
from India Today | Top Stories https://ift.tt/2zVun6B
શહેરમાં 30 એપ્રિલ સાંજથી 1 મે સાંજ સુધીમાં કોરોનાના 267 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 16 લોકોના મોત થયા છે. AMC દ્વારા જાહેર કરવામાં આવેલ યાદી અનુસાર અત્યાર સુધીમાં અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ 3293 કેસ નોંધાયા છે. જેમાંથી 165ના મોત અને 399 લોકો સાજા થતાં ડીસ્ચાર્જ કરાયા છે. 1 મે એ સાંજ જાહેર કરેલ યાદીમાં અમદાવાદમાં વેજલપુર, નવરંગપુરા, મણિનગર, જમાલપુર, સરસપુર, આસ્ટોડિયા, અસારવા, દરિયાપુર, બાપુનગર, ખાનપુર, લાલ દરવાજા, દાણીલીમડા, ઘોડાસર, એલિસબ્રિજ, થલતેજ, બોડકદેવ રોડ, પાલડી, સાબરમતી, સરખેજ વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.
સુરત શહેરમાં શુક્રવારે 26 કોરોના પોઝિટિવ દર્દીઓે ડિસ્ચાર્જ થયાં છે, જ્યારે રિકવરી રેટમાં પણ વધારો થયો છે ત્યારે 70 વર્ષના ચંદ્રિકા જરીવાલાએ 15 દિવસ કોરોના વોર્ડમાં રહ્યા હતાં. આ સાથે 4 વર્ષની માહિરા બોબતએ પણ વોર્ડમાંથી રજા મેળવી ઘરે ગઇ છે. દિવ્ય ભાસ્કરે શુક્રવારે રજા મેળવનાર સૌથી નાની વયની માહિરાના પિતા અને સૌથી મોટી ઉંમરના ચંદ્રિકાબેન સાથે વાત કરી હતી.
ભોજન ન ભાવતા હું માત્ર દૂધ અને દવાના સહારે જ દિવસભર રહેતી
માન દરવાજા ટેનામેન્ટ ખાતે રહેતા ચંદ્રિકા જરીવાલાએ જણાવ્યું હતું કે, ‘ 17 દિવસ પછી મને રજા અપાઇ છે. મને માત્ર બ્લડ પ્રેશરની જ સમસ્યા છે. મને ખબર નથી કે કેવી રીતે હું ચેપગ્રસ્ત બની. પરંતુ મને હોસ્પિટલમાં કોઈ વસ્તુ ભાવતી ન હતી. હું માત્ર દવા પીતી હતી. 15 દિવસમાં મેં માત્ર 2 રોટલી જ ખાધી છે. મને દુધ અને લિક્વીડ વસ્તુઓ આપવામાં આવતી હતી તે જ પીતી હતી. હું મોટા ભાગે દૂધ પર જ રહી છું. દવા ડોક્ટરના કહેવા પ્રમાણે લેતી હતી. મારા પતિ 72 વર્ષના છે, એમને પણ કોરોના પોઝિટિવ છે, પરંતુ હજી એમને રજા આપવામાં આવી નથી.’
હોસ્પિટલમાં મળતું જમવાનું અને સિરપથી જ દીકરીએ જીત મેળવી
માહિરાના પિતા મોહસીને જણાવ્યું હતું કે, માહિરા બોબતને 16મીએ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને 17મી એપ્રિલના રોજ તેમને સિવિલમાં દાખલ કરાઇ.એમના પિતાએ કહ્યું હતું કે, ‘માહિરાને 15 દિવસ સુધી હોસ્પિટલમાં સવારે અને સાંજે 5-5 એમએલ સિરપ આપવામાં આવતી હતી. આ સિવાય બીજી કોઈ પણ દવા આપવામાં આવી ન હતી. માત્ર સિરપથી જ કોરોનાને હરાવ્યો છે.’
શહેરમાં કોરોના જેટલું જ જાણીતું નામ ચોકબજાર સ્થિત એકતા ટ્રસ્ટના અબ્દુલ મબલારીનુંથઇ ગયું છેે. કોવિડનો પેશન્ટનું જો મૃત્યું થાય તો બોડીની અંતિમવિધીની જવાબદારી એકતા ટ્રસ્ટ કરે છે. ઘણીવાર એવું બને કે એક તરફ હોસ્પિટલમાંથી ફોન આવે અને બીજી તરફ રોઝો ખોલવાનો સમય હોય.
અજાણ્યા ઘરમાંથી ખજૂર અને પાણી માગીને રોઝો ખોલ્યો
હાલમાં એવું બન્યુ કે એક બોડી સ્મશાનગૃહ પહોંચાડવાની હતી અને બીજી તરફ 14 કલાકથી રાખેલો રોઝો છોડવાનો સમય થઈ ગયો. અબ્દુલભાઈએ પહેલાં બોડી પહોંચાડી, પછી ઓફિસ તરફ જઈ જ રહ્યા હતા કે રસ્તામાં જ અઝાન થઈ ગઈ. તેઓ આંબાવાડી કાલુપુર ખાતે એક ઘર પાસે ફુટપાથ પર ઊભા રહ્યા અને અજાણ્યા ઘરમાંથી ખજૂર અને પાણી માગીને રોઝો ખોલ્યો. આજુબાજુ જેવી ખબર પડી કે એક્તા ટ્રસ્ટના અબ્દુલભાઈ ફુટપાથ પર બેસીને રોઝો ખોલી રહ્યા છે તો આજુબાજુના દસ ઘરોમાંથી તેમના માટે જમવાનું આવી ગયુ. આ બનાવ અંગે તેઓ કહે છે કે મારે અશ્વનિકુમાર સ્મશાનગૃહ જઈને પરત ફર્યા ત્યાં ડોકટરનો ફોન આવતા હું કાગળ આપવા ગયો અને પરત ફરતી વખતે જ રસ્તામાં મગરીબની અઝાન થઈ ગઈ હતી.
રાજ્યમાં વ્યવસાયિક કારણોસર નિવાસ કરતા અન્ય રાજ્યોના નાગરિકોને તેમના વતન મોકલવા માટે ગુજરાત સરકાર તૈયાર છે,પણ હજુ 5 રાજ્ય તેમના નાગરિકોને સ્વીકારવા તૈયાર ન હોવાનું સત્તાવાર સૂત્રોનું કહેવું છે. સૂત્રોના કહ્યા પ્રમાણે, 5 રાજ્યો હજુ તેમનું સ્થાનિક વ્યવસ્થાતંત્ર ગોઠવી શક્યા ન હોવાથી તેમણે ગુજરાતને કોઇ મુવમેન્ટ ન કરાવવા કહ્યું છે.
રાજ્ય સરકારને દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ તેમના નાગરિકોને હમણા ન મોકલવાનું કહ્યું છે. આ ત્રણેય રાજ્યોએ ગુજરાત સરકારને એવો પ્રત્યુત્તર આપ્યો છે કે, કયા સ્ટેટના નાગરિકોને કયારે પ્રવેશ આપવો તે શિડ્યૂલ નક્કી થઇ જાય પછી સરકારને જાણ કરશે. બિહાર અને પશ્વિમ બંગાળે ગુજરાતમાંથી હમણા તેમના પ્રદેશના નાગરિકોને મોકલવા નહીં તેમ જણાવ્યું હતું.
પરપ્રાંતીયો જતા રહેશે તો ઉદ્યોગોની ગાડી પાટા પર ચઢતાં 6 મહિના થશે: દુર્ગેશ બુચ
રાજ્યના તમામ ઉદ્યોગોમાં લેબરકામમાં 60 ટકા કર્મચારીઓ પરપ્રાંતીય છે. આ તબક્કે જો આ તમામ લોકોને પરત વતન મોકલવામાં આવે અને તેમને પરત આવવામાં જે અંદાજિત સમય લાગે તેને ધ્યાને લેતા ગુજરાતના ઉદ્યોગોની ગાડી પાટે ચઢતાં 4થી 6 મહિના જેટલો સમય લાગી શકે છે, તેમ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દુર્ગેશ બુચે જણાવ્યું છે. ગુજરાતમાં તેની સૌથી ખરાબ અસર પડશે અને અર્થતંત્ર પર પણ ગંભીર અસર પડી શકવાનો ખતરો છે.
4.67 લાખ જેટલા કામદાર પાછા ફર્યા
રાજ્યમાં 4.67 લાખથી વધુ કામદારો ફરીથી કામ પર પાછા ફર્યા હોવાનું શ્રમ અને રોજગાર વિભાગે જણાવ્યું છે. શ્રમ વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું કે, 30 એપ્રિલની સ્થિતિએ 4.67 લાખથી વધુ કામદારો ધરાવતી 12,768 ફેક્ટરીઓએ ફરીથી કામગીરી શરૂ કરી દીધી છે. આ ફેક્ટરીઓ આવશ્યક તથા બિનઆવશ્યક ચીજો સાથે સંકળાયેલી છે. ધ ડિરેક્ટોરોટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ગૃહ વિભાગે સૂચવેલાં સલામતીનાં ધોરણો તથા સાવચેતીઓનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે કે કેમ તે પણ સુનિશ્ચિત કરી રહ્યું છે.
લૉકડાઉનને કારણે વિશ્વનું સૌથી ઊંચું એવરેસ્ટ ખાલી પડ્યું છે. તેનો ફાયદો લઈ ચીન 45 વર્ષમાં ત્રીજીવાર તેની ઊંચાઈ માપશે. ચીને ગુરુવારે 53 વિજ્ઞાનીઓની ટીમ મોકલી છે. ચીન 6 વાર સર્વેક્ષણ કરી ચૂક્યું છે. પરંતુ બેવાર જ તેને સફળતા મળી હતી. પ્રથમવાર 1975માં માપણી થઈ ત્યારે તેની ઊંચાઈ 8848.13 મીટર થઈ હતી. બીજીવાર 2005માં તેની ઊંચાઈ 8844.43 મીટર નોંધાઈ હતી.
6500 મીટરની ઊંચાઈએ 5જી નેટવર્કની સુવિધા શરૂ
પર્વતારોહક હવે માઉન્ટ એવરેસ્ટ પર પણ હાઈસ્પીડ 5જી નેટવર્કનો ઉપયોગ કરી શકશે. ચીને ગુરુવારે પોતાની તરફના હિસ્સામાં બેઝ સ્ટેશન ખાતે આ સુવિધા શરૂ કરી છે. 6500 મીટરની ઊંચાઈએ બનાવાયેલું આ બેઝ સ્ટેશન શરૂ થઈ ગયું છે. તેનું નિર્માણ સરકારી ટેલિકોમ કંપની ચાઈના મોબાઈલે કર્યું છે. હવે આ ક્ષેત્રના પર્યાવરણ પર દેખરેખ રાખવામાં પણ સરળતા રહેશે. પર્વતારોહક લાઈવ સ્ટ્રીમીંગ પણ કરી શકશે.
હાલ કોરોના વાઇરસ બાદ કોઇની સૌથી વધુ ચર્ચા હોય તો તે છે ચીનની અને તેના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની. વાઇરસ ચીનથી શરૂ થયો પણ ત્યાં હવે સ્થિતિ સારી છે. વિશ્લેષકો પરિસ્થિતિનો સારી રીતે સામનો કરવાને જિનપિંગની વ્યૂહાત્મક જીત ગણાવી રહ્યા છે.
જિનપિંગ 2013માં ચીનના રાષ્ટ્રપ્રમુખ ચૂંટાયા. ચીનના બંધારણ મુજબ કોઇ વ્યક્તિ મહત્તમ 10 વર્ષ સુધી રાષ્ટ્રપ્રમુખ કે ઉપરાષ્ટ્રપ્રમુખ રહી શકે છે પણ જિનપિંગે તેમનો પહેલો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં બંધારણમાં જ ફેરફાર કરાવી દીધો. નવા સુધારા મુજબ તેઓ આજીવન રાષ્ટ્રપ્રમુખપદે રહી શકે છે. તેઓ ચીનની સત્તા, સૈન્ય, અર્થતંત્રથી માંડીને લોકોની વિચારધારાના પણ કેન્દ્રમાં છે. જિનપિંગની વિચારધારાને પણ ચીનના બંધારણમાં ‘શી જિનપિંગ થૉટ’ તરીકે સ્થાન મળ્યું છે. તેમને ચીનના પ્રથમ સામ્યવાદી નેતા અને સંસ્થાપક માઓત્સે તુંગનો સમકક્ષ દરજ્જો અપાયો છે. ચીનમાં કામ કરતા એક રાજદ્વારીના કહેવા મુજબ જિનપિંગ ક્યારેય ધનના ભૂખ્યા નથી રહ્યા પણ તેમને સત્તા અને તાકાતની ભૂખ હંમેશા રહી છે. ‘ઇનસાઇડ ધ માઇન્ડ ઑફ શી જિનપિંગ ’મુજબ, જિનપિંગ પાસે ચીનને ગ્લોબલ સુપરપાવર બનાવવાનો રોડમેપ છે. તેઓ 1974માં કમ્યૂનિસ્ટ પાર્ટીમાં જોડાયા. 18 વર્ષ સુધી વિવિધ પ્રાંતોના ડેપ્યુટી સેક્રેટરી રહ્યા.
7 વર્ષ ગુફામાં રહ્યા, શરૂઆત ખેતીથી કરી
જાન્યુઆરી 1969માં જિનપિંગનો આખો પરિવાર શાંક્સી છોડીને જઇ રહ્યો હતો. ટ્રેનમાં મુસાફરી દરમિયાન પૂરો પરિવાર રડતો હતો પણ જિનપિંગ હસતા હતા. પરિવારજનોએ હસવાનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે આપણે જ્યાં રહેતા હતા ત્યાં સારા ભવિષ્યની શું ખાતરી છે? જ્યાં જઇ રહ્યા છીએ ત્યાં ભવિષ્ય બનાવી શકીએ છીએ. ચીનમાં મે, 1966થી સાંસ્કૃતિક ક્રાંતિ શરૂ થઇ ગઇ હતી, જે અંતર્ગત મૂડીવાદી અસરોના ખાત્માની વાત કરાતી હતી. ક્રાંતિ માટે લાખો યુવાનોને ગામડાંમાં જવા કહેવાયું હતું.
પિતાએ જેલમાં જવું પડ્યું, બહેને જીવ આપી દીધો
જિનપિંગના પિતા શી ઝોંગશુન કમ્યૂનિસ્ટ પાર્ટીના સક્રિય સભ્ય હતા. 1960ના દાયકામાં કમ્યૂનિસ્ટ પાર્ટીના ચેરમેન માઓએ તેમના જ પક્ષના નેતાઓ પર જુલમ કર્યા. જિનપિંગના પિતાએ જેલમાં જવું પડ્યું. આ આખા ઘટનાક્રમથી પરિવાર શરમમાં મુકાયો અને જિનપિંગની બહેને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો. જોકે, બાદમાં ઝોંગશુનની પક્ષમાં વાપસી થઇ ગઇ હતી. જિનપિંગ આ બદલાતી રાજકીય સ્થિતિથી ખુશ હતા. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે તે સંજોગોએ તેમને રાજકારણ શીખવ્યું.
ખોટા નામથી અખબારોમાં લખતા હતા
જિનપિંગ ગુફાઓમાં રહ્યા તે દરમિયાન માઓની મશહૂર ‘લિટલ રેડ બુક’ વાંચતા રહેતા હતા. તેમને બાળપણથી જ લખવા-વાંચવાનો શોખ હતો. 1980થી તેઓ સ્થાનિક અખબારોમાં રાજકીય મુદ્દાઓ પર સતત લખતા રહ્યા. 2003થી 2007 સુધી ‘ઝેજિયાંગ ડેઇલી’ ન્યૂઝપેપરમાં ઝે શિનના ખોટા નામથી કોલમ લખતા રહ્યા. જિનપિંગ તેમનાં ભાષણોમાં ઘણી વાર લેખકોને ક્વોટ કરે છે. તેઓ માઓ બાદ એવા પ્રથમ નેતા છે કે જેઓ ક્લાસિક ચીની પુસ્તકોમાંથી પસંદ કરીને અવતરણોનો ઉપયોગ કરે છે.
મીડિયા નિયંત્રણનું ઝનૂન રહ્યું
મીડિયાને નિયંત્રિત રાખવા અંગે જિનપિંગ ઓબ્સેસિવ છે. મે, 1989માં લોકશાહી સમર્થક ભીડ બેઇજિંગના તિયાનમેન સ્ક્વેર પર એકઠી થઇ હતી ત્યારે યુવા જિનપિંગે પત્રકારોની કામ કરવાની પદ્ધતિ અંગે એક બેઠક બોલાવી હતી. તેઓ બેઠકમાં સમજાવતા હતા કે મીડિયાએ પક્ષ અને ચીનના લોકોના મુખપત્રની જેમ કામ કરવું જોઇએ. બાદમાં તેઓ રાષ્ટ્રપ્રમુખ બન્યા તો ચીનની સરકારી ચેનલ પર પત્રકારો માટે એક કોર્સ કે મિશન શરૂ કરી દીધું. આ બધાના કેન્દ્રમાં એક જ વાત હતી કે પક્ષની તરફેણમાં વાત કરો.
ડોક્યુમેન્ટ લીક થઇ ગયો હતો
જિનપિંગ રાષ્ટ્રપ્રમુખ બન્યાના એક મહિના બાદ એપ્રિલ, 2013માં પક્ષના આંતરિક લોકો સાથે તેમણે એક સિક્રેટ રિપોર્ટ શૅર કર્યો. ડોક્યુમેન્ટ-9 નામના આ રિપોર્ટને ‘કમ્યુનિક’ નામ અપાયું. ચીનના મીડિયામાં તેની ક્યાંય કોઇ ચર્ચા ન થઇ પણ બાદમાં તે વર્ષે સપ્ટેમ્બરમાં ચીનની વેબસાઇટ મિંગજિંગે તેને પ્રકાશિત કરી દીધો હતો. આ વેબસાઇટના તંત્રીને 7 વર્ષની જેલ પણ થઇ હતી. રિપોર્ટમાં જિનપિંગના વિસ્તૃત વિઝનની વિગતો હતી. લોકશાહી, પશ્ચિમી અર્થતંત્રનાં જોખમો, ઇન્ટરનેટનાં જોખમો અંગે જણાવાયું હતું.
જિનપિંગના આવ્યા પછી ચીનમાં દમન વધ્યું
1.વેપાર પ્રતિબંધ વધ્યો…
19 વર્ષ પૂર્વે ચીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સાથે નાણાકીય સ્વતંત્રતા-ઇમાનદારી સાથે વેપાર અંગે કમિટમેન્ટ કર્યું હતું પણ કોંગ્રેસના એક્ઝિક્યુટિવ કમિશન ઓન ચાઈના અનુસાર આ સુધારા તરફ ધ્યાન ન અપાયું.
2.સિવિલ સોસાયટી…
ડૉક્યુમેન્ટ 9માં સિવિલ સોસાયટીની પરિકલ્પના કરનારાને કચડી નાખવાની વાત કહી. સરકાર માટે ખતરો બનેલ અનેક સિવિલ સોસાયટીને કાનૂની ચાબૂક ચલાવી બંધ કરાવી દીધી.
3.મજૂર અધિકાર…
ત્રણ દાયકામાં ચીને આર્થિક પ્રગતિ કરી છે પણ મજૂરોના અધિકારો પર ધ્યાન ન આપ્યું. શહેરી ક્ષેત્રોમાં બેરોજગારી દર 3.8 છે. જોકે આંકડા કહે છે કે ચીન બેરોજગારોનો સાચો આંકડો જણાવતું નથી.
4. પ્રેસની સ્વતંત્રતા…
રિપોર્ટર્સ વિધાઉટ બાર્ડર્સની પ્રેસની આઝાદીવાળી યાદીમાં ચીન કુલ 180 દેશોમાં 177મા ક્રમે છે. જિનપિંગના કાર્યકાળમાં મીડિયા પર સેન્સરશિપ વધી છે.
5.રાષ્ટ્રવાદના નામે…
જિનપિંગના આવ્યા બાદ ચીનમાં લઘુમતીઓ વિરુદ્ધ ગુના, માનવાધિકાર ભંગની ઘટનાઓ વધી ગઇ છે. રાષ્ટ્રીય સુરક્ષા અંગે નવા કાયદા ઘડવામાંઆવી રહ્યા છે.
શી જિનપિંગની પ્રોફાઇલ
ઉનાળુ સિઝન એફએમસીજી સેક્ટર માટે મહત્વની ગણાય છે. કોરોના મહામારીના કારણે માર્ચ મહિનાથી અમલી બનેલ લોકડાઉનના કારણે આઇસક્રીમ, કોલ્ડ્રિંક્સ તેમજ નમકિન ઇન્ડસ્ટ્રીઝ માટે મહત્વનો સમય ગણાય છે. ખાસકરીને માર્ચ-એપ્રિલ અને મે મહિનો આઇસક્રીમ તથા કોલ્ડ્રિંક્સનું વેચાણ વાર્ષિક વેચાણના 450-50 ટકા હિસ્સો ધરાવે છે. માર્ચ અને એપ્રિલનો સમય પુરો થઇ ચૂક્યો છે ત્યારે હવે 3 મેના રોજ લોકડાઉન ખુલે છે કે કેમ તેના પર નજર છે. જો લોકડાઉન લંબાશે તો ગુજરાતના એફએમસીજી સેક્ટરને સરેરાશ 5000 કરોડથી વધુનું નુકસાન ભોગવવું પડે તેવી સ્થિતિ છે. મોટી ઇનવેન્ટરી અને નાણાંકિય કટોકટીના કારણે સેક્ટરમાં બેરોજગારીનું પ્રમાણ વધી શકે છે.
દેશમાં આઇસક્રીમ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ સરેરાશ 15-17 હજાર કરોડ
આઇસક્રિમ તથા કોલ્ડ્રિંક્સના વેચાણમાં ગુજરાત રાજ્ય ટોપ થ્રીમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત બ્રાન્ડ્સ કંપનીઓનું ઉત્પાદન પણ ગુજરાતમાં સૌથી વધુ થઇ રહ્યું છે ત્યારે મોટા પાયે નુકસાનની શક્યતા છે. દેશમાં આઇસક્રીમ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ સરેરાશ 15-17 હજાર કરોડનું છે જેમાં ગુજરાતનો હિસ્સો 1500-1700 કરોડનો રહ્યો છે. આ ઉપરાંત કોલ્ડ્રિંક્સનું ગુજરાતનું માર્કેટ સરેરાશ 1500-2000 કરોડનું છે જેમાં સૌથી વધુ વેચાણ માત્ર માર્ચ-એપ્રિલ અને મે માસમાં થાય છે જેના કારણે સેક્ટરને મોટા પાયે નુકસાની છે. લોકડાઉન દરમિયાન સરકારે શરતોને આધીન ઉદ્યોગો અને ધંધા રોજગારને મંજૂરી મળી છે પરંતુ તે મોટાભાગે જીવન જરૂરી ચીજો માટે માર્યાદિત છે. ઘણા રાજ્યોમાં લોકડાઉનની શરતી મંજુરી છે પરંતુ તેમાં આઈસ્ક્રીમ-કોલ્ડ્રિંક્સ-નમકિનના વેચાણ માટે મંજુરી અપાઈ નથી. સરકારે હાલમાં જે રાહત આપી છે તેનાથી અમુક સેન્ટરોમાં નાના પાયે ઉત્પાદન શરૂ થયું છે.
આઇઆઇએમએના અનુવ્રત પાબરાઇએ જણાવ્યું કે એફએમસીજી સેક્ટરમાં ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક વેચાણનો મહત્વનો સમય લોકડાઉનમાં પૂરો થઇ ચૂક્યો છે. સરકાર પાસે ઉદ્યોગે વીજદર, ટેક્સમાં રાહત, જીએસટી દર ઘટાડવા તેમજ કામદારોને વેતન માટે ઇએસઆઇનો અમલ કરવાની માગ કરાઇ હતી પરંતુ સ્વીકારવામાં આવી નથી. લોકડાઉન ખુલ્યા બાદ પણ ઇન્ડસ્ટ્રીઝને સર્વાઇવ થતા બે માસનો સમય લાગી જશે.
FMCG સેક્ટરમાં 40-45% રોજગારી ઘટવાનો ભય
એફએમસીજી સેક્ટર મોટા પાયે રોજગારી પૂરી પાડે છે. જોકે, આ સેક્ટરમાં મોટા ભાગના કામદારો થર્ડ પાર્ટી (કોન્ટ્રાક્ટ) બેઝ્ડ પર કામ કરી રહ્યાં છે જેના કારણે આવા લોકોને વેતન ચૂકવણીનો પ્રશ્ન જ રહેતો નથી. મહિનામાં જેટલા દિવસ હાજરી થાય તેટલા દિવસનો જ પગાર અત્યાર સુધી ચૂકવાઇ રહ્યો છે જેના કારણે લોકડાઉનમાં આવા કામદારોને પગાર મળે તેમ નથી. આ ઉપરાંત અન્ય કામદારો માટે સરકાર મિનિમમ વેજીસનો નિયમ લાગુ કરે તે જરૂરી છે. અત્યારે મોટા પાયે ઉત્પાદન કાપ, નાણાંકિય ખેંચના કારણે આગળ જતા બેરોજગારીનું પ્રમાણ વધી શકે છે.
આઇસક્રિમમાં માથાદીઠ વપરાશમાં ગુજરાત ટોચ પર
દેશમાં આઇસક્રીમના ઉત્પાદન અને વપરાશમાં ગુજરાત મહત્વનું રાજ્ય છે. વ્યક્તિ દીઠ આઇસક્રીમના વપરાશમાં ગુજરાત ટોચનું રાજ્ય છે. મોટા ભાગનો સમય લોકડાઉનમાં પૂર્ણ થઇ ચૂક્યો છે.- ઓનિંદ્યો દત્તા, એમડી, હેવમોર આઇસક્રીમ
સિઝનનો 20 ટકા બિનઝેસ મળે તો પણ સારૂ
આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીને બિઝનેસમાં રૂ. 1200 કરોડની નુકસાની થઇ છે અને જો લોકડાઉન લંબાશે તો આ આંકડો વધુ મોટો થશે. મહત્વનો સમયગાળો લોકડાઉનમાં પૂર્ણ થઇ ચૂક્યો છે. હવે જોવાનું કે લોકડાઉન ક્યારે ખુલે છે. સિઝનના કુલ વેચાણમાંથી 20 ટકા બિઝનેસ મળે તો પણ સારૂ.- રાજેશ ગાંધી, એમડી-વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ.
નમકિન સેગમેન્ટમાં 75 ટકા અસર
નમકિનમાં 75-80 ટકા અસર પડી છે. આંશિક મંજૂરી છે પરંતુ કુલ ઉત્પાદન કામગીરીના 20 ટકા કામગીરી થઇ રહી છે. લોકડાઉન દૂર થયા બાદ પણ પરિસ્થિતી રાબેતા મુજબ થતા ત્રણ માસનો સમય લાગી જશે.- ચંદુભાઇ વિરાણી, ફાઉન્ડર, બાલાજી વેફર્સ
હાઇલાઇટ્સ
ઉદ્યોગ સાહસિકતા તો ગળથૂથીમાં જ ઘોળાયેલી હોય પરંતુ સટ્ટો શીખવાડવો ના પડે તેનું નામ પાક્કો ગુજરાતી… સત્તાવાર ચાલતાં શેરબજારોની પેરેલલ બે નંબરમાં સટ્ટાખોરીમાં પણ ગુજરાતીઓ ગાંજ્યા જાય તેમ નથી. સત્તાવાર સ્ટોક એક્સચેન્જની જેમ જ બેનંબરમાં ચાલતાં ઇક્વિટી ટ્રેડિંગમાં રોજનું રૂ. 75-80 હજાર કરોડનું વલણ થઇ રહ્યું છે. ઇક્વિટી માર્કેટમાં સૌથી વધુ વોલ્યુમમાં મુંબઇ ટોચના સ્થાને છે. ત્યારબાદ અમદાવાદ, કલકત્તા, દિલ્હી, ચૈન્નઇ અને બેંગ્લોરનો ક્રમ આવે છે. જ્યારે ડબ્બાના વેપારમાં મુંબઇ બાદ બીજા ક્રમે ગુજરાત અને ત્યાર બાદ રાજસ્થાનમાં સૌથી વધુ ડબ્બાનો વેપાર ચાલી રહ્યો છે. ડબ્બાના વેપારમાં સામાન્ય વર્ગ જ નહિં પરંતુ ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉટન્ટ, ડાયમંડ-ટેક્સટાઇલ, કોર્પોરેટલ વર્લ્ડના ખેલાડીઓ ટ્રેડિંગ કરી રહ્યાં છે. ડબ્બાના વેપારમાં સરકારને સૌથી મોટું નુકસાન ટેક્સની આવકમાં છે.
દ્રશ્ય-1: પોતપોતાના સેક્ટરમાં મહારથી ગણાતા રાજકોટના બે ઉદ્યોગપતિઓ વચ્ચે શરત લાગી કે હવામાં ઊછાળેલું ચપ્પલ સીધું પડે તો મારી ફેક્ટરી તારી અને ઉંધું પડે તો મારી ફેક્ટરી તારી…
દ્રશ્ય-2: ડીસાના ભાભરમાંથી એક પ્રેગનન્ટ લેડી પસાર થઇ રહી હતી. તેમાં બે વેપારીઓ વચ્ચે શરત લાગી ગઇ કે દિકરો આવે તો લાખ મારે દેવાના અને દિકરી આવે તો લાખ તારે દેવાના…
દ્રશ્ય-3: અમદાવાદની પોળમાંથી પસાર થઇ રહેલી કાર જોઇને બે મિત્રો વચ્ચે શરત લાગી કે નંબર એકી હોય તો તારે હજાર આપવાના અને બેકી બેકી હોય તો મારે હજાર આપવાના…
કેવી રીતે રમાડાય છે ડબ્બા ટ્રેડિંગ
ડબ્બા ટ્રેડિંગનો અર્થ કોઇ પણ ટ્રાન્ઝેક્શન ઓન રેકોર્ડ નહિં. એક્સચેન્જ વગર ઇક્વિટી, કોમોડિટીમાં જે સોદા થાય તેનો કોઇ પણ ચોપડે હિસાબ ન હોય તેવા સોદાને ડબ્બા ટ્રેડિંગ કહે છે. રમનાર અને રમાડનાર એમ બે વ્યક્તિઓ હોય છે. માત્ર મૌખીક વેપાર થાય છે પરંતુ ડબ્બાનો વેપાર એટલો જ વિશ્વસનીય હોય છે જેટલો એક્સચેન્જો પરનો હોય.
ડબ્બાથી સરકારને શું નુકસાન?
ડબ્બાથી સરકારને થતી ટેક્સની આવકમાં નુકસાન છે. જેમકે કાયદેસરના ટ્રેડમાં સરકારને સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ મળે જે ડબ્બાના વેપારમાં મળતો નથી.બ્રોકર, ડબ્બો રમનાર કે રમાડનાર ખેલાડી દ્વારા લોંગટર્મ કે શોર્ટટર્મ ટ્રેડિંગ ચાર્જ ન ચુકવે, ઇનકમ ટેક્સ ન ભરે વગેરે...એક લાખ કરોડના દૈનિક ડબ્બા ટ્રેડિંગના કારણે સરકારને સરેરાશ 100 કરોડથી વધુની ટેક્સની આવક ગુમાવવી પડી રહી છે.
1500 કરોડનો સટ્ટો ચોમાસા પર
ઇક્વિટી, કોમોડિટીમાં સટ્ટો તો સમજ્યા પરંતુ ચોમાસા આધારિત સટ્ટાનું મહત્વ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર-ગુજરાત-રાજસ્થાનમાંથી વરસાદ આધારિત સૌથી વધુ સટ્ટો રમાય છે. હવામાન ખાતાની આગાહી બાદ આ વર્ષે સરેરાશ 1500 કરોડથી વધુનો ચોમાસા પર સટ્ટો રમાય તેવી શક્યતા છે.
ઇક્વિટીમાં કઇ સ્ક્રિપ્ટમાં વધુ ડબ્બો
સામાન્ય રીતે જે સ્ક્રિપ્ટમાં સૌથી વધુ વોલેટાલિટી રહે તેમાં ડબ્બા ટ્રેડિંગ સૌથી વધુ જોવા મળે છે. ખાસ કરીને નિફ્ટી, બેન્ક નિફ્ટી, રિલાયન્સ, બજાજ ફાઇનાન્સ, સનફાર્મા, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા, મારૂતી સુઝુકી વગેરે...
ડબ્બાના વેપાર પર પ્રતિબંધ જરૂરી
પોકેમોનગો જેવી ગેમ્સ પર પ્રતિબંધ મૂકી શકતી સરકારે આજ દિવસ સુધી આ દિશામાં વિચાર્યું સુદ્ધાં નથી. સરકારને ટેક્સની આવકમાં નુકસાન સાથે ડબ્બાના વેપારમાં દેવું વધી જવાના કારણે આત્મહત્યાના કેસ વધી રહ્યાં છે તે ડામવા જોઇએ, સેબી તથા એક્સચેન્જો દ્વારા ડબ્બાને અટકાવવા માટે જાગ્રૃતિ પ્રોગ્રામ વધુમાં વધુ થવા જોઇએ.- જિગ્નેશ માધવાણી, ટોરિન વેલ્થ ગ્રુપ
નિયમોનું યોગ્ય અમલીકરણ જરૂરી
ડબ્બા ટ્રેડિંગનું દુષણ સતત વધી રહ્યું છે. એક્સચેન્જોમાં થતા કાયદેસરના દૈનિક વોલ્યુમ કરતા 4-5 ગણું ડબ્બા ટ્રેડિંગ થઇ રહ્યું છે. ડબ્બા ટ્રેડિંગ પર આકરા નિયમો ઘડાયા છે પરંતુ આ જોગવાઇઓનું યોગ્ય અમલીકરણ થવું જરૂરી છે. બન્ને તરફી કાર્યવાહી થવી જોઇએ.- જયદેવસિંહ ચુડાસમા, ઇન્વેસ્ટર પોઇન્ટ.
ગુજરાતમાં ડબ્બાના હોટ સેન્ટર
સૌરાષ્ટ્રમાં- રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર
ગુજરાતમાં- સુરત, અમદાવાદ, બરોડા, આણંદ-નવસારી, ઉંઝા, રાધનપુર-હારીજ
ડબ્બામાં ક્યા શહેરમાં કેટલો વેપાર
શહેર | રકમ (આંકડા રૂ. કરોડમાં) |
મુંબઇ | 90-95000 |
ગુજરાત | 60-65000 |
રાજસ્થાન | 45-50000 |
હાઇલાઇટ્સ
રાજસ્થાનના બૂંદી જિલ્લાના હિંડૌલી કસ્બામાં એક અનોખી પ્રથા છે. લગ્નોત્સુક યુવકો મંદિરમાંથી પાર્વતીજીની મૂર્તિ ચોરી જાય છે. લગ્ન થઇ ગયા બાદ પાછી મૂકી જાય એટલે બીજો કોઇ કુંવારો યુવક ચોરી જાય. જોકે, હાલ લૉકડાઉનના કારણે લગ્નો નથી થઇ રહ્યાં તેના કારણે મંદિરમાં મૂર્તિ પાછી આવી શકે તેમ નથી તો બીજી તરફ કુંવારાઓની લાઇન પણ ઓછી થઇ રહી નથી.
મૂર્તિ ચોરી જાય તેના લગ્ન જલદી થઇ જાય
રાજસ્થાનના બૂંદી જિલ્લાના હિંડૌલી કસ્બામાં એક એવું મંદિર છે કે જ્યાંથી મૂર્તિ ચોરી જવા બદલ કોઇ પોલીસકેસ થતો નથી. અહીંના રામસાગર સરોવરના કાંઠે રઘુનાથ ઘાટ મંદિરેથી પાર્વતીજીની મૂર્તિ ચોરવા પાછળનું કારણ અનોખું છે. એવી માન્યતા છે કે જે યુવકનાં લગ્ન ન થતાં હોય તે આ મંદિરમાંથી પાર્વતીજીની મૂર્તિ ગૂપચૂપ ચોરી જાય તો તેનાં લગ્ન જલદી થઇ જાય છે. આ જ કારણથી કુંવારા યુવકો મંદિરમાંથી પાર્વતીજીની મૂર્તિ રાત્રે ગૂપચૂપ ચોરી જાય છે.
પાર્વતીજીકુંવારા યુવકના ઘરે હોમ ક્વોરન્ટીન
મંદિરમાં મહાદેવજી (શિવલિંગ)ની બાજુમાં જ પાર્વતીજીની મૂર્તિ સ્થાપિત છે પણ મહાદેવજી પાર્વતીજી સાથે ભાગ્યે જ જોવા મળે છે. કુંવારા યુવકો પાર્વતીજીની મૂર્તિ ચોરી જવા ટાંપીને જ બેઠા હોય છે. હાલ કેટલાય દિવસોથી પાર્વતીજી મહાદેવજીથી વિખૂટા પડી ગયા છે. તેઓ કોઇ કુંવારા યુવકના ઘરે હોમ ક્વોરેન્ટાઇન છે. લૉકડાઉનના કારણે આ વખતે અખાત્રીજ જેવા મુહૂર્ત પર પણ લગ્નો ન થયાં. લૉકડાઉન ન ખૂલ્યું અને લગ્નો ન થયાં તો જુલાઇથી 4 મહિના માટે દેવપોઢી જશે. એવામાં પાર્વતીજી મહાદેવજી પાસે જલદી પાછાં ફરે તેવી શક્યતા ઓછી છે. લાઇનમાં લાગેલા કુંવારાઓએ આ વખતે લાંબી રાહ જોવી પડશે. છેલ્લાં 35 વર્ષથી મંદિરમાં પૂજારી તરીકે સેવા આપી રહેલા રામબાબુ પારાશર જણાવે છે કે અત્યાર સુધીમાં 15-20 વખત પાર્વતીજીની મૂર્તિ ચોરાઇ ચૂકી છે. ચોરનારનાં લગ્ન પણ થઇ ચૂક્યાં છે. અમને ચોરીની ખબર પડી જાય તોપણ કોઇને ટોકતા નથી. વર્ષમાં માંડ એક-બે મહિના જ પાર્વતીજીની મૂર્તિ મંદિરમાં બિરાજેલી રહી શકે છે. તેઓ મંદિરમાં પાછા આવે એટલામાં તો ફરી તેમને કોઇ ચોરી જાય છે.
હાલ લૉકડાઉનના સમયગાળામાં એક તરફ અખબારો વિતરણ સંબંધી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યાં છે તો બીજી તરફ તેમનાં ઇ-પેપરની કોપી અને ડિજિટલ પાઇરસીના બનાવ પણ વધ્યા છે. તેના કારણે અખબારોને રેવન્યૂનું નુકસાન થઇ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીએ ચેતવણી આપી છે કે અખબારોનાં ઇ-પેપરમાંથી પાનાં ડાઉનલોડ કરીને તેમની પીડીએફ ફાઇલ વૉટ્સઍપ કે ટેલિગ્રામ ગ્રૂપમાં શૅર કરવી ગેરકાયદે છે. ઇ-પેપર કે તેના હિસ્સા કોપી કરીને સોશિયલ મીડિયા પર ગેરકાયદે રીતે શૅર કરનાર વ્યક્તિ સામે અખબાર કડક કાનૂની અને જંગી દંડની કાર્યવાહી કરી શકે છે.
ગ્રૂપના એડમિન જવાબદાર ઠરશે
કોઇ ગ્રૂપમાં આ રીતે અખબારની ઇ-કોપી ગેરકાયદે રીતે સરક્યુલેટ થવા બદલ જે-તે વૉટ્સઍપ કે ટેલિગ્રામ ગ્રૂપના એડમિન જવાબદાર ઠરશે. આઇએનએસની સલાહ પર અખબાર જૂથ એવી ટેક્નિકનો પણ ઉપયોગ કરશે કે જેનાથી અખબારની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી તેને સોશિયલ મીડિયા પર શૅર કરનાર વ્યક્તિની ઓળખ થઇ શકશે. દર અઠવાડિયે નિર્ધારિત સંખ્યાથી વધુ પીડીએફ ડાઉનલોડ કરનારા યુઝર્સ બ્લોક પણ થઇ શકે છે.