(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર, 2020, મંગળવાર
રાજ્યસભામાં આઠ સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં વિપક્ષે મંગળવારે રાજ્યસભા અને લોકસભા બંને ગૃહના બાકીના સત્રનો બહિષ્કાર કર્યો હતો અને આઠ સાંસદોનું સસ્પેન્શન પાછું ન ખેંચાય ત્યાં સુધી સત્રનો બહિષ્કાર કરવાની તેમણે જાહેરાત કરી હતી.
બીજીબાજુ કેન્દ્ર સરકારે સાંસદો પહેલાં માફી માગે પછી સસ્પેન્શન રદ કરવા અંગે વિચારણા થશે તેમ જણાવ્યું હતું. વિપક્ષે સત્રનો બહિષ્કાર કરતાં સંસદ પરિસરમાં તેમના સસ્પેન્શનના વિરોધમાં ધરણાં કરનાર આઠ સાંસદોએ 24 કલાકમાં ધરણાં ખતમ કર્યા હતા. રાજ્યસભામાં વિપક્ષની ગેરહાજરીમાં સરકારે સાડા ત્રણ કલાકમાં સાત બિલ પસાર કરી દીધા હતા.
રાજ્યસભામાંથી આઠ સાંસદોના સસ્પેન્શનનો વિરોધ કરી રહેલા પક્ષોમાં કોંગ્રેસ, સીપીઆઈ-એમ, સીપીઆઈ, તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, સમાજવાદી પાર્ટી, શિવસેના, રાજદ, ડીએમકે, ટીઆરએસ અને આપનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સાંસદોએ સૌપ્રથમ સત્રનો બહિષ્કાર કરતાં ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. ત્યાર પછી અન્ય પક્ષના સાંસદો પણ ગૃહમાંથી નીકળી ગયા હતા. રાજ્યસભાના સાંસદોને સમર્થન કરતાં લોકસભામાંથી પણ વિપક્ષે વોકઆઉટ કર્યું હતું.
રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, આઠ સાંસદોનું સસ્પેન્શન પાછું ન ખેંચાય ત્યાં સુધી સત્રની કાર્યવાહીનો બહિષ્કાર ચાલુ રહેશે. તેમણે એવી પણ માગણી કરી હતી કે કોઈપણ ખાનગી કંપની ખેડૂતો પાસેથી સરકાર દ્વારા નિશ્ચિત લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)થી નીચે ખાદ્યાન્ન ખરીદી ન શકે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સહિત બધી જ સરકારી એજન્સીઓ ખેડૂતો પાસેથી એમએસપી કરતાં નીચા દરે ખાદ્યાનની ખરીદી ન કરે અને સમગ્ર દેશમાં સ્વામીનાથન સમિતિની ફોર્મ્યુલા મુજબ જ એમએસપી નિશ્ચિત થાય તેવું એક બીલ સરકાર રજૂ કરે. અમારી આ માગણીઓનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કરવામાં આવશે.
ગૃહમાં વિપક્ષને બોલવા માટે ઓછો સમય અપાતો હોવાની આઝાદે ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે વિપક્ષને બોલવા માટે વધુ સમય આપવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર હવે 'એક રાષ્ટ્ર, એક બજાર' ઈચ્છે છે, તેની સાથે અમને કોઈ સમસ્યા નથી. અગાઉ સરકારે કહ્યું હતું 'એક રાષ્ટ્ર એક કર' પછી કહ્યું 'એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ' પરંતુ ભગવાનને ખાતર 'એક રાષ્ટ્ર એક પાર્ટી' એમ ન કહેશો.
રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ વિપક્ષને સત્રનો બહિષ્કાર કરવાના નિર્ણય પર પુન: વિચાર કરવા અને ગૃહની બિલો પર ચર્ચાની કાર્યવાહીમાં જોડાવા વિનંતી કરી હતી. બીજીબાજુ સંસદીય બાબતોના મંત્રી પ્રહ્લાદ જોશીએ જણાવ્યું હતું કે, સસ્પેન્ડ થયેલા સાંસદો પહેલાં માફી માગે તો સરકાર સસ્પેન્શન પાછું ખેંચવા અંગે વિચાર કરી શકે છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/300lGC9