Ad

Saturday, September 19, 2020

ચીનને લશ્કરની માહિતી પહોંચાડનારા પત્રકાર રાજીવ શર્માની દિલ્હીથી ધરપકડ


દિલ્હીમાં કંપની બનાવી ચીનમાં દવા નિકાસ થતી હતી : દવાના પેમેન્ટ તરીકે આવતા પૈસાનો ઉપયોગ જાસૂસો પાછળ કરાતો હતો

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 19 સપ્ટેમ્બર, 2020, શનિવાર

ચીન માટે જાસૂસી કરી રહેલા પત્રકાર રાજીવ શર્માની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે શર્મા ચીનને ભારતીય લશ્કરના જમાવડાના સ્થળો, લશ્કર માટે સામગ્રીની ખરીદી, તથા અન્ય વ્યુહાત્મક માહિતી ચીનને પુરી પાડતા હતા. ચાઈનિઝ ઈન્ટેલિજન્સ એજન્સીને આ માહિતી શર્મા સોશિયલ મીડિયા અને ઈ-મેઈલ દ્વારા પહોંચાડતા હતા.

દરેક માહિતી બદર શર્માને એક હજાર ડોલર (73 હજાર રૂપિયા) મળતા હતા. દિલ્હી પોલીસે શર્માની 14મી તારીખે ધરપકડ કરી ત્યારે તેમની પાસેથી કેટલાક ગુપ્ત દસ્તાવેજો પણ મળ્યા હતા. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના ડીસીપી સંજીવ કુમાર યાદવે કહ્યું હતું કેે કેવા પ્રકારની માહિતી ચાઈનિઝ ઈન્ટેલિજન્સ એજન્સીને પહોંચાડી તેની તપાસ ચાલુ છે.

શર્માના ઈન્ટરોગેશનના આધારે તેની ચાઇનિઝ મહિલા સાથીદાર અને અન્ય નેપાળી મદદગારની પણ ધરપકડ કરી લેવાઈ છે. ચીની મહિલા અને નેપાળી એજન્ટ બન્ને દિલ્હીમાં એક કહેવાતી કંપનીના ડિરેક્ટરો છે. તેઓ કંપનીમાંથી ચીનમાં દવાની નિકાસ કરતા હતા અને એ પછી મોટી રકમ મેળવતા હતા.

દવાના પેમેન્ટ તરીકે મળતી મોટી રકમનો ઉપયોગ ભારત સ્થિત આવા માહિતી આપનારા એજન્ટોને ચૂકવવા માટે થતો હતો. દિલ્હી પોલીસની ગણતરી પ્રમાણે અત્યાર સુધીમાં શર્માને 40થી 45 લાખ જેવી રકમ મળી હોવી જોઈએ. શર્મા ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સ માટે પણ સ્ટોરી-આર્ટિકલ લખતા હતા.

ભારતમાં પણ કેટલાક અખબારોમાં તેઓ લખતા હતા. શર્મા પાસે પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરોનું એક્રેડિકેશન કાર્ડ હોવાથી તેઓ દિલ્હીમાં સરળતાથી મંત્રી-અધિકારીઓને મળી શકતા હતા. 2016માં માઈકલ નામના ચીની જાસૂસે શર્માનો સંપર્ક કર્યો હતો.  ત્યારથી  શર્માએ ચીનને માહિતી પહોંચાડવાની શરૂઆત કરી હતી. 

માઈકલ અને શર્માનો સંપર્ક સોશિયલ મીડિયા પર થયો હતો. બાદમાં શર્માએ ચીનની મુલાકાત લીધી હતી અને ત્યાં તેને જાસૂસી બદલ મોટી રકમની ઓફર મળી હતી. એે ચીન યાત્રાનો સંપૂર્ણ ખર્ચ પણ માઈકલે જ ઉઠાવ્યો હતો. ચીન-ભારતના વર્તમાન સંઘર્ષ અંગે શર્માને જે માહિતી મળી એ તેમણે ચીન પહોંચાડી હતી. 

2019માં વળી શર્માની મુલાકાત જ્યોર્જ નામના બીજા ચાઈનિઝ એજન્ટ સાથે થઈ હતી. તેને પણ શર્માએ માહિતી પહોંચાડવાનું ચાલુ રાખ્યુ હતુ એવી વિગત ડીસીપી સંજીવ યાદવે આપી હતી. શર્મા છેલ્લા ચાલીસ વર્ષથી પત્રકાર છે અને 2010થી તેઓ ફ્રીલાન્સિંગ કરે છે. ફ્રિલાન્સિંગ એટલે કે તેઓ કોઈ એક સમાચાર સંસ્થામાં નોકરી કરવાને બદલે અલગ અલગ સંસ્થાઓ માટેે કામ કરે છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iNweMe

No comments:

Post a Comment