
from India Today | Top Stories https://ift.tt/2AxjubH
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં બનનારા કૃષ્ણ મંદિરનો પાયો કટ્ટરવાદી ધાર્મિક જૂથોએ તોડી નાખ્યો છે. આ મંદિરનું નિર્માણ પાક.નું રાજધાની વિકાસ સત્તામંડળ કરી રહ્યું હતું. મુસ્લિમ કટ્ટરવાદી મૌલવીઓએ મંદિર વિરુદ્ધ ફતવો જારી કર્યો હતો, જેના પગલે વડાપ્રધાન ઇમરાન ખાને બે દિવસ અગાઉ મંદિરનું કામ રોકવા આદેશ આપ્યો હતો. સરકારે મંદિરનિર્માણ અંગે ઇસ્લામિક આઇડિયોલોજી કાઉન્સિલની સલાહ લેવાનું નક્કી કર્યું છે.
પાક.ના ધાર્મિક બાબતોના મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ધાર્મિક પાસાં ચકાસ્યા બાદ મંદિરનિર્માણ અંગે નિર્ણય લેવાશે. આ મંદિર 20 હજાર સ્ક્વેર ફુટમાં બનવાનું છે. મંદિરનું નિર્માણ 3 વર્ષથી અટકેલું હતું. થોડાં દિવસ અગાઉ જ મંદિરનો શિલાન્યાસ થયો હતો. વડાપ્રધાન ઇમરાને મંદિરનિર્માણ માટે 10 કરોડ રૂ. આપવાની જાહેરાત પણ કરી હતી, જેનો ઘણી કટ્ટરવાદી ધાર્મિક સંસ્થાઓએ વિરોધ કર્યો હતો. તેમણે મંદિરને ઇસ્લામવિરોધી ગણાવ્યું છે. જામિયા અશર્ફિયાના મુફ્તી જિયાઉદ્દીને ફતવો જારી કરીને કહ્યું હતું કે બિનમુસ્લિમો માટે મંદિર કે અન્ય ધાર્મિક સ્થળ બનાવવા સરકારી નાણા ખર્ચ ન કરી શકાય.
દેશમાં કોરોનાના નવા દર્દી વધવા સાથે મોત પણ વધ્યા છે. સોમવારે દેશમાં કોરોનાથી મોતનો આંકડો 20 હજારને પાર થઇ જશે. પ્રથમ 10 હજાર મોત 80 દિવસમાં થયા જ્યારે તે પછીના 10 હજાર મોતમાં માત્ર 21 દિવસ લાગ્યા. દેશમાં 30 મે સુધી કોરોનાના દર્દીઓનો મૃત્યુદર 2.8% હતો, જે 25 જૂને 3.9% સુધી ગયો હતો. ત્યાર બાદ મોત રોકવામાં થોડી સફળતા જરૂર મળી પણ આ મામલે અમેરિકા અને બ્રાઝિલ હવે ભારતથી આગળ નીકળી ગયા છે.
વિશ્વમાં સૌથી વધુ દર્દીઓવાળા અમેરિકામાં અગાઉ દર 100માંથી 6 દર્દીના મોત થતા હતા પણ ત્યાં 100માંથી 1 જ દર્દીનું મોત થાય છે. આ જ રીતે દર્દીઓ મામલે અમેરિકા બાદ બીજા ક્રમે પહોંચેલા બ્રાઝિલમાં મૃત્યુદર અડધો થઇ ગયો છે. ત્યાં મૃત્યુદર અગાઉ 5.8% હતો, જે હવે 2.6% થઇ ચૂક્યો છે. ભારતમાં સૌથી વધુ 6,309 મોત મહારાષ્ટ્ર અને 2,481 દિલ્હીમાં થયા છે. એટલે કે દેશના 46% મોત આ 2 રાજ્યમાં જ થયા છે. તમિલનાડુ 1,266 મોત સાથે ત્રીજા અને ગુજરાત 889 મોત સાથે ચોથા ક્રમે છે.
10 રાજ્યમાં કોરોનાના 12,665 દર્દીના મોત થયા છે, જે કુલ મોતના 66%
10 દિવસમાં ત્રણવાર ભારતમાં અમેરિકાથી વધુ મોત નોંધાયા
તારીખ | 25 જૂન | 26 જૂન | 27 જૂન | 28 જૂન | 29 જૂન | 30 જૂન | 1 જુલાઈ | 2 જુલાઈ | 3 જુલાઈ | 4 જુલાઈ |
ભારત | 405 | 414 | 390 | 415 | 506 | 502 | 506 | 581 | 365 | 449 |
અમેરિકા | 653 | 663 | 512 | 285 | 366 | 727 | 676 | 678 | 616 | 254 |
દેશ: હરિયાણામાં મોત સૌથી ઝડપથી વધ્યા, દિલ્હી-ગુજરાતમાં ઘટ્યા
રાજ્ય | કુલ મોત | 1 જૂન સુધી વધ્યા | 4 જુલાઇ સુધી વધ્યા | તફાવત વધ્યા/ઘટ્યા |
મહારાષ્ટ્ર | 6309 | 387.00% | 267.10% | -119.90% |
દિલ્હી | 2481 | 757.40% | 474.40% | -283.00% |
તમિલનાડુ | 1266 | 557.10% | 688.00% | 130.90% |
ગુજરાત | 889 | 339.80% | 85.60% | -254.20% |
ઉ.પ્રદેશ | 556 | 416.70% | 256.20% | -160.40% |
કર્ણાટક | 283 | 136.40% | 544.20% | 407.90% |
રાજસ્થાન | 248 | 226.20% | 124.60% | -101.60% |
મ.પ્રદેશ | 240 | 146.90% | 67.00% | -79.90% |
હરિયાણા | 239 | 425.00% | 1138.10% | 713.10% |
આંધ્ર પ્રદેશ | 154 | 93.90% | 240.60% | 146.70% |
કોરોનાના લીધે સ્કૂલ/કોલેજ અને કોચિંગ ક્લાસિસ બંધ છે. એવામાં વાલીઓની ઈચ્છા શું છે? તે બાળકોને ક્યારે સ્કૂલે મોકલવા માગે છે? સ્કૂલ ખૂલશે તો બાળકો કઇ રીતે જશે? આવા તમામ સવાલોના જવાબ જાણવા માટે ભાસ્કર જૂથે 21 જૂનથી 28 જૂન સુધી એક રાષ્ટ્રવ્યાપી સરવે હાથ ધર્યો હતો.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હિમાચલ, હરિયાણા, બિહાર, ઝારખંડ તથા દિલ્હીના 73 હજારથી વધુ વાંચકોએ ભાગ લીધો હતો. 55 હજારથી વધુ પુરુષ તથા 17 હજારથી વધુ મહિલાઓ સામેલ થઇ હતી. તેમાં સર્વાધિક 24,352 લોકો 36-45 વર્ષની વયજૂથના હતા. જોકે 25-36 વર્ષના 16,909 અને 46-55 વર્ષના 15,414 લોકોએ સરવેમાં ભાગ લીધો હતો.
સરવેના પરિણામો અનુસાર 60% લોકોએ કહ્યું કે તે બાળકોને સ્કૂલે ત્યારે જ મોકલશે જ્યારે કોરોના સંપૂર્ણપણે ખતમ થઈ જશે કાં તેની વેક્સીન બની જશે. જોકે 71% લોકો માને છે કે કોચિંગ ક્લાસિસ, કોલેજ, યુનિવર્સિટી ત્યારે જ ખૂલવા જોઈએ જ્યારે કોરોના મહામારી કાબૂમાં આવે. 44% લોકો માને છે કે જ્યારે સ્કૂલ ખૂલશે તો ફક્ત 9થી 12 ધોરણ સુધીના ક્લાસનું આયોજન થાય, જોકે કેજીથી 8માં સુધીના ક્લાસનું આયોજન ઓનલાઇન જ થાય.
દેશના 11 રાજ્યોમાં ભાસ્કરે સરવે કર્યો, 73,271 લોકોએ જવાબ આપ્યા, આ 10 સવાલોના માધ્યમથી અમે જાણવાનો પ્રયાસ કર્યો કે વાલીઓ શું ઈચ્છે છે?
1. બાળકોની સુરક્ષા અને તેમના અભ્યાસને ધ્યાનમાં રાખી
ચાલુ વર્ષે ફક્ત ઓનલાઇન અભ્યાસ થાય | 17% |
ચેપ કાબૂમાં આવતા જ સ્કૂલ ખોલવાનો નિર્ણય થાય | 55% |
આ એકેડમિક વર્ષને ઝીરો યર માની લેવાય | 25% |
કંઈ ના કહી શકાય. | 3% |
2. પ્રાથમિક શાળા(કેજીથી 5માં ધોરણ સુધી) ક્યારથી ખૂલશે?
ચેપ જ્યારે કાબૂમાં આવી જાય ત્યારે જ ખોલવી જોઈએ. | 29% |
તમામ ધોરણ શરૂ કર્યા પછી સૌથી છેલ્લે. | 20% |
કોરોનાની વેક્સિન આવ્યા પછી જ સ્કૂલ ખોલવામાં આવે. | 49% |
કંઈ કહી ના શકાય. | 2% |
3. ધો. 6થી ધો. 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ક્યારથી ખુલવી જોઇએ?
સંક્રમણ કાબૂમાં આવે તે પછી જ ખોલવી જોઇએ. | 45% |
દૈનિક કેસ અડધા થઇ જાય ત્યારે 1 ઓગસ્ટથી ખોલવી જોઇએ. | 18% |
કોરોનાની રસી આવ્યા પછી જ સ્કૂલો ખોલવી જોઇએ. | 35% |
કંઇ કહી ન શકીએ. | 2% |
4. ક્લાસીસ અને કોલેજ-યુનિવર્સિટી ક્યારથી ખૂલવા જોઇએ?
સરકાર નક્કી કરે ત્યારથી. | 13% |
સ્કૂલોથી 15 દિવસ વહેલા ખુલવા જોઇએ. | 14% |
સંક્રમણ કાબૂમાં આવે તે પછી જ ખોલવા જોઇએ. | 71% |
કંઇ કહી ન શકીએ. | 2% |
5. જો સ્કૂલો ખૂલે તો વ્યવસ્થા કેવા પ્રકારની હોવી જોઇએ?
દરેક સેક્શનને બે શિફ્ટ (50-50%)માં વહેંચી દેવામાં આવે | 27% |
અડધા સેક્શનને ઓડ/ઇવન પેટર્ન પર સ્કૂલે આવવા દેવાય. | 24% |
ધો. 9, 12ના વર્ગો શરૂ થાય. કેજીથી ધો. 8 સુધી ઓનલાઇન. | 45% |
કંઇ કહી ન શકીએ. | 4% |
6. સ્કૂલો ખૂલ્યા બાદ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કેવી હોવી જોઇએ?
પહેલાંની જેમ જ સ્કૂલ બસો ચાલે. | 25% |
બાળકોને તેમના વાલી જ સ્કૂલે લેવા-મૂકવા જાય. | 56% |
સ્કૂલ બસમાં કેપેસિટીના 50% બાળકોને જ બેસાડાય. | 14% |
કંઇ કહી ન શકીએ. | 5% |
7. સ્કૂલો ન ખૂલે તો ઓનલાઇન ક્લાસ કેટલા સમય માટે હોવા જોઇએ?
ધો. 8 સુધી 2-3 કલાક અને ધો.9થી ધો.12 માટે 3થી 5 કલાક. | 3% |
ધો.8 સુધી 1-2 કલાક અને ધો.9થી ધો.12 માટે 2-3 કલાક. | 41% |
બધા ધોરણ માટે સ્કૂલના સમય જેટલા જ ઓનલાઇન ક્લાસ હોય. | 53% |
કંઇ કહી ન શકીએ. | 3% |
8. હાલ ઓનલાઇન સ્થિતિમાં સ્કૂલોએ શું-શું કરવું જોઇએ?
સ્કૂલો માત્ર શૈક્ષણિક કાર્ય કરે, એટલે કે ફક્ત અભ્યાસ પૂરો કરાવે. | 34% |
અભ્યાસ સાથે એક્ઝામ/ટેસ્ટ/એસેસમેન્ટ પણ બાળકો પાસે કરાવાય. | 24% |
અભ્યાસ, એક્ઝામ, ટેસ્ટ સાથે બાળકોનું ગ્રૂમિંગ પણ કરે. | 38% |
કંઇ કહી ન શકીએ. | 4% |
9. સ્કૂલો શરૂ થાય ત્યારે વધારાના કયા પિરિયડ ઉમેરવા, કયા બાદ કરવા જોઇએ?
સ્કૂલોમાં પહેલો પિરિયડ યોગનો હોવો જોઇએ. | 19% |
રસી ન આવે ત્યાં સુધી સ્પોર્ટ્સનો પિરિયડ બંધ રહેવો જોઇએ. | 22% |
ડિસ્ટન્સિંગવાળી રમતો ચાલુ રખાય અને યોગ પણ કરાવાય. | 56% |
કંઇ કહી ન શકીએ. | 3% |
10. જ્યારે સ્કૂલો ખૂલે ત્યારે..
હું મારા બાળકને પહેલા દિવસથી જ મોકલીશ. | 17% |
હું તો થોડા દિવસો પછી જ મોકલીશ. | 21% |
હું કોરોના સંપૂર્ણપણે ખતમ થાય કે રસી આવે ત્યારે મોકલીશ. | 60% |
કંઇ કહી ન શકીએ. | 2% |
ગણેશોત્સવ મહારાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર છે. જોકે, આ વખતે 22 ઓગસ્ટથી શરૂ થનારા ઉત્સવમાં કોરોનાના કારણે વિઘ્ન આવ્યું છે. રાજ્યમાં 60 હજારથી વધુ ગણેશ મંડળ છે, 12 હજાર તો માત્ર મુંબઈમાં જ છે. મુંબઈમાં લગભગ 2 લાખ ઘરમાં પણ પ્રતિમા સ્થાપિત કરાય છે. બૃહદમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ નરેશ દહીબાવકર જણાવે છે કે, આ વખતે 40% ઓછા ગણેશ પંડાલ લાગશે. એટલે કે, લગભગ 7200 પંડાલમાં જ ભગવાન બિરાજશે.
મૂર્તિનો આકાર 4 ફૂટનો રાખવા અપીલ
દર વર્ષે ગણેશજીની સ્થાપના કરનારા ઘરોમાં પણ 50% નહીં કરે. જેનું મોટું કારણ એ કે પ્રતિમા જ માંડ મળશે. દહીબાવકર કહે છે, “મોટા મંડળોએ ઓનલાઈન દર્શનની સાથે પરંપરા યથાવત રાખવી જોઈએ”. બૃહદમુંબઈ ગણેશ મૂર્તિકાર સંઘના અધ્યક્ષ ગજાનન તોંડવલકરે કહ્યું કે, ‘પ્રતિમાઓ બનાવવા માટે ગુજરાતથી 140 ટન માટી મગાવી છે, જેને 150 મૂર્તિકારોને વિતરિત કરાઈ હતી. રૂ.8.75 લાખ ખર્ચ થયા, પરંતુ કોરોના અને સરકારની નીતિઓના કારણે પ્રતિમા બનાવવી અને વેચાણ મુશ્કેલ છે. સરકારે ગણેશોત્સવ જુલુસ પર પ્રતિબંધ લગાવેલો છે. મૂર્તિનો આકાર 4 ફૂટનો રાખવા અપીલ કરી છે. મનપાએ હજુ સુધી પ્રતિમા બનાવવા માટે જગ્યા પણ આપી નથી.’
‘લાલબાગ ચા રાજા’ આ વર્ષે બિરાજશે નહીં, વાંચો મુખ્ય ગણેશ મંડળ શું કરશે
100 વર્ષ જૂના ‘ચિંચપોકલીના ચિંતામણિ’માં નાની પ્રતિમા
‘ચિંચપોકલીના ચિંતામણી’નું આ 101મું વર્ષ છે. મંડળના અધ્યક્ષ ઉમેશ સીતારામ નાઈકે કહ્યું કે, ગયા વર્ષે 18 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપી હતી, પરંતુ આ વખતે પ્રતિમા નહીં લાવીએ. માત્ર ચાંદીની નાની પ્રતિમા મુકીશું. જેનું વિસર્જન નહીં કરીએ. દક્ષિણ મુંબઈના ખેતવાડી વિસ્તારમાં પણ 3 ફૂટની પ્રતિમા જ સ્થાપિત કરાશે. અહીં ગયા વર્ષે 35 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાઈ હતી.
જીએસબી ગણપતિમાં ઓનલાઈન બુકિંગથી જ દર્શન, વિશેષ રાહત માગી
જીએસબી સેવા મંડળના ટ્રસ્ટી આર.જી ભટ્ટે કહ્યું કે, અમે ગણેશોત્સવ મનાવીશું. દર્શનના ઓનલાઈન સ્લોટ આપીશું. દર વર્ષે ગણેશને 70 કિલો સોના અને 350 કિલો ચાંદી સહિત રૂ.22 કરોડના ઘરેણા પહેરાવાય છે. નાની પ્રતિમામાં આ શક્ય નથી. વિશેષ રાહત માગી છે.
‘અંધેરી કા રાજા’નું 2028 સુધી બુકિંગ, નિર્ણય બાકી
આઝાદનગર સાર્વજનિક ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત ‘અંધેરી કા રાજા’ ગણેશોત્સવ મંડળે ગણપતિની પ્રતિમાના સાંચાનું 2016થી ટ્રેડમાર્ક લઈ રાખ્યું છે. લોકોમાં પ્રતિમા બનાવવા માટે દાન કરવાની એટલી ઈચ્છા છે કે, 2028 સુધીનું બુકિંગ ફુલ છે. ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી જેવા સ્ટાર વેઈટિંગમાં છે. પ્રવક્તા ઉદય સાલિયને કહ્યું કે, શ્રાવણમાં ગણેશોત્સવ મનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરી નિર્ણય લઈશું.
કોરોના મહામારીને કારણે આ વર્ષે શહેરની ક્લબો, પાર્ટીપ્લોટો અને ફાર્મહાઉસમાં નવરાત્રિના ગરબાનું આયોજન નહિ થઈ શકે. ઓક્ટોબરમાં આવનારી નવરાત્રિના આયોજન માટે શહેરના કેટલાક મોટાગજાના આયોજકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી રજૂઆત કરી હતી. જોકે મુખ્યમંત્રીએ રજૂઆત સાંભળ્યા બાદ જુલાઈના અંત સુધીમાં યોગ્ય નિર્ણય લેવા માટે જણાવ્યું હતું, પરંતુ જે રીતે સુરત સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતાં રમજાન ઇદ, રથયાત્રા, બાદ નવરાત્રીમાં પણ સરકાર ક્લબો, પાર્ટી પ્લોટોમાં રાસ-ગરબા યોજવા માટે મંજૂરી નહિ આપે તેવું ઉચ્ચ પોલીસ અધિકારીઓનું કહેવું છે.
ગરબા યોજશે તો આયોજકને નુકસાન થશે
શહેરમાં દર વર્ષે ક્લબો, પાર્ટી પ્લોટ્સ, ફાર્મ હાઉસ મળી 80થી 90 જગ્યાએ રાસ-ગરબા યોજાતા હતા. ગયા વર્ષે દિવાળી સુધી વરસાદ ચાલુ રહ્યો હોવાથી 65 આયોજકોએ રાસ-ગરબાનું આયોજન કર્યું હતું. જ્યારે ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે એક પણ ક્લબ, પાર્ટી પ્લોટમાં ગરબા નહિ યોજાય તેવો સૂર પોલીસની સાથે આયોજકોનો પણ છે. તેમાં પણ જો સરકાર સોશિયલ ડિસ્ટન્સ સાથે એટલે કે ગ્રાઉન્ડની કેપિસિટી કરતાં 30થી 40 ટકા ઓછા લોકો સાથે ગરબા યોજવાની મંજૂરી આપે તો તે રીતે ગરબા યોજવામાં પણ આયોજકોને નુકસાન થાય તેમ છે.
દહેશતને કારણે કોઇ રમવા નહીં આવે
આયોજકોનું માનવું છે કે, જો જુલાઈ મહિનાના અંત સુધીમાં ગરબા યોજવા અંગે નિર્ણય લેવાય તો પણ છેલ્લી ઘડીના નિર્ણયથી રાસ-ગરબા યોજવાનું અઘરું સાબિત થઈ શકે છે. સરકાર રાસ-ગરબાના આયોજનની મંજૂરી આપશે તો પણ ખેલૈયા ગરબા રમવા નહીં આવે તેવી દહેશતને કારણે પણ ઘણા આયોજકો રાસ-ગરબા યોજવાના મૂડમાં નથી.
‘છેલ્લી ઘડીએ મંજૂરી મળશે તો પણ અમે ગરબા નહીં યોજીએ’
સિંધુ ભવન રોડ પર આવેલા પાર્ટી પ્લોટના આયોજકોએ આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, જો સરકાર છેલ્લી ઘડીએ રાસ ગરબા યોજવા માટે મંજૂરી આપશે તો પણ અમારા મારે આયોજન કરવું અઘરું પડી જશે. સામાન્ય રીતે અમારે 3 મહિના પહેલાથી નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દેવી પડે છે. છેલ્લી ઘડીએ સ્પોન્સર શોધવાથી માંડીને તમામ તૈયારીઓ કરવી અશક્ય છે.
‘સરકારે મેમ્બરો માટે પણ ક્લબો બંધ રાખી છે, તો નવરાત્રિમાં ગરબા માટે તો કેવી રીતે મંજૂરી આપશે’
કોરોનાના કારણે છેલ્લા 4 મહિનાથી ક્લબો મેમ્બરો માટે પણ બંધ રાખવામાં આવી છે. જોકે સરકાર મેમ્બરોને પણ ક્યારે ક્લબમાં જવા માટે મંજૂરી આપશે તે હજુ નક્કી નથી ત્યારે આ વર્ષે સરકાર ગરબા માટે મંજૂરી આપે તેવું લાગતું નથી. - રક્ષિત પટેલ, ડિરેક્ટર, રાજપથ ક્લબ
‘જો મંજૂરી મળશે તો ગરબા યોજવા અંગે વિચાર કરીશું’
આમ તો સરકાર રાસ-ગરબા યોજવા માટે મંજૂરી આપે તેવું લાગતું નથી તેમ છતાં પણ જો સરકાર મંજૂરી આપશે તો ગરબા યોજવા અંગે વિચારીશું, પરંતુ લોકોમાં કોરોનાનો ડર એટલો બધો છે કે ખેલૈયા પણ ગરબા રમવા જતા વિચારશે. - મિશાલ પટેલ, સેક્રેટરી, રાજપથ ક્લબ
પ્રથમ વખત બાબા બર્ફાનીની વિશેષ પૂજાનું લાઈવ પ્રસારણ રવિવારે સવારે સાડા સાત કલાકે થવા જઈ રહ્યું છે. પ્રસારણ 3 ઓગસ્ટ સુધી એટલે કે, રક્ષાબંધન સુધી ચાલુ રહેશે. તેના માટે દૂરદર્શનની 15 લોકોની ટીમ ગુફા પરિસરમાં રહેશે. સૂત્રો અનુસાર, રવિવારે થનારી વિશેષ પૂજામાં લે. ગવર્નર ગિરીશ ચંદર મૂર્મૂ પણ ભાગ લઈ શકે છે.
હેલિપેડ અને કેમ્પ તૈયાર
આ વખતે યાત્રા થશે નહીં એ નક્કી કરવા શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેન ગિરીશ ચંદર મૂર્મુની અધ્યક્ષતામાં 6 જુલાઈના રોજ શ્રીનગરમાં બેઠક થઈ શકે છે. જેમાં યાત્રા શરૂ કરવાની તારીખ, નોંધણી અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. સૂત્રો અનુસાર, કોરોના રોગચાળાને જોતાં આ વખતની યાત્રા ઓછા સમય માટે નક્કી કરી શકાય છે. તંત્રએ નક્કી કર્યું છે કે, જો મંજૂરી મળે છે તો તે બાલતાલના રસ્તે જ થશે. પહેલગામના પારંપરિક માર્ગ પર નહીં. બાલતાલ વાળા રસ્તામાં 16 કિમીની ચઢાઈ છે. આ જ રસ્તાથી શ્રદ્ધાળુઓ એકથી બે દિવસમાં દર્શન કરીને પાછા ફરી શકે છે. બાલતાલ માર્ગમાં ચાર હેલિપેડ અને બેઝ કેમ્પ તૈયાર થયા છે.
ઘાટીમાં 10માંથી 9 જિલ્લા રેડ ઝોનમાં
સૂત્રો અનુસાર આ વખતે હેલિકોપ્ટર દ્વારા પણ યાત્રા કરાવી શકાય છે. રાજ્યના મુખ્ય સચિવ બી.વી.આર. સુબ્રમણ્યમ યાત્રાના સ્વરૂપ પર કામ કરી રહ્યા છે. તેમણે વૈકલ્પિક સડક માર્ગ નીલગ્રથથી બાલતાલમાં ચાલી રહેલા કાર્યોનું પણ નીરિક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રા માટે કડક નિયમ લાગુ થઈ શકે છે. ચકિત્સા વ્યવસ્થા પર ધ્યાન આપવું પડશે. ઘાટીમાં 10માંથી 9 જિલ્લા રેડ ઝોનમાં છે. યાત્રા માટે જમ્મુ-કાશ્મીર માટે બહારના ડોક્ટરો ઉપલબ્ધ રહેશે નહીં. જો યાત્રાને મંજુરી મળી તો એક દિવસમાં માત્ર 500 લોકોને જ જમ્મુથી રવાના કરાશે. દરેક શ્રદ્ધાળુનો કોવિડ ટેસ્ટ કરાશે.
ગયા વર્ષે ધમકી મળતા યાત્રા રોકી હતી
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો પણ યાત્રાના માર્ગે ગોઠવવામાં આવી છે. પિટ્ઠુવાળા અને પોનીવાળાને યાત્રામાં સામેલ કરવાની મંજૂરી અંગે નિર્ણય લેવાયો નથી. સ્વયંસેવી સંસ્થાઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે. ગયા વર્ષે 2 ઓગસ્ટના રોજ આતંકવાદી ધમકી અને માર્ગમાં વિસ્ફોટક મળતાં યાત્રા રોકીદેવાઈ હતી.
હેલિકોપ્ટરથી પણ શ્રદ્ધાળુઓને મોકલી શકાશે, ચાર હેલિપેડ તૈયાર
બાબા બર્ફાનીના દર્શન માટે જમ્મુથી મહત્તમ 500 શ્રદ્ધાળુને મંજૂરી મળી શકે છે. દરેક શ્રદ્ધાળુનો કોરોના ટેસ્ટ થશે. કાશ્મીર ઘાટીમાં 10માંથી 9 જિલ્લા કોરોનાના લીધે રેડ ઝોનમાં છે. આથી બોર્ડ આ વખતે યાત્રા નાની રાખવા માગે છે. જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી કોરોના 8,019 સંક્રમિત દર્દી મળ્યા છે, જેમાંથી 2,825 હજુ પણ સક્રિય છે જ્યારે 199 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.
રાજ્યમાં પોલીસના લોકરક્ષક દળમાં ભરતી મામલે લાંબા સમયથી આંદોલન ચલાવી રહેલી મહિલા ઉમેદવારોની સમસ્યાનો આખરે અંત આવ્યો છે. જિલ્લા ફાળવણી સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ થઇ જવા છતાં નિમણૂંકપત્રો નહીં અપાતા હોવાથી મહિલા ઉમેદવારોએ ફરી એકવાર આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારતા ડીજીપી શિવાનંદ ઝાએ શનિવારે જ તમામ મહિલા ઉમેદવારોને નિમણૂંક આપી દેવા સૂચના આપી હતી.
નિમણૂંક ના કરાતા ઉમેદવારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
ઝાએ તમામ પોલીસ કમિશનર અને જિલ્લા અધિક્ષકોને જણાવ્યું હતું કે નિમણૂંકપત્રો આપવાના બાકી છે તેવા તમામ ઉમેદવારોને મેડિકલ, ચારિત્ર્ય વેરીફિકેશન, દસ્તાવેજી ચકાસણી, બોન્ડ સહિત નિમણૂંક હૂકમ આપતા પહેલા કરવાની થતી તમામ કાર્યવાહી સમયમર્યાદામાં પૂર્ણ કરીને 4 જુલાઇના રોજ નિમણૂંક હુકમ આપી દેવા, તેમજ તમામ ઉમેદવારો 15મી જુલાઇના રોજ હાજર થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ઉલ્લેખનીય છે કે અનામત મામલે ડિસેમ્બર મહિનાથી મહિલા ઉમેદવારો આંદોલન ચલાવી રહી હતી. મે મહિનામાં ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરાઇ હતી અને તે પછી 25 જૂન સુધીમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી પરંતુ નિમણૂંક નહીં અપાતા ફરી આંદોલનની ચિમકી આપી હતી.
છેલ્લાં અઠવાડિયાથી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પરંતુ, અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ગેરહાજરીથી ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયા છે. પરંતુ, આનંદની વાત એ છે કે, દક્ષિણ ગુજરાતની સાથે અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનીક સરક્યુલેશન સક્રીય થતાં સમગ્ર રાજ્યમાં બારે મેઘ ખાંગા થશે, જેમાં આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવોથી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
અપર એર સરક્યુલેશન લો-પ્રેશરમાં બદલાશે
હાલમાં અરબી સમુદ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય છે, આ સરક્યુલેશન ઉત્તરોતર થોડું ઉપર તરફ વધીને 6 અને 7 જુલાઈએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી પહોંચશે, અને સોરાષ્ટ્રનાં ભાગમાં લો-પ્રેશરમાં પરિવર્તિત થશે. તેમજ લો-પ્રેશર મજબૂત બનીને વેલમાર્ક લો- પ્રેશર બનશે, જેથી સૌરાષ્ટ્રનાં ભાગોમાં અતિભારે વરસાદ થતાં 5થી 15 ઇંચ જેટલું પાણી વરસવાની સાથે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની શકયતા છે.
ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રભારી રાજીવ સાતવને સ્થાને નવા પ્રભારીની ટૂંકમાં નિમણૂંક કરાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાઇ કમાન્ડ પ્રભારી તરીકે રાજીવ શુક્લા અથવા કોઇ મહિલા નેતાની નિમણૂક કરી શકે છે. રાજીવ સાતવ ગુજરાતમાં સારા પરિણામ લાવવામાં ખાસ સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી. ગુજરાતમાં નવા પ્રભારી તરીકે કોંગ્રેસમાં સંગઠનના જાણકાર એવાં કોઇ વ્યક્તિને મુકવામાં આવી શકે છે. જો કે હાલ ગુજરાત પ્રભારી તરીકે રાજીવ શુક્લાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. આ ઉપરાંત ઉત્તર ભારતના એક યુવા પ્રભાવી મહિલા નેતા પણ ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે આવી શકે છે. 2017માં અશોક ગેહલોત પ્રભારી હતા ત્યારે કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો.
કોંગ્રેસના સંગઠનમાં પણ હિલચાલ શરૂ
ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં પણ હવે નિયુક્તિઓ થવાં જઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ માળખાના તમામ હોદ્દાઓ પર નિમણૂકો થશે. પ્રમુખ અમિત ચાવડા સિવાયના બાકીના તમામ માળખાને અગાઉ વિખેરી નખાયું હતું. નવા માળખામાં યુવાન ધારાસભ્યને તક મળી શકે છે.
કોરોનાની જાણકારી મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબ્લ્યૂએચઓ)એ ગુલાંટ મારી હતી. હવે તે કહે છે કે વુહાનમાં ન્યુમોનિયા જેવા કેસ વિશે સૌથી પહેલાં ચીન સ્થિત તેની ઓફિસે માહિતી આપી, નહીં કે ખુદ ચીને. વૈશ્વિક સંગઠને માહિતી અપડેટ કરીને જણાવ્યું કે અત્યાર સુધી કોરોના સામેની લડાઈ કેવી રીતે લડાઈ. અગાઉ ડબ્લ્યૂએચઓએ કહ્યું હતું કે ગત વર્ષે 31 ડિસેમ્બર 2019ના રોજ ચીને કોરોનાના પ્રથમ કેસની માહિતી આપી હતી પણ ડબ્લ્યૂએચઓની વેબસાઇટ પર જે મહામારીની ટાઈમલાઇન અપડેટ થઈ છે, વિવાદ તેની સાથે જ સંકળાયેલો છે.
કોરોના સ્ત્રોતની તપાસ માટે ટીમ ચીન ગઈ હતી
20 એપ્રિલના રોજ ડબ્લ્યૂએચઓના ચીફ ટેડ્રોસ અદનોમ ગેબ્રેયાસસે કહ્યું હતું કે ચીનમાં પ્રથમ કેસ સામે આવ્યો હતો. જોકે તેમણે એમ નહોતું જણાવ્યું કે આ રિપોર્ટ ચીનના અધિકારીઓએ મોકલ્યો હતો કે કોઈ અન્ય સૂત્રએ. આ દરમિયાન સંગઠને નક્કી કર્યુ છે કે તે કોરોનાના સ્ત્રોતની તપાસ માટે આગામી અઠવાડિયે ટીમને ચીન મોકલશે. આ નિર્ણય ચીનની લેબથી કોરોના નીકળવા અને તેના દુનિયામાં ફેલાવાના આરોપો બાદ લેવાયો હતો.
ડબ્લ્યૂએચઓએ કહ્યું કે, ‘સમય જાગૃત થવા અને સાવચેતી રાખવાનો છે’
ડબ્લ્યૂએચઓના ઇમરજન્સી ડિરેક્ટર માઈકલ રેયાને કહ્યું કે લોકોને જાગૃત થવાની જરૂર છે. ડબ્લ્યૂએચઓએ કોરોના પ્રભાવિત દેશોને મહામારીના ફેલાવા પર કાબૂ કરવા અને ગ્રાઉન્ડ લેવલે સાવચેતી રાખવાની અપીલ કરી હતી.
ઈઝરાયલે દુશ્મન દેશ ઈરાનના ઈસ્ફાહનના નતાંજમાં આવેલા પરમાણુ ઠેકાણા પર સાઈબર હુમલો કરીને આગ લગાવી હતી. આ હુમલાથી યુરેનિયમ સેન્ટર અને મિસાઈલ પ્રોડક્શન સેન્ટરમાં આગ લાગી ગઈ હતી. આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં પ્રકાશિત તસવીરો પ્રમાણે ઈરાનના એક સરકારી મકાનનો અમુક હિસ્સો આગના કારણે નાશ પામ્યો છે. આ ઘટના ગુરુવાર સવારની હોવાનું કહેવાઈ રહ્યું છે.
પરમાણુ કેન્દ્રમાં આગ લાગી, પછી વિસ્ફોટ થયોઃ અલ જરીદા
ઈરાનના પરમાણુ કેન્દ્રમાં એક અઠવાડિયામાં આ બીજો હુમલો છે. કુવૈતના અખબાર ‘અલ જરીદા’ના અહેવાલ પ્રમાણે, સાઈબર હુમલાથી ગુરુવારે ઈરાનના પરમાણુ કેન્દ્રમાં આગ લાગી અને પછી જોરદાર વિસ્ફોટ થયો હતો. તેનાથી ઈરાનનો પરમાણુ કાર્યક્રમ બે મહિના પાછળ જતો રહ્યો છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે (એસએનએસસી) કહ્યું છે કે નિષ્ણાતો આગનાં કારણોની તપાસ કરી રહ્યા છે અને યોગ્ય સમય તેની જાણકારી અપાશે.
આગથી ફક્ત ઇમારતને જ નુકસાન પહોંચ્યું: કેવાન ખોસરાવી
એસએનએસસીના પ્રવક્તા કેવાન ખોસરાવીએ કહ્યું કે આ ઘટના પછી નિષ્ણાતોએ તપાસ હાથ ધરી છે કે ત્યાં કોઈ રેડિયેશન નથી. રિએક્ટરને પણ નુકસાન નથી પહોંચ્યું. આગથી ફક્ત ઈમારતને નુકસાન થયું છે. નતાંજ ઈરાનની રાજધાની તહેરાનથી 250 કિ.મી. દૂર છે. આ સમગ્ર કેન્દ્ર એક લાખ ચો. મી. ક્ષેત્રમાં જમીનની નીચે બનાવાયું છે. હવાઈ હુમલાથી સુરક્ષા માટે ત્યાં 25 ફૂટ મોટું કોંક્રિટનું કવચ બનાવાયું છે.
ફાઈટર જેટ હુમલાનો પણ દાવો કરાયો
આંતરરાષ્ટ્રીય અહેવાલો પ્રમાણે ગયા શુક્રવારે ફાઈટર જેટ એફ-16ના પરચિન વિસ્તારમાં મિસાઈલ ઉત્પાદન કેન્દ્ર પર બોમ્બમારો કર્યો હતો. એક રિપોર્ટમાં કહેવાયું હતું કે ઈઝરાયલના એફ-35 ફાઈટર જેટે 26 જૂને ઈરાનના પરચિનમાં બોમ્બમારો કર્યો હતો.
ઈરાન પર થયેલા હુમલાનું કારણ શું?
ઈઝરાયલનો આરોપ છે કે ઈરાન યહૂદીઓના વિરોધી હિઝબુલ્લાને શસ્ત્રો અને મિસાઈલો પૂરી પાડે છે. એવા પણ અહેવાલ છે કે ઈરાને એપ્રિલમાં ઈઝરાયલની પાણી પુરવઠા સિસ્ટમ હેક કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઈરાન પર અગાઉ પણ હુમલા થયા છે
2010માં નતાંજ પરમાણુ કેન્દ્રના કમ્પ્યુટરોમાં સ્ટક્સનેટ વાઈરસ હુમલો થયો હતો, ઉચ્ચ ગતિ ધરાવતા સેન્ટ્રીફ્યુઝને નુકસાન પહોંચ્યું હતું.
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા રશિયાની નજીક પહોંચી ગઈ છે ભારતમાં સંક્રમિતોની સંખ્યા 6,45,315 છે, જ્યારે રશિયામાં આ આંકડો 6,67,883 છે. ભારતમાં રોજ સરેરાશ 22 હજાર નવા દર્દી મળી રહ્યાં છે. એવામાં રવિવારે રાત્રી સુધીમાં ભારત સૌથી વધુ સંક્રમિત ત્રણ દેશમાં શામિલ થઈ શકે છે.
દેશમાં લગભગ 4 લાખ લોકો કોરોના વાઈરસને હરાવી ચૂક્યા છે. દર્દી સાજા થવાની ઝડપ છેલ્લા એક મહિનામાં ઘણી બધી છે. 2 જૂન સુધી એક લાખ દર્દી સાજા થઈ ગયા છે. ત્યારે રિકવરી રેટ 48.30 ટકા જેટલો હતો. છેલ્લા 32 દિવસમાં 3 લાખથી વધુ લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે. આ દરમિયાન રિકવરી રેટ 12.50 ટકા જેટલો વધી ગયો હતો. હવે રિકવરી રેટ 60.80 ટકા છે. રાહતની વાત એ છે કે મૃત્યુદર 2 જૂનવાળા સ્તરની પાસે જ છે.
એક મહિનામાં સૌથી વધુ રિકવરી ધરાવતા ટોપ-10 રાજ્ય આ રીતે બદલાયા
2 જૂન
અંદામાન નિકોબાર | 100.00% |
પંજાબ | 86.12% |
ગોવા | 72.15% |
ચંડીગઢ | 71.10% |
રાજસ્થાન | 68.65% |
ગુજરાત | 67.46% |
મધ્ય પ્રદેશ | 62.01% |
આંધ્રપ્રદેશ | 63.68% |
ઓડિશા | 59.02% |
ઉત્તર પ્રદેશ | 59.30% |
3 જુલાઈ
ચંડીગઢ | 86.00% |
ઉત્તરાખંડ | 81.40% |
રાજસ્થાન | 80.21% |
છત્તીસગઢ | 79.51% |
ત્રિપુરા | 78.62% |
મિજોરમ | 77.78% |
લદાખ | 77.62% |
મધ્ય પ્રદેશ | 77.28% |
બિહાર | 74.99% |
ઝારખંડ | 74.25% |
ગુજરાતમાં કોરોના વાઇરસના ચોવીસ કલાકમાં નવા નોંધાતા કેસનો આંકડો સાતસોને પાર કરી ગયો છે. શનિવારે ગુજરાતમાં 712 નવા કેસ નોંધાયા હતા. તેમાં પણ હવે સુરત શહેર અમદાવાદને ઓવરટેક કરીને આગળ નીકળી ગયું છે. અમદાવાદ શહેરમાં 165 નવા કેસ નોંધાયા તેની સામે સુરત શહેરમાં 201 નવા કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં કોરોનાના ગુજરાતમાં કુલ 35,398 કેસ નોંધાઇ ચૂક્યા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો પણ વધીને 8,057 થઇ ગયો છે.એક્ટિવ કેસોની ટકાવારી હાલ 22 ટકા ઉપર છે. જ્યારે ગુજરાતનો રિકવરી રેટ હાલ થોડો મંદ પડ્યો છે. પંદર દિવસ પૂર્વે રીકવરી રેટ 73 ટકા આસપાસ હતો તેને સ્થાને શનિવારે તે 71.8 ટકા પર પહોંચ્યો છે. શનિવારે ગુજરાતમાં 473 દર્દીઓને સાજા થયા બાદ ડિસ્ચાર્જ અપાયો હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 25,414 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે.
મૃત્યુઆંક 1927 એ પહોંચ્યો
ગુજરાતમાં હાલ મૃત્યુદર પણ પ્રમાણમાં ધીમો પડ્યો છે અને કોરોનાને કારણે મૃત્યુના કિસ્સા ઘટી રહ્યા છે. શનિવારે ગુજરાતમાં કુલ 21 મૃત્યુ નોંધાયા અને તેની સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 1,927 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં હાલ મૃત્યુદર 5.44 ટકા જેટલો છે. હજુ 68 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટિલેટર પર રખાયા છે. શનિવારે અમદાવાદમાં 9, સુરત અને રાજકોટ શહેરમાં 4-4, જ્યારે મહેસાણા, કચ્છ, અરવલ્લી અને વલસાડ જિલ્લામાં 1-1 મૃત્યુ થયા છે.
59 ચાઇનીઝ મોબાઇલ ઍપ પર પ્રતિબંધ લદાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને અને સ્ટાર્ટઅપ કંપનીઓને સ્વદેશી ઍપ્સ બનાવવા કહ્યું છે. મોદીએ શનિવારે નીતિ આયોગના ‘ડિજિટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત ઍપ ઇનોવેશન ચેલેન્જ’ની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે ટિ્વટ કર્યું કે, આ પડકાર તમારા માટે છે. જો તમારી પાસે તેવી પ્રોડક્ટ હોય કે તમને એવું લાગતું હોય કે તમારી પાસે તેવી પ્રોડક્ટ બનાવવાનું વિઝન અને તજજ્ઞતા છે તો હું ટેક્નોલોજી સાથે જોડાયેલા તમામ મિત્રોને તેમાં ભાગ લેવાનો આગ્રહ કરું છું. આજે ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા લોકોમાં વિશ્વસ્તરની મેડ ઇન ઇન્ડિયા ઍપ બનાવવા અંગે ખૂબ વધારે ઉત્સાહ છે. તેમના વિચારો અને પ્રોડક્ટને આગળ વધારવા સરકારે આત્મનિર્ભર ભારત ઍપ ઇનોવેશન ચેલેન્જ રજૂ કરી છે. તેનો મંત્ર દેશ અને દુનિયા માટે મેક ઇન ઇન્ડિયા છે.
10 લાખથી 20 લાખ રૂ. સુધીના પુરસ્કાર
પ્રથમ પુરસ્કાર 20 લાખ રૂ., બીજો 15 લાખ અને ત્રીજો 10 લાખ રૂ.નો રખાયો છે. સબ-કેટેગરીઝ માટે પણ પ્રથમ પુરસ્કાર 5 લાખ, બીજો 3 લાખ અને ત્રીજો 2 લાખ રૂ.નો રખાયો છે.
8 કેટેગરીનો પડકાર
1. ઓફિસના કામ અને વર્ક ફ્રોમ હોમ
2. સોશિયલ નેટવર્કિંગ
3. ઇ-લર્નિંગ
4. મનોરંજન
5. હેલ્થ એન્ડ વેલનેસ
6. કૃષિ ટેક્નિક, ફિનટેક સહિત કારોબાર
7. સમાચાર
8. સ્પોર્ટ્સ.
છેલ્લા બે વર્ષમાં સોનુ 55% મોંઘુ થઈ ચૂક્યું છે. કોરોનાના કારણે ભારત અને ચીનમાં ફેબ્રુઆરીથી સોનાનું વેચાણ નથી. આ દરમિયાન વિશ્વમાં આશરે 1900 ટન સોનુ વેચાયું. આમ છતાં, સોનુ પ્રતિ ગ્રામ રૂ. 50 હજાર નજીક પહોંચી ગયું. નિષ્ણાતોનું કહેવું છે કે, સોનાની કિંમત હજુ વધશે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (આઈબીજેએ)ના ડિરેક્ટર તાન્યા રસ્તોગી કહે છે કે, ‘લોકોને રૂ. 50 હજાર પ્રતિ ગ્રામ સોનુ મોંઘુ લાગી શકે, પરંતુ સોનુ ખરીદવાનો આ સારો સમય છે. દિવાળી સુધી તેનો ભાવ રૂ. 82 હજારે પહોંચી શકે છે.’
ભારતના ઘરોમાં 25 હજાર ટન સોનુ
એડિશન ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ યુકે જેવી કંપનીના અહેવાલમાં પણ દાવો કરાયો છે કે, સોનાના ભાવ રૂ. 82 હજારને પાર થશે તો તે ઝડપથી વધશે. ભારત-ચીન સોનુ ના ખરીદે તો પણ તેના ભાવ નહીં ઘટે. દુનિયાના લગભગ તમામ દેશ હાલ સોનુ ખરીદી રહ્યા છે. આઈબીજેએ પ્રમાણે, મંદીમાં સોનુ મોંઘું થાય છે. આ વખતે લોકો ઘર ખર્ચ માટે સોનુ વેચે એવું થઈ શકે છે. જોકે, હજુ સુધી એવું નથી થયું. ભારતીયોના ઘરોમાં 25 હજાર ટન સોનુ છે, જેમાંથી 70% ગ્રામીણ ક્ષેત્રમાં છે.
આ 4 કારણથી સોનાની કિંમતો સતત વધે છે
જેમનું સોનુ ગિરવે હતું, તે પાછું લઈ રહ્યા છે
જે સરકારો પહેલા સોનુ વેચતી હતી, તે હવે ખરીદી રહી છે. બે વર્ષ પહેલા 16 દેશની સેન્ટ્રલ બેંકોએ સોનાની ખરીદી શરૂ કરી હતી. જેમનું સોનુ ગિરવે હતું, તે પાછું લઈ રહ્યા છે.
રોકાણ માટે સોનુ પસંદ
બજારમાં મંદીના કારણે રોકાણકારો સોનામાં રસ લઈ રહ્યા છે. કોરોના સામે ક્યાં સુધી લડવાનું છે, તે કોઈ નથી જાણતું. એટલે રોકાણકારોનો ઝોક સોના તરફ વધ્યો છે.
USમાં વ્યાજ દર શૂન્ય છે
સોનાની કિંમત ડૉલરના મૂલ્ય પર નિર્ભર હોય છે. ડૉલરનું મૂલ્ય ઘટશે તો સોનાની કિંમત વધવી નક્કી છે. અમેરિકામાં વ્યાજ દર ઝીરો થઈ ગયો છે, જેના કારણે સોનામાં તેજી જારી છે.
ઉત્પાદન-તસ્કરી, બંને બંધ
આ મુદ્દે કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં સોનાનું ઉત્પાદન બંધ છે. વિશ્વભરમાં લૉકડાઉનને પગલે તેની તસ્કરી પણ બંધ છે, જેના કારણે સોનામાં એકતરફી તેજી છે. આ તેજી હજુ રહેશે. - નૈનેશ પચ્ચીગર, જેમ્સ એન્ડ જ્વેલરી કમિટી
પાકિસ્તાની વિજ્ઞાની ડૉ.અબ્દુસ સલામે 1979માં ફિઝિક્સનું નોબેલ પારિતોષિક જીત્યું હતું. તેમના સંશોધનના કારણે બાદમાં હિગ્સ બોસોન એટલે કે ‘ગોડ પાર્ટિકલ’ની શોધ શક્ય બની હતી. નોબેલ મેળવ્યાં બાદ ડૉ.સલામે પોતાના ગણિત શિક્ષક પ્રોફેસર અનિલેન્દ્ર ગાંગુલીને શોધવા માટે ભારત સરકારને વિનંતી કરી હતી. ગાંગુલી સાહેબ લાહોરની સનાતન ધર્મ કોલેજમાં મેથ્સ ભણાવતા હતા. ડૉ.સલામ તેમના વિદ્યાર્થી હતા. ભાગલા બાદ પ્રોફેસર ગાંગુલીએ ભારતમાં સ્થળાંતર કર્યું હતું. ગાંગુલી સાહેબ કોલકાતામાં રહેતા હોવાની જાણ થયા બાદ ડૉ.સલામ 1981ની 19મી જાન્યુઆરીએ કોલકાતા પહોંચ્યા હતા. ડૉ.સલામ પોતાના પથારીવશ ગુરુ પ્રોફેસર ગાંગુલીને મળ્યા અને તેમના હાથમાં પોતાનો મેડલ આપીને કહ્યું, ‘સર આ મેડલ તમારો છે, મારો નહીં.’ બાદમાં ડૉ.સલામે કહ્યું કે, ‘આ મેડલ તમે આપેલા શિક્ષણ અને તમે જગાડેલા ગણિત પ્રત્યેના પ્રેમના કારણે મળ્યો છે.’ ડૉ.સલામે બાદમાં નોબેલ પારિતોષિક પોતાના શિક્ષકના ગળામાં પહેરાવ્યું હતું.
ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ચીનની કંપનીઓએ 43 હજાર કરોડ રૂપિયાના રોકાણ માટે એમઓયુ કર્યાં છે. લદાખ સરહદે ચીનના દુ:સાહસ બાદ દેશભરમાં ચીનનો આર્થિક બહિષ્કાર થઈ રહ્યો છે ત્યારે ગુજરાતની ભાજપ સરકાર રાજ્યમાં ચીનનું રોકાણ રદ કરશે કે કેમ એ સવાલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, હરિયાણા જેવા રાજ્યોએ ચીનની કંપનીઓ સાથેનાં કરાર રદ કર્યા છે. તો બીજી બાજુ ભારતીય રેલવે અને બીએસએનએલ જેવા સાહસોએ પણ ચીન સાથે છેડો ફાડ્યો છે. 15 જૂનનાં રોજ લદાખના ગલવાનમાં સેના સાથે થયેલી ઝડપ બાદ પણ ચીની કંપનીઓ દ્વારા રોકાણનાં પ્રયત્નો જારી છે. છેલ્લા 20 જ દિવસમાં ત્રણ ચીની કંપનીઓએ આ પ્રકારનાં રોકાણ કર્યા છે.
સ્માર્ટસિટી પ્રોજેક્ટ માટે 19 હજાર કરોડનું રોકાણ
રાજ્ય સરકારના આંકડા મુજબ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે 19,000 કરોડ, ટેક્સટાઇલ પાર્ક માટે 12,000 કરોડ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે 10,500 કરોડ રૂપિયાનું પ્રસ્તાવિત રોકાણ છે. ચીનને ગુજરાતમાં એક્સપોર્ટની ઊજળી તકો દેખાઇ રહી છે. સ્માર્ટ સિટી અને ટેક્સટાઇલ પાર્કનાં એમઓયુ આનંદીબેન પટેલનાં કાર્યકાળમાં થયા હતાં જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પાર્કના એમઓયુ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં કાર્યકાળમાં થયા હતા. મુખ્યમંત્રીએ અગાઉ કરેલા દાવા પ્રમાણે આ પ્રોજેક્ટથી રાજ્યમાં 15 હજાર લોકોને રોજગારી મળશે. જોકે હવે આ પ્રોજેક્ટો આગળ વધશે કે નહીં તેનાં પર સવાલ છે. ગુજરાતમાં રોકાણ મુદ્દે જનરલ મોટર્સ અને અદાણી આગળ છે. જનરલ મોટર્સમાં ચીને 3900 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.
અન્ય રાજ્યોમાં ચીનની આર્થિક ઘૂસણખોરી પર રોક
ગુજરાતમાં ચીનની કંપનીઓને જમીન પસંદ કરવાની છૂટ!
ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટર્નલ ટ્રેડનાં જણાવ્યા પ્રમાણે છેલ્લા 19 વર્ષમાં ગુજરાતમાં કુલ 1.55 લાખ કરોડ એફડીઆઈ ઇક્વિટી આવ્યું, જેમાં 6 ટકા ચીનનું છે. ચીને સૌથી વધુ 15 ટકા રોકાણ ઓટોમોબાઇલમાં કર્યું છે. ચીનને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ત્રણ વર્ષમાં પૂરો કરવા માટે ગુજરાત સરકારે 200 એકર જમીન આપવા નક્કી કર્યું છે. સચાણામાં તો ચીની કંપનીઓને જમીન પસંદગીનાં અધિકાર પણ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં ચીનની કંપનીઓનું રૂ. 9900 કરોડનું રોકાણ
ભારતીય કંપની | ચીની ભાગીદાર કંપની | કુલ રોકાણ |
જનરલ મોટર્સ | સાઇક જીએમ | 3911.55 કરોડ |
ટીબીયા | ટીબીયા શિનયાંગ | 317.86 કરોડ |
ચાઇના સ્ટીલ | ચાઇના સ્ટીલ | 599.14 કરોડ |
હાઇલી ઇલે. એપ્લાયન્સીસ | શાંઘાઇ હિટાચી | 140.55 કરોડ |
અન્ય ઇન્વેસ્ટમેન્ટ અને ઇક્વિટી | 4930.19 કરોડ | |
કુલ | 9900 કરોડ |
ગુજરાતમાં ચીનની કંપનીઓએ અત્યાર સુધીમાં સૌથી વધારે રોકાણ ઑટોમોબાઇલ સેક્ટરમાં કર્યું છે.
શું ધોલેરા ચાઇનીઝ કંપનીઓને સોંપી દેવાશે?
2014માં ચીનના પ્રમુખ શી જિનપિંગ ગુજરાત આવ્યા એ પછી ચાઇના એસોસિએશન ઑફ સ્મૉલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (CASME) અને ગુજરાત સરકાર વચ્ચે ધોલેરામાં ચાઇના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માટેના એમઓયુ થયા હતા. એ વખતે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે 2022 સુધીમાં ચાઇનીઝ કંપનીઓ ધોલેરામાં પોતાના એકમો સ્થાપી દેશે. હવે ધોલેરામાં ચીની રોકાણને લઈને રાજ્ય સરકાર સામે સવાલો થયા છે.
સુરતને અજગરી ભરડામાં લઇ રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાને લઇનેને શનિવારે રાજ્યાના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નિતીન પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા. અઠવાલાઇન્સ સ્થિતિ જિલ્લા સેવાસદન ખાતે અગ્રસચિવ, જિલ્લા કલેકટર, મનપા કમિશનર તથા અધિકારીઓ અને ડોકટરો સાથે બેઠક કરી કોરોનાને કાબુમાં લેવા માટે એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં ખાસ કરીને નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા સ્ટેમસેલ હોસ્પિટલ અને કિડીની હોસ્પિટલમાં રૂ.100 કરોડના ખર્ચે બે કોવિડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી છે.
સિવિલ હોસ્પિટલમાં 200 જેટલા વેન્ટિલેટર મોકલી આપવામાં આવશે
મુખ્યમંત્રીએ જણાવ્યું હતુંકે, આ બે પૈકી સ્ટેમસેલ કોવિડ હોસ્પિટલ 8 થી 10 દિવસમાં તૈયાર થઇ જશે. જ્યારે કિડની હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ એક મહિનામાં બનાવીને કાર્યરત કરી દેવામાં આવશે. જ્યારે આજે શનિવારે સાંજ કે રવિવાર સુધીમાં સુરત સિવિલ હોસ્પિટલમાં 200 જેટલા વેન્ટિલેટર મોકલી આપવામાં આવશે. જે સોમવાર સુધી ઇનસ્ટોલ કરી નાખવામાં આવશે.
ધનવંતરી રથથી અમદાવાદમાં સ્થિતિ સુધરી, સુરતમાં પણ લોકો લાભ લે: CM
પાલિકાએ તમામ ઝોન વિસ્તારોમાં ધનવંતરી રથ ફેરવી રહ્યું છે પ્રત્યેક ઝોન દિઠ 20 જેટલા ધનવંતરી રથો દ્વારા સારવાર દવા આપવામાં આવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણઈએ જણાવ્યું હતું કે, ધનવંતરી રથથી અમદાવાદમાં સ્થિતિમાં સુધારો આવ્યો છે. સુરતમાં પણ તેનો વધુને વધુ પ્રચાર પ્રસાર કરવામાં આવે, તમામ વિસ્તારો આવરી લેવામાં આવે લોકો તેનો વધુ લાભ લે.
કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ વિભાગ અને પુના સ્થિતિ આઇઆઇટીએમ વિભાગે એક એપ તૈયાર કરી છે. દામિની નામની આ એપની મદદથી જે તે વિસ્તારના જીપીએસ લોકેશનના આધારે તે વિસ્તારમાં વિજળી થવાની સંભાવના વ્યક્ત કરાય છે. જીપીએસ લોકેશનના 20 થી 40 કિલોમીટરના વિસ્તારની ત્રણ તબક્કામાં આગાહી કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં 5 મિનિટની અંદર, બીજા તબક્કામાં 5 થી 10 મિનિટની અંદર અને ત્રીજા તબક્કામાં 10 થી 15 મિનિટની અંદર વિજળી થશે કે કેમ તે ચેતવણી જાહેર કરાય છે.
કોરોના પર રિસર્ચનો ડેટા ચોરી હેકરો 5 કરોડ રૂપિયાથી લઈને 23 કરોડ રૂપિયા સુધીની ખંડણી વસૂલી રહ્યા છે. સાઈબર રિસર્ચર એજન્સી પ્રૂફપોઈન્ટ અનુસાર ગત મહિને હેકરોએ આવી ખંડણી માટે અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ગ્રીક અને ઈટાલી સહિત અનેક દેશોમાં જુદી જુદી સંસ્થાઓને આશરે 10 લાખ ઈમેલ મોકલી ધમકાવ્યા હતા. હેકર ગ્રૂપ નેટવૉકરે અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાનાં કમ્પ્યુટરોમાં માલવેર નાખી દીધું હતું. આ કમ્પ્યુટરમાં કોરોના રિસર્ચ સંબંધિત માહિતીઓ હતી. પછી હેકરોએ ડાર્કવેબના માધ્યમથી ખંડણી માગી. ડાર્ક વેબ પર ઉપલબ્ધ આ હેકર ગ્રૂપનું પેજ એક સામાન્ય કસ્ટમર સર્વિસની વેબસાઈટ જેવો દેખાય છે. તેમાં એક તરફ સામાન્ય રીતે પૂછાતા પ્રશ્નો છે તો બીજી બાજુ પોતાના સોફ્ટવેરની ફ્રી સેમ્પલ ઓફર અને એક લાઈવ ચેટની સુવિધાનો વિકલ્પ છે. એક જગ્યાએ કાઉન્ટડાઉન ટાઈમ છે. તેના પર જેમ જેમ સમય ઓછો થાય છે, હેકરો ખંડણીની રકમ બમણી કરે છે કાં પછી માલવેરના માધ્યમથી જે ડેટા એકઠો કર્યો છે , તેને મિટાવી દે છે.
9 કરોડમાં હેકરોએ ડીલ ફાઇનલ કરી
હેકરોએ યુનિવર્સિટીને મેસેજ મોકલી 23 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. યુનિવર્સિટીએ કહ્યું કે કોરોના સંકટને લીધે તે 6 કરોડ રૂપિયા જ આપી શકે છે. છેવટે 9 કરોડ રૂપિયામાં ડીલ થઈ. યુનિવર્સિટીએ બિટકોઈનના માધ્યમથી હેકર ગ્રૂપના ઈ-વૉલેટમાં ખંડણીની રકમ મોકલી. તેના પછી યુનિવર્સિટીને રેનસમવેર ડિક્રિપ્શન સોફ્ટવેર મળી શક્યું.
અમેરિકી, યુરોપિયન તપાસ એજન્સીઓએ મામલા શેર કરવા કહ્યું
સુરક્ષા એજન્સીઓ એફબીઆઈ, યુરોપોલ અને બ્રિટનની નેશનલ સાઈબર સિક્યોરિટી સેન્ટરે રિસર્ચ ટીમોને હેકરથી સાવધાન રહેવા કહ્યું છે. તેમણે કહ્યું કે તે ડિજિટલ ખંડણીના મામલા શેર કરે. રિસર્ચ એજન્સીઓ કહે છે કે ગુનાઈત સાઈબર ગેંગ એવા સોફ્ટવેરનો ઉપયોગ વધારે પસંદ કરે છે જેનાથી કમ્પ્યુટરથી એક જ વખતમાં સંપૂર્ણ ડેટા ડાઉનલૉડ થઈ જાય.