
from India Today | Top Stories https://ift.tt/2N1AR7b
આજથી માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળનારા લોકો પાસેથી પોલીસ પણ રૂ. 200નો દંડ વસૂલ કરી શકશે. અત્યાર સુધી ફક્ત મ્યુનિ. પાસે જ દંડ વસૂલવાની સત્તા હતી, પરંતુ રાજ્ય સરકારે હવે માસ્ક વિના ફરનારા લોકો પાસેથી દંડ વસૂલ કરવાની સત્તા પોલીસને પણઆપી દીધી છે.
મંગળવારે સાંજે શહેરના તમામ આઈપીએસ અધિકારીઓની યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કહ્યું હતું કે, પોલીસ બુધવાર સવારથી જ માસ્ક વગર ઘરની બહાર નીકળનારા લોકો પાસેથી દંડ વસૂલ કરી શકશે. આ અંગે ટ્રાફિક પોલીસ અને તમામ પોલીસ સ્ટેશનને સૂચના અપાઈ છે.
કોરોના મહામારી પછી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પર પ્રમુખ શી જિનપિંગની પકડ નબળી પડતી દેખાઈ રહી છે. લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (એલએસી) પર ભારતીય જવાનો સાથે હિંસક અથડામણ જિનપિંગને મજબૂત નેતા તરીકે દર્શાવવાનો પ્રયાસ હોય એવું દેખાઈ રહ્યું છે. રાજકીય અને સુરક્ષા વિશ્લેષકોના મતે, ચીન પ્રોપેગેન્ડા હેઠળ ચીનને મજબૂત દેશ અને જિનપિંગને નિર્ણાયક નેતા તરીકે રજૂ કરવા ધમપછાડા કરી રહ્યું છે, પરંતુ કોરોના મહામારી સામે લડવામાં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ખરાબ રીતે નિષ્ફળ રહ્યા પછી તેમનો અસલી ચહેરો સામે આવી ગયો છે.
હાલના સમયમાં ચીનના આક્રમક વર્તનનું વિશ્લેષણ કરતા ચીનના મામલાના નિષ્ણાત અને ચાઈના નેશનના કો-ફાઉન્ડર એડમ નીએ કહે છે કે, ચીનના કેટલાક લોકો બદઈરાદાથી તેને અખંડ રાષ્ટ્ર તરીકે પ્રચારિત કરી રહ્યા છે. કોમ્યુનિસ્ટ પાર્ટી પણ એવા ઈરાદા ધરાવે છે. તેમના નેતાઓ પણ આસપાસના દેશો પર વર્ચસ્વ જમાવવા હંમેશા ભાર મૂકે છે, જ્યારે હકીકત એ છે કે ચીન અનેક ટુકડામાં વહેંચાઈ ગયું છે. તેમના નેતાઓ પરસ્પર વિરોધાભાસી છે. સંજોગો વિપરિત હોવાથી તેઓ મજબૂરીમાં એકબીજાની સાથે છે.
સેન્ટર ફોર સ્ટ્રેટેજિકમાં ચીન ઈકોનોમિક્સ અને બિઝનેસના નિષ્ણાત સ્કોર્ટ કેનેડીએ કહ્યું કે, મહામારીના કારણે દેશને થયેલા નુકસાન ભરપાઈ કરવા કોમ્યુનિસ્ટ પાર્ટીએ તમામ નેતાઓને સક્રિય થવાનો હુકમ કર્યો છે. આ કારણસર ચીનના નેતાઓ મોટી સંખ્યામાં સોશિયલ મીડિયામાં ચીનના હિતોની રક્ષા કરતા હોય એવો દેખાડો કરી રહ્યા છે. એટલું જ નહીં, ચીન જે વિકાસ દરની વાત કરે છે, તે અનેક રીતે વિશ્વાસ કરવા લાયક નથી.
કેનેડીનું અનુમાન છે કે, કોવિડ-19ના કારણે ચીનને રૂ. 756 કરોડનું નુકસાન થયું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના અનુમાન પ્રમાણે, 2020માં ચીનનો વિકાસ દર ફક્ત 1.2% અને બેકારી દર 15% થઈ જશે, પરંતુ તેમણે બેકારી દર 5.5% રાખવાનું લક્ષ્ય રાખ્યું છે.
ગ્લોબલ તાઈવાન ઈન્સ્ટિટ્યુટના સિનિયર ફેલો જે માઈકલ કોલનો આરોપ છે કે, ચીનમાં ત્રણ હજાર નેતાઓની કુલ સંપત્તિ જ રૂ. 35.53 લાખ કરોડથી વધુ છે. તેઓ સ્વાર્થી, લાલચુ અને તકવાદી છે. કોમ્યુનિસ્ટ પાર્ટીના દરેક સભ્યની સરેરાશ સંપત્તિ રૂ. 1,220 કરોડ છે.
બેજિંગમાં કોરોનાના દર્દીઓ 106, ‘નો ગોન ઝોન’ જાહેર, સ્કૂલ-કોલેજો બંધ
બેજિંગ- ચીનની રાજધાની બેજિંગમાં મંગળવારે કોરોના દર્દીઓની સંખ્યા વધીને 106 થઈ ગઈ. અહીં સંક્રમણ રોકવા એલર્ટનું સ્તર બીજામાંથી ત્રીજા સ્તરનું કરાયું છે. આ ઉપરાંત બેજિંગમાં જવા પર પણ પ્રતિબંધ છે. બેજિંગ ચીનનો નવો ‘નો ગો ઝોન’ છે. બેજિંગના ડે. સેક્રેટરી જનરલ ચેન લેઈએ કહ્યું કે, સંક્રમણ ફેલાતું રોકવા અમે સ્કૂલ-કોલેજો પણ બંધ કરી છે. હવે ફક્ત ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. બેજિંગમાં 11 જૂનથી સંક્રમણ વધ્યું છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ત્રણેય સૈન્ય પ્રમુખો સાથે એક પછી એક બે બેઠકો યોજી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકર પણ તેમાં સામેલ રહ્યા હતા. ત્યાર પછી રાજનાથ સિંહે વડાપ્રધાન મોદીને મળીને સ્થિતિની માહિતી આપી છે.
ત્યાર પછી વડાપ્રધાનના નિવાસસ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક યોજાઈ. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર હાજર રહ્યા હતા. મોદી-શાહ વચ્ચે મોડી રાત સુધી આગળની રણનીતિ પર મંથન ચાલુ રહ્યું હતું. દિવસ દરમિયાન સશસ્ત્ર દળોની બેઠકો ચાલતી રહી હતી.
સવાલ: શું આ ઘટના ચીની નેતૃત્વના ઈશારે કરવામાં આવી?
જવાબ: ચીનના લોકલ કમાન્ડરોએ ચીનના રાજકીય નેતાઓના ઈશારે આ હુમલો કરાવ્યો હતો. ઉશ્કેરણીના કારણે આ ઘટના બની નથી. બન્ને દેશો વચ્ચે સૈન્યને પાછળ ખસેડવા માટેના કરાર થયા હતા. ભારતીય કમાન્ડર ચીની સૈન્ય પાછું ફરે એના પર નજર રાખી રહ્યા હતા. ચીની નેતાઓ એ સંદેશ આપવા માગતા હતા કે એકતરફી કાર્યવાહી નથી થઈ. હિંસાની આ ઘટના પોતાને વિજેતા દર્શાવવાની ચાલ છે.
સવાલ: ચીને ઘર્ષણ માટે આ જ સમય કેમ પસંદ કર્યો?
જવાબ: ચીન વિશ્વને પોતાની તાકાતનો સંદેશ આપવા માગતું હતું. તે એવો દેખાડો કરવા માગે છે કે કોરોનાએ તેનું કશું જ બગાડ્યું નથી. તેનું અર્થતંત્ર એટલું મજબૂત છે કે તે કોઈની પણ સાથે ટકરાઈ શકે છે.
સવાલ: તો તાકાત બતાવવા ભારતને જ કેમ પસંદ કર્યું?
જવાબ: અનેક કારણો છે. અમેરિકાએ જી-7નો વ્યાપ વધારીને ભારતને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા-ભારત વચ્ચેની દોસ્તી ગાઢ થઈ રહી છે જેનાથી ચીન હતાશ છે. એફડીઆઇ પૉલિસીમાં બદલાવથી પણ ચીનના પેટમાં તેલ રેડાયું છે. હોંગકોંગ અને તાઇવાન મુદ્દે પણ ચીનની હાલત કફોડી બની છે. ઘરેલુ મોરચે રાજકીય તનાવથી તે ધ્યાન ભટકાવવા માગે છે.
(એક્સપર્ટ: પૂર્વ ડિપ્લોમેટ વિષ્ણુ પ્રકાશ અને પૂર્વ વિદેશ સચિવ શશાંકના જણાવ્યા અનુસાર)
ગલવાન ઘાટીમાં તહેનાત એક વરિષ્ઠ અધિકારીએ ભાસ્કરના સંવાદદાતા મુકેશ કૌશિકને નજરે જોયેલો અહેવાલ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘આશરે 15 હજાર ફૂટની ઊંચાઈ સ્થિત ગલવાન ઘાટીના ઘટનાસ્થળે સોમવારે સાંજે 4 વાગ્યાથી અડધી રાતે આશરે 8 કલાક સુધી હિંસા થઈ હતી. લોખંડના સળિયા લઈને ચીની સૈનિકોએ કાવતરું ઘડીને ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. ભારતીય સૈનિકો આવા કોઈ પણ પ્રકારના હુમલા માટે તૈયાર નહોતા.
ભારત અને ચીનના કૉર કમાન્ડરોએ વચ્ચે 6 જૂને સહમતિ થઈ હતી કે બન્ને સેનાઓ વર્તમાન જગ્યાએથી 2-3 કિલોમીટર પાછળ હટશે. એ પછી ચીનના સૈનિકોએ એલએસીની પોસ્ટ-1 પર જવાનું હતું. આ પ્રક્રિયા 7 દિવસથી ચાલી રહી હતી. પ્રોસેસની ચકાસણી માટે બન્ને દેશની સેનાઓએ પોતપોતાની ટીમો મૂકી હતી. સોમવારે બપોરથી ભારતીય સૈન્યના કમાન્ડિંગ ઑફિસરની સાથે 10 જવાનો પેટ્રોલ પોઇન્ટ 14 પાસે ચીની સૈનિકો પાછા ફરે એના પર નજર રાખી રહ્યા હતા. 20 ચીની સૈનિકોએ ત્યાંથી હટવાનું હતું. પણ જ્યારે ચીની સૈનિકો પોતાની જગ્યાએથી હટ્યા નહીં ત્યારે ઘર્ષણ શરૂ થયું.
ચીની સૈનિકોએ અચાનક ભારતીય કમાન્ડિંગ ઑફિસર પર હુમલો કરી દીધો. નીચે પાડીને લોખંડના સળિયાથી મારમાર્યો. ભારતીય સૈનિકોએ પણ જવાબી કાર્યવાહી કરી. થોડી મીનિટોમાં ચીનના સૈન્યની બીજી ટુકડી પણ ત્યાં પહોંચી હતી. એ પછી એક એક કરીને અન્ય ટુકડીઓ આવી પહોંચી. ચીનની સેનાના આશરે 800 સૈનિકો અહીં એકત્ર થઈ ગયા હતા. ભારતના જવાનો ઓછા હતા. સાંજે છ વાગ્યા સુધી બન્ને દેશના સૈનિકો લડતા રહ્યા. સૈનિકો પથ્થર, લાકડી, રૉડ લઈને એકમેક પર હુમલા કરતા હતા. તેના કારણે પહાડની નાનકડી દર્રા પર દોડધામ મચી હતી. રાત્રે ઘણા સૈનિકો ખીણમાં પડી ગયા હતા. ખીણની દર્રા તૂટી જવાથી ચીનના 40થી 50 જવાનો પણ ખીણમાં પડી ગયા હતા. ભારતીય સૈન્યના કેટલાક જવાનો લાપતા છે.
અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે નદીમાં પડી ગયેલા ભારતીય જવાનો ચીનના કબજામાં છે કે નહીં. એવી પણ ખબર પડી છે કે ચીની સૈન્યનો એક કમાન્ડિંગ ઑફિસર પણ હુમલામાં માર્યો ગયો છે. સૈનિકો વચ્ચે મોડી રાત સુધી અથડામણ ચાલતી રહી હતી. રાત્રે 12 વાગ્યાની આસપાસ મામલો શાંત થયો હતો. બન્ને દેશની સેનાઓએ પોતપોતાના જવાનોની શોધખોળ શરૂ કરી હતી. નવી દિલ્હી અને બેજિંગ વચ્ચે હૉટલાઇન પર વાતચીત થઈ હતી. મંગળવારે સવારે ફરી દેશેના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે શાંતિ જાળવવા માટે બેઠકો થઈ હતી. સાંજે 5 વાગ્યે એલએસી પર ચીની સૈન્યનું હેલિકોપ્ટર પોતાના જવાનોના મૃતદેહ લઈ જવા આવ્યું હતું.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતહાસિક રથયાત્રા આ વરસે સોશિયલ ડિસ્ટન્સિંગના અભૂતપૂર્વ બંદોબસ્ત સાથે યોજાશે. આ વરસે રથયાત્રા 12-13 કલાકના બદલે માત્ર 6-7 કલાકમાં આટોપી લેવાની યોજના બનાવવામાં આવી છે. ખલાસી એસો.ના જણાવ્યા મુજબ આ યાત્રા બપોરે બે વાગ્યા સુધીમાં નિજ મંદિરે પરત ફરશે. યાત્રામાં રથ પણ 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધારવામાં આવશે. માત્ર 25થી 35 વર્ષના યુવાન ખલાસીઓને જ રથ ખેંચવા દેવાશે.
ખલાસી એસોસિયેશનના સભ્ય કૌશલ ખલાસીના જણાવ્યા મુજબ આ વર્ષે રથયાત્રા એક રથ ઉપર 40 ખલાસીઓ ચાર ફૂટનું અંતર રાખીને ખેંચશે. સાથે સાથે મંદિર 7:00 મંદિરથી ઉપડ્યા બાદ માત્ર 30 મિનિટ જ મામાના ઘરે આરામ માટે રોકાશે.
રથ ખેંચવા માટે 400થી વધુ ખલાસી બંધુઓ આવતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાને લીધે માત્ર 120 જેટલા યુવા ખલાસી બંધુઓ જ આ રથને ખેંચે હશે. રથ ખેંચનાર ખલાસી બંધુઓનું 22મી તારીખના રોજ સ્વાસ્થ્ય ચેકિંગ ટેસ્ટ કરવામાં આવશે. રથયાત્રામાં એક રથનું વજન આશરે 2200 કિલો જેટલું હોય છે. આ રથને ફરતે 100 ફૂટ લાંબી દોરી બાંધી દેવામાં આવશે. રથયાત્રા માટે 100 ફૂટનો લાંબો દોરડો કાલુપુરના એક વેપારી જોડે બનાવવામાં આવ્યો છે.
બમણી ઝડપે ભગવાનનો રથ માર્ગો પર દોડશે
દર વર્ષે 22 કિલોમીટર લાંબી યાત્રાની સ્પીડ આશરે 7 કિલોમીટર પ્રતિકલાકની હોય છે. પરંતુ આ વર્ષે ઓછી વ્યક્તિઓના કારણે તેમજ રથ મંદિરે વહેલા લાવવાના લીધે રથની સ્પીડ 10 થી 15 કિલોમીટર પ્રતિકલાકની રાખવામાં આવશે. જો આટલી સ્પીડે રથ ચાલે તો સવારે 7:00 વાગ્યે રથ પ્રસ્થાન કર્યા બાદ આશરે 2:00 વાગ્યે રથ નિજમંદિરે પરત આવી શકે.
રથ ખેંચનારાઓનું 22મીએ મેડિકલ ચેકઅપ થશે
અમદાવાદ પોલીસે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે ચાલુ વર્ષે રથયાત્રા માત્ર 3 રથ સાથે જ નીકળવાના હોવાથી મૂવિંગ બંદોબસ્ત 90 ટકા ઘટાડીને માત્ર 10 ટકા જ કરવામાં આવ્યો છે. દર વર્ષે રથયાત્રા બંદોબસ્તમાં 3000 પોલીસકર્મીઓ જોડાય છે. પરંતુ ચાલુ વર્ષે માત્ર 3 રથ સાથે 300 થી 500 પોલીસ કર્મચારીઓ જ રથયાત્રાના મૂવિંગ બંદોબસ્તમાં જોડાશે. બાકીના 22 હજાર જેટલા સુરક્ષા કર્મચારીઓ સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્તમાં તહેનાત રહેશે.
માત્ર 3 રથ સાથે યાત્રા નીકળશે
ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે દોઢથી બે કિલોમીટર લાંબી નીકળે છે. જેમાં 3 રથ, 18 હાથી, 30 ભજન મંડળી, 30 અખાડા, 101 ટ્રકો જોડાય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે રથયાત્રા માત્ર 3 રથ સાથે જ કાઢવાનો નિર્ણય લેવાયો છે.
કોરોના રોગચાળાના કારણે સ્કૂલો બંધ થઈ જવાથી ઓનલાઈન અભ્યાસનો ટ્રે્ન્ડ વધી ગયો છે. આથી બાળકોને કલાકો સુધી કમ્પ્યૂટર, લેપટોપ કે મોબાઈલ ફોન પર વધુ સમય ન પસાર કરવો પડે અને તેમનો અભ્યાસ પણ ચાલુ રહે તેના માટે કેન્દ્ર સરકાર ગાઈડલાઈન તૈયાર કરી રહી છે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલય બાળકની શીખવાની પ્રક્રિયા ચાલુ રહે અને તેમને સ્ક્રીન સામે કલાકો સુધી સમય ન પસાર કરવો પડે તેના અંગે વિચારી રહ્યું છે. સાથે જ જે વિદ્યાર્થીઓ પાસે કમ્પ્યૂટર, લેપટોપ કે સ્માર્ટ ફોન નથી તેના સમાધાન પર પણ વિચારણા ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઓનલાઈન ક્લાસ માટેનો સમયગાળો નક્કી કરાશે. આ અંગે બાળકોના માતા-પિતા તરફથી મળેલી ફરિયાદો પછી કેન્દ્ર સરકાર ગાઈડલાઈન તૈયાર કરી રહી છે.
ગુજરાતની બહુચર્ચિત રાજ્યસભાની ચૂંટણીને હવે બે દિવસ જ બાકી છે ત્યારે બે પાડોશીઓની ચર્ચા જોરશોરથી રાજકીય વર્તુળોમાં ચાલી છે. આ બે પાડોશી બીજા કોઈ નહિ પરંતુ બળવંતસિંહ રાજપૂત અને નરહરિ અમીન. આ બંને ઉમેદવારને લીધે ગુજરાતની 2017 અને 2020ની રાજ્યસભા ચૂંટણી યોજવી પડી છે. રસપ્રદ સંયોગ એ છે કે બંનેનો બંગલો અમદાવાદના તપોવન સર્કલ રિંગ રોડ પાસે સ્વ સોસાયટીમાં એક જ દીવાલે છે.
બંને કોંગ્રેસના દિગ્ગજ નેતા હતાં
મંગળવારે બંને પાડોશી મળ્યા હતા જેમાં રાજપૂતે અમીનને શુભેચ્છા આપી હતી. ગુજરાતની બહુચર્ચિત અને હાઈ પ્રોફાઈલ 2017ની રાજ્યસભા ચૂંટણી જેના લીધે કરવી પડી હતી તે બળવંતસિંહ રાજપૂત સ્વ સોસાયટીના 55 નંબરના બંગલામાં રહે છે જેનું નામ બહુચર કૃપા છે. જ્યારે અડીને જ આવેલા 58 નંબરના બંગલામાં નરહરિ અમીન છે. તેમના બંગલાનુ નામ નરનીત છે. બંને કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા છે.
નરહરિ જીતે છે કે નહિ તેના પર કોંગ્રેસ અને ભાજપ બંનેની નજર
રસપ્રદ વાત એ છે કે આ બંને નેતાને લીધે જ ગુજરાતમાં ઓગસ્ટ 2017 અને હાલ 2020ની ચૂંટણી યોજવી પડી છે. બંનેને ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. 2017માં ભાજપે અમિત શાહ અને સ્મૃતિ ઈરાની પછી ત્રીજા ઉમેદવાર તરીકે બળવંતસિંહને ઉતાર્યા હતા. જ્યારે આ વખતે રમીલા બારા, અભય ભારદ્વાજ પછી ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને ઉતાર્યા છે. જો કે ગઈ વખતે બલવંતસિંહ હાર્યા બાદ હવે નરહરિ જીતે છે કે નહિ તેના પર કોંગ્રેસ અને ભાજપ બંનેની નજર છે.
બંને પાડોશીની ચૂંટણીની સામ્યતા
અમીન અને રાજપૂતની મુલાકાત
બળવંતસિંહ પાડોશી છે તો ચૂંટણીમાં માર્ગદર્શન મેળવ્યું કે નહિ તે બાબતે પૂછતા નરહરિ અમીને ભાસ્કરને કહ્યું હતું કે, અમે ત્રણેય સીટ પર જીતીશું. બળવંતસિંહ સાથે મંગળવારે શુભેચ્છા મુલાકાત થઈ. પડોશી તરીકે અઠવાડિયે એકાદ મુલાકાત અવશ્ય થતી હોય છે.
બિઝનેસ જગત પણ પર્યાવરણમાં થતા બદલાવો પ્રત્યે જાગૃત બની રહી છે. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે તે જ કંપનીઓ ભવિષ્યમાં સારું પ્રદર્શન કરશે, જે પર્યાવરણને અનુકૂળ કામ કરશે. યુનિલિવરે આ એપિસોડમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીએ કહ્યું છે કે 2039 સુધીમાં, તે તેના તમામ ઉત્પાદનોના ઉત્પાદન અને સપ્લાયને જોડીને શૂન્ય કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરશે.
આ યોજના હેઠળ હવે કંપની તેના તમામ 70 હજારથી વધુ ઉત્પાદનો પર તેના ઉત્પાદન અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના પુરવઠા દ્વારા લેબલ પ્રદાન કરશે. આ ઉપરાંત, વાતાવરણને અનુકૂળ પગલાં પર કંપની 110 કરોડ ડોલરનો ખર્ચ કરશે. પર્યાવરણ પર કોર્પોરેટ પ્રવૃત્તિઓના પ્રભાવને ધ્યાનમાં રાખતી એક સંસ્થા સીપીડીએ યુનિલીવરની આ પહેલ માટે પ્રશંસા કરી છે. સંગઠને કહ્યું છે કે અન્ય કંપનીઓએ પણ આ દિશામાં વધુ કામ કરવું જોઈએ. યુનિલિવર લાંબા સમયથી કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં કામ કરી રહ્યું છે. 2010માં, તેણે 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. તેમ છતાં, 2016 સુધી કંપનીના ઉત્સર્જનમાં સતત વધારો થતો રહ્યો, તે પછીથી તે ઘટવા લાગ્યો.
યુનિલિવરના સીઇઓ એલન જોપે એક નિવેદનમાં કહ્યું હતુ કે, વિશ્વ હાલમાં કોરોનાવાયરસ રોગચાળાથી પીડિત છે. જો કે આ વાતાવરણમાં પણ આપણે ભૂલી શકતા નથી કે પર્યાવરણીય સંરક્ષણ એ એક મોટો મુદ્દો છે. આને અવગણી શકાય નહીં. યુનિલિવર હાલમાં વાર્ષિક 10 કરોડ ટન કાર્બન ડાયોક્સાઇડ ગેસનું ઉત્સર્જન કરે છે. તેમાંથી આશરે 3 મિલિયન ટન ગેસ સ્કોપ -1 અને સ્કોર -2 ના દાયરામાં આવે છે. એટલે કે, આ ઉત્સર્જન પ્લાન્ટમાં અશ્મિભૂત ઇંધણ (કોલસો, પેટ્રોલિયમ વગેરે) ના ઉપયોગને કારણે છે. નવી યોજના અંતર્ગત આ ઉત્સર્જન 2039 સુધીમાં શૂન્ય થઈ જશે.
કંપનીના સપ્લાયર્સે નવી પદ્ધતિઓ અપનાવવી પડશે
આ સિવાય, કંપની કાચા માલ પર પ્રક્રિયા કરવા અને તેના ઉત્પાદનોને સુપર માર્ટ સુધી પહોંચાડવા માટે ઉત્પન્ન થતાં 3 કરોડ ટન કાર્બન ઉત્સર્જનને દૂર કરવાની પણ યોજના બનાવી રહી છે. કંપનીના સપ્લાયર્સે પણ નવા લક્ષ્ય સાથે અનુકૂળ થવું પડશે. આ માટે, તેમને નવ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. યુનિલીવરે પોતાના નિવેદનમાં કહ્યું કે અત્યારે તેના માટે સૌથી મોટો પડકાર એ બધા ઉત્પાદનો પર કાર્બન ઉત્સર્જનનું લેબલિંગ છે. આ કાર્ય મુશ્કેલ છે, પરંતુ તે કોઈપણ કાળે અવશ્ય કરવામાં આવશે.
કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે ત્રણ મહિનાથી કોર્ટ બંધ રહેતા અંદાજે 500 વકીલ બેરોજગાર બન્યા છે. સૂત્રો મુજબ, કામ ન મળતાં કેટલાક વકીલોએ પરિવારના પરંપરાગત કામ, કેટલાકે ખેતી તો 2 એવા વકીલ છે, જેઓ ફૂડ ડિલિવરીનું કામ શરૂ કર્યું છે. આમાંથી કેટલાક વકીલો અમદાવાદમાં ભાડે રહેતા હતા. જોકે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના શિસ્ત સમિતિના સભ્ય અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, હજુ સુધી એક પણ વકીલની લોકડાઉન દરમિયાન સનદ જમા કરાવાઈ નથી.
વકીલાત બંધ થતાં ઘરના ભાડાંનાં પૈસા પણ ન રહ્યા
સૌરાષ્ટ્રના નાનકડા ગામમાંથી આવેલા કમલેશભાઈએ નારણપુરામાં ફ્લેટ ભાડેથી લીધો હતો. સેશન્સ અને હાઈકોર્ટમાં તેઓ વકીલાત કરી રહ્યા હતા. સામાન્ય દિવસોમાં તેમને હંગામી અને રેગ્યુલર જામીન અરજીઓની પ્રેક્ટિસ સારી ચાલતી હતી. તે પરિવારનું ગુજરાન ચલાવી શકે અને ઘરે પૈસા મોકલાવી શકે તેટલી કમાણી હતી, પરતું લૉકડાઉનને લીધે કોર્ટ બંધ થતાં ભાડું ભરવા જેટલી પણ આવક થતી નથી. આથી તેઓ ફ્લેટ ખાલી કરી તેમના ગામ જતા રહ્યા છે.
એકે અન્ય વ્યવસાય માટે સનદ પરત કરવા તૈયારી દર્શાવી
જ્યાં સુધી કોર્ટ શરૂ ન થાય ત્યાં સુધી ઘર ચલાવવાની તકલીફ હોવાથી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા જુનિયર વકીલ મયૂરે ઓનલાઇન ફૂડ ડિલિવરીનું કામ સ્વીકાર્યું છે. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં મને વકીલાતમાંથી સારી આવક મળી રહે છે, પણ જ્યાં સુધી કોર્ટ સંપૂર્ણ ખૂલશે નહીં ત્યાં સુધી સનદ પરત આપીને આ વ્યવસાય કરીશ. જોકે તેમણે હજી સુધી સનદ પરત કરી નથી. ઓનલાઇન ફૂડ ડિલિવરીનું કામ શરૂ કરનારા મહેશભાઈએ કહ્યું કે, વકીલાતની પ્રેક્ટિસ શરૂ થશે ત્યાં સુધી તેઓ આ કામ ચાલુ રાખશે. (તમામ પાત્રોનાં નામ બદલ્યાં છે)
હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી રહેલા વકીલ ખેતી કરે છે
બનાસકાંઠાથી અમદાવાદ આવેલા હાઈકોર્ટના વકીલ અજય ચૌહાણના એક વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં. તઓે હાઈકોર્ટ અને મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા. કોર્ટ ચાલતી હતી ત્યારે બનાસકાંઠાના ઘણા કેસની બ્રીફ મળતી હતી. જોકે હાલ કોર્ટમાં માત્ર અરજન્ટ કેસ પર જ લિમિટેડ સુનાવણી ચાલતી હોવાથી તેમની વકીલાત બંધ થઈ છે, જેથી તેમણે પરિવારિક ખેતી શરૂ કરી છે.
સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં દાખલ થતાં દર્દીઓને દર મહિને સરેરાશ 1.50 લાખ લિટર ઓક્સિજન ચઢાવવો પડતો હોય છે, પરંતુ કોરોનાને કારણે સિવિલની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ માટે રોજની 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક ખાલી થાય છે. માત્ર મે મહિનામાં જ 4.43 લાખ લિટર (3,75,306 ક્યુબિક મીટર) ઓક્સિજનનો વપરાશ થયો હતો. એટલે કે 1 જ મહિનામાં ત્રણ ગણો ઓક્સિજન વપરાયો છે.
વર્ષ 2018-19માં સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો કુલ વપરાશ 19,61,660 લિટર થયો હતો, જ્યારે ચાલુ વર્ષે કોરોનાને કારણે ઓક્સિજનનો વપરાશ વધ્યો છે. 2019-20માં કુલ 21,89,180 લિટર ઓક્સિજન દર્દીઓને ચઢાવાયો હોવાનું સિવિલ હોસ્પિટલના આંકડા પરથી જાણવા મળે છે.
હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ, સામાન્ય સંજોગોમાં સિવિલમાં દાખલ થતાં ન્યુમોનિયા કે અન્ય રોગના દર્દીઓ કે જેમને શ્વાસ લેવામાં મુશ્કેલી હોય તેમને ઓક્સિજન ચઢાવાય છે, પરંતુ કોરોનાની અસર સીધી દર્દીના શ્વસનતંત્ર પર થાય છે તેમ જ દર્દીના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ 90 ટકાથી ઓછું થતાં ઓક્સિજન ચઢાવવો પડે છે.
હોસ્પિટલમાં શરૂઆતમાં માઇલ્ડ લક્ષણો સાથે અને ત્યાર બાદ કોરોના વાઇરસના ભારે લોડ સાથેના દર્દી દાખલ થતાં 40થી 80 ટકા દર્દીને ઓક્સિજન ચઢાવવો પડી રહ્યો છે. માત્ર માર્ચ, એપ્રિલ અને મે મહિના પૈકી માત્ર મેમાં 4,43,316 લિટર ઓક્સિજન વપરાયો છે, જેનો અંદાજિત ખર્ચ 87,86,883 લાખ જેટલો થાય છે.
મિનિટે 2થી 15 લિટર ઓક્સિજનની જરૂર
કોરોનાનાં સામાન્ય લક્ષણો છતાં ફેફસાનાં ગેસ એક્સચેન્જ મેમરન (ઓક્સિજન વહન કરતા સ્તરો)માં જ્યારે સોજો આવે ત્યારે ફેફસાં દ્વારા લોહીમાં ઓક્સિજન પહોંચવાની પ્રક્રિયા અવરોધાય છે. આથી દર્દીને માઇલ્ડ અને મોડરેટ લક્ષણો પ્રમાણે મિનિટે 2થી 15 લિટર ઓક્સિજન અપાય છે. > ડો. કાર્તિકેય પરમાર,નોડલ ઓફિસર, કોવિડ હોસ્પિ.
માર્ચ અને એપ્રિલ મહિનામાંકુલ દર્દીઓમાંથી 40 ટકાને ઓક્સિજન ચઢાવવો પડ્યો
સિવિલના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ડો. એમ. એમ. પ્રભાકરે જણાવ્યું કે, કોરોના વાઇરસને કારણે દર્દીના શરીરમાંથી ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં તેમનાં શરીરનાં મહત્ત્વનાં અંગો પર અસર થાય છે, જેથી દર્દીને બચાવવા માટે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવું આવશ્યક હોય છે. હોસ્પિટલમાં માર્ચ, એપ્રિલમાં કોરોનાના માઇલ્ડ લક્ષણો સાથે દાખલ થતાં હતાં, જેથી આ બે મહિનામાં દાખલ કુલ દર્દીઓમાંથી અંદાજે 40 ટકા દર્દીને ઓક્સિજન ચઢાવવો પડતો હતો.
મેમાં હોસ્પિટલમાં દાખલ થતાં દર્દી કોરાનાનાં ભારે લોડ સાથે આવતા હતા, જેમાં મોટા ભાગનાં દર્દીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાની સાથે કો-મોર્બિડ સ્થિતિ સાથે આવતાં 70થી 80 ટકા દર્દી એટલે કે હાલમાં હોસ્પિટલમાં 700થી વધુ દર્દી દાખલ છે, જેથી રોજ 500થી વધુ દર્દીને ઓક્સિજન ચઢાવવાની જરૂર પડતી હોવાથી ઓક્સિજનનો વપરાશ વધતાં રોજની 20 હજાર લિટરની ટેન્ક ખાલી થઈ જાય છે.
કયા મહિને કેટલો ઓક્સિજન વપરાયો
મહિનો | ઓક્સિજન | ખર્ચ |
માર્ચ- 2020 | 1,93,005.21 લિટર | રૂ.39,58,772.24 |
એપ્રિલ- 2020 | 1,55,606.54 લિટર | રૂ. 31,55,114.32 |
મે- 2020 | 4,43,316.85 લિટર | રૂ.87,86,883.52 |
સોમવારે ચોમાસુ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ખેડા, આણંદ અને પંચમહાલ તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ સુધી પહોંચ્યું. આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી છે.
સોમવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું હતું. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદ દરમ્યાન થયેલા વિવિધ અકસ્માતોમાં 7 લોકોના મોત નિપજ્યાં હતા. ઉનામાં વીજળી પડતા 2 માછીમારોના મોત થયા હતા તો અમરેલી જિલ્લામાં વીજળી પડવાથી 2 મહિલા અને 1 કિશોરનું મોત થયું હતું તો1 મહિલા પૂરમાં તણાઈ ગઈ હતી.
સોમવારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસાનો પ્રવેશ થયો હતો. ભરૂચ જિલ્લામાં સોમવાર સવારે 6 વાગ્યા સુધીમાં નેત્રંગ-વાલિયા તાલુકામાં 1.69 ઇંચ અને અંકલેશ્વર તાલુકામાં 1.18 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો અમરેલી અને ગિર-સોમનાથ જિલ્લામાં માત્ર દોઢ કલાક ચાલેલા આકાશમાંથી વરસેલા વીજળીરૂપી મોતને લીધે 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, 2 દાઝ્યા છે અને એક યુવાન લાપત્તા છે.
મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. તે દરમ્યાન બે તાલુકામાં વીજળી પડવાની ઘટના પણ બની હતી. જેમાં 18 પશુઓના મોત નિપજ્યાં હતા. જેમાં વિરપુર તાલુકાના રળીયાત ગામે રહેતા ખેડૂત અમીત ભાઈ પટેલના તબેલા પર વીજળી પડતા તબેલામાં બાંધેલા પશુઓ પૈકી 11 ગાય,1 ભેંસ, 4 વાછરડાના મોત નિપજ્યા છે.
વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે તો 18-19 જૂને આ બન્ને ક્ષેત્રોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
ક્યાં કેટલો વરસાદ
શહેર | વરસાદ મીમીમાં |
અમરેલી | 50 |
લિલિયા (અમરેલી) | 74 |
કોડીનાર | 48 |
ભેંસાણ (જૂનાગઢ) | 36 |
ખાંભા (અમરેલી) | 34 |
મહુવા (સુરત) | 31 |
અંકલેશ્વર | 30 |
વાલિયા | 43 |
ભરૂચ | 17 |
ગુજરાતમાં સોમવારે 514 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને આ સાથે કોરોના સંક્રમણ પામેલાં લોકોનો કુલ આંક 24,104 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 339 દર્દીઓ સાજા થઇ ઘરે ગયાં છે જ્યારે 28 દર્દીઓના દુખદ મોત પણ થયાં છે. છેલ્લાં દસ દિવસમાં ગુજરાતમાં કોરોના સંક્રમણના 4,987 કેસ નોંધાયાં જ્યારે 3,661 દર્દીઓ સાજા થઇને ઘરે ગયાં તથા 316 લોકોના મૃત્યુ થયાં છે.
સોમવારે થયેલાં મૃત્યમાં અમદાવાદના 23, સૂરતના 4 અને અરવલ્લીના એક વ્યક્તિના મોતનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 1,506 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યાં છે. હાલ ગુજરાતમાં 71 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર પર છે. જો કે તેની સામે 5,855 દર્દીઓની હાલત સ્થિર છે અને તેઓને જો વધુ કોઇ તકલીફ ન જણાય તો આવતાં એક સપ્તાહથી દસ દિવસના ગાળામાં રજા અપાશે.
ગુજરાતમાં 16,671 દર્દીઓએ કોરોના સામેની લડતમાં જીત હાંસલ કરી છે. આ તમામ લોકોને સાજાં થયા બાદ રજા અપાઇ છે. હાલ ગુજરાતનો રિકવરી રેટ 70 ટકા નજીક છે. ગુજરાતમાં 2.92 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયાં છે. ગુજરાતમાં મૃત્યુદરનું પ્રમાણ 6.3 ટકાની આસપાસ છે.
કોરોનામીટર
શહેર | નવા કેસ | કુલ દર્દી | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 327 | 16967 | 11822 |
સુરત | 64 | 2643 | 1883 |
વડોદરા | 44 | 1597 | 1014 |
ગાંધીનગર | 15 | 482 | 304 |
ભરૂચ | 9 | 93 | 42 |
જામનગર | 9 | 85 | 57 |
પંચમહાલ | 7 | 126 | 86 |
જૂનાગઢ | 4 | 47 | 29 |
સાબરકાંઠા | 4 | 141 | 90 |
પાટણ | 3 | 117 | 81 |
સુરેન્દ્રનગર | 3 | 74 | 35 |
અરવલ્લી | 2 | 146 | 121 |
મહેસાણા | 2 | 187 | 118 |
વલસાડ | 2 | 59 | 29 |
અમરેલી | 1 | 28 | 10 |
આણંદ | 1 | 129 | 107 |
બનાસકાંઠા | 1 | 152 | 122 |
બોટાદ | 1 | 67 | 55 |
કચ્છ | 1 | 93 | 70 |
ખેડા | 1 | 117 | 75 |
નર્મદા | 1 | 32 | 23 |
નવસારી | 1 | 40 | 27 |
કોરોનાથી આખી દુનિયા પરેશાન છે. સુરતમાં હજુ રોજ સરેરાશ 70 કેસ સામે આવી રહ્યા છે અને અત્યાર સુધી 100થી વધુ લોકો મોતને ભેટ્યાં છે. કોરોનાને કાબુમાં લેવા ડૉક્ટરો અને વિજ્ઞાનીઓ રાત દિવસ પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે આ કેટલાક લોકો કોરોનાને ભગાડવા અંધવિશ્વાસનો સહારો લઈ રહ્યા છે.
આ મહામારી અટકાવવા સુરતના એક વેપારીએ તાપી નદીને ઠંડી કરીને કોરોના ભગાડવા રોજ તેમાં 500 કિલો બરફ નાંખવાની માનતા માની છે. તે સાત દિવસમાં સવાર સાંજ વિવેકાનંદ બ્રિજ પરથી અત્યાર સુધી 3500 કિલો બરફ નદીમાં ફેંકી ચૂક્યો છે. બરફ નાંખતા આ શખસને પૂછતાં તેણે કહ્યું કે, મારા સાહેબ કોરોના ભગાડવા બરફ નાંખવાની માનતા રાખી છે.
કોરોનાની મહામારીને પગલે આ વર્ષે ગણેશ ઉત્સવ સાદગીથી ઉજવવાનો સાર્વજનિક ગણેશ એસોસિએશને નિર્ણય લીધો છે. વધુમાં શહેરભરના પંડાલોમાં ગણેશજીની એકથી બે ફૂટની મૂર્તિ જ મૂકવામાં આવશે અને આ મૂર્તિ પણ માટીની જ હશે.દર વર્ષે શહેરમાં 5 હજારથી વધુ પંડાલ બનતા હોય છે અને મોટાભાગના પંડાલમાં 10થી 20 ફૂટ સુધીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે.
અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખ ગણેશભાઈ ક્ષત્રિયના જણાવ્યા અનુસાર એસોસિએશન તરફથી આ વર્ષે કોઈપણ પ્રકારના ઈનામનું વિતરણ કરવામાં આવશે નહીં. દર વર્ષે યોજાતી સ્પર્ધામાં 1500થી 2 હજાર પંડાલ ભાગ લેતા હોય છે. કોરોનાના પગલે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને ભક્તોની ભીડ ભેગી ન થાય તે માટે આ વર્ષે પ્રસાદ વિતરણ પણ કરવામાં આવશે નહીં. તેમજ ડીજે કે બેન્ડવાજા સાથે વિસર્જનનો વરઘોડો કાઢવામાં આવશે નહીં. દરેક પંડાલને સ્થળ પર જ ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે સમજાવવામાં આવશે.
એસોસિએશને તમામ આયોજકને અપીલ કરી છે કે, કોરોના વાઈરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે જાહેર સ્થળોએ ભીડ એકઠી ન થાય તેની કાળજી રાખવી અત્યંત જરૂરી છે. મહોત્સવ દર વર્ષની જેમ ઉજવવામાં આવે તો ભક્તો મોટી સંખ્યામાં એકત્ર થઈ શકે છે અને સંક્રમણનું જોખમ પણ વધી શકે છે. અગાઉ ભીડ એકત્ર થતી રોકવા અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન થઈ શકે તે માટે જગન્નાથ મંદિર ટ્રસ્ટી મંડળે રથયાત્રા પણ સાદગીથી કાઢવાનો નિર્ણય કર્યો હતો.
માટીની મૂર્તિ બનાવવા ગુલબાઈ ટેકરાના કારીગરોને ખાસ ટ્રેનિંગ અપાશે
ગણેશ એસોસિએશન દ્વારા આ વર્ષે ગુલબાઈ ટેકરાના માટીના મૂર્તિકારોને વિશિષ્ટ પ્રકારની માટીની મૂર્તિ કેવી રીતે બનાવીને તેની ટ્રેનિંગ આપવામાં આવશે. દર વર્ષે ગુલબાઈ ટેકરાના કારીગરો 50 ટકા પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિઓ બનાવતા હોય છે,પરંતુ આ વર્ષે 90 ટકા માટીની મૂર્તિઓ જ બનાવે તે અંગે વિશેષ ધ્યાન આપવામાં આવશે.
માટીની 20 હજારથી વધુ મૂર્તિનું નિર્માણ થયું
ગણેશ મૂર્તિકાર વિજય નાયકના જણાવ્યા અનુસાર આ વર્ષે 20 હજારથી વધુ માટીની મૂર્તિનું નિર્માણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જો સરકાર આ વર્ષે અમને માટીનું મટીરીયલ પૂરું પાડે તો આ વર્ષે આશરે 98 ટકા જેટલી મૂર્તિઓ માટીની જ દેખાશે. માટીની મૂર્તિ હોવાથી તેને સ્થળ 15 મિનિટમાં જ વિસર્જન કરી શકાશે. સાથે સાથે ગણેશ એસોસિએશનના કહેવા મુજબ આ વર્ષે અમે એકથી બે ફૂટની માટીની મૂર્તિ વધારે બનાવીશું.
લાંભાનું બળિયાદેવ મંદિર આજથી બંધ
લાંભામાં આવેલું બળિયાદેવનું મંદિર મંગળવારથી બંધ રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટે લીધો છે. દર મંગળવાર-રવિવારે 1500 જેથી વધુ દર્શનાર્થી આવતા હોય છે. કોરોનાના વધતા કેસને લીધે આ નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિર હવે પછી ક્યારે ખોલવું તેનો નિર્ણય મંદિર ટ્રસ્ટ પછીથી કરશે.