
આઈટી સિટી બેંગલુરુમાં લગભગ બે સપ્તાહ પહેલા બધું જ બરાબર હતું. કોવિડ-19 અંગે તેનું દૃષ્ટાંત અપાતું હતું, પરંતુ અચાનક દરરોજ એક હજારથી વધુ કેસ આવવા લાગ્યા. 27 જુનથી પહેલાના આંકડા જોઈએ તો દરરોજ 100થી 140 કેસ આવતા હતા, પરંતુ અચાનક 1000થી 1500 કેસ થઈ ગયા. બુધવારે કર્ણાટકના કુલ 28,877 કોવિડ કેસમાં 60% માત્ર બેંગલુરુના હતા. એમ્બ્યુલન્સ, પથારી, ઓક્સિજન સિલિન્ડરની સાથે-સાથે કબ્રસ્તાન-સ્મશાનમાં પણ જમીન ખૂટવા લાગી છે. પંચાયતોએ બેંગલુરુથી આવનારા પર દંડ ફટકારવાની જાહેરાત કરી છે. શહેરની નાજૂક સ્થિતિનો અંદાજ તેનાથી લગાવી શકાય કે હાઉસિંગ સોસાયટીઓ એપાર્ટમેન્ટ્સના ક્લબ હાઉસમાં ઓક્સિજન સિલિન્ડરવાળી પથારી ફીટ કરાવવા વિચારી રહી છે.
કોઇ પણ હોસ્પિટલમાં હવે જગ્યા નથી
કોવિડ ટાસ્ક ફોર્સને લીડ કરી રહેલા ડો. સીએન મંજુનાથે સ્વીકાર્યું કે, બેંગલુરુમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. પથારી અને એમ્બ્યુલન્સની વ્યવસ્થામાં સરકારને મુશ્કેલી પડી રહી છે. ટૂંક સમયમાં જ નવી 700 એમ્બ્યુલન્સ ખરીદવાની છે. અત્યારે બેંગલુરની 1.20 કરોડની વસ્તી પર માત્ર 300 એમ્બ્યુલન્સ છે. બેંગલુરની આ સ્થિતિ અંગે પબ્લિક હેલ્થ સર્વિસની ડો. સેલવિયા કારપાગમ જણાવે છે કે, કોવિડ અંગે સરકારની નીતિ ખોટી છે. કોવિડ પોઝિટિવ રિપોર્ટ વગર એમ્બ્યુલન્સ નહીં મળે કે હોસ્પિટલમાં પથારી નહીં મળે. તબિયત બગડવાના ત્રણ દિવસ પછી રિપોર્ટ આવે છે, ત્યાં સુધી મોડું થઈ ગયું હોય છે. હકીકત એ છે કે કોઈ પણ હોસ્પિટલમાં પથારી નથી. ઈન્ટરનેશનલ એક્ઝીબિશન સેન્ટરને કોવિડ કેર સેન્ટરમાં બદલીને 10,000 પથારીની વ્યવસ્થા કરી છે, પરંતુ અહીં લક્ષણ વગરના દર્દીઓને રખાશે.
હાલમાં છે તેના કરતાં 200 ટકા વધારે કેસ હોવાનો દાવો
ડો. સેલવિયાએ કહ્યું કે, આ પથારીની સાથે ઓક્સિજન અને વેન્ટિલેટર નથી. 100 દર્દી પર માત્ર એક ડોક્ટર અને બે નર્સ તૈનાત કરાઈ છે. પથારીની જરૂર ગંભીર દર્દીઓને છે, જેમના માટે અહીં કોઈ સુવિધા નથી. યુરોલોજિસ્ટ ડો. બેલગામી મોહમ્મદ સાદે જણાવ્યું કે, લૉકડાઉન પછી લોકો નિશ્ચિંત થઈ ગયા હતા અને મહારાષ્ટ્ર જેવા ચેપી વિસ્તારોમાં લોકોનું આવન-જાવન શરૂ થઈ ગયું હતું. જેના કારણે અહીં ઝડપથી ચેપ ફેલાઈ રહ્યો છે. ડો. સાદ દાવો કરે છે કે, કોવિડના જેટલા કેસ જણાવાઈ રહ્યા છે, તેનાથી 200% વધુ છે. ડો. બેલગામી પણ અનેક વોલેન્ટિયર ગ્રૂપમાં છે, જે લોકોની મદદ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા 5 દિવસમાં 5300 ફોન એવા આવ્યા છે, જેમાં લોકો પુછે છે કે, તેમને કોવિડના લક્ષણ છે તો શું કરવાનું છે.
ખાનગી હોસ્પિટલમાં ફી 35 હજાર સુધી
બેંગલુરુની 300 સરકારી અને બિનસરકારી હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓના ઈલાજની વ્યવસ્થા છે, પરંતુ શહેરની ખાનગી હોસ્પિટલો લૂંટી રહી છે. તાજેતરમાં જ અહીં એક ખાનગી એચબીએસ હોસ્પિટલના 44માંથી 39 ડોક્ટર ડ્યુટી પર ન આવ્યા તો હોસ્પિટલનું તંત્ર વેરવિખેર થઈ ગયું હતું. સિવિલ સોસાયટીએ સરકારને કાયદેસર પત્ર લખીને તેની ફરિયાદ કરી છે. ખાનગી હોસ્પિટલના જનરલ વોર્ડમાં વેન્ટિલેટર સાથે પથારીનો એક દિવસનો ખર્ચ રૂ.25,000થી 35,000 સુધીનો છે. આ અંગે ડો. સેલવિયા કહે છે, આ દર પહેલા તો ઘણો વધુ હતો, સરકાર સાથે લડીને તેને ઓછો કરાવાયો છે. તેમ છતાં દરેક વ્યક્તિ આટલી રકમ ચુકવી શકે નહીં. શહેરમાં પરપ્રાંતિય મજૂરોનું પલાયન પણ ચાલુ છે. દર બે-ત્રણ દિવસના અંતરે શ્રમિક ટ્રેન ચાલી રહી છે. (@ ટીમ-5નો ગ્રાઉન્ડ રિપોર્ટ )
ઓક્સિજન સપ્લાય ધીમો પડ્યો, દરરોજ 50-100 ફોન આવી રહ્યા
ડો. સેલવિયા જણાવે છે કે, ચાર દિવસથી તેમની પાસે ત્રણ એવા દર્દી હતા જેમને હોસ્પિટલમાં પથારીની જરૂર હતી. ત્રણેયનું મોત થઈ ગયું, પરંતુ પથારી ના મળી. બેંગલુરુના જયનગરમાં મર્સી મિશન તરફથી દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર પહોંચાડનારા તોસીફ ખાન કહે છે, તેમના ઓળખિતા આબિદના પિતાએ ઈલાજ માટે 28 હોસ્પિટલના ધક્કા ખાધા, અમે પણ ભલામણ કરી, પરંતુ તેમણે એમ્બ્યુલન્સમાં જ દમ તોડી દીધો. મર્સી મિશનની હોટલાઈન પર દરરોજ 50થી 100 કોલ એવા આવી રહ્યા છે, જેમં લોકો કહે છે કે તેઓ શ્વાસ નથી લઈ શકતા. આઈસીયુ અને હાઈફ્લો એક્સિજનની પણ દસ ગણી વધુ જરૂરિયાત છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/303CO8W
No comments:
Post a Comment