Ad

Monday, September 21, 2020

વિપક્ષનું શુક્રવારે દેશભરમાં આંદોલન, બિલને મંજૂરી ન આપવા રાષ્ટ્રપતિને અપીલ


નવી દિલ્હી, તા. 21 સપ્ટેમ્બર, 2020, સોમવાર

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ બિલનો વિરોધ વધુ ઉગ્ર બનતો જાય છે. ખેડૂતોએ હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ બાદ હવે દક્ષિણ ભારતમાં પણ ઉગ્ર દેખાવો શરૂ કરી દીધા છે. પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં ખેડૂત સંગઠનો અને રાજકીય પક્ષોએ બિલના વિરોધમાં પ્રદર્શનો કરવાની જાહેરાત કરી છે.

જ્યારે કોંગ્રેસે અને 10 મોટા ટ્રેડ યુનિયનોએ દેશભરમાં આ બિલના વિરોધમાં ઉગ્ર આંદોલનની જાહેરાત કરી દીધી છે. જેને પગલે આગામી દિવસોમાં સરકારને ખેડૂતો જ નહીં વિપક્ષ પણ ભીસમાં લેવાની તૈયારીમાં છે. 

કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે કહ્યું હતું કે કોંગ્રેસ દેશભરમાં બિલના વિરોધમાં આંદોલન કરશે અને કરોડો ખેડૂતોની સહી લેવામાં આવશે. દેશભરમાં કોંગ્રેસના નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરશે, તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાના નેતાઓ અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરશે અને આવેદનપત્રો આપશે. 

દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે કેન્દ્રના કૃષિ બિલોને કારણે દેશમાં દુષ્કાળ જેવી સિૃથતિનું નિર્માણ થશે. કેમ કે ખેડૂતોને ટેકાના ભાવ નહીં મળે અને ખેતી નાશ પામશે.

મમતાએ સાથે કહ્યું કે એક તરફ દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ને બીજી તરફ કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં ખેડૂત વિરોધી બિલોને પસાર કરી દેશમાં દુષ્કાળની પરિસિૃથતિ ઉભી કરવા માગે છે. જો ખેડૂતોને ટેકાના ભાવ નહીં મળે તો ખાધ્ય પદાર્થોની એક મોટી અછત ઉભી થશે. અને સંગ્રહખોરી પણ વધશે. 

બીજી તરફ પંજાબમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. આ સિૃથતિ વચ્ચે કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ આંદોલનમાં જોડાયા હતા અને રાજ્યવ્યાપી આંદોલન કર્યું હતું. કોંગ્રેસના રાજ્યના પ્રદેશ પ્રમુખ સુનિલ જાખરે આ વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી હતી અને કેન્દ્ર સરકારને ખેડૂત વિરોધી બિલોને લઇને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે આ બિલ ખેડૂતો માટે બહુ જ મોટા નુકસાનકારક સાબિત થશે.

જ્યારે તમિલનાડુમાં ડીએમકે અને તેના સાથી પક્ષોએ પણ રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. ડીએમકેના જણાવ્યા મુજબ આગામી 28મી તારીખે તમિલનાડુમાં આ બિલના વિરોધમાં અમે ખેડૂતોની સાથે રસ્તા પર ઉતરીશું. જ્યારે ખેડૂત સંગઠનોએ 25મી સપ્ટેમ્બરે જે દેશવ્યાપી ભારત બંધની જાહેરાત કરી છે તેને તમિલનાડુના ડીએમકે અને તેના સાથી પક્ષોએ ટેકો આપવાની જાહેરાત કરી હતી.

દરમિયાન તમિલનાડુમાં ડાબેરી પક્ષોએ રાજ્યવ્યાપી આંદોલન કર્યું હતું અને બિલને સમર્થન આપનારા તમિલનાડુના સત્તાધારી પક્ષના મુખ્ય પ્રધાન કે પલાનીસ્વામીના રાજીનામાની માગણી કરી હતી. બીજી તરફ રાજ્યસભામાં બિલ પસાર થઇ ગયા હોવાથી હવે તેને અંતીમ ઓપ આપવા માટે રાષ્ટ્રપતિની સહીની જરૂર રહેશે. 

તેથી કોંગ્રેસ, ડાબેરી પક્ષો, એનસીપી, ડીએમકે, સપા, ટીએમસી, આરજેડી સહિતના પક્ષોએ રાષ્ટ્રપતિને પત્ર લખીને અપીલ કરી હતી કે તેઓ ખેડૂત વિરોધી બિલોને મંજૂરી ન આપે. દરમિયાન બેંગાલુરૂમાં હજારો ખેડૂત, મજૂર, દલિત સંગઠનો રસ્તા પર ઉતર્યા હતા, અહીંના ફ્રીડમપાર્કમાં કેન્દ્રની નીતિઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થયા હતા. 

ભાજપની સરકાર વિપક્ષોનો અવાજ દબાવી રહી છે: કોંગ્રેસ

ભાજપ સરકાર સામે વિપક્ષોએ નિશાન સાધ્યું હતું. આઠ સાંસદો સસ્પેન્ડ થયા તે મુદ્દે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભાજપની સરકાર વિપક્ષોનો અવાજ દબાવીને લોકતંત્રની હત્યા કરી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભાજપની સરકાર ઘમંડી છે અને મનસ્વી નિર્ણયો કરે છે. વિપક્ષનો અવાજ દબાવીને દેશની સમસ્યા અંગે બેદરકારી દાખવવામાં આવે છે. તૃણમૂલ કોંગ્રેસના બે સાંસદો પણ સસ્પેન્ડ થયા છે. તે અંગે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ તીખી પ્રતિક્રિયા આપી હતી. મમતા દીદીએ કહ્યું હતું કે સરકારના અન્યાયી બિલ સામે સંસદમાં અવાજ ઉઠાવાશે તેમ જ શેરીઓમાં પણ ઉતરી આવીને તૃણમૂલ કોંગ્રેસ કેન્દ્ર સરકારના અન્યાયનો જવાબ આપશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32NJlaG

No comments:

Post a Comment