Ad

Sunday, September 20, 2020

બિલના વિરોધમાં ખેડૂતોએ મોદીના પુતળા અને ટ્રેક્ટર સળગાવ્યા


વિરોધમાં ભાજપના સાથી પક્ષ જેજેપીના બે ધારાસભ્યો રસ્તા પર ઉતર્યા

આરએસએસના સંગઠન કિસાન સંઘના અનેક કાર્યકર્તાઓ વિરોધમાં સામેલ થયા

ચંડીગઢ, તા. 20 સપ્ટેમ્બર, 2020, રવિવાર

કેન્દ્ર સરકારના કૃષી બિલોનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે. હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશમાં ખેડૂતો વિફર્યા હતા અને ઠેર ઠેર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પુતળા બાળ્યા હતા. જ્યારે કેટલાક વિસ્તારોમાં નારાજ ખેડૂતોએ સરકાર વાત ન સાંભળતા પોતાના ટ્રેક્ટર પણ સળગાવ્યા હતા.

હરિયાણામાં પોલીસે ખેડૂતો પર ફરી બળપ્રયોગ કર્યો હતો અને વોટર કેનનો મારો ચલાવ્યો હતો. આ વિરોધમાં હવે ભાજપના સાથી પક્ષ અકાળી દળ બાદ જનનાયક જનતા પાર્ટીના નેતાઓ પણ રસ્તા પર ઉતર્યા હતા. 

પંજાબમાં ખેડૂતોએ કેન્દ્રના બિલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પુતળા સળગાવી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. બપોરે 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી અનેક રોડ રસ્તાઓને ખેડૂતોએ પોતાના કબજામાં લઇ લીધા હતા અને બ્લોક કરી દીધા હતા. આ વિરોધમાં ભારતીય કિસાન યુનિયન પણ જોડાયું હતું. જ્યારે અનેક વિસ્તારોમાં મંડીના કમિશન એજન્ટો પણ ખેડૂતોની સાથે રસ્તા પર ઉતર્યા હતા. 

હરિયાણામાં સરકારે મોટા પાયે પોલીસ તૈનાત કરી દીધી હતી. અહીંના અંબાલા નેશનલ હાઇવેને ખેડૂતોએ બ્લોક કરી દીધો હતો.અંબાલા દિલ્હી અને ચંડીગઢ તરફ જતા હાઇવે પર ભારે ટ્રાફિક સર્જાયો હતો.

આ બિલ અમારી રોજીરોટી છીનવી લેશે જેવા દાવા સાથે ખેડૂતોએ તેને જાહેરમાં સળગાવ્યું હતું. સરકારનો દાવો છે કે આ બિલથી ખેડૂતોને ફાયદો થશે કેમ કે તેઓ ઇચ્છે તે વેપારીને પોતાની વસ્તુ વેચી શકશે જ્યારે ખેડૂતોની દલીલ છે કે આમ કરવાથી મંડી સિસ્ટમ જ નીકળી જશે અને સરકાર ટેકાના ભાવ જાહેર કરવાથી તેમજ ખરીદી કરવાથી બચી જશે, સંગ્રહખોરીને પણ છુટ આપી દીધી છે. 

હરિયાણામાં ભાજપના સાથી પક્ષ જેજેપીના ધારાસભ્ય જોગીરામ અને રામકરણ પણ રસ્તા પર ઉતર્યા હતા અને રાજીનામા આપી દેવાની ચીમકી આપી હતી. જ્યારે એક અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુએ કહ્યું હતું કે આ બિલથી ખેડૂતોને નહીં પણ કોર્પોરેટ સેક્ટરને જ ફાયદો થશે. જ્યારે ખેડૂત સંગઠનના હરિયાણાના નેતા ગુરમાનસિંહે કહ્યું હતું કે ખેડૂતો વિરોધ કરી રહ્યા હોવા છતા સરકારે આ બિલને બન્ને ગૃહોમાં પસાર કરાવી દીધા તે અતી દુ:ખદ છે. હરિયાણા પંજાબ સરહદે સિૃથતિ વધુ તંગદીલ બની હતી કેમ કે વિરોધમાં યુથ કોંગ્રેસના અનેક યુવકો પણ જોડાયા હતા. 

પંજાબમાં ખેડૂતોને રેલી આગળ વધતી અટકાવવા મજબૂર કરાયા હતા જેને પગલે નારાજ ખેડૂતોએ પોતાના જ ટ્રેક્ટરને આગને હવાલે કરી દીધા હતા. અગાઉ પંજાબમાં બિલના વિરોધમાં એક ખેડૂતે ઝેર પી આત્મહત્યા કરી લીધી હતી. છતા સરકાર બિલ પરત લેવા તૈયાર ન થતા આ વિરોધ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35RpCIT

No comments:

Post a Comment