં ખારાશ પણ 239 મિલીગ્રામ/લિટરથી ઘટીને 174 મિલીગ્રામ/લીટર થઇ છે.
રેવાનું જળ અત્યંત શુદ્ધ હોય છે
આ ઉપરાંત અંકલેશ્વર સરફૂદ્દીન ગામના 65 વર્ષીય હરિભાઇ વસાવાએ કહ્યું કે 60 ના દાયકામાં નર્મદા નદી જેવી શુદ્ધ હતી, તેવી અત્યારે છે. અહીં વહાણ લાદતા અને પાણી એકદમ કાચ જેવું શુદ્ધ જોવા મળતું હતું. મારી આટલી ઉંમરમાં પહેલી વાર આટલું પારદર્શક શુદ્ધ પાણી જોવા મળ્યું છે. જૂના બોરભાઠા બેટના ક્યુમન કેલાવાલાએ તો કહ્યું કે, મારા 51 વર્ષની ઉંમરમાં પહેલીવાર નર્મદાનું પાણી આટલું શુદ્ધ મિનરલ વોટર જેવું જોયું છું. રામપુરા નર્મદા ઘાટના સાંવરિયા મહારાજે જણાવ્યું કે, માં રેવાનું જળ અત્યંત શુદ્ધ હોય છે. વર્ષો સુધી બોટલમાં રાખો તો ખરાબ ન થાય. આ વર્ષે પંચકોશી પરિક્રમા નથી થઇ, પરિક્રમામાં 5 લાખથી વધુ ભક્તો આવે છે. આ વર્ષે કોઇ આવ્યું નથી. લાખો લોકોનું નર્મદા સ્નાન પણ નથી થયું એટલે નદી અને કિનારો બંને નિર્મળ થઇ ગયા છે.
પહેલા નદીના કિનારા પર ખારાશના પડ હતા, હાલ પાણીમાં પારદર્શકતા જોવા મળે છે
નર્મદા નદીમાં લોક ડાઉન પૂર્વે અને લોક ડાઉન વચ્ચે પાણીમાં ઘણો તફાવત છે. સી.ઓ.ડી., બી.ઓ.ડી અને પી.એચ.ની માત્રામાં સુધારો થયો છે. ગત ફેબ્રુઆરીમાં સાથી એન.જી.ઓ સાથે પાણી રિપોર્ટ કર્યો હતો જે પીવા યોગ્ય પાણી ના હોવાનું જોવા મળ્યું હતું. કિનારા પર ખારાશના પડ જામ્યા હતા. હાલ પાણીની શુદ્ધતામાં વધારો થયો છે. પારદર્શકતા જોવા મળી રહી છે. પાણીના ફ્લોની માત્રામાં વધારો થયો છે. આ વર્ષો પછીની ઘટના છે. આશા રાખીએ કે આ પરિસ્થિતિ જળવાઇ રહે. - સલીમ પટેલ, સભ્ય, પ્રકૃતિ સુરક્ષા મંડળ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VHUOVM
No comments:
Post a Comment