Ad

Thursday, April 2, 2020

પાકિસ્તાનમાં 22 હજાર શકમંદોના ટેસ્ટ રિપોર્ટનો ઇન્તજાર, દેશમાં માત્ર 25000 ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ

જ્યાં ઘણા દેશો કોરોનાથી બચવા માટે સંપૂર્ણપણે લોકડાઉન જેવા ઉપાય અપનાવી રહ્યા છે, ત્યાં પાકિસ્તાન સરકારે દેશમાં આંશિક લોકડાઉન કર્યું છે. વડાપ્રધાન ઇમરાન ખાનનું કહેવું છે કે સંપૂર્ણ લોકડાઉન સંભવ નથી. લોકો સ્વેચ્છાથી ઘરમાં રહે. ઇમરાન જે મુશ્કેલીની વાત કરી રહ્યા છે, તેનો અંદાજ દેશમાં મજૂરોની સ્થિતિ જોઇ લગાવી શકાય છે. ઇસ્લામાબાદની જિન્ના માર્કેટમાં રોજમદાર મજૂર ઇસ્માઇલ શાહ (37) કહે છે કે- મારા પરિવારે ચાર દિવસથી પેટભરીને ખાધુ નથી. સપ્તાહથી મેં એક રૂપિયાનું કામ કર્યું નથી. ઇસ્માઇલ પાક.ના એ લોકોમાંથી એક છે, જે બાંધકામ જેવા ક્ષેત્રમાં મજૂરી કરી ઘર ચલાવે છે. હવે આ લોકોને કામ મળી રહ્યું નથી. અહીં બજાર, જાહેર પરિવહન, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, સ્કૂલ-કોલેજ, યુનિવર્સિટી બંધ છે. ભારત, ઇરાન અને અફઘાનિસ્તાન સરહદો સીલ કરી દેવાઇ છે.
ઘણા લોકો યુએઇ, પેલેસ્ટાઇન અને મધ્ય એશિયામાંથી આવ્યા
સરકારે મસ્જિદોમાં શુક્રવારની જુમ્માની નમાજ બંધ કરવાનો આદેશ કર્યા છે. તેનો ઘણા મૌલવીઓ વિરોધ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલાં લાહોરમાં ત્રણ દિવસીય ધાર્મિક સમ્મેલન યોજાયું હતું. તેમાં આશરે 1.50 લાખ લોકો સામેલ થયા હતા. તેમાંથી ઘણા લોકો યુએઇ, પેલેસ્ટાઇન અને મધ્ય એશિયામાંથી આવ્યા હતા. પાક.માં અત્યાર સુધી કોરોનાના 2291 મામલા આવી ચૂક્યા છે. ઇસ્લામાબાદમાં કોમ્યુનિટી હેલ્થ એક્સપર્ટ ડૉ. જીશાનનું કહેવું છે કે મેડિકલ ઉપકરણોની અછતને કારણે કોરોનાથી લડવું મુશ્કેલ થઇ રહ્યું છે. હેલ્થ કેર સિસ્ટમ ફેલ થઇ ગઇ છે. અહીં દર 5 હજાર લોકોએ એક બેડ છે. આરોગ્ય વિભાગના સૂત્ર પણ કહે છે કે પાકિસ્તાનમાં માત્ર 25000 ટેસ્ટિંગ કિટ છે. સરકારે કેનેડાથી એક લાખ કિટ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. 14 લેબોરેટરીમાં સેમ્પલની તપાસ થઇ રહી છે. આશરે 22 હજાર શકમંદોના ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
ડોક્ટરોની હડતાળની ચિમકી
કરાચીની આગા ખાન યુનિવર્સિટી હોસ્પિટલ જેવી હોસ્પિટલોએ નવેસરથી સેમ્પલ લેવાનો ઇનકાર કરી દીધો છે. બીજી બાજુ ઇસ્લામાબાદની 4 સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ હડતાળની ચેતવણી આપી છે. યુવા ડોક્ટર સંગઠનના ચેરમેન ડૉ. અસફાંદયારનું કહેવું છે કે જો તેમને પુરતા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ નહીં મળે તો તેઓ હડતાળ પર ઉતરી જશે. હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ અને અન્ય માટે એક જ માર્ગ રખાયો છે. અહીં મેનેજમેન્ટમાં બહુ બેદરકારી છે.
તંત્રે મૃતકોના અંતિમ સંસ્કાર માટે વિશેષ વ્યવસ્થા કરી છે. પોલીસ અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓની દેખરેખમાં શબ સીધા હોસ્પિટલથી કબ્રસ્તાન મોકલામાં આવી રહ્યા છે. મૃતકોના પરિવારના સભ્યોને પણ દફનવિધિમાં સામેલ થવા દેવાતા નથી.
બેન્કોમાં મારામારી: પેશાવરમાં પૈસા ઉપાડવા માટે લોકોની ભીડ જામી
પેશાવરમાં સરકારી કર્મચારીઓ પૈસા ઉપાડવા માટે બેન્કોમાં ઉમટી પડ્યાં છે. જ્યારે ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સના અધિકારી જનરલ બાબર ઇફ્તેખારે કહ્યું કે કોઇ પણ અપ્રિય સ્થિતિનો સામનો કરવા અને સિવિલ કર્મીઓની મદદ માટે દેશભરમાં સેના તહેનાત કરી દેવાઇ છે. સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ તેનો આદેશ આપ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પેશાવરમાં સરકારી કર્મચારીઓ પૈસા ઉપાડવા માટે બેન્કોમાં ઉમટી પડ્યાં.


from Divya Bhaskar https://ift.tt/2UEe5qs

No comments:

Post a Comment