
દેશમાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે દર્દીઓની સંખ્યા 100ને પાર થઈ અને તંત્ર તરત જ હરકતમાં આવી ગયું હતું. જુદા-જુદા રાજ્યોની સરકારે આ મામલે એક્શન લેવાની શરૂઆત કરી દીધી હતી. શાળા, કોલેજ, ફરવાલાયક જગ્યાઓ, રેસ્ટોરાં, બાર વગેરે બંધ કરી દીધા હતા. 15 માર્ચ પછી અલગ-અલગ રાજ્યોના મંદિર-મસ્જિદમાં પણ એન્ટ્રી બંધ કરવામાં આવી હતી. જો કે, કેટલાક મંદિરોમાં પૂજા અને મસ્જિદોમાં ઇબાદત માટે મોટી સંખ્યામાં લોકો આવતા હતા. 22મી માર્ચે જનતા કર્ફ્યૂનું એલાન થયું અને પછી એક પછી એક એમ ઘણાં શહેરો લોકડાઉન થયા. 2 દિવસ પછી એટલે કે 25મી માર્ચે સંપૂર્ણ દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. એવામાં ધર્મસ્થળોના દરવાજા તો બંધ થઈ ગયા પણ આવી જગ્યા પર મોટી સંખ્યામાં લોકો ફસાઈ ગયા. કેટલીક જગ્યાએથી તો પ્રશાનની મદદથી લોકોને તેમના શહેર સુધી પહોંચાડી દેવામાં આવ્યા હતા પરંતુ કેટલીક જગ્યાઓ પર મોટી સંખ્યામાં લોકો હજુ ફસાયેલા છે. દિવ્ય ભાસ્કરના રિપોર્ટરોની આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં તમે કાશીથી માંડી અજમેર સુધી અને વૈષ્ણોદેવીથી તિરુપતિ સુધી દેશના તમામ મુખ્ય ધાર્મિક સ્થળો પર હાલ કેવો માહોલ છે તે જાણી શકશો...
દ્વારકાથી જિગ્નેશ કોટેચા...

22 બસથી 1700 લોકોને તેમના શહેર સુધી મોકલ્યા
જ્યાં હંમેશા ‘જય દ્વારકાધીશ’નો સ્વર ગૂંજતો રહે છે, ત્યાં અત્યારે માત્ર પક્ષીઓનો કલરવ જ સંભળાય છે. અહીં તમામ મંદિરો બંધ છે. સવાર-સાંજ પૂજારી જ આવે છે અને પૂજા કરી જતા રહે છે. બિહારના 100, કોલકાતાના 28 યાત્રિકો અહીંના સનાતન સેવા મંડળ આશ્રમમાં રોકાયેલા છે. જ્યારે 1700 લોકોને લોકડાઉન પછી દ્વારકા પ્રશાનને 22 બસો મારફતે તેમના શહેર સુધી પહોંચાડ્યા હતા. અહીં 100 જેટલી હોટેલ્સને ખાલી કરાવ્યા પછી સ્વાસ્થ્ય વિભાગે તમામ હોટેલ્સને સેનેટાઇઝ કરાવી હતી.
અજમેરથી વિષ્ણુ શર્મા...

ખ્વાજા શરીફની દરગાહ પર ચાદર ચઢાવવા આવેલા સાડા 3 હજાર જાયરીન હજુ ફસાયેલા છે
કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશ પછી 20મી માર્ચે જુમ્માની નમાઝ પછી દરગાહ શરીફને સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. જ્યાં રોજના વિશેષ રીતરિવાજ નિભાવવા માટે વિશેષ પાસ આપવામાં આવે છે. દરગાહમાં તો વધારે લોકો દેખાતા નથી, પણ અહીં આસપાસ આવેલી હોટેલ્સ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં અંદાજે 3500 જેટલા લોકો ફસાયેલા છે. જનતા કર્ફ્યૂ (22 માર્ચ) પછી અહીંથી લોકો નીકળી શક્યા નથી.
વારાણસીથી અમિત મુખર્જી...

કાશી વિશ્વનાથ મંદિર 20મી માર્ચથી બંધ, ઘાટ પર માત્ર એક-એક વ્યક્તિ ગંગા આરતી કરે છે
બનારસના દશાશ્વમેઘ ઘાટ પર 30 વર્ષથી થઈ રહેલી ગંગા આરતી હાલ પૂરતી માત્ર સાંકેતિક રૂપે જ કરવામાં આવે છે. આ આરતીમાં સાત પંડિત અથવા અર્ચક હોય છે. ત્યાં હવે માત્ર એક જ વ્યક્તિ જોવા મળે છે. કોઇ સંગીત કે ભજન વગર જ આરતી થાય છે. આ પ્રકારનું દૃશ્ય અત્યારે અસ્સી ઘાટ પર સવારની આરતીમાં જોવા મળ્યું હતું.
ઉજૈનથી રાજીવ તિવારી...

23 માર્ચે તમામ યાત્રાળુઓને જિલ્લાની સીમાની બહાર મોકલવાનું શરૂ કર્યું હતું
બાર જ્યોતિર્લિંગમાંથી એક મહાકાલની સાથે ઉજૈનમાં ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે. સામાન્ય રીતે અહીંયા હોટેલ્સ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓમાં લોકોની ભીડ જોવા મળે છે, પરંતુ લોકડાઉનને કારણે અહીં બધું ખાલી થઈ ગયું છે. જનતા કર્ફ્યૂ-22 માર્ચના બે દિવસ પહેલા તંત્રએ મહાકાલ, હરસિદ્ધિ, કાળભૈરવ, મંગલનાથ સહિત શહેરના તમામ મંદિરો સીલ કર્યાં હતા અને પછી 22મી માર્ચની રાતથી જિલ્લામાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. 23મી માર્ચે તમામ શ્રદ્ધાળુઓને જિલ્લાની બહાર મોકલવાની શરૂઆત કરી દીધી હતી. 300 જેટલા શ્રદ્ધાળુ હતા, જેમને વાહન ન મળ્યાં તો તંત્રએ વાહનની વ્યવસ્થા કરી તેમના શહેર-ગામ મોકલી આપ્યાં હતા
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2yAyIvc
No comments:
Post a Comment