
from India Today | Top Stories https://ift.tt/2ZKgYXX
વૃંદાવનમાં ‘બુઆજી’ તરીકે મશહૂર 55 વર્ષીય ડૉ. લક્ષ્મી ગૌતમ વર્ષ 2012થી બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે. શબને અગ્નિદાહ પણ પોતે જ આપે છે. કોઇની પાસેથી નાણાકીય મદદ પણ નથી લેતા. શરુમાં માત્ર મહિલાઓના અંતિમ સંસ્કાર કરતા ‘બુઆજી’ 2 વર્ષથી પુરુષોના અંતિમ સંસ્કાર પણ કરે છે. 8 વર્ષમાં તેઓ અંદાજે 300 મૃતકોના અંતિમ સંસ્કાર કરી ચૂક્યા છે.
વૃંદાવનની એસઓપી કોલેજમાં ઇતિહાસના એસોસિયેટ પ્રોફેસર રહેલાં ડૉ. લક્ષ્મી જણાવે છે કે, ‘2011-12માં સુપ્રીમકોર્ટે વૃંદાવનમાં રહેતી નિરાશ્રિત મહિલાઓનો સરવે કરાવવાનું નક્કી કર્યું. તે સરવેમાં સામે આવ્યું કે નિરાશ્રિત મહિલાઓના અંતિમ સંસ્કાર બરાબર રીતે નથી કરાતા. તેનાથી મને બહુ જ દુ:ખ થયું. આ દરમિયાન વૃંદાવનમાં રાધા નામની એક નિરાશ્રિત મહિલાનું શબ ચૂબતરા પર રખાયેલું મળ્યું. તેનું મોત સવારે થયું હતું પણ સાંજ સુધી કોઇએ તેને હાથ પણ ન લગાડ્યો. મેં તેના અંતિમ સંસ્કાર કર્યા અને તે દિવસથી જ મેં નિરાશ્રિત મહિલાઓના અંતિમ સંસ્કાર કરવાનું બીડું ઝડપી લીધું. ત્યારથી આજ સુધી એ જ કરી રહી છું.
ડૉ. લક્ષ્મીએ કહ્યું કે, મેં સવારે 8 વાગ્યે અને રાત્રે 11 વાગ્યે પણ મૃતદેહના અંતિમ સંસ્કાર કરેલા છે. હું આ કામ સાથે જોડાઇ તો પરિવારજનો મનથી સાથ નહોતા આપતા પણ હવે મારા બે દીકરા અને એક દીકરી મને સપોર્ટ કરે છે. પૈસાની મદદ પણ કરે છે.’ તેમણે કનક ધારા ફાઉન્ડેશન પણ બનાવ્યું છે. આ અસાધારણ સેવાકાર્ય માટે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ વર્ષ 2015 અને 2016માં એમ બે વખત તેમને સન્માનિત પણ કર્યા.
જમ્મુ-કાશ્મીરની ધાર્મિક સંસ્થાઓમાં થતા ફન્ડિંગને અત્યાર સુધી શંકાની નજરે જોવામાં આવતા હતા પરંતુ આતંકવાદ શરૂ થવા પહેલાથી આ સંસ્થાઓમાં બીમારોની સારવાર માટે આર્થિક મદદ કરવાની પરંપરા ચાલી આવે છે. ખીણના 900થી વધુ ગામમાં બીમારો માટે પૈસા ઉઘરાવવામાં આવે છે. અહીં ડેથ કમિટી પણ બની છે. તેઓ જેમના ઘરે મૃત્યુ થયું હોય તે ઘરનો 4 દિવસ સુધીનો સંપૂર્ણ ખર્ચ ઉપાડે છે. આ પવિત્ર કામમાં સ્થાનિક પોલીસ પણ લોકોને મદદ કરે છે.
જોકુ ખારિયાન ગામના ભૂતપૂર્વ સરપંચ અને મૌલ્વી મોહમ્મદ મકબૂલે કહ્યું કે બીમારની મદદ માટે કુરાને શરીફ અને મુસ્લિમ શરીફમાં જણાવાયું છે. આથી અમારે ત્યાં પહેલાં આ કામ મસ્જિદ દ્વારા થતું હતું. વ્યક્તિ કમાણીનો થોડો હિસ્સો દર શુક્રવારે જરૂર આપી જતો હતો પરંતુ આતંકવાદ વચ્ચે કેટલીક મસ્જિદોમાં આ પ્રકારના ધન સંગ્રહ પર વહીવટી તંત્રએ કાર્યવાહી કરી એટલે લોકોએ પોતે મદદ કરવાની શરૂ કરી અને પરંપરાને આગળ વધારી. આજે પણ બધા ગામમાં આ ચલણ છે.
બડગામ એસપી અમોદ અશોક નાગપુરે કહે છે કે બીમારના ઇલાજ માટે પૈસા ભેગા કરવાની પરંપરા અહીં પ્રાચીન છે. મસ્જિદ અને ઔકાફ કમિટીના લોકો મદદ કરે છે. ડેથ કમિટી પણ સારું કામ કરી રહી છે. મૃતકના કફન-દફનથી લઈ પરિવારના ખાવા-પીવાનો ખર્ચ પણ આ કમિટી ઉઠાવે છે. સરપંચ કે કોઈ અન્યની માહિતી પરથી અમે એમ્યુલન્સ સહિત અન્ય વ્યવસ્થા પણ કરીએ છીએ.
સાહિત્યકાર જરીફ અહમદ જરીફ કહે છે કે 5 દાયકામાં મદદનો આ સિલસિલો પેઢી-દર પેઢી ચાલ્યો આવે છે. હવે ગામના સરપંચ કે વૃદ્ધ વ્યક્તિ દ્વારા બીમાર વ્યક્તિના પરિવાર મદદ માંગે છે અને બાકી લોકો સારવાર માટે આર્થિક સહયોગ કરે છે. મદદની આ પરંપરા હવે શહેરો સુધી પહોંચી છે પરંતુ તેનું સ્વરૂપ બદલાયું છે. શહેરના મોહલ્લામાં નાની-નાની કમિટી બની છે. તેમાં મોહલ્લાના લોકો જ જરૂરિયાતમંદની મદદ કરે છે. લૉકડાઉનમાં તો આવી કમિટી ચાર ગણી વધી ગઈ હતી. શ્રીનગરમાં જ તેની સંખ્યા 50થી વધુ થઈ ગઈ છે.
થોડા દિવસમાં લાખ રૂપિયા મેળવાય છે
જોકુ ખારિયાન ગામના ઇરશાદ અહમદને કેન્સરની સારવાર માટે ગામવાળાઓએ બે દિવસમાં પાંચ લાખ રૂપિયા તો લારકીપુરાના કેન્સર પીડિત ઇમરાનને 8 લાખ રૂપિયા ભેગા કરી આપ્યા હતા. આ રીતે સાંગલીપુરાના ગુલામ મલિકની સારવાર માટે પણ છ દિવસમાં 4 લાખ રૂપિયા ભેગા કરાયા હતા.
કોરોનામાં વર્ક ફ્રોમ હોમ કલ્ચર વધી રહ્યું છે. સોફ્ટવેર પ્રોડક્ટ કંપની જોહો ‘વર્ક ફ્રોમ વિલેજ’ના મોડલ પર કામ કરી રહી છે. કંપનીએ તાજેતરમાં જ ચેન્નાઈથી 650 કિમી દૂર તેનકાસી જિલ્લાના સુંદરી ગામમાં નવી ઓફિસ ખોલી છે. અહીં અત્યારે 20 કર્મચારી કામ કરી રહ્યા છે. દક્ષિણ ભારતના નાના ગામોમાં તેની આ ત્રીજી ઓફિસ છે. કંપની ટૂંક સમયમાં જ 7 નવી વિલેજ ઓફિસ ખોલવાની તૈયારીમાં છે. કંપનીએ 2016માં પોતાની ઓફિસ તેનકાસી જિલ્લાના જ મત્થલમપરાઈ ગામમાં શરૂ કરી હતી, જ્યાં આજે 500થી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે. આવી જ ઓફિસ આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લાના રેનીગૂંટામાં ખોલાઈ હતી, જેમાં 120 કર્મચારી કામ કરી રહ્યા છે.
દુનિયાભરમાં 9300 કર્મચારીવાળી કંપની જેહોના ટેક્નોલોજી ડિરેક્ટર રાજેન્દ્રન દંડપાનીએ જણાવ્યું કે, આમ તો અમેરિકા, જાપાન, ચીન, સિંગાપોર, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ્સ અને યુએઈમાં પણ અમારી ઓફિસ છે, પરંતુ હવે અમે નાના-નાના ગામડાંમાં ઓફિસ બનાવી રહ્યા છીએ. આ આઈડિયા કંપનીના સીઈઓ શ્રીધર વેમ્બુનો છે. કુંભકોણમ પાસેના ગામમાં જન્મેલા વેમ્બુને ગામની જીવનશૈલી કામ કરવા માટે વધુ સરળ લાગે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેનકાસીમાં શિફ્ટ થતાં પહેલા વેમ્બુ અમેરિકા ખાતેની સેન જોસ ઓફિસમાંથી કંપની સંભાળતા હતા. તેમણે 1989માં આઈઆઈટી મદ્રાસમાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પીએચડી કર્યું છે. તેઓ નોકરી માટે ગામથી શહેરના પલાયનને ઉચિત માનતા નથી. ગામના ટેલેન્ટને તક આપવા માગે છે. સાથે જ કર્મચારીઓને શહેરોની દબાણવાળી જીવનશૈલીથી મુક્ત રાખવા માગે છે.
દંડપાનીએ જણાવ્યું કે, અમારા આવવાથી ગામમાં સારી સડકો, સ્કૂલ, હોટલ, ઓટો સ્ટેન્ડ અને મંદિર તો બન્યા જ છે, સામાજિક રીતે પણ ઘણું પરિવર્તન આવ્યું છે. આ ઓફિસમાં કેટલીક સ્થાનિક છોકરીઓ પણ કામ કરી રહી છે. પરિવાર તેમને નોકરી માટે શહેરમાં મોકલવા માગતા ન હતા, પરંતુ અમે જ્યારે ગામમાં જ રહીને કામ કરવાની ઓફર આપી તો તેઓ તરત જ માની ગયા હતા. આજે ગામના અનેક છોકરા-છોકરીઓ અહીં ખુશીથી કામ કરી રહ્યા છે.
દંડપાનીએ કહ્યું કે, કંપનીએ જોહો યુનિવર્સિટી ખોલી છે, લોકોને સ્કિલની ટ્રેનિંગ અપાય છે. કોઈ પણ પ્રકારની ફી લેવાતી નથી. 90 ટકા વિદ્યાર્થી તમિલનાડુના છે. 875 વિદ્યાર્થી આ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થઈને જોહો કંપનીમાં જ નોકરી મેળવી ચૂક્યા છે. ખુદ દંડપાનીના પુત્રએ પણ અહીં અભ્યાસ કરીને કંપનીમાં નોકરી મેળવી છે.2019માં કંપનીની આવક રૂ.3410 કરોડ હતી, જેમાં 516 કરોડ શુદ્ધ નફો હતો. કંપની 1996માં એડવેન્ટ નામથી શરૂ થઈ હતી. 2009માં જોહો નામ રખાયું હતું.
દેશભરમાં વરસાદનો દોર શરૂ થઈ ગયો છે. રવિવારે લદાખ સિવાય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત સહિત બાકી 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક મુશળધાર વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં રાત્રિ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
સમુદ્રમાં 13 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં
મુંબઈની હાલત તો દયનીય થઇ ચૂકી છે. ત્યાં સતત ત્રીજા દિવસે મોન્સૂનના વરસાદથી અનેક વિસ્તારોમાં માર્ગો પર 3 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. સતત બીજા દિવસે હાઈટાઇડ આવતાં સમુદ્રમાં 13 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં હતાં. થાણે અને તેની આજુબાજુના ક્ષેત્રોમાં વરસાદથી જનજીવન ખોરવાયું હતું. મુંબઈમાં ખરાબ હવામાનને લીધે હૈદરાબાદમાં સ્વિસ એરની જ્યૂરિખ-મુંબઈ કાર્ગો ફ્લાઈટને લેન્ડ કરાવાઇ હતી. બીજી બાજુ આસામમાં પૂરનો કેર યથાવત્ છે. ત્યાં રવિવારે વધુ બેનાં મોત સાથે મૃતકાંક 63 થઈ ગયો હતો. રાજ્યના 33માંથી 18 જિલ્લાના 10.75 લાખ લોકો પ્રભાવિત થયા હતા.
8 રાજ્યોમાં સરેરાશથી વધુ અને 2માં વધુ વરસાદ
ચોમાસાના 35 દિવસ વીતી ચૂક્યા છે અને તે અત્યાર સુધી સારું રહ્યું છે. 5 જુલાઈ સુધી દેશમાં 232.2 મિમી વરસાદ પડ્યો હતો. જોકે આ તારીખ સુધીની સરેરાશ 208.2 મિમી છે. એટલે કે સામાન્ય કરતાં 12 ટકા વધુ.
રાજ્ય | સરેરાશ | અત્યાર સુધી (મિલીમીટર) |
ગુજરાત | 156.5 | 141.4 |
મધ્યપ્રદેશ | 163.6 | 233.7 |
આસામ | 499.2 | 585.1 |
પ. બંગાળ | 366.7 | 423.4 |
બિહાર | 220.5 | 360.4 |
યુપી | 123.3 | 160.2 |
ઉત્તરાખંડ | 226.8 | 208.8 |
દિલ્હી | 81.4 | 66.5 |
પંજાબ | 70.9 | 70.7 |
હિમાચલ | 127.7 | 96.9 |
રાજસ્થાન | 69.9 | 65.4 |
ઓડિશા | 265.4 | 292.6 |
સ્રોત: વરસાદના આંકડા મિલીમીટરમાં 5 જુલાઈ સુધી.સ્ત્રોત આઈએમડી.
વિજ્ઞાનીઓએ એ વાત શોધી કાઢી છે કે, વૃદ્ધત્વ દૂર કરવાનું રહસ્ય આપણાં હાડકાંમાં જ છુપાયેલું છે. કોલંબિયા યુનિવર્સિટીના જિનેટિક્સ વિભાગના પ્રમુખ પ્રોફેસર ગેરાર્ડ કારસેન્ટી છેલ્લા 30 વર્ષથી હાડકામાં છુપાયેલું આ રહસ્ય જાણવા સંશોધન કરી રહ્યા છે. તેમણે હાડકાંમાં પેદા થનારા હોર્મોન ‘ઓસ્ટિયોકેલ્સિન’ પર રિસર્ચ દરમિયાન જોયું કે, આ હાડકાંના અંદર જૂના ટિશ્યૂને દૂર કરવા અને નવા ટિશ્યૂ બનાવવાનું સતત કામ કરે છે. તેનાથી આપણું કદ વધે છે. તેના માટે તેમણે ઉંદરોમાં આ હોર્મોનનું જીન્સ કાઢીને રિસર્ચ કર્યું છે. તેનાથી ખબર પડી કે, હાડકાંનાં અંદરના હોર્મોન પણ આપણાં શરીરની અનેક ક્રિયાઓને પ્રભાવિત કરે છે.
પ્રો. કારસેન્ટીએ કહ્યું કે, અગાઉ એવું મનાતું હતું કે, હાડકાંના માળખાથી આપણું શરીર માત્ર ઊભું રહે છે, પરંતુ હાડકાંના અંદરના ટિશ્યૂ આપણાં શરીરના અન્ય ટિશ્યૂ સાથે સહયોગ કરે છે. હાડકાં પોતાનું ખુદનું હોર્મોન બનાવે છે, જે બીજા અંગો સુધી સંકેત મોકલવાનું કામ કરે છે. તેની મદદથી જ આપણે કસરત કરીએ છીએ. તેનાથી વૃદ્ધત્વ રોકવામાં અને યાદશક્તિ વધારવામાં મદદ મળે છે. પ્રો. કારસેન્ટીનું કહેવું છે કે, વૃદ્ધત્વ ન આવવા દેવા માટે શરીરમાં ‘ઓસ્ટિયોકેલ્સિન’ વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. નિયમિત કસરતથી હાડકાં પોત-પોતાના ઓસ્ટિયોકેલ્સિન બનાવવા લાગે છે. વિજ્ઞાનીઓ ઓસ્ટિયોકેલ્સિનની દવા બનાવવામાં લાગેલા રહે છે, જેથી આ હોર્મોન લાંબા સમય સુધી શરીરમાં રહીને વૃદ્ધત્વની બીમારીઓથી બચાવી શકે.
વૃદ્ધ ઉંદરો પર બ્લડ પ્લાઝમાનો પ્રયોગ કરીને ઉંમર વધતાં અટકાવી
આ બાજુ બર્કલેની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વિજ્ઞાનીઓએ વૃદ્ધ ઉંદરો પર કરેલા એક શોધમાં જોયું કે, બ્લડ પ્લાઝ્માનો અડધો ભાગ કાઢીને તેના સ્થાને સલાઈન અને એલ્બ્યુમિનમાં બદલી દેવાથી ઉંમર વધવાની પ્રક્રિયા પલટાઈ જાય છે. તેનાથી માંસપેશિઓ, મગજ અને લિવરના ટિશ્યૂ ફરીથી યુવાન થવા લાગે છે. રિસર્ચ ટીમ હવે એ નિષ્કર્ષ કાઢી રહી છે કે, શું સંશોધિત બ્લડ પ્લાઝ્મા ઉંમર સાથે જોડાયેલી બીમારીઓના ઈલાજમાં મનુષ્યોમાં અસરકારક થશે? સાથે જ વૃદ્ધોના આરોગ્ય અંગે ટેિકનકલ ધોરણે કેટલી ફાયદાકારક થશે?
ગુજરાતની કુલ અંદાજિત 6.70 કરોડની વસતી સામે 36,123 વ્યક્તિઓ અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે, જે કુલ વસતીના અડધા ટકાથી વધુ એટલે 0.053 ટકા છે. હાલ ભારતની પણ કુલ 135 કરોડની વસ્તી સામે 6.97 લાખ લોકો કોરોના સંક્રમિત થયા છે જેનું પ્રમાણ પણ લગભગ ગુજરાતને સમાન જ 0.051 ટકા છે. રવિવારે ગુજરાતમાં 725 નવા કેસોનો ઉમેરો થયો હતો. આ સાથે ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 8,278 થઇ છે.
છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં રીકવરી રેટમાં સામાન્ય ઘટાડો નોંધાયો હોવાથી હાલ એક્ટિવ કેસોની સંખ્યા વધુ છે, પરંતુ મૃત્યુદરમાં સારો એવો ઘટાડો આવ્યો છે. રવિવારે 486 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી અને અત્યાર સુધીમાં કુલ 25,900 દર્દીઓ સાજા થતાં તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હાલ ગુજરાતનો રીકવરી રેટ 71.7 ટકા છે. જ્યારે મૃત્યુદર 5.38 ટકા જેટલો છે. રવિવારે જ રાજ્યમાં વધુ 18 લોકોએ જીવ ગુમાવતા કુલ 1,944 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યાં છે.
હજુ ગુજરાતમાં 72 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં કુલ 4.12 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયા હોઇ ગુજરાતમાં દર દસલાખની વસ્તીએ ટેસ્ટનું પ્રમાણ 5,952 છે. આ ઉપરાંત 2.68 લાખ લોકો હાલ ક્વોરન્ટીન છે.
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં બનનારા કૃષ્ણ મંદિરનો પાયો કટ્ટરવાદી ધાર્મિક જૂથોએ તોડી નાખ્યો છે. આ મંદિરનું નિર્માણ પાક.નું રાજધાની વિકાસ સત્તામંડળ કરી રહ્યું હતું. મુસ્લિમ કટ્ટરવાદી મૌલવીઓએ મંદિર વિરુદ્ધ ફતવો જારી કર્યો હતો, જેના પગલે વડાપ્રધાન ઇમરાન ખાને બે દિવસ અગાઉ મંદિરનું કામ રોકવા આદેશ આપ્યો હતો. સરકારે મંદિરનિર્માણ અંગે ઇસ્લામિક આઇડિયોલોજી કાઉન્સિલની સલાહ લેવાનું નક્કી કર્યું છે.
પાક.ના ધાર્મિક બાબતોના મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ધાર્મિક પાસાં ચકાસ્યા બાદ મંદિરનિર્માણ અંગે નિર્ણય લેવાશે. આ મંદિર 20 હજાર સ્ક્વેર ફુટમાં બનવાનું છે. મંદિરનું નિર્માણ 3 વર્ષથી અટકેલું હતું. થોડાં દિવસ અગાઉ જ મંદિરનો શિલાન્યાસ થયો હતો. વડાપ્રધાન ઇમરાને મંદિરનિર્માણ માટે 10 કરોડ રૂ. આપવાની જાહેરાત પણ કરી હતી, જેનો ઘણી કટ્ટરવાદી ધાર્મિક સંસ્થાઓએ વિરોધ કર્યો હતો. તેમણે મંદિરને ઇસ્લામવિરોધી ગણાવ્યું છે. જામિયા અશર્ફિયાના મુફ્તી જિયાઉદ્દીને ફતવો જારી કરીને કહ્યું હતું કે બિનમુસ્લિમો માટે મંદિર કે અન્ય ધાર્મિક સ્થળ બનાવવા સરકારી નાણા ખર્ચ ન કરી શકાય.
દેશમાં કોરોનાના નવા દર્દી વધવા સાથે મોત પણ વધ્યા છે. સોમવારે દેશમાં કોરોનાથી મોતનો આંકડો 20 હજારને પાર થઇ જશે. પ્રથમ 10 હજાર મોત 80 દિવસમાં થયા જ્યારે તે પછીના 10 હજાર મોતમાં માત્ર 21 દિવસ લાગ્યા. દેશમાં 30 મે સુધી કોરોનાના દર્દીઓનો મૃત્યુદર 2.8% હતો, જે 25 જૂને 3.9% સુધી ગયો હતો. ત્યાર બાદ મોત રોકવામાં થોડી સફળતા જરૂર મળી પણ આ મામલે અમેરિકા અને બ્રાઝિલ હવે ભારતથી આગળ નીકળી ગયા છે.
વિશ્વમાં સૌથી વધુ દર્દીઓવાળા અમેરિકામાં અગાઉ દર 100માંથી 6 દર્દીના મોત થતા હતા પણ ત્યાં 100માંથી 1 જ દર્દીનું મોત થાય છે. આ જ રીતે દર્દીઓ મામલે અમેરિકા બાદ બીજા ક્રમે પહોંચેલા બ્રાઝિલમાં મૃત્યુદર અડધો થઇ ગયો છે. ત્યાં મૃત્યુદર અગાઉ 5.8% હતો, જે હવે 2.6% થઇ ચૂક્યો છે. ભારતમાં સૌથી વધુ 6,309 મોત મહારાષ્ટ્ર અને 2,481 દિલ્હીમાં થયા છે. એટલે કે દેશના 46% મોત આ 2 રાજ્યમાં જ થયા છે. તમિલનાડુ 1,266 મોત સાથે ત્રીજા અને ગુજરાત 889 મોત સાથે ચોથા ક્રમે છે.
10 રાજ્યમાં કોરોનાના 12,665 દર્દીના મોત થયા છે, જે કુલ મોતના 66%
10 દિવસમાં ત્રણવાર ભારતમાં અમેરિકાથી વધુ મોત નોંધાયા
તારીખ | 25 જૂન | 26 જૂન | 27 જૂન | 28 જૂન | 29 જૂન | 30 જૂન | 1 જુલાઈ | 2 જુલાઈ | 3 જુલાઈ | 4 જુલાઈ |
ભારત | 405 | 414 | 390 | 415 | 506 | 502 | 506 | 581 | 365 | 449 |
અમેરિકા | 653 | 663 | 512 | 285 | 366 | 727 | 676 | 678 | 616 | 254 |
દેશ: હરિયાણામાં મોત સૌથી ઝડપથી વધ્યા, દિલ્હી-ગુજરાતમાં ઘટ્યા
રાજ્ય | કુલ મોત | 1 જૂન સુધી વધ્યા | 4 જુલાઇ સુધી વધ્યા | તફાવત વધ્યા/ઘટ્યા |
મહારાષ્ટ્ર | 6309 | 387.00% | 267.10% | -119.90% |
દિલ્હી | 2481 | 757.40% | 474.40% | -283.00% |
તમિલનાડુ | 1266 | 557.10% | 688.00% | 130.90% |
ગુજરાત | 889 | 339.80% | 85.60% | -254.20% |
ઉ.પ્રદેશ | 556 | 416.70% | 256.20% | -160.40% |
કર્ણાટક | 283 | 136.40% | 544.20% | 407.90% |
રાજસ્થાન | 248 | 226.20% | 124.60% | -101.60% |
મ.પ્રદેશ | 240 | 146.90% | 67.00% | -79.90% |
હરિયાણા | 239 | 425.00% | 1138.10% | 713.10% |
આંધ્ર પ્રદેશ | 154 | 93.90% | 240.60% | 146.70% |
કોરોનાના લીધે સ્કૂલ/કોલેજ અને કોચિંગ ક્લાસિસ બંધ છે. એવામાં વાલીઓની ઈચ્છા શું છે? તે બાળકોને ક્યારે સ્કૂલે મોકલવા માગે છે? સ્કૂલ ખૂલશે તો બાળકો કઇ રીતે જશે? આવા તમામ સવાલોના જવાબ જાણવા માટે ભાસ્કર જૂથે 21 જૂનથી 28 જૂન સુધી એક રાષ્ટ્રવ્યાપી સરવે હાથ ધર્યો હતો.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હિમાચલ, હરિયાણા, બિહાર, ઝારખંડ તથા દિલ્હીના 73 હજારથી વધુ વાંચકોએ ભાગ લીધો હતો. 55 હજારથી વધુ પુરુષ તથા 17 હજારથી વધુ મહિલાઓ સામેલ થઇ હતી. તેમાં સર્વાધિક 24,352 લોકો 36-45 વર્ષની વયજૂથના હતા. જોકે 25-36 વર્ષના 16,909 અને 46-55 વર્ષના 15,414 લોકોએ સરવેમાં ભાગ લીધો હતો.
સરવેના પરિણામો અનુસાર 60% લોકોએ કહ્યું કે તે બાળકોને સ્કૂલે ત્યારે જ મોકલશે જ્યારે કોરોના સંપૂર્ણપણે ખતમ થઈ જશે કાં તેની વેક્સીન બની જશે. જોકે 71% લોકો માને છે કે કોચિંગ ક્લાસિસ, કોલેજ, યુનિવર્સિટી ત્યારે જ ખૂલવા જોઈએ જ્યારે કોરોના મહામારી કાબૂમાં આવે. 44% લોકો માને છે કે જ્યારે સ્કૂલ ખૂલશે તો ફક્ત 9થી 12 ધોરણ સુધીના ક્લાસનું આયોજન થાય, જોકે કેજીથી 8માં સુધીના ક્લાસનું આયોજન ઓનલાઇન જ થાય.
દેશના 11 રાજ્યોમાં ભાસ્કરે સરવે કર્યો, 73,271 લોકોએ જવાબ આપ્યા, આ 10 સવાલોના માધ્યમથી અમે જાણવાનો પ્રયાસ કર્યો કે વાલીઓ શું ઈચ્છે છે?
1. બાળકોની સુરક્ષા અને તેમના અભ્યાસને ધ્યાનમાં રાખી
ચાલુ વર્ષે ફક્ત ઓનલાઇન અભ્યાસ થાય | 17% |
ચેપ કાબૂમાં આવતા જ સ્કૂલ ખોલવાનો નિર્ણય થાય | 55% |
આ એકેડમિક વર્ષને ઝીરો યર માની લેવાય | 25% |
કંઈ ના કહી શકાય. | 3% |
2. પ્રાથમિક શાળા(કેજીથી 5માં ધોરણ સુધી) ક્યારથી ખૂલશે?
ચેપ જ્યારે કાબૂમાં આવી જાય ત્યારે જ ખોલવી જોઈએ. | 29% |
તમામ ધોરણ શરૂ કર્યા પછી સૌથી છેલ્લે. | 20% |
કોરોનાની વેક્સિન આવ્યા પછી જ સ્કૂલ ખોલવામાં આવે. | 49% |
કંઈ કહી ના શકાય. | 2% |
3. ધો. 6થી ધો. 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ક્યારથી ખુલવી જોઇએ?
સંક્રમણ કાબૂમાં આવે તે પછી જ ખોલવી જોઇએ. | 45% |
દૈનિક કેસ અડધા થઇ જાય ત્યારે 1 ઓગસ્ટથી ખોલવી જોઇએ. | 18% |
કોરોનાની રસી આવ્યા પછી જ સ્કૂલો ખોલવી જોઇએ. | 35% |
કંઇ કહી ન શકીએ. | 2% |
4. ક્લાસીસ અને કોલેજ-યુનિવર્સિટી ક્યારથી ખૂલવા જોઇએ?
સરકાર નક્કી કરે ત્યારથી. | 13% |
સ્કૂલોથી 15 દિવસ વહેલા ખુલવા જોઇએ. | 14% |
સંક્રમણ કાબૂમાં આવે તે પછી જ ખોલવા જોઇએ. | 71% |
કંઇ કહી ન શકીએ. | 2% |
5. જો સ્કૂલો ખૂલે તો વ્યવસ્થા કેવા પ્રકારની હોવી જોઇએ?
દરેક સેક્શનને બે શિફ્ટ (50-50%)માં વહેંચી દેવામાં આવે | 27% |
અડધા સેક્શનને ઓડ/ઇવન પેટર્ન પર સ્કૂલે આવવા દેવાય. | 24% |
ધો. 9, 12ના વર્ગો શરૂ થાય. કેજીથી ધો. 8 સુધી ઓનલાઇન. | 45% |
કંઇ કહી ન શકીએ. | 4% |
6. સ્કૂલો ખૂલ્યા બાદ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કેવી હોવી જોઇએ?
પહેલાંની જેમ જ સ્કૂલ બસો ચાલે. | 25% |
બાળકોને તેમના વાલી જ સ્કૂલે લેવા-મૂકવા જાય. | 56% |
સ્કૂલ બસમાં કેપેસિટીના 50% બાળકોને જ બેસાડાય. | 14% |
કંઇ કહી ન શકીએ. | 5% |
7. સ્કૂલો ન ખૂલે તો ઓનલાઇન ક્લાસ કેટલા સમય માટે હોવા જોઇએ?
ધો. 8 સુધી 2-3 કલાક અને ધો.9થી ધો.12 માટે 3થી 5 કલાક. | 3% |
ધો.8 સુધી 1-2 કલાક અને ધો.9થી ધો.12 માટે 2-3 કલાક. | 41% |
બધા ધોરણ માટે સ્કૂલના સમય જેટલા જ ઓનલાઇન ક્લાસ હોય. | 53% |
કંઇ કહી ન શકીએ. | 3% |
8. હાલ ઓનલાઇન સ્થિતિમાં સ્કૂલોએ શું-શું કરવું જોઇએ?
સ્કૂલો માત્ર શૈક્ષણિક કાર્ય કરે, એટલે કે ફક્ત અભ્યાસ પૂરો કરાવે. | 34% |
અભ્યાસ સાથે એક્ઝામ/ટેસ્ટ/એસેસમેન્ટ પણ બાળકો પાસે કરાવાય. | 24% |
અભ્યાસ, એક્ઝામ, ટેસ્ટ સાથે બાળકોનું ગ્રૂમિંગ પણ કરે. | 38% |
કંઇ કહી ન શકીએ. | 4% |
9. સ્કૂલો શરૂ થાય ત્યારે વધારાના કયા પિરિયડ ઉમેરવા, કયા બાદ કરવા જોઇએ?
સ્કૂલોમાં પહેલો પિરિયડ યોગનો હોવો જોઇએ. | 19% |
રસી ન આવે ત્યાં સુધી સ્પોર્ટ્સનો પિરિયડ બંધ રહેવો જોઇએ. | 22% |
ડિસ્ટન્સિંગવાળી રમતો ચાલુ રખાય અને યોગ પણ કરાવાય. | 56% |
કંઇ કહી ન શકીએ. | 3% |
10. જ્યારે સ્કૂલો ખૂલે ત્યારે..
હું મારા બાળકને પહેલા દિવસથી જ મોકલીશ. | 17% |
હું તો થોડા દિવસો પછી જ મોકલીશ. | 21% |
હું કોરોના સંપૂર્ણપણે ખતમ થાય કે રસી આવે ત્યારે મોકલીશ. | 60% |
કંઇ કહી ન શકીએ. | 2% |
ગણેશોત્સવ મહારાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર છે. જોકે, આ વખતે 22 ઓગસ્ટથી શરૂ થનારા ઉત્સવમાં કોરોનાના કારણે વિઘ્ન આવ્યું છે. રાજ્યમાં 60 હજારથી વધુ ગણેશ મંડળ છે, 12 હજાર તો માત્ર મુંબઈમાં જ છે. મુંબઈમાં લગભગ 2 લાખ ઘરમાં પણ પ્રતિમા સ્થાપિત કરાય છે. બૃહદમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ નરેશ દહીબાવકર જણાવે છે કે, આ વખતે 40% ઓછા ગણેશ પંડાલ લાગશે. એટલે કે, લગભગ 7200 પંડાલમાં જ ભગવાન બિરાજશે.
મૂર્તિનો આકાર 4 ફૂટનો રાખવા અપીલ
દર વર્ષે ગણેશજીની સ્થાપના કરનારા ઘરોમાં પણ 50% નહીં કરે. જેનું મોટું કારણ એ કે પ્રતિમા જ માંડ મળશે. દહીબાવકર કહે છે, “મોટા મંડળોએ ઓનલાઈન દર્શનની સાથે પરંપરા યથાવત રાખવી જોઈએ”. બૃહદમુંબઈ ગણેશ મૂર્તિકાર સંઘના અધ્યક્ષ ગજાનન તોંડવલકરે કહ્યું કે, ‘પ્રતિમાઓ બનાવવા માટે ગુજરાતથી 140 ટન માટી મગાવી છે, જેને 150 મૂર્તિકારોને વિતરિત કરાઈ હતી. રૂ.8.75 લાખ ખર્ચ થયા, પરંતુ કોરોના અને સરકારની નીતિઓના કારણે પ્રતિમા બનાવવી અને વેચાણ મુશ્કેલ છે. સરકારે ગણેશોત્સવ જુલુસ પર પ્રતિબંધ લગાવેલો છે. મૂર્તિનો આકાર 4 ફૂટનો રાખવા અપીલ કરી છે. મનપાએ હજુ સુધી પ્રતિમા બનાવવા માટે જગ્યા પણ આપી નથી.’
‘લાલબાગ ચા રાજા’ આ વર્ષે બિરાજશે નહીં, વાંચો મુખ્ય ગણેશ મંડળ શું કરશે
100 વર્ષ જૂના ‘ચિંચપોકલીના ચિંતામણિ’માં નાની પ્રતિમા
‘ચિંચપોકલીના ચિંતામણી’નું આ 101મું વર્ષ છે. મંડળના અધ્યક્ષ ઉમેશ સીતારામ નાઈકે કહ્યું કે, ગયા વર્ષે 18 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપી હતી, પરંતુ આ વખતે પ્રતિમા નહીં લાવીએ. માત્ર ચાંદીની નાની પ્રતિમા મુકીશું. જેનું વિસર્જન નહીં કરીએ. દક્ષિણ મુંબઈના ખેતવાડી વિસ્તારમાં પણ 3 ફૂટની પ્રતિમા જ સ્થાપિત કરાશે. અહીં ગયા વર્ષે 35 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાઈ હતી.
જીએસબી ગણપતિમાં ઓનલાઈન બુકિંગથી જ દર્શન, વિશેષ રાહત માગી
જીએસબી સેવા મંડળના ટ્રસ્ટી આર.જી ભટ્ટે કહ્યું કે, અમે ગણેશોત્સવ મનાવીશું. દર્શનના ઓનલાઈન સ્લોટ આપીશું. દર વર્ષે ગણેશને 70 કિલો સોના અને 350 કિલો ચાંદી સહિત રૂ.22 કરોડના ઘરેણા પહેરાવાય છે. નાની પ્રતિમામાં આ શક્ય નથી. વિશેષ રાહત માગી છે.
‘અંધેરી કા રાજા’નું 2028 સુધી બુકિંગ, નિર્ણય બાકી
આઝાદનગર સાર્વજનિક ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત ‘અંધેરી કા રાજા’ ગણેશોત્સવ મંડળે ગણપતિની પ્રતિમાના સાંચાનું 2016થી ટ્રેડમાર્ક લઈ રાખ્યું છે. લોકોમાં પ્રતિમા બનાવવા માટે દાન કરવાની એટલી ઈચ્છા છે કે, 2028 સુધીનું બુકિંગ ફુલ છે. ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી જેવા સ્ટાર વેઈટિંગમાં છે. પ્રવક્તા ઉદય સાલિયને કહ્યું કે, શ્રાવણમાં ગણેશોત્સવ મનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરી નિર્ણય લઈશું.
કોરોના મહામારીને કારણે આ વર્ષે શહેરની ક્લબો, પાર્ટીપ્લોટો અને ફાર્મહાઉસમાં નવરાત્રિના ગરબાનું આયોજન નહિ થઈ શકે. ઓક્ટોબરમાં આવનારી નવરાત્રિના આયોજન માટે શહેરના કેટલાક મોટાગજાના આયોજકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી રજૂઆત કરી હતી. જોકે મુખ્યમંત્રીએ રજૂઆત સાંભળ્યા બાદ જુલાઈના અંત સુધીમાં યોગ્ય નિર્ણય લેવા માટે જણાવ્યું હતું, પરંતુ જે રીતે સુરત સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતાં રમજાન ઇદ, રથયાત્રા, બાદ નવરાત્રીમાં પણ સરકાર ક્લબો, પાર્ટી પ્લોટોમાં રાસ-ગરબા યોજવા માટે મંજૂરી નહિ આપે તેવું ઉચ્ચ પોલીસ અધિકારીઓનું કહેવું છે.
ગરબા યોજશે તો આયોજકને નુકસાન થશે
શહેરમાં દર વર્ષે ક્લબો, પાર્ટી પ્લોટ્સ, ફાર્મ હાઉસ મળી 80થી 90 જગ્યાએ રાસ-ગરબા યોજાતા હતા. ગયા વર્ષે દિવાળી સુધી વરસાદ ચાલુ રહ્યો હોવાથી 65 આયોજકોએ રાસ-ગરબાનું આયોજન કર્યું હતું. જ્યારે ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે એક પણ ક્લબ, પાર્ટી પ્લોટમાં ગરબા નહિ યોજાય તેવો સૂર પોલીસની સાથે આયોજકોનો પણ છે. તેમાં પણ જો સરકાર સોશિયલ ડિસ્ટન્સ સાથે એટલે કે ગ્રાઉન્ડની કેપિસિટી કરતાં 30થી 40 ટકા ઓછા લોકો સાથે ગરબા યોજવાની મંજૂરી આપે તો તે રીતે ગરબા યોજવામાં પણ આયોજકોને નુકસાન થાય તેમ છે.
દહેશતને કારણે કોઇ રમવા નહીં આવે
આયોજકોનું માનવું છે કે, જો જુલાઈ મહિનાના અંત સુધીમાં ગરબા યોજવા અંગે નિર્ણય લેવાય તો પણ છેલ્લી ઘડીના નિર્ણયથી રાસ-ગરબા યોજવાનું અઘરું સાબિત થઈ શકે છે. સરકાર રાસ-ગરબાના આયોજનની મંજૂરી આપશે તો પણ ખેલૈયા ગરબા રમવા નહીં આવે તેવી દહેશતને કારણે પણ ઘણા આયોજકો રાસ-ગરબા યોજવાના મૂડમાં નથી.
‘છેલ્લી ઘડીએ મંજૂરી મળશે તો પણ અમે ગરબા નહીં યોજીએ’
સિંધુ ભવન રોડ પર આવેલા પાર્ટી પ્લોટના આયોજકોએ આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, જો સરકાર છેલ્લી ઘડીએ રાસ ગરબા યોજવા માટે મંજૂરી આપશે તો પણ અમારા મારે આયોજન કરવું અઘરું પડી જશે. સામાન્ય રીતે અમારે 3 મહિના પહેલાથી નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દેવી પડે છે. છેલ્લી ઘડીએ સ્પોન્સર શોધવાથી માંડીને તમામ તૈયારીઓ કરવી અશક્ય છે.
‘સરકારે મેમ્બરો માટે પણ ક્લબો બંધ રાખી છે, તો નવરાત્રિમાં ગરબા માટે તો કેવી રીતે મંજૂરી આપશે’
કોરોનાના કારણે છેલ્લા 4 મહિનાથી ક્લબો મેમ્બરો માટે પણ બંધ રાખવામાં આવી છે. જોકે સરકાર મેમ્બરોને પણ ક્યારે ક્લબમાં જવા માટે મંજૂરી આપશે તે હજુ નક્કી નથી ત્યારે આ વર્ષે સરકાર ગરબા માટે મંજૂરી આપે તેવું લાગતું નથી. - રક્ષિત પટેલ, ડિરેક્ટર, રાજપથ ક્લબ
‘જો મંજૂરી મળશે તો ગરબા યોજવા અંગે વિચાર કરીશું’
આમ તો સરકાર રાસ-ગરબા યોજવા માટે મંજૂરી આપે તેવું લાગતું નથી તેમ છતાં પણ જો સરકાર મંજૂરી આપશે તો ગરબા યોજવા અંગે વિચારીશું, પરંતુ લોકોમાં કોરોનાનો ડર એટલો બધો છે કે ખેલૈયા પણ ગરબા રમવા જતા વિચારશે. - મિશાલ પટેલ, સેક્રેટરી, રાજપથ ક્લબ
પ્રથમ વખત બાબા બર્ફાનીની વિશેષ પૂજાનું લાઈવ પ્રસારણ રવિવારે સવારે સાડા સાત કલાકે થવા જઈ રહ્યું છે. પ્રસારણ 3 ઓગસ્ટ સુધી એટલે કે, રક્ષાબંધન સુધી ચાલુ રહેશે. તેના માટે દૂરદર્શનની 15 લોકોની ટીમ ગુફા પરિસરમાં રહેશે. સૂત્રો અનુસાર, રવિવારે થનારી વિશેષ પૂજામાં લે. ગવર્નર ગિરીશ ચંદર મૂર્મૂ પણ ભાગ લઈ શકે છે.
હેલિપેડ અને કેમ્પ તૈયાર
આ વખતે યાત્રા થશે નહીં એ નક્કી કરવા શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેન ગિરીશ ચંદર મૂર્મુની અધ્યક્ષતામાં 6 જુલાઈના રોજ શ્રીનગરમાં બેઠક થઈ શકે છે. જેમાં યાત્રા શરૂ કરવાની તારીખ, નોંધણી અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. સૂત્રો અનુસાર, કોરોના રોગચાળાને જોતાં આ વખતની યાત્રા ઓછા સમય માટે નક્કી કરી શકાય છે. તંત્રએ નક્કી કર્યું છે કે, જો મંજૂરી મળે છે તો તે બાલતાલના રસ્તે જ થશે. પહેલગામના પારંપરિક માર્ગ પર નહીં. બાલતાલ વાળા રસ્તામાં 16 કિમીની ચઢાઈ છે. આ જ રસ્તાથી શ્રદ્ધાળુઓ એકથી બે દિવસમાં દર્શન કરીને પાછા ફરી શકે છે. બાલતાલ માર્ગમાં ચાર હેલિપેડ અને બેઝ કેમ્પ તૈયાર થયા છે.
ઘાટીમાં 10માંથી 9 જિલ્લા રેડ ઝોનમાં
સૂત્રો અનુસાર આ વખતે હેલિકોપ્ટર દ્વારા પણ યાત્રા કરાવી શકાય છે. રાજ્યના મુખ્ય સચિવ બી.વી.આર. સુબ્રમણ્યમ યાત્રાના સ્વરૂપ પર કામ કરી રહ્યા છે. તેમણે વૈકલ્પિક સડક માર્ગ નીલગ્રથથી બાલતાલમાં ચાલી રહેલા કાર્યોનું પણ નીરિક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રા માટે કડક નિયમ લાગુ થઈ શકે છે. ચકિત્સા વ્યવસ્થા પર ધ્યાન આપવું પડશે. ઘાટીમાં 10માંથી 9 જિલ્લા રેડ ઝોનમાં છે. યાત્રા માટે જમ્મુ-કાશ્મીર માટે બહારના ડોક્ટરો ઉપલબ્ધ રહેશે નહીં. જો યાત્રાને મંજુરી મળી તો એક દિવસમાં માત્ર 500 લોકોને જ જમ્મુથી રવાના કરાશે. દરેક શ્રદ્ધાળુનો કોવિડ ટેસ્ટ કરાશે.
ગયા વર્ષે ધમકી મળતા યાત્રા રોકી હતી
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો પણ યાત્રાના માર્ગે ગોઠવવામાં આવી છે. પિટ્ઠુવાળા અને પોનીવાળાને યાત્રામાં સામેલ કરવાની મંજૂરી અંગે નિર્ણય લેવાયો નથી. સ્વયંસેવી સંસ્થાઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે. ગયા વર્ષે 2 ઓગસ્ટના રોજ આતંકવાદી ધમકી અને માર્ગમાં વિસ્ફોટક મળતાં યાત્રા રોકીદેવાઈ હતી.
હેલિકોપ્ટરથી પણ શ્રદ્ધાળુઓને મોકલી શકાશે, ચાર હેલિપેડ તૈયાર
બાબા બર્ફાનીના દર્શન માટે જમ્મુથી મહત્તમ 500 શ્રદ્ધાળુને મંજૂરી મળી શકે છે. દરેક શ્રદ્ધાળુનો કોરોના ટેસ્ટ થશે. કાશ્મીર ઘાટીમાં 10માંથી 9 જિલ્લા કોરોનાના લીધે રેડ ઝોનમાં છે. આથી બોર્ડ આ વખતે યાત્રા નાની રાખવા માગે છે. જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી કોરોના 8,019 સંક્રમિત દર્દી મળ્યા છે, જેમાંથી 2,825 હજુ પણ સક્રિય છે જ્યારે 199 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.
રાજ્યમાં પોલીસના લોકરક્ષક દળમાં ભરતી મામલે લાંબા સમયથી આંદોલન ચલાવી રહેલી મહિલા ઉમેદવારોની સમસ્યાનો આખરે અંત આવ્યો છે. જિલ્લા ફાળવણી સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ થઇ જવા છતાં નિમણૂંકપત્રો નહીં અપાતા હોવાથી મહિલા ઉમેદવારોએ ફરી એકવાર આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારતા ડીજીપી શિવાનંદ ઝાએ શનિવારે જ તમામ મહિલા ઉમેદવારોને નિમણૂંક આપી દેવા સૂચના આપી હતી.
નિમણૂંક ના કરાતા ઉમેદવારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
ઝાએ તમામ પોલીસ કમિશનર અને જિલ્લા અધિક્ષકોને જણાવ્યું હતું કે નિમણૂંકપત્રો આપવાના બાકી છે તેવા તમામ ઉમેદવારોને મેડિકલ, ચારિત્ર્ય વેરીફિકેશન, દસ્તાવેજી ચકાસણી, બોન્ડ સહિત નિમણૂંક હૂકમ આપતા પહેલા કરવાની થતી તમામ કાર્યવાહી સમયમર્યાદામાં પૂર્ણ કરીને 4 જુલાઇના રોજ નિમણૂંક હુકમ આપી દેવા, તેમજ તમામ ઉમેદવારો 15મી જુલાઇના રોજ હાજર થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ઉલ્લેખનીય છે કે અનામત મામલે ડિસેમ્બર મહિનાથી મહિલા ઉમેદવારો આંદોલન ચલાવી રહી હતી. મે મહિનામાં ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરાઇ હતી અને તે પછી 25 જૂન સુધીમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી પરંતુ નિમણૂંક નહીં અપાતા ફરી આંદોલનની ચિમકી આપી હતી.
છેલ્લાં અઠવાડિયાથી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પરંતુ, અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ગેરહાજરીથી ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયા છે. પરંતુ, આનંદની વાત એ છે કે, દક્ષિણ ગુજરાતની સાથે અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનીક સરક્યુલેશન સક્રીય થતાં સમગ્ર રાજ્યમાં બારે મેઘ ખાંગા થશે, જેમાં આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવોથી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
અપર એર સરક્યુલેશન લો-પ્રેશરમાં બદલાશે
હાલમાં અરબી સમુદ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય છે, આ સરક્યુલેશન ઉત્તરોતર થોડું ઉપર તરફ વધીને 6 અને 7 જુલાઈએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી પહોંચશે, અને સોરાષ્ટ્રનાં ભાગમાં લો-પ્રેશરમાં પરિવર્તિત થશે. તેમજ લો-પ્રેશર મજબૂત બનીને વેલમાર્ક લો- પ્રેશર બનશે, જેથી સૌરાષ્ટ્રનાં ભાગોમાં અતિભારે વરસાદ થતાં 5થી 15 ઇંચ જેટલું પાણી વરસવાની સાથે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની શકયતા છે.
ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રભારી રાજીવ સાતવને સ્થાને નવા પ્રભારીની ટૂંકમાં નિમણૂંક કરાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાઇ કમાન્ડ પ્રભારી તરીકે રાજીવ શુક્લા અથવા કોઇ મહિલા નેતાની નિમણૂક કરી શકે છે. રાજીવ સાતવ ગુજરાતમાં સારા પરિણામ લાવવામાં ખાસ સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી. ગુજરાતમાં નવા પ્રભારી તરીકે કોંગ્રેસમાં સંગઠનના જાણકાર એવાં કોઇ વ્યક્તિને મુકવામાં આવી શકે છે. જો કે હાલ ગુજરાત પ્રભારી તરીકે રાજીવ શુક્લાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. આ ઉપરાંત ઉત્તર ભારતના એક યુવા પ્રભાવી મહિલા નેતા પણ ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે આવી શકે છે. 2017માં અશોક ગેહલોત પ્રભારી હતા ત્યારે કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો.
કોંગ્રેસના સંગઠનમાં પણ હિલચાલ શરૂ
ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં પણ હવે નિયુક્તિઓ થવાં જઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ માળખાના તમામ હોદ્દાઓ પર નિમણૂકો થશે. પ્રમુખ અમિત ચાવડા સિવાયના બાકીના તમામ માળખાને અગાઉ વિખેરી નખાયું હતું. નવા માળખામાં યુવાન ધારાસભ્યને તક મળી શકે છે.
કોરોનાની જાણકારી મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબ્લ્યૂએચઓ)એ ગુલાંટ મારી હતી. હવે તે કહે છે કે વુહાનમાં ન્યુમોનિયા જેવા કેસ વિશે સૌથી પહેલાં ચીન સ્થિત તેની ઓફિસે માહિતી આપી, નહીં કે ખુદ ચીને. વૈશ્વિક સંગઠને માહિતી અપડેટ કરીને જણાવ્યું કે અત્યાર સુધી કોરોના સામેની લડાઈ કેવી રીતે લડાઈ. અગાઉ ડબ્લ્યૂએચઓએ કહ્યું હતું કે ગત વર્ષે 31 ડિસેમ્બર 2019ના રોજ ચીને કોરોનાના પ્રથમ કેસની માહિતી આપી હતી પણ ડબ્લ્યૂએચઓની વેબસાઇટ પર જે મહામારીની ટાઈમલાઇન અપડેટ થઈ છે, વિવાદ તેની સાથે જ સંકળાયેલો છે.
કોરોના સ્ત્રોતની તપાસ માટે ટીમ ચીન ગઈ હતી
20 એપ્રિલના રોજ ડબ્લ્યૂએચઓના ચીફ ટેડ્રોસ અદનોમ ગેબ્રેયાસસે કહ્યું હતું કે ચીનમાં પ્રથમ કેસ સામે આવ્યો હતો. જોકે તેમણે એમ નહોતું જણાવ્યું કે આ રિપોર્ટ ચીનના અધિકારીઓએ મોકલ્યો હતો કે કોઈ અન્ય સૂત્રએ. આ દરમિયાન સંગઠને નક્કી કર્યુ છે કે તે કોરોનાના સ્ત્રોતની તપાસ માટે આગામી અઠવાડિયે ટીમને ચીન મોકલશે. આ નિર્ણય ચીનની લેબથી કોરોના નીકળવા અને તેના દુનિયામાં ફેલાવાના આરોપો બાદ લેવાયો હતો.
ડબ્લ્યૂએચઓએ કહ્યું કે, ‘સમય જાગૃત થવા અને સાવચેતી રાખવાનો છે’
ડબ્લ્યૂએચઓના ઇમરજન્સી ડિરેક્ટર માઈકલ રેયાને કહ્યું કે લોકોને જાગૃત થવાની જરૂર છે. ડબ્લ્યૂએચઓએ કોરોના પ્રભાવિત દેશોને મહામારીના ફેલાવા પર કાબૂ કરવા અને ગ્રાઉન્ડ લેવલે સાવચેતી રાખવાની અપીલ કરી હતી.