
from India Today | Top Stories https://ift.tt/2YgdDiH
અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાના અવકાશયાત્રીઓ હવે ચંદ્ર પર જતા પહેલા એક એવા મોડ્યુલમાં રોકાશે, જે તેમને કોઈ હોટલ જેવી ફિલ આપશે. ખાસ વાત એ છે કે, આ મોડ્યુલ ચંદ્રના ઓર્બિટમાં જ રહેશે અને તે તેના ચક્કર પણ લગાવશે. આ માટે નાસાએ નોર્થરોપ ગ્રૂમાનને 187 મિલિયન ડૉલરનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, જે નાસાના આર્ટેમિસ મિશનનો જ હિસ્સો હશે. આ મિશન હેઠળ અમેરિકા 2024 સુધી ચંદ્ર પર પહેલી મહિલા અને એક પુરુષને મોકલશે. 1972 પછી પહેલીવાર માણસોને ફરી એકવાર ચંદ્ર પર મોકલવાનો આ પ્રયાસ હશે.
આ હોટેલ કેવી હશે?
ચંદ્રના રસ્તામાં આકાર લેનારા આ ગેટ-વે હેઠળ એક નાના ફ્લેટના કદનું હેબિટેશન એન્ડ લોજિસ્ટિક્સ આઉટપોસ્ટ (HALO-હાલો) બનાવવામાં આવશે, જે ચંદ્રના ચક્કર કાપશે. હાલો અને ગેટ-વેના પાવર એડ પ્રપોલ્સન એલિમેન્ટને 2023માં લૉન્ચ કરાશે. પૃથ્વીથી અવકાશમાં જનારા અવકાશયાત્રીઓ પહેલા આ ગેટ-વે પર રોકાશે અને પછી ચંદ્ર પર જશે. જોકે, તેનું કદ ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર (ISS)થી નાનું હશે.
નાસાના એડમિનિસ્ટ્રેટર જિમ બાઈડેનસ્ટાઈને કહ્યું છે કે, ચંદ્ર પર મજબૂત અને સતત ઓપરેશન ચાલુ રાખવાના હેતુથી આ કોન્ટ્રાક્ટ અપાયો છે. આ ગેટ-વેની અંદર હાલોમાં ક્વાર્ટર તૈયાર કરાશે, જેને એક્સપાન્ડ કરી શકાશે. ત્યાં અવકાશયાત્રીઓ થોડો સમય વીતાવી શકશે.
ગયા મહિને પણ ઈતિહાસ રચ્યો હતો
આ પહેલા 30મી મેના રોજ અવકાશ ક્ષેત્રે ઈતિહાસ રચ્યા પછી નાસા ઉત્સાહિત છે. એ દિવસે આશરે 10 વર્ષ પછી નાસાએ અમેરિકાની ધરતી પરથી એક સ્પેસક્રાફ્ટમાં બે અવકાશયાત્રીને ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર મોકલ્યા હતા. ગયા મહિને ખરાબ હવામાનને પગલે એકવાર લૉન્ચ ટળ્યા પછી 30મી મેના રોજ સ્પેસ એક્સના ફાલ્કન-9 રોકેટથી ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફઅટમાં બોબ બેન્ખેન અને ડગ હર્લીને અવકાશમાં મોકલાયા હતા.
કોરોના વાઈરસના પ્રકોપનો સામનો કરી રહેલા ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના 10 રાજ્યના 45 નગર પાલિકા વિસ્તારોમાં સંક્રમણને કાબુમાં લેવા સરવે કરવામાં આવશે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે અધિકારીઓને આ નિર્દેશ આપીને ઝડપી તપાસ અને પ્રભાવિત વિસ્તારોમાં દેખરેખ રાખવાના ઉપાયો કરવાની પણ સૂચના આપી છે.
45 નગર નિગમ ક્ષેત્રઅધિકારીઓભાગ લીધો
આરોગ્ય સચિવ પ્રીતિ સુદને સોમવારે મંત્રાલયના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ થકી બેઠક કરી, જેમાં 45 નગર નિગમ ક્ષેત્રના જિલ્લા અધિકારીઓ, કમિશનરો, જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વડાઓએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન શહેરી વિસ્તારોમાં ગીચ વસતી ધરાવતા વિસ્તારોમાં સંક્રમણનો પ્રસાર, સંયુક્ત જન સુવિધાવાળા વિસ્તારોના મુદ્દા, ઘરે ઘરે જઈને સરવે કરવો, સંક્રમણને જે તે વિસ્તાર પૂરતું કેવી રીતે સીમિત રાખવું તે મુદ્દે ચર્ચા થઈ હતી.
38 જિલ્લામાં સરવે થશે, ગંભીર બીમારીનો સામનો કરતા લોકોનો ડેટા ભેગો કરો
ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ, રાજસ્થાન, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશના કુલ 38 જિલ્લામાં સરવે થશે. આ બેઠકમાં કોરોનાથી મૃત્યુદર ઘટાડવા માટે અધિકારીઓએ સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને શોધવા, વૃદ્ધો અને ગંભીર બિમારીનો સામનો કરી રહેલા લોકોની ઓળખ કરવા જેવા પગલાં લેવાની સલાહ આપી છે.
એસબીઆઇએ તેનો માર્જિનલ કોસ્ટ આૅફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ 0.25% ઘટાડીને 7% કરી દીધો છે. નવા દર 10 જૂનથી અમલી બનશે. એસબીઆઇ દ્વારા એમસીએલઆરમાં આ સતત 13મો ઘટાડો છે. તદુપરાંત, બેન્કએ એક્સ્ટર્નલ બેન્ચમાર્ક લિન્ક્ડ લેન્ડિંગ રેટ તથા રેપો રેટ લિન્ક્ડ લેન્ડિંગ રેટમાં 0.40%નો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ 1 જુલાઇથી ઇબીઆર 7.05%થી ઘટીને 6.65% અને આરએલએલઆર 6.65%થી ઘટીને 6.25% થઇ જશે.
બેઝ રેટમાં પણ 0.75% ઘટાડો
લેટેસ્ટ રેટ કટ બાદ એમસીએલઆર સાથે જોડાયેલી 25 લાખ રૂ.ની 30 વર્ષની હોમ લોનનો ઇએમઆઇ 421 રૂ. ઘટી જશે જ્યારે ઇબીઆર/આરએલએલઆર સાથે જોડાયેલી હોમ લોનનો ઇએમઆઇ 660 રૂ. ઘટશે. એસબીઆઇએ એમસીએલઆરની સાથોસાથ બેઝ રેટમાં પણ 0.75% ઘટાડો કર્યો છે. તે સાથે બેન્કનો બેઝ રેટ 10 જૂનથી 8.15%થી ઘટીને 7.40% થઇ જશે.
અમેરિકાના 140થી વધુ શહેરમાં રંગભેદ વિરુદ્ધ ચાલી રહેલા હિંસક દેખાવોના અહેવાલો વચ્ચે આવેલી આ તસવીર નોર્થ કેરોલિનાની છે. પોલીસ સામાજિક સંગઠનોની મદદથી અશ્વેતોમાં ભરેલા ગુસ્સાને શાંત કરવા પ્રયત્નશીલ છે. ધરપકડ વખતે અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોઈડનું મૃત્યુ થઈ ગયું હતું, ત્યાર પછી સમગ્ર અમેરિકામાં હિંસક દેખાવોની આગ ફેલાઈ ગઈ. પોલીસે દેખાવો કરવા આવેલા અશ્વેતોને બેન્ચ પર બેસાડ્યા અને તેમના પગ ધોવાનું શરૂ કરી દીધું.
માનવતાથી મોટો કોઈ ધર્મ નથી
પોલીસે કહ્યું કે, બાઈબલ પ્રમાણે કોઈના પગ ધોવા એ માનવતાનું પ્રતીક છે. અમે ફક્ત એ સંદેશ આપવા માંગીએ છીએ કે, માનવતાથી મોટો કોઈ ધર્મ નથી.
દેશમાં અનલૉક-1નું બીજું અઠવાડિયું શરૂ થતાં જ સોમવારે 75 દિવસ પછી હોટેલ, રેસ્ટોરાં ખૂલી ગયા. તેનાથી આર્થિક પ્રવૃત્તિઓનો દાયરો વધી ગયો છે. જોકે જે રાજ્યોમાં રેસ્ટોરાં ખૂલ્યાં ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે અત્યંત ઓછા લોકો અવર-જવર કરતા દેખાયા. જ્યારે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા સહિત અન્ય ધર્મસ્થળ ખૂલવાની સાથે 25 રાજ્યોમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ ગઈ. યુપીમાં અયોધ્યા ખૂલી ગઈ. જોકે વૃંદાવનમાં કોરોનાનો ચેપ ફેલાવાના ખતરાના કારણે બાંકે બિહારી સહિત અન્ય મંદિર ચાલુ મહિને બંધ રખાશે. આંધ્રપ્રદેશમાં તિરુપતિ મંદિર ખૂલી ગયું. જોકે તેમાં શ્રદ્ધાળુ 11 જૂનથી જ દર્શન કરી શકશે. કાશી વિશ્વનાથ અને વૈષ્ણોદેવી મંદિર મંગળવારે ખૂલશે. બીજી બાજુ ગુજરાત સહિત 17 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં સોમવારથી કન્ટેનમેન્ટ ઝોનથી બહાર મૉલ શરૂ થઈ ગયા.
દર્શનાર્થીઓે સેનેટાઇઝર યૂઝ કરી દેવદર્શન કર્યા
ગુજરાતમાં પણ સોમવારે 75 દિવસ બાદ વિવિધ મંદિરો ખુલતા દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. સોમનાથ, દ્વારકા અને અંબાજી સહિતના મંદિરોમાં પહેલા દિવસે દર્શનાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. સરકારના આદેશ મુજબ મંદિરોમાં માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરીને લોકોએ પ્રવેશ કર્યો હતો. નાના-મોટા મંદિરોના પ્રવેશદ્વાર પર જ સેનેટાઇઝરની બોટલ મૂકવામાં આવી હતી. રાજપીપલાના 400 વર્ષ જૂનું હરસિધ્ધિ માતાનું મંદિર પ્રથમ વખત 76 દિવસ સુધી દર્શન માટે બંધ રહ્યું હતું.
આ રાજ્યોમાં મૉલ ખૂલ્યાં
શોપિંગ સેન્ટર એસોસિએશન અનુસાર સોમવારથી આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, ચંદીગઢ, દિલ્હી, ગોવા, ગુજરાત, પ.બંગાળ, ઉત્તરાખંડ, યુપી, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, પુડ્ડુચેરી, કર્ણાટક અને હરિયાણામાં મૉલ ખૂલી ગયા. હરિયાણામાં ગુડગાંવ અને ફરિદાબાદમાં મૉલ ચાલુ મહિને બંધ રહેશે.
78 દિવસ પછી મહાકાલ મંદિર ખૂલ્યું, વૈષ્ણોદેવી આજે ખૂલશે
આ પણ શરૂ
ગુજરાતમાં 75 દિવસ પછી સોમવારથી મૉલ, હોટેલ, રેસ્ટોરાં, મંદિર અને શોપિંગ સેન્ટર્સ ખુલી રહ્યાં છે. સોમનાથ, દ્વારકાધીશ, અંબાજી, ચોટીલા ચામુંડા માતાજી સહિતના અગ્રણી ધર્મસ્થાનોમાં સોમવારથી દર્શન શરૂ થશે. સાથે જ રાજ્યના મોટા શોપિંગ મોલ્સ પણ ગ્રાહકો માટે ખૂલશે. રેસ્ટોરાં અને મ્યુઝિયમ્સમાં પણ સોમવારથી ચહલપહલ જોવા મળશે. જો કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વિવિધ પ્રકારની ગાઇડલાઇન્સ ઇશ્યુ કરી છે. તેનું પાલન દરેક માટે અનિવાર્ય રહેશે.
હોટેલ, રેસ્ટોરાંમાં ડિસ્પોઝેબલ મેનુ કાર્ડ આપવાનું રહેશે
મંદિરોમાં 10 વર્ષથી ઓછી વયના અને 65 વર્ષથી વધુ વયના દર્શનાર્થીઓને પ્રવેશ અપાશે નહીં. સાથે જ મંદિરોમાં બહારથી પ્રસાદ લઈ જવાશે નહીં. દરેક વ્યક્તિએ સ્વૈચ્છિક પણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. માસ્ક ફરજિયાત પહેરવો પડશે. હોટેલ, રેસ્ટોરાંમાં ડિસ્પોઝેબલ મેનુ કાર્ડ આપવાનું રહેશે. એટલે કે એક જ મેનુ એકથી વધુ ગ્રાહકોને આપી શકાશે નહીં. રેસ્ટોરાંમાં ક્ષમતાના 50 ટકા ગ્રાહકોને જ પ્રવેશ આપી શકાશે. મંદિર, મૉલ કે રેસ્ટોરામાં ગ્રાહકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે, જ્યારે મોલ્સમાં માત્ર દુકાનો ખુલ્લી રાખી શકાશે. સિનેમાઘર કે બાળકો માટેનો પ્લે એરિયા શરૂ કરી શકાશે નહીં.
દર્શનાર્થીઓ માટે રાજ્યના અગ્રણી મંદિરોની તૈયારી અને નિયમો
સોમનાથ મંદિર: આજથી સોમનાથ મહાદેવ મંદિર ખૂલશે. મંદિરમાં દંડવત પ્રણામ નહીં. આ ઉપરાંત 10 વર્ષથી નીચેના 65 વર્ષથી મોટી ઉંમરના લોકોને પ્રવેશ નહીં મળે. શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ પણ ખુલશે.
દ્વારકા જગતમંદિર: ફક્ત મુખ્ય મંદિરો જ ખૂલશે. આરતીમાં ફકત પૂજારી રહેશે. ભક્તોએ મંદિર બહાર નીકળવાનું રહેશે. હાલારનું હરસિદ્ધિ માતાજી, જોગવડનું આશાપુરા અને ભાણવડનું કિલેશ્વર મહાદેવ મંદિર ખૂલશે.
માતાનો મઢ, કચ્છ: માતાનામઢ ખાતે આશાપુરના મંદિરના દ્વાર સોમવારે ખુલશે. અહીં શ્રીફળ- પ્રસાદ લઇ જવાની મનાઇ છે. આરતીમાં પણ પ્રવેશ નહીં. નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિરના દ્વાર પણ ખૂલી રહ્યાં છે.
ચોટીલા ચામુંડા માતા: ચોટીલાનું ચામુંડા મંદિર પણ આજથી ખુલશે.મંદિરના ભરતગીરી બાપુએ જણાવ્યું કે સરકારના આદેશ અનુસાર ભોજનાલય-અતિથિ ભવન બંધ રહેશે. શ્રીફળ, પ્રસાદ, ફૂલહાર વગેરે ચઢાવી નહીં શકાય.
જલારામ મંદિર, વીરપુર: વીરપુરના જલારામ મંદિરના ભક્તોએ જલારામ બાપાના દર્શન માટે હજુ રાહ જોવી પડશે. આ મંદિર 15 જૂનથી ખુલશે. જલારામબાપાના દર્શન સવારે સાતથી એક અને બપોરે ત્રણથી સાંજે સાત વાગ્યા સુધી જ ખુલશે.
રણછોડરાય મંદિર, ડાકોર: ડાકોર મંદિર અને સરકારી વિભાગો વચ્ચે સંકલનનો સ્પષ્ટ અભાવ દેખાય છે. જેને કારણે રણછોડરાય પ્રભુના દર્શન માટે વધુ રાહ જોવી પડશે. ડાકોર પાલિકા પ્રમુખે ત્રણ મહિના મંદિર બંધ રાખવા રજૂઆત કરી છે.
ધાર્મિક સ્થળો માટે નિયમો
શૉપિંગ મૉલ્સ માટે જાહેર કરેલા નિયમો
હોટેલ- રેસ્ટોરાં માટે નિયમો
રિયલ એસ્ટેટમાં ફ્લેટ્સની પૂછપરછ 30 ટકા સુધી વધી
આ છે છ વર્ષની લીસા અને તેમના 4 વર્ષના નાના ભાઇ રેયાનની. દેશની આર્થિક રાજધાની મુંબઇના આ બન્ને બાળકો મેરાથોન રનર બનવા ઇચ્છે છે. લૉકડાઉનથી પહેલા પાપા રોનાલ્ડોની સાથે બન્ને રોજના ગેટવે ઓફ ઇન્ડિયા પર પ્રેક્ટિસ કરવા જતા હતા. કોરોનાના કારણે આમાં મુશ્કેલી પહોંચાડી. પરંતુ હવે લૉકડાઉન ખૂલી રહ્યું છે તો બન્નેએ પૂરી સુરક્ષા અને તમામ તૈયારીઓ સાથે રોજના બે કલાક પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
મુંબઇમાં પણ કર્ફ્યૂ હવે માત્ર રાત્રે જ રહેશે
આની જેમ ક્યારેય ન સૂવાવાળી મુંબઇ હવે ફરી દોડવા માટે તૈયાર છે. ખાનગી કંપનીઓ અને ઉદ્યોગોમાં કામ શરૂ થઇ જશે. શરૂઆતમાં 10 ટકા સ્ટાફની સાથે થઇ રહી છે. મુંબઇમાં પણ કર્ફ્યૂ હવે માત્ર રાત્રે જ રહેશે.
અમદાવાદના જાણીતા કાર્ડિયાક સર્જન અને વિશ્વમાં જેમનું નામ ખૂબ મોટું મનાય છે તેવા પદ્મશ્રી ડૉ. તેજસ પટેલે કહ્યું કે હાલ જે રીતે ગુજરાતમાં અને અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસનો વધારો થઇ રહ્યો છે તે જોઇએ તો આવતાં પંદર દિવસથી ત્રીસ દિવસમાં કેસ ઘણાં ઘટી જાય તેવું બને. વિશ્વભરના પોતાના તબીબ મિત્રો સાથે સતત સંપર્ક દ્વારા કોરોના વાઇરસ અંગેના સંશોધનો અને અભ્યાસ તારવ્યાં બાદ તેમના અનુભવ થકી ડો. પટેલ આમ જણાવે છે.
સવાલ: ગુજરાતમાં હાલ ખૂબ કેસ છે અને અમદાવાદમાં તો સ્થિતિ ખૂબ ખરાબ છે, ક્યાં સુધીમાં સામાન્ય થશે
ડૉ. તેજસ પટેલ: હું મારા અનેક તબીબ મિત્રો સાથે સંપર્કમાં છું. ન્યૂ યોર્ક અને તેની આસપાસના બ્રુકલિન અને અન્ય વિસ્તારોમાં રહેતાં તબીબોએ જણાવ્યું કે ત્યાં હવે નવા કેસ નોંધાવાની ગતિ ખૂબ ઘટી ગઇ છે. આમ પણ જ્યાં કેસ ખૂબ વધે છે ત્યાં એ પછી ધીરે-ધીરે ઘટવા પર આવે છે. ગુજરાતમાં પણ હું માનું છું કે જે ગતિથી કેસ નોંધાઇ રહ્યાં છે, તે જોતાં આવતાં પંદરથી ત્રીસ દિવસમાં કેસ ઓછા થઇ શકે છે. આમ જ થાય તેવું ના કહેવાય પણ મોટાભાગના દેશોનો અભ્યાસ જણાવે છે કે આમ જ થાય છે.
સવાલ:ગુજરાતમાં મૃત્યુના કિસ્સા પણ ખૂબ વધુ છે, તો કેમ આવું થાય છે
ડો. તેજસ પટેલ: જુઓ, અમે ડોક્ટરો આંકડા પર ધ્યાન આપવાને બદલે જે લોકો ઇન્ફેક્ટ થાય છે તેમને સાજા કરવા પર વધુ ધ્યાન આપીએ છીએ અને તેમ જ થવું જોઇએ. બીજું કે ઘણી વાર આપણે ત્યાં દર્દીઓની સ્થિતિ ખૂબ નાજૂક હોય પછી આવે છે, તેમ ન થવું જોઇએ. બીજું કે આપણે જોઇએ તો મૃત્યુ થાય છે તેવા લોકોની શારિરીક ક્ષમતા પણ ઓછી હોય છે જેમ કે હ્રદય, કીડની, ડાયાબિટીસ જેવા રોગ હોય તો તેમને તકલીફ થઇ શકે છે.
સવાલ: હવે વરસાદની સિઝન શરૂ થશે તો તેનો કોઇ પ્રભાવ સંક્રમણ પર પડશે
ડો. તેજસ પટેલ: એનો પ્રભાવ એ થશે કે સંક્રમણ ઓછું થઇ શકે. અમેરિકન સંસ્થાનો અભ્યાસ અને તારણ દર્શાવે છે કે જો ભેજવાળું વાતાવરણ હોય અને 35 ડિગ્રી કરતાં વધુ તાપમાન હોય તો વાઇરસનું વહન હવામાં ઓછું થાય છે અને તેથી નબળો પડે અને સંક્રમણ પણ ઓછું થઇ શકે. આપણે ત્યાં જૂન જુલાઇમાં આવું જ વાતાવરણ થાય છે તેથી અહીં આ દરમિયાન કેસોમાં ઘટાડો થઇ શકે. પણ સામે વરસાદમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લુ જેવાં કેસો નોંધાય છે. તેથી તેમાં કન્ફ્યુઝન થઇ શકે, અને કેસ વધારે નોંધાય છે તેવું લાગે.
સવાલ: હવે તો લૉકડાઉન ખૂલી ગયું, તો કેસ વધી જશે નહીં
ડૉ. તેજસ પટેલ: મને કહો કે આવો ડર કેમ રાખો છો, તમને સ્વાઇન ફ્લુ થઇ જશે, મેલેરિયા થઇ જશે કે બીજો કોઇ રોગ થઇ જશે તેનો ડર તમને કેટલો છે. હું એટલું કહીશ કે કોરોના સામે લડવા જવાની જરૂર નથી, કારણ કે તેમ કરવામાં સંક્રમણ લાગી શકે છે, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. તે ઉપરાંત સાવ ડરી-ડરીને રહો અને બહાર ન જાવ તે પણ યોગ્ય નથી. માનસિક રીતે નબળા પડવાથી તો સાવ વિપરિત પરિણામો આવી શકે. પરંતુ સાવ બેફિકર થવાની જરૂર નથી, કારણ કે યુવાન છોકરા-છોકરીઓ ઘણીવાર નિયમ પાલન કરતાં નથી, પણ તે સારું નથી.
લૉકડાઉનમાં ભલે દેશની ગતિ મંદ પડી હોય. પરંતુ રેલ્વેના બે મેગા પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ રહ્યુ છે. ઇમ્ફાલમાં માકરૂ નદી પર બનાવવામાં આવતા વિશ્વના સર્વોચ્ચ બ્રિજ અને ચેનાબ નદી પરના સૌથી વધુ ઊંચાઈ ધરાવતા આર્ચ બ્રિજનું બાંધકામ ઝડપથી વધી ગયું છે. આર્ચ બ્રિજનું કામ 84% સુધી પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ઊંચા થાંભલા ધરાવતો બ્રિજ 2-3 મહિનામાં તૈયાર થઈ જશે.
એક પણ કોરોનાનો ચેપ લાગ્યો નહીં
પ્રથમ લૉકડાઉન સમાપ્ત થયા પછી કામદારોએ 16-16 કલાક સુધી કામ કર્યું. પરિણામે, સામાન્ય કરતાં બમણું કામ થયુ. કર્મચારીઓએ કાળજી લીધી અને એક પણ કોરોનાનો ચેપ લાગ્યો નહીં. ચિનાબ પ્રોજેક્ટના ડેપ્યુટી ચીફ મેનેજર અમિત કુમાર કહે છે કે, 120 માળની ઇમારતની સમકક્ષ આ પુલનું કામ 800 કર્મચારીઓની મહેનતનું પરિણામ છે.
કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે રવિવારે જણાવ્યું હતું કે સ્કૂલો અને કોલેજો ઓગસ્ટ 2020 પછી ખોલવામાં આવશે. તેમણે કહ્યું કે સંભવિતપણે 15 ઓગસ્ટ પછી સ્કૂલો શરૂ થશે. એક મુલાકાતમાં તેમણે આ વાત કહી હતી. જો કે દિવ્ય ભાસ્કરે આ અંગે ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે વાત કરી હતી. ચુડાસમાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્કૂલો અને કોલેજો શરૂ કરવા માટે ઉતાવળ નહીં કરવામાં આવે. આ અંગે સ્કૂલ સંચાલકો, વાલીઓ તથા નિષ્ણાંતો સાથે ચર્ચા કર્યા પછી જ નિર્ણય લેવાશે.
FRC આ વર્ષે એક પણ શાળા ફીમાં વધારો નહી કરી શકે
આ ઉપરાંત શિક્ષણ વિભાગે નક્કી કર્યું છે કે શાળા નિયમિત શરૂ થાય ત્યાં સુધી કોર્સ ઓનલાઈન 1-1 મહિનાનો જ બનશે. તથા FRC આ વર્ષે એક પણ શાળા ફીમાં વધારો નહી કરી શકે. ફી ત્રણ મહિનાના બદલે આ વર્ષ પુરતી શાળાઓ હવે દર મહિને સ્વીકારશે અને આટલા મહિનાની ફી પણ અત્યારે નહીં સપ્ટેમ્બર સુધીમાં ભરશો તો ચાલશે. જે શાળાઓ અત્યારે ફી ઉઘરાવે છે તેમની સામે DEO કાર્યવાહી કરશે કોઈ સ્કૂલ એડમિશન રદ્દ નહી કરી શકે. ફી આખા વર્ષની લેવી કે જ્યારથી શાળા શરૂ થાય તે મહિનાથી ગણતરી કરીને લેવી તે વિશે સરકાર વિચારી રહી છે. ગુજકેટ કે ધોરણ 10 અને 12ની પુરક પરીક્ષા સોશિયલ ડિસ્ટન્સથી લેવાશે. જે વિદ્યાર્થી ક્રવોરન્ટાઈન હોય કે કન્ટેઈનમેંટ ઝોનમાં હોય તે ઓનલાઈન પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરાશે.
બોર્ડની બાકીની પરીક્ષાઓ જુલાઈમાં યોજાશે
પોખરિયાલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ સુધીમાં તમામ ધોરણના પરિણામ જાહેર કરી દેવાય એ માટેની તૈયારીઓ થઈ રહી છે. એ પછી સ્કૂલો શરૂ કરવામાં આવશે. માર્ચમાં લૉકડાઉન લાગુ કરાયા બાદ સ્કૂલો અને કોલેજો બંધ કરી દેવામાં આવ્યા હતા. સાથે જ પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી હતી. બોર્ડની બાકીની પરીક્ષાઓ જુલાઈમાં યોજવામાં આવશે. તથા તમામ પરિણામો ઓગસ્ટ માં જાહેર કરી દેવામાં આવશે.
ઑનલાઇન વર્ગો પૂરતા નહીં
કેન્દ્રીય માનવસંસાધન મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે, ઑનલાઇન ક્લાસિસ દ્વારા હાલ વર્ગો લેવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓની ભણાવવામાં આવી રહ્યા છે. પણ તેનાથી અભ્યાસને નુકસાન થઈ રહ્યું છે.
પહેલા અભિપ્રાય પછી સ્કૂલો ખૂલશે
ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમે બાળકોની જિંદગી જોખમમાં નાખવા માગતા નથી અને તેમના જીવનના ભોગે તો કોઇપણ નિર્ણય નહીં થાય. અમે હાલ શાળાના સંચાલકો, શિક્ષક સંઘો સાથે મસલત કરી રહ્યા છીએ. આ ઉપરાંત વાલીમંડળો, બાળરોગ નિષ્ણાતો, મનોવિજ્ઞાનીઓ તમામની સાથે પૂરતી ચર્ચા કરીને જ નિર્ણય આખરી કરીશું.
કોરોના વાઈરસના કારણે દેશમાં ઓનલાઈન ક્લાસ અને ઈન્ટરનેટ પર અભ્યાસ કરવા પર ભાર આપવામાં આવી રહ્યું છે. પરંતુ નિષ્ણાંતોના મતે, દેશમાં ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત વચ્ચે ઓનલાઈન ક્લાસ અમુક બાળકો માટે ખરાબ સ્વપ્ન સાબિત થઈ શકે છે. તાજેતરમાં કેરળમાં એક વિદ્યાર્થીનીએ ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરવા માટે સ્માર્ટફોન ના હોવાથી આત્મહત્યા કરી હતી. ઘણા વિસ્તારોમાં બાળકો પાસે સ્માર્ટફોન છે તેમને નબળા ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે ઘરના ધાબા પર જઈને ભણવું પડે છે, આ ઉપરાંત જે ઘરોમાં એકથી વધુ બાળકો છે ત્યાં માતા-પિતાના સ્માર્ટફોન મેળવવા માટે સંઘર્ષ જોવા મળે છે, જેથી બાળકો પોતાની ઓનલાઈન ક્લાસ જોઈન કરી શકે.
ઓનલાઈન ક્લાસમાં ભણવા વારાફરતી રાહ જોવી ચિંતાજનક
ભારતમાં શિક્ષણ પર સામાજીક અનુભવની રિપોર્ટ અનુસાર, ગ્રામીણ ભારતમાં માત્ર 15 ટકા લોકો સુધી ઈન્ટરનેટ પહોંચી શક્યું છે. જ્યારે શહેરોમાં આ આંક 42 ટકા જેટલો છે. આ રિપોર્ટ 2017-18ના નેશનલ સેમ્પલ સરવે પર આધારિત છે. જે અનુસાર અત્યંત ગરીબ પરિવાર સ્માર્ટફોન કે કોમ્પ્યૂટરનો ખર્ચ ઉપાડી શકતું નથી. આ અંગે દિલ્હી યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગની પ્રમુખ ડૉ. રજની પાલરીવાલાએ કહ્યું,‘કોવિડ-19 મહામારીને કારણે સ્કૂલો બંધ થવાની અસર માત્ર શિક્ષણ સુધી મર્યાદિત નથી. તેની ઘણી અસર છે. કેરળમાં વિદ્યાર્થીનીનું મોત, નેટવર્ક મેળવવા જુકેલી છત પર બેસી ભણતી સગીરા અથવા 3 બાળકો દ્વારા ઓનલાઈન ક્લાસમાં ભણવા માટે માતા-પિતાનું ફોન મેળવવા અંગે વારાફરતી રાહ જોવી ચિંતાજનક ઉદાહરણ છે. જો વધુ સંસ્થાઓ ડિજિટલ અસમાનતાને દૂર કરવા માટે લાંબા કે ટૂંકાગાળા માટે કોઈ પ્રયાસ કરે છે પરંતુ એક અભૂતપૂર્વ સામાજીક હોનારતથી બચી શકાય છે.’
નબળા વર્ગ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી
એક અન્ય પ્રોફેસરે કહ્યું કે, આ સારી વાત છે કે શિક્ષણ અટકે નહીં તે માટે ઓનલાઈન ક્લાસનો પ્રારંભ કરવામાં આવ્યો. પરંતુ તેનાથી એ લોકોને અસર થશે જેમની પાસે ડિજિટલ સંશાધનો નથી. ખાસ કરીને નબળા વર્ગ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓ ડિજિટલ અસમાનતા તરફ જોવા મળશે. વહેલા કે મોડા તેઓ આ રેસમાં પાછળ રહી જશે. ઈન્ફોસિસના અધ્યક્ષ નંદન નિલકેણીએ પણ ઓનલાઈન ક્લાસ તરફ આગળ વધવાને ટૂંકાગાળાનો ગ્રાફ ગણાવ્યો હતો.
દેશમાં 35 કરોડ સ્ટુડન્ટ, પરંતુ કેટલા પાસે ઈન્ટરનેટ તેની માહિતી નથી
દેશમાં 35 કરોડથી વધુ વિદ્યાર્થીઓ છે, પરંતુ એ સ્પષ્ટ નથી કે કેટલા પાસે ઈન્ટરનેટ ઉપલબ્ધ છે. ઓડિટ અને માર્કેટિંગ એજન્સી કેપીએમજી તથા ગૂગલની રિપોર્ટ અનુસાર, ઉચ્ચ શિક્ષણમાં અંદાજે 4 કરોડ વિદ્યાર્થી છે. દેશના પ્રમુખ શિક્ષણ બોર્ડ સીબીએસઈની 2019ની પરિક્ષા માચે 10 અને 12માં ધોરણના 31 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા નોંધાયેલા કેસની ગતિ છેલ્લાં ત્રણ દિવસ કરતાં થોડી ધીમી પડી છે અને લગભગ વીસેક ઓછા કેસ નોંધાયા છે. થોડો હાંશકારો બતાવે તેવો આ આંક રવિવારે 480નો રહ્યો અને આ સાથે રાજ્યમાં કુલ પોઝિટીવ દર્દીઓનો આંક 20,097 પર પહોંચ્યો છે. હવે અમદાવાદમાં કોરોનાથી મોતનો આંકડો 1000 થઇ ગયો છે. સારી વાત એ છે કે સાજા થનારાની સંખ્યા પણ 10,000ની નજીક છે. આ 1000 પણ છે અને 10,000 પણ. આ દર્દ પણ છે અને હિંમત પણ. આ દુખની ઘડી પણ છે અને જુસ્સાની ક્ષણ પણ.
ગુજરાતમાં કુલ મૃતકાંક 1,249 પર પહોંચ્યો
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 30 લોકોના મૃત્યુ થયાં છે અને આ સાથે કુલ મૃતકાંક 1,249 પર પહોંચ્યો છે. રવિવારે અમદાવાદમાં 21, સૂરતમાં 2 તથા બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, કચ્છ અને રાજકોટમાં એક-એક દર્દીઓના મોત નોંધાયા છે. ગુજરાતમાં મૃત્યુદર ભારતમાં સૌથી વધુ 6.21 ટકા છે. હાલ ગુજરાતમાં 67 દર્દીઓની હાલત ગંભીર છે. આ તરફ રાજ્યમાંથી કુલ 310 દર્દીઓને રવિવારે ડિસ્ચાર્જ અપાયો હતો અને આ સાથે કુલ 13,643 દર્દીઓ સાજા થઇને ઘરે ગયાં છે.હાલ ગુજરાતમાં સાજા થનારા દર્દીઓનું પ્રમાણ 70 ટકા નજીક છે.
માર્ચના છેલ્લા અઠવાડિયાથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણપણે ઠપ છે. સિનેમાઘરોમાં છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મો ‘કામયાબ’ અને ‘અંગ્રેજી મીડિયમ’ હતી. હવે ‘બમફાડ’, ‘ઘૂમકેતુ’ અને ‘ગુલાબો સિતાબો’ સિનેમાઘરોના બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. તેના કારણે સિનેમાઘરો અને ફિલ્મ વિતરકો ઘણું નુકસાન વેઠી રહ્યા છે. ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહન કહે છે કે એક અંદાજ મુજબ સિનેમાઘર માલિકો અને ફિલ્મ વિતરકોને દર અઠવાડિયે લગભગ 55 કરોડ રૂ.નું નુકસાન થઇ રહ્યું છે, એટલે કે દર મહિને 200 કરોડ રૂ.થી વધુ.
‘સૂર્યવંશી’, ‘83’ અને આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ પર આશા
નિર્માતા કબીર ખાન કહે છે કે પ્રોડ્યુસર્સને સિનેમાઘર માલિકોની ચિંતા છે. તેમણે પણ પ્રોડ્યુસર્સની ચિંતા કરવી જોઇએ. એવો રસ્તો કાઢવો જોઇએ કે જેથી પ્રોડ્યુસર્સ નિશ્ચિંતપણે પોતાની ફિલ્મ સિનેમાઘરમાં રિલીઝ કરી શકે અને પોતે રોકેલા નાણા જેટલું વળતર મેળવી શકે. ‘સૂર્યવંશી’, ‘83’ અને આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ સહિત અંદાજે 12 મોટી ફિલ્મો એવી છે કે જે સિનેમાઘરો ખુલ્યા બાદ રિલીઝ કરાય તો તગડો નફો કરાવી શકે છે.
જુલાઇ સુધી સિનેમાઘરો બંધ રહે તો 750 કરોડ રૂ.થી વધુ નુકસાન
ટ્રેડ પંડિત રાજ બંસલ કહે છે કે ઇન્ડસ્ટ્રીના નુકસાનની વાત કરીએ તો સૌથી મોટું નુકસાન સિનેમાઘર માલિકોને છે. જુલાઇ સુધી સિનેમાઘરો બંધ રહે તો 15 અઠવાડિયામાં તેમને 750 કરોડ રૂ.થી વધુ નુકસાન થઇ શકે છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ કહે છે કે લૉકડાઉનના કારણે માર્ચથી અત્યાર સુધીમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને 1 હજાર કરોડ રૂ.નું નુકસાન થયું છે.
હવે સોલો રિલીઝ મળવી મુશ્કેલ
ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો જણાવે છે કે લૉકડાઉન ન હોત તો મોટા ભાગની બિગ બજેટ ફિલ્મોને સોલો રિલીઝ મળે તેમ હતી પણ હવે આવનારા મહિનાઓમાં આવી ઘણી ફિલ્મો ભેગી થશે. એક જ દિવસે બે ફિલ્મો રિલીઝ થશે અને એકબીજાનો બિઝનેસ ઘટાડશે. નિર્દેશક કરણ મલ્હોત્રાનું કહેવું છે કે જે ફિલ્મને સોલો રિલીઝ ન મળે તેને ડિજિટલ પ્લેટફોર્મ અને સેટેલાઇટ રાઇટ્સના પણ ઓછા પૈસા મળે છે.
આ ફિલ્મો રિલીઝ માટે તૈયાર
ફિલ્મ | એક્ટર |
લાલ સિંહ ચઢ્ઢા | આમિર ખાન |
83 | રણવીર સિંહ |
સૂર્યવંશી | અક્ષય કુમાર |
સડક-2 | સંજય દત્ત |
ચેહરે | અમિતાભ બચ્ચન |
શમશેરા | રણબીર કપૂર |
ભુજ | અજય દેવગન |
જર્સી | શાહિદ કપૂર |
ગંગુબાઇ કાઠિયાવાડી | આલિયા ભટ્ટ |
જયેશભાઇ જોરદાર | રણવીર સિંહ |
પૃથ્વીરાજ ચૌહાણ | અક્ષય કુમાર |
બ્રહ્માસ્ત્ર | અમિતાભ બચ્ચન |
હરિયાણાના ગુરુગ્રામ સ્થિત મેદાંતા મેડિસિટી હોસ્ટિલ અને તેના ચેરમેન ડૉ. નરેશ ત્રેહન તથા તેમના 52 સહયોગીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. જિલ્લા પોલીસે ગુરુગ્રામ સિવિલ કોર્ટના આદેશ પર શનિવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગુરુગ્રામ સદરના એસીપી અમન યાદવે કહ્યું કે મની લોન્ડરિંગ એક્ટ અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ તપાસ જારી છે.
રાજ્યભરમાં રવિવારે સાર્વત્રિકપણે હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં રવિવારે 4 ઇંચ વરસાદ વરસતા ઘણી જગ્યાએ પાણી ભરાયા હતા. જ્યારે ઉનામાં પણ ગણતરીના કલાકોમાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો. ઉનામાં રાજ્યનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. થરાદમાં સૌથી વધુ 4 ઇંચ પાણી પડ્યું હતું. જ્યારે દિયોદરમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.
ક્યાં કેટલો વરસાદ
શહેર | વરસાદ ઇંચમાં |
ઉના | 6 |
થરાદ | 4 |
સુરત | 4 |
ખાંભા | 3 |