
અમદાવાદના જાણીતા કાર્ડિયાક સર્જન અને વિશ્વમાં જેમનું નામ ખૂબ મોટું મનાય છે તેવા પદ્મશ્રી ડૉ. તેજસ પટેલે કહ્યું કે હાલ જે રીતે ગુજરાતમાં અને અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસનો વધારો થઇ રહ્યો છે તે જોઇએ તો આવતાં પંદર દિવસથી ત્રીસ દિવસમાં કેસ ઘણાં ઘટી જાય તેવું બને. વિશ્વભરના પોતાના તબીબ મિત્રો સાથે સતત સંપર્ક દ્વારા કોરોના વાઇરસ અંગેના સંશોધનો અને અભ્યાસ તારવ્યાં બાદ તેમના અનુભવ થકી ડો. પટેલ આમ જણાવે છે.
સવાલ: ગુજરાતમાં હાલ ખૂબ કેસ છે અને અમદાવાદમાં તો સ્થિતિ ખૂબ ખરાબ છે, ક્યાં સુધીમાં સામાન્ય થશે
ડૉ. તેજસ પટેલ: હું મારા અનેક તબીબ મિત્રો સાથે સંપર્કમાં છું. ન્યૂ યોર્ક અને તેની આસપાસના બ્રુકલિન અને અન્ય વિસ્તારોમાં રહેતાં તબીબોએ જણાવ્યું કે ત્યાં હવે નવા કેસ નોંધાવાની ગતિ ખૂબ ઘટી ગઇ છે. આમ પણ જ્યાં કેસ ખૂબ વધે છે ત્યાં એ પછી ધીરે-ધીરે ઘટવા પર આવે છે. ગુજરાતમાં પણ હું માનું છું કે જે ગતિથી કેસ નોંધાઇ રહ્યાં છે, તે જોતાં આવતાં પંદરથી ત્રીસ દિવસમાં કેસ ઓછા થઇ શકે છે. આમ જ થાય તેવું ના કહેવાય પણ મોટાભાગના દેશોનો અભ્યાસ જણાવે છે કે આમ જ થાય છે.
સવાલ:ગુજરાતમાં મૃત્યુના કિસ્સા પણ ખૂબ વધુ છે, તો કેમ આવું થાય છે
ડો. તેજસ પટેલ: જુઓ, અમે ડોક્ટરો આંકડા પર ધ્યાન આપવાને બદલે જે લોકો ઇન્ફેક્ટ થાય છે તેમને સાજા કરવા પર વધુ ધ્યાન આપીએ છીએ અને તેમ જ થવું જોઇએ. બીજું કે ઘણી વાર આપણે ત્યાં દર્દીઓની સ્થિતિ ખૂબ નાજૂક હોય પછી આવે છે, તેમ ન થવું જોઇએ. બીજું કે આપણે જોઇએ તો મૃત્યુ થાય છે તેવા લોકોની શારિરીક ક્ષમતા પણ ઓછી હોય છે જેમ કે હ્રદય, કીડની, ડાયાબિટીસ જેવા રોગ હોય તો તેમને તકલીફ થઇ શકે છે.
સવાલ: હવે વરસાદની સિઝન શરૂ થશે તો તેનો કોઇ પ્રભાવ સંક્રમણ પર પડશે
ડો. તેજસ પટેલ: એનો પ્રભાવ એ થશે કે સંક્રમણ ઓછું થઇ શકે. અમેરિકન સંસ્થાનો અભ્યાસ અને તારણ દર્શાવે છે કે જો ભેજવાળું વાતાવરણ હોય અને 35 ડિગ્રી કરતાં વધુ તાપમાન હોય તો વાઇરસનું વહન હવામાં ઓછું થાય છે અને તેથી નબળો પડે અને સંક્રમણ પણ ઓછું થઇ શકે. આપણે ત્યાં જૂન જુલાઇમાં આવું જ વાતાવરણ થાય છે તેથી અહીં આ દરમિયાન કેસોમાં ઘટાડો થઇ શકે. પણ સામે વરસાદમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લુ જેવાં કેસો નોંધાય છે. તેથી તેમાં કન્ફ્યુઝન થઇ શકે, અને કેસ વધારે નોંધાય છે તેવું લાગે.
સવાલ: હવે તો લૉકડાઉન ખૂલી ગયું, તો કેસ વધી જશે નહીં
ડૉ. તેજસ પટેલ: મને કહો કે આવો ડર કેમ રાખો છો, તમને સ્વાઇન ફ્લુ થઇ જશે, મેલેરિયા થઇ જશે કે બીજો કોઇ રોગ થઇ જશે તેનો ડર તમને કેટલો છે. હું એટલું કહીશ કે કોરોના સામે લડવા જવાની જરૂર નથી, કારણ કે તેમ કરવામાં સંક્રમણ લાગી શકે છે, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. તે ઉપરાંત સાવ ડરી-ડરીને રહો અને બહાર ન જાવ તે પણ યોગ્ય નથી. માનસિક રીતે નબળા પડવાથી તો સાવ વિપરિત પરિણામો આવી શકે. પરંતુ સાવ બેફિકર થવાની જરૂર નથી, કારણ કે યુવાન છોકરા-છોકરીઓ ઘણીવાર નિયમ પાલન કરતાં નથી, પણ તે સારું નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2A1loRH
No comments:
Post a Comment