
from India Today | Top Stories https://ift.tt/2LOfSEh
પરપ્રાંતીય શ્રમિકોની વતન ભણીની દોટ વણથંભી છે. કોઈ પણ પરિસ્થિતિ સાથે બાથ ભીડી શ્રમિકોને વતનની રાહ પકડવી છે. સ્થળાંતર કરતાં આ શ્રમિકોની તકલીફના અનેક કિસ્સા આપણને ધ્રુજાવી નાખે છે. નરોડા મેમ્કોથી એક શ્રમિક માતા પોતાની નાની બાળકી સાથે ભડભડતા તાપમાં કાલુપુર ચાલતા આવી હતી. કારણ, તેને અહીંથી બસ પકડવી હતી. રસ્તામાં બાળકીનું એક ચપ્પલ તૂટી ગયું પણ કાળઝાળ ગરમીમાં ઉઘાડા પગે ચાલવાનું તો ચાલુ જ રાખ્યું. બસ, કોઈ પણ રીતે વતન પહોંચવાની તાલાવેલી હતી, સામે ગમે તેટલા પડકાર આવે તો પણ ચિંતાની કોઈ વાત નહીં.
ચીનમાં સીપીપીસીસી (સરકારની સર્વોચ્ચ રાજકીય સલાહકાર પરિષદ)ની મહત્ત્વની બેઠક યોજાઇ રહી છે. તેમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લેવાશે. ત્યાર બાદ નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી)ની બેઠક આ અઠવાડિયે જ ઉત્તર-પૂર્વના પ્રાંત જિલિનના શુલાનમાં યોજાશે. એવામાં ત્યાં સંપૂર્ણ લૉકડાઉન કરી દેવાયું છે. અંદાજે 7 લાખની વસતીવાળા શહેરમાં વુહાનની જેમ કડકાઇ રખાઇ રહી છે. દરેક ઘરમાંથી માત્ર એક વ્યક્તિને જીવનજરૂરી વસ્તુઓ લેવા જવાની મંજૂરી છે.
દુનિયામાં સવાલોથી ઘેરાયેલા ચીનની ભાવિ રણનીતિ ઘડશે
આ એટલા માટે મહત્ત્વનું છે કે એનપીસીની બેઠક ચીનની સૌથી મોટી રાજકીય બેઠક છે. તેમાં થનારા નિર્ણયો કોરોનાને લઇને દુનિયામાં સવાલોથી ઘેરાયેલા ચીનની ભાવિ રણનીતિ ઘડશે. અઠવાડિયું લાંબી આ બેઠકમાં રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સહિત સીપીસીના ઘણા મોટા નેતાઓ ભાગ લેશે. જિનપિંગ શાકાહારને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ રજૂ કરશે. ભોજનમાં શાકાહારી વાનગીઓ રાખવાની પણ માગ કરાઇ છે. બેઠકમાં વિદેશી રાજદ્વારીઓ અને આંતરરાષ્ટ્રીય મીડિયાને આમંત્રણ અપાયું છે. નિષ્ણાતોએ જિલિનમાં સંક્રમણનો મોટો વિસ્ફોટ થવાની ચેતવણી પણ આપી છે.
વુહાનમાં જંગલી પ્રાણીઓના શિકાર અને ખાવા પર 5 વર્ષ સુધી રોક
વુહાનમાં જંગલી પ્રાણીઓના શિકાર અને ખાવા પર 5 વર્ષ માટે રોક લગાવી દેવાઇ છે. તેમાં તમામ વન્યજીવો સામેલ છે. આ સાથે જ વુહાનમાં હવે શિયાળ, મગર, રીંછ, સાપ, ઉંદર સહિત ઘણા જંગલી પ્રાણીઓનું મીટ ખાવા પર રોક લાગી ગઇ છે. અહીં ચામાચીડિયા, અજગર, કાચિંડા, ચિત્તાના બચ્ચા, પેંગોલિન જેવા પ્રાણીઓનું મીટ વેચાય છે. અહીંથી જ કોરોના વાઇરસ ફેલાયાની આશંકા છે.
અમેરિકામાં લૉકડાઉનમાં જો બે અઠવાડિયાનો વિલંબ ન કરાયો હોત તો ત્યાં કોરોનાથી 83 ટકા ઓછા મૃત્યુ થતાં. કોલંબિયા યુનિવર્સિટીના સ્ટડી રિપોર્ટમાં આ દાવો કરાયો છે. સંશોધકોએ 3 મે સુધીના કોરોના દર્દીઓના આંકડાઓનો અભ્યાસ કર્યો હતો. તે અનુસાર જો સરકારે 1 માર્ચ પહેલાં લૉકડાઉન લગાવ્યું હોત તો 11,253 મૃત્યુ થાત. જોકે 65,307 મૃત્યુ થયા. તેનો અર્થ એ છે કે જો બે અઠવાડિયા પહેલાં લૉકડાઉન લગાવાયું હોત તો 54,054 લોકોના જીવ બચી જતાં. સંશોધકોએ કહ્યું કે એક અઠવાડિયા જલદી લૉકડાઉન લગાવાતાં 36 હજારથી વધુ લોકોના જીવ બચ્યાં હોત. રિસર્ચ ટીમના વડા જેફરી શમને કહ્યું કે આ મૃત્યુના આંકડાનું મોટું અંતર છે. આપણે ચેપને રોકવા માટે એક એક દિવસના વિલંબની અસરને સમજવી પડશે. અમેરિકામાં કોરોનાના અત્યાર સુધી 15,93,297 કેસ સામે આવ્યાં છે, જોકે 94,948 લોકો મૃત્યુ પામ્યા છે.
રાજ્યોનો નિર્ણય : વધારે ચેપગ્રસ્ત ન્યૂયોર્કે લૉકડાઉનમાં વધુ વિલંબ કર્યો
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 16 માર્ચે લૉકડાઉનની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ રાજ્યો પર નિર્ભર રહેશે કે કેટલાં સમય સુધી લૉકડાઉન રાખવા ઈચ્છે છે. કોરોનાના દોરમાં ઘરમાં રહો, મર્યાદિત પ્રવાસ કરો. આ અપીલ પછી રાજ્યોએ અલગ અલગ સમયે લૉકડાઉન લગાવ્યું. જેમ કે સૌથી વધુ ચેપગ્રસ્ત ન્યુયોર્કમાં 22 માર્ચે સ્ટે એટ હોમનો આદેશ જારી કરાયો હતો. આ રાજ્યની ન્યુયોર્ક સિટી માટે સ્ટડી રિપોર્ટમાં કહેવાયું છે કે જો અહીં એક અઠવાડિયા વહેલાં લૉકડાઉન લગાવાયું હોત તો 3 મે સુધી અહીં 2838 મૃત્યુ થાત, જોકે 17581 થયા. અહીં 14743 જીવ બચાવી શકાયા હોત.
એશિયન ડૉક્ટરોથી સારવાર લેવાનો ઈનકાર કર્યો, ચીનીઓ પર વધુ ગુસ્સો બતાવ્યો
અમેરિકામાં એશિયન ડૉક્ટર અને નર્સ જાતીય ભેદભાવનો સામનો કરી રહ્યાં છે. ગત અઠવાડિયે અહીં એવા કેસ સામે આવ્યા જેમાં કોરોના દર્દીઓએ આ ડૉક્ટરો, નર્સોથી સારવાર કરાવવાનો ઈનકાર કરી દીધો. સ્થાનિક મીડિયાના રિપોર્ટમાં દાવો કરાયો હતો. તે મુજબ આ ડૉક્ટર, નર્સ રોજિંદા જીવનમાં પણ જાતીય હુમલાનો સામનો કરી રહ્યાં છે. તેમાં મારપીટ, અપમાનજનક ટિપ્પણીઓ સામેલ છે. બોસ્ટન હોસ્પિટલમાં એક દર્દીએ ચીનના ડૉક્ટરોને કહ્યું કે તમે ચીનના લોકો સૌને કેમ મારી રહ્યાં છો. અમુક દર્દી માને છે કે એશિયન લોકોથી કોરોના થાય છે. અમેરિકામાં 18 ટકા ડૉક્ટર અને 10 ટકા નર્સ એશિયન છે.
અમેરિકી મંત્રીએ કહ્યું – ભારતીય વિદ્યાર્થીઓ ફરી ભણવાં અમેરિકા આવે તેવી ઈચ્છા
અમેરિકાના દક્ષિણ એશિયાઈ બાબતોના ઉપમંત્રી એલિસ વેલ્સે કહ્યું કે કોરોનાએ ચિંતા અને અનિશ્ચિતતા સ્થિતિ પેદા કરી છે. તેમ છતાં અમેરિકી સરકાર ઈચ્છે છે કે સ્થિતિ સુધર્યા પછી ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ફરી અમેરિકા આવે. વેલ્સ એટલાન્ટિક કાઉન્સિલની ઓનલાઈન ચર્ચાને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું કે ગત વર્ષે અમેરિકામાં ભારતના 2 લાખથી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા હતા.
રાજ્યમાં 55 દિવસ સુધી લૉકડાઉનના કડક પાલન બાદ કોરોનાનો કેર યથાવત્ હોવા છતાં રાજ્ય સરકારે મોટાપાયે છૂટછાટો આપી છે. ત્યારે લોકોના મનમાં રાહતની સાથે અજંપો પણ છે. દિવ્ય ભાસ્કરે રાજ્યભરમાંથી વાચકો પાસેથી એવા સવાલો મેળવ્યા હતા જે તેઓ રાજ્ય સરકારને પૂછવાં માગે છે. દિવ્ય ભાસ્કરના ચિંતન આચાર્યએ વાચકોના આ સવાલો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછ્યાં હતાં. જાણો વાચકોના સવાલોના રૂપાણીએ આપેલા જવાબો...
લૉકડાઉન અને છૂટછાટોના મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્તમાન સમયના મહત્ત્વના સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે જો કેસોની સંખ્યા વધશે અને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરે તો અપાયેલી છૂટછાટો પાછી ખેંચાઈ શકે છે. સાથે જ રૂપાણીએ એ પણ કહ્યું છે કે વતન પરત ફરેલા શ્રમિકોને પરત લાવવા માટે પણ આગામી દિવસોમાં સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા કરાશે. તેમણે રાજ્યમાં વધી રહેલા કેસો પાછળના કારણો પણ રજૂ કર્યાં હતાં.
સવાલ: રાજ્યમાં છેલ્લા 10 જ દિવસમાં જ 4,368 કેસ નોંધાઈ ચૂક્યાં છે, સ્થિતિ આટલી હદે ખરાબ છે છતાં મોટાપાયે છૂટછાટો કેમ?
રૂપાણી: લૉકડાઉન મજબૂરી છે, છૂટછાટો નહીં. સરકાર માટે શહેર કે રાજ્યના વિસ્તારો બંધ રખાવવા પડે તે મજબૂરી છે. આપણે જાણીએ કે જ્યાં સંક્રમણ વધુ નથી ત્યાં અમે આ કેલ્ક્યુલેટેડ રિસ્ક લીધું છે એટલે તમે વ્યૂહ અને રિસ્કનું મિશ્રણ કહી શકો. ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધીઓ, મંત્રીમંડળ, અધિકારીઓ, આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કોરોનાથી બચીને જીવન જીવવાનું છે અને આગળ વધવાનું છે.
સવાલ: લૉકડાઉનના 53 દિવસમાં કેસો 10 હજારને પાર થઈ ચૂક્યાં હતાં, ગુજરાતમાં કોરોના પૉઝિટિવ કેસોમાં મોટો ઉછાળો કેમ ?
રૂપાણી: ખાલી ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર કે તામિલનાડુ અને ગુજરાતમાં પણ કેસના આંકડા વધુ છે. અમે પહેલેથી જ કહ્યું છે કે પરિસ્થિતિ કંટ્રોલમાં હતી પણ નિઝામુદ્દીન મરકઝના તબલીગી જમાતના લોકોએ ટ્રાવેલ હિસ્ટરી છૂપાવી અને અમદાવાદ અને સુરતમાં એકદમ કેસ ખૂબ વધી ગયાં. છેલ્લાં પંદર દિવસથી આંકડાનો ગ્રાફ લગભગ સ્ટેબલ છે અને હવે તે નીચો જશે એવી આશા છે. અગાઉ શહેરોમાં સુપર સ્પ્રેડર્સને કારણે કેસ વધ્યાં હતાં.
સવાલ: અમદાવાદમાં અત્યાર સુધીમાં 619 લોકોના મોત નોંધાયા છે, સિવિલ હોસ્પિટલમાં સૌથી વધારે મોત પાછળ શું કારણ?
રૂપાણી: પહેલું એ કે સિવિલ હોસ્પિટલમાં 2019ના માર્ચ, એપ્રિલ અને મે દરમિયાન થયેલાં મૃત્યુની સંખ્યા અને આ વર્ષે આ જ મહિનાઓના ગાળામાં થયેલાં મૃત્યુના કિસ્સા વચ્ચે આંકડાની દૃષ્ટિએ મોટો ફરક નથી. આપણે પહેલેથી આંકડા છૂપાવ્યા નથી તેથી તે મોટો આંક લાગે છે. એમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે છેલ્લી ઘડીએ દર્દી આવતા હોવાથી મૃત્યુનું પ્રમાણ વધુ છે. અમે ટ્રીટમેન્ટમાં ધ્યાન આપીએ છીએ.
સવાલ: અમદાવાદમાં છેલ્લા દિવસોમાં 250થી વધુ કેસ રોજ નોંધાયા છે, શું કેસ વધ્યા તો લોકડાઉનની છૂટછાટ ખત્મ થઇ જશે?
રૂપાણી: એ પહેલેથી જ સ્પષ્ટ છે કે જે વિસ્તારોમાં કેસ વધશે ત્યાં કન્ટેઇનમેન્ટ ઝોન લાગુ કરી દેવાશે અને તે જ રીતે જો કેસોની સંખ્યા ઘટે તો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી જે તે વિસ્તાર બહાર પણ આવે. એટલું જ નહીં, સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાય તો પણ અમે તે વિસ્તારોમાંથી છૂટછાટ પાછી ખેંચી લઇશું. છૂટછાટ એ નિયમોના પાલનને આધીન છે જેથી કેસો ન વધે અને જનજીવન બહાલ થાય. નિયમભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરીશું.
સવાલ: ગત દિવસોમાં ટ્રેનથી 9 લાખથી વધુ શ્રમિકો એ ગુજરાત છોડ્યું છે, ગુજરાત છોડી ગયેલા પ્રવાસીને પાછા લાવવા માટે શું કરશો?
રૂપાણી: અમે શ્રમિકોને એટલા માટે મોકલ્યાં,તેમના દિલમાં વતન જવાની તીવ્ર લાગણી હતી. લોકો હજારો કિલોમીટર દૂર ચાલીને જવા નીકળી ગયા હતા. અત્યાર સુધીમાં 9 લાખ, ગઇ કાલે 71 ટ્રેન 1.10 લાખ મજૂરો રવાના થયા. તેમને કામધંધો જોઇશે અને તેમને ફરી પાછું આવવું પડશે. અમે વ્યવસ્થા કરીશું. બધુ થાળે પડતાં પંદર દિવસ કે મહિનો લાગશે પરંતુ તેઓ પાછા આવશે જ.
સવાલ: આંકડા જોઇને લોકોમાં ભય છે, સરકાર શું કરી રહી છે?
રૂપાણી: સિવિલ હોસ્પિટલમાં દરેક વોર્ડની અંદર સીસીટીવી કેમેરા ગોઠવેલાં છે અને હું લાઇવ તેની ગતિવિધિ ડેશબોર્ડથી જોઉં છું. સંપૂર્ણ પરિસ્થિતિ પર અમારી નજર રહે છે. તમે જુઓ કે ગુજરાતમાં રીકવરી રેટ ખૂબ વધ્યો છે અને કુલ પોઝિટીવમાંથી 42 ટકા લોકો સાજાં થયા છે. અમે હાલ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ વ્યવસ્થા ઊભી કરી છે. જેથી દર્દીઓની સંખ્યા વધે તો પણ તેમને સારવાર મળી રહે.
સવાલ: બાંધકામ ક્ષેત્ર માટે શું કરશો. કરવેરામાં લાભ આપશે?
રૂપાણી: 20 લાખ કરોડનું કેન્દ્રનું પેકેજ છે તે લાંબાગાળાનો વિચાર કર્યો છે. નાણાંની તરલતા બજારોમાં જળવાઇ રહે તે જોવાયું છે. નાણાંની તરલતા બજારમાં જળવાય અને દરેક ક્ષેત્રને તેનો લાભ મળે. કાયદાઓમાં પણ ઘણી છૂટછાટ જાહેર કરી છે. તેથી કોઇપણ ક્ષેત્ર હોય તેને લાભ મળશે. મનરેગામાં પૈસા આપ્યાં છે તેથી નાના વર્ગના લોકોને પણ હાથમાં પૈસા મળશે અને તેમની ખરીદશક્તિ વધશે તો બજારમાં તે પૈસા આવશે અને તમામ વર્ગને તેનો લાભ મળશે અને સરકાર હજુ પણ સહુને માટે વ્યવસ્થા કરશે.
સવાલ: લૉકડાઉન હળવું રહે તે માટે નિષ્ણાંતોના મંતવ્ય લીધાં છે?
રૂપાણી: રેડ ઝોન લીવાયના વિસ્તારોમાં ધંધા રોજગાર શરૂ કરવા છૂટ આપી જ હતી. પરંતુ ત્યાં કેસોમાં મોટો વધારો થઇ ગયો નથી. જે શહેરો બંધ હતાં ત્યાં પણ પોઝિટીવ કેસ વધુ હોય ત્યાં આ લૉકડાઉન તબક્કા દરમિયાન પણ વધુ છૂટછાટો નથી આપી. જેમ કે અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં અમે વ્યૂહાત્મક નિર્ણય લઈ ધીરે-ધીરે બધું ખુલ્લું કર્યું છે.
સવાલ: ઘણી દુકાનો ખૂલી ગઇ છે તેના કારણે ચેપ ફેલાય તેવું બને તેમ નથી લાગતું?
રૂપાણી: અમે પરિસ્થિતિને આધારે નિર્ણય કરીએ છીએ. જો ભવિષ્યમાં કોઇ તેની વિપરીત અસરો દેખાશે તો અમે ચોક્કસ પણ અમુક કડક પગલાં ફરી ભરીશું જ.
સવાલ: લૉકડાઉન હળવું કરવાના નિષ્કર્ષ પર કેવી રીતે આવ્યા?
રૂપાણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે લૉકડાઉન 4 નવા રંગરૂપ સાથે આવશે. કેન્દ્ર સરકારે સંકેત આપ્યો હતો કે છૂટછાટ આપવી જોઇએ. અહીં પણ લાગણી પ્રવર્તતી હતી કે 55 દિવસનું લોકડાઉન હળવું કરવું જોઇએ કારણ કે રોજનું કમાઇને ખાનારા લોકો, મજદૂરો, નાનો-મોટો રોજગાર કરનારા લોકો કે ખેડૂતો માટે આર્થિક ગતિવિધી શરુ કરાવવી જોઇએ, સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ થવું જોઇએ જેથી સંક્રમણ ન ફેલાય.
કોરોના વાઈરસ અંગે અમેરિકા હવે ચીન પર ચારેકોરથી દબાણ બનાવી રહ્યું છે. આર્થિક મોર્ચે અમેરિકા એક પછી એક ચીનને આંચકા આપી રહ્યું છે. હવે અમેરિકી શેરબજારમાં લિસ્ટેડ ચીનની કંપનીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની નજર છે.
આ એક બાઈપાર્ટિસન બિલ છે
અમેરિકી કોંગ્રેસ(સંસદ)ના એક ગૃહ સેનેટમાં બુધવારે એક બિલ પસાર કરાયું હતું જે મુજબ અલીબાબા ગ્રૂપ હોલ્ડિંગ લિમિટેડ અને બૈદૂ ઈન્ક જેવી ચીનની આશરે 800 કંપનીઓને અમેરિકી શેરબજારોમાં પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. આ એક બાઈપાર્ટિસન બિલ છે જેનો અર્થ એ થાય છે કે તેને અમેરિકાની બંને મુખ્ય રાજકીય પાર્ટીઓ(રિપબ્લિકન અને ડેમોક્રેટ)નો ટેકો પ્રાપ્ત છે.
અયોધ્યાની રામ જન્મભૂમિ પર ગરજતા જેસીબી મશીનો મંદિર નિર્માણ માટે જમીન તૈયાર કરી રહ્યા છે. 11 મેથી ચાલતી સમતલીકરણના કામમાં એક ડઝનથી વધુ કોતરણી કરેલા સ્તંભ, દેવીદેવતાની મૂર્તિઓ, નકશીદાર શિવલિંગ અને બારસાખ (ચૌખટ) વગેરે મળી આવ્યા છે. જે સ્થાને માળખાના ત્રણ ગુંબજ હતા, તેમાંથી એક નીચે કૂવો પણ મળ્યો છે. આ ઉપરાંત અનેક સ્થળે ચાંદીનું છત્ર, સિંહાસન, રામદરબાર સાથે જોડાયેલા અનેક મહત્ત્વના અવશેષો પણ મળ્યા છે. આ અંગે ટૂંક સમયમાં રામજન્મભૂમિ ટ્રસ્ટ પણ આપશે.
સ્તંભ અંગ્રેજોના જમાનામાં લગાવાયો હતો
પુરાતત્વવિદ કે.કે. મોહમ્મદ આ અવશેષોને આઠમી સદીના હોવાનું જણાવે છે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી વિમલેન્દ્ર મોહન મિશ્રએ કહ્યું કે, કોરોનાનો પ્રકોપ ઓછો થયા પછી મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત એકસાથે થશે. રામ જન્મભૂમિને દર્શાવનારા એ સ્તંભને સમતલીકરણ કરતી વખતે પણ એવો જ રખાયો છે. તે સ્તંભ અંગ્રેજોના જમાનામાં લગાવાયો હતો. પીપળો અને વડના વૃક્ષોથી ઘેરાયેલા રામ જન્મભૂમિ ગર્ભગૃહ ટીલાને પણ સમતલ કરી દેવાયો છે. 1989માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ ગર્ભગૃહથી થોડે જ દૂર મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરાયો હતો, એ હિસ્સાને પણ સમતલ કરાશે. 2.77 એકર ભૂમિનો પશ્ચિમી હિસ્સો ખૂબ ઊંડાણમાં અને પૂર્વ હિસ્સો કે જ્યાં ગર્ભગૃહ છે, તે ટીલાની ઊંચાઈનો હતો. આ બંને હિસ્સાને પણ સમતલ કરાઈ રહ્યા છે. અહીં જ રામમંદિરનું નિર્માણ થવાનું છે.
મહાકાય પથ્થરોને લાવવા માટે થોડા દિવસમાં રસ્તા પણ બની જશે
અહીં આશરે 40 ફૂટ ઊંડા પાયા ખોદાશે. બાકી 67.7 એકરમાં તીર્થયાત્રીઓ માટેની સુવિધા, પ્રસાદાલય વગેરે બનાવાશે. રામઘાટ પર મોજુદ રામ મંદિર નિર્માણ કાર્યશાલા આગામી કેટલાક દિવસોમાં સ્થળાંતરિત કરાશે. મહાકાય પથ્થરોને લાવવા માટે થોડા દિવસમાં રસ્તા પણ બની જશે. ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રએ કહ્યું કે, હજુ પાયાના ખોદકામ વખતે પણ અવશેષો મળવાની શક્યતા છે.
સમતલીકરણ વૈજ્ઞાનિક ઢબે કરાઈ રહ્યું છે
પુરાતત્ત્વવિદ કે.કે. મોહમ્મદનું કહે છે કે, હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે રામ જન્મભૂમિ પરિસરમાં સ્વર્ણિમ ઈતિહાસ દફન છે. એટલે સમતલીકરણનું કામ પણ વૈજ્ઞાનિક પદ્ધતિએ કરવું પડશે. ટ્રસ્ટે મંદિર નિર્માણ વખતે પુરાતત્ત્વીય ધરોહરોની સુરક્ષા કરવાની સાથે ઈતિહાસના સંકેતોને પણ ધ્યાનમાં રાખવા ચોક્કસ દિશા નક્કી કરવી પડશે. સમતલીકરણ વખતે મળેલા અવશેષોને જોઈને હું કહી શકું છું કે, તે આઠમી સદીના છે.
બ્લેક ટચ સ્ટોનના 7 સ્તંભ, રેડ સેન્ડ સ્ટોનના 6 સ્તંભમળ્યા
અયોધ્યામાં રામમંદિર નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કરાઈ રહેલા બાંધકામ દરમિયાન કેટલાક ઐતિહાસિક અવશેષો મળી આવ્યા છે. આ અવશેષોમાં પ્રાચીન મૂર્તિઓની સાથે બ્લેક ટચ સ્ટોનના 7 સ્તંભ, રેડ સેન્ડ સ્ટોનના 6 સ્તંભ, કોતરકામ કરાયેલું પાંચ ફૂટનું શિવલિંગ, પુષ્પ કળશ અને બારસાખ (ચૌખટ) સામેલ છે. હાલ અહીં ત્રણ જેસીબી, એક ક્રેન, 2 ટ્રેક્ટર અને 10 શ્રમિક છેલ્લા 10 દિવસથી ખાડા પૂરવાનો અને લોખંડની જાળીઓ તોડવાનું કામ ચાલુ છે. કોરોનાના કારણે અહીં શ્રમિકો સોશલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છે. આ અવશેષો રામ જન્મભૂમિ અને આસપાસના સ્થળેથી મળ્યાં છે. આ અંગે ટ્રસ્ટના મહાસચિવ ચમ્પત રાયે કહ્યું છે કે, ‘અત્યાર સુધી અહીં જ્યાં પણ ખોદકામ થયું, ત્યાંથી આવા પ્રાચીન નમૂના મળી આવ્યા છે.’ જોકે, ટ્રસ્ટે અવશેષોના અંગે ખાસ વિગતો જાહેર નથી કરી. ટ્રસ્ટે કહ્યું છે કે, આ તમામ અવશેષોનું સંકલન કરાઈ રહ્યું છે. નિષ્ણાતો સાથે ચર્ચા પછી અમે તેની વિગતો જાહેર કરીશું.
ગુરુવારે ગુજરાતમાં કોરોનાના નવા 368 પોઝિટિવ કેસ નોંધાયા હતાં અને તેની સાથે કુલ કેસનો આંકડો 12,905 પર પહોંચ્યો છે. જ્યારે 24 નવા મૃત્યુ નોંધાયા હતા અને 269 લોકો રીકવર થઇને પરત ફર્યાં છે. આ તરફ અમદાવાદ અને સુરતનો દેશના 10 સૌથી સંક્રમિત શહેરોમાં સમાવેશ થયો છે. જેમાં 9,449 કેસ સાથે અમદાવાદ ત્રીજા ક્રમે તો 1,227 કેસ સાથે સુરત 10મા સ્થાને છે. 24,128 પોઝિટિવ કેસ સાથે મુંબઈ યાદીમાં ટોચના ક્રમે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 5,488 દર્દીઓ સાજા થયાં છે. આરોગ્ય સચિવે ગુરુવારે જાહેર કરેલા આંકડા મુજબ સૂરતમાં હાલ રીકવરીનો રેટ 67 ટકા નોંધાયો છે જે આખા દેશની કુલ સરેરાશના બમણાંથી પણ વધુ છે. આરોગ્ય સચિવે જાહેર કરેલાં આંકડા મુજબ જે-તે શહેરમાં કુલ નોંધાયેલા કેસની સામે સાજા થયેલાં દર્દીઓની ટકાવારી જોઇએ તો સૂરતમાં આ દર 67 ટકાથી વધુ, વડોદરામાં 62.66 ટકા, રાજકોટમાં 67 ટકા જ્યારે ભાવનગરમાં 73.68 ટકા છે. જો કે આ સિવાયના મોટા શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કેસોની સંખ્યા કુલ વસ્તીની દૃષ્ટિએ વધુ છે ત્યાંની સ્થિતિ જોઇએ તો અમદાવાદમાં રીકવરી રેટ માત્ર 35.24 ટકા છે જ્યારે ગાંધીનગરમાં આ દર 45.45 ટકા છે.
અમદાવાદ 17 કેસો સાથે કાયમની માફક મોખરે રહ્યું
આ તરફ સમગ્ર ગુજરાતમાં કુલ મૃત્યુ આંક છેલ્લાં 24 કલાકના સમયગાળમાં 24નો નોંધાયો છે અને કુલ મૃત્યુ આંક 773 પર પહોંચ્યો છે, તે પૈકી છ દર્દીઓનું મોત માત્ર કોરોનાના સંક્રમણને કારણે જ્યારે 18 દર્દીઓના મોત કોરોના સિવાય અન્ય સામાન્યથી માંડીને ગંભીર બિમારીને કારણે થયાં હતાં. મૃત્યુના કિસ્સાઓમાં પણ અમદાવાદ 17 કેસો સાથે કાયમની માફક મોખરે રહ્યું છે. ગુજરાત સરકારે જાહેર કરેલાં આંકડા મુજબ આજે 52 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ નાજુક છે. જ્યારે સારવાર લઇ રહેલાં અન્ય 6,597 દર્દીઓની હાલત હાલ સ્થિર છે.
રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 4,368 પોઝિટિવ કેસો
રાજ્યમાં 10 દિવસમાં કોરોનાના કુલ 4,368 કેસ નોંધાયા છે જે ગુરુવાર સુધીમાં નોંધાયેલાં 12,910 કેસના ત્રીજા ભાગના થવા જાય છે. જ્યારે ડબલિંગ રેટ જોઇએ તો અગાઉ છ મેના રોજ 6,625 કેસ નોંધાયા હતા તેથી ડબલિંગ રેટ લગભગ પંદરથી સોળ દિવસનો થયો છે જે સ્થિતિ ધીરે-ધીરે સુધરી રહી હોવાનો સંકેત આપે છે. દસ દિવસમાં નોંધાયેલાં 4,368 પૈકી માત્ર અમદાવાદમાં જ 3,363 કેસ નોંધાયા છે જ્યારે 1,005 કેસ ગુજરાતના બાકીના શહેરો અને વિસ્તારોમાં નોંધાયા છે.
કોરોના સંકટને કારણે માર્ચ મહિનાથી બંધ સ્કૂલો 15 જુલાઈથી શરૂ થઈ શકે છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય સ્કૂલોમાં અભ્યાસ માટે ગાઈડલાઈન્સ તૈયાર કરી રહ્યું છે જે ટૂંકમાં જ જાહેર કરવામાં આવી શકે છે. સૂત્રો મુજબ એક દિવસમાં 33 ટકા કે 50 ટકા બાળકોને જ સ્કૂલે આવવાની મંજૂરી મળશે. ઉપલબ્ધ સંસાધનોના આધારે રાજ્ય સરકાર અને સ્કૂલ મેનેજમેન્ટ નક્કી કરશે કે કેટલાં બાળકોને બોલાવવા છે.
33 ટકાની ફોર્મ્યૂલા લાગુ કરનારી સ્કૂલોમાં સપ્તાહમાં બે દિવસ જ સ્કૂલે જઈ શકશે
વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે હાથ ધોવાની સુવિધા, ટોઈલેટ, પીવાના પાણીના નળ વગેરેની સંખ્યા વધારવી પડી શકે છે. 50 ટકા વિદ્યાર્થીઓની ફોર્મ્યૂલા લાગુ કરનારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ સપ્તાહમાં ત્રણ અને 33 ટકાની ફોર્મ્યૂલા લાગુ કરનારી સ્કૂલોમાં સપ્તાહમાં બે દિવસ જ સ્કૂલે જઈ શકશે. બાકી દિવસોમાં ઓનલાઈન અભ્યાસ કરવાનું રહેશે. ચેપની સ્થિતિના આધારે જ જૂનના અંતિમ સપ્તાહમાં ગાઈડલાઈન્સનું રિવ્યૂ કરાશે.
કોરોના મહામારીને પગલે ગુજરાતથી કેનેડાની ફ્લાઇટો બંધ થઈ જતાં કેનેડાનું ડ્રીમ જોનારા કેટલાય યુવાનો પોતાના ભવિષ્યને લઈને ચિંતાતુર બન્યા છે. એક્સપ્રેસ એન્ટ્રી અને અન્ય કેટેગરીમાં વિઝા ધરાવનાર હાલમાં કોઈ આવકનું સાધન ન હોઈ મુશ્કેલીમાં મુકાયા છે. કેનેડા માટે કન્ફર્મેશન ફોર પરમેનન્ટ રેસિડેન્ટ (COPR) થઈ ગયા પછી કેટલાયે પોતાની નોકરીઓ છોડી દીધી હતી. જો કે હવે ગુજરાતથી ફ્લાઇટો શરૂ ન થતાં ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયા છે. વર્ક પરમિટ, સ્ટુડન્ટ વિઝા અને અન્ય કેટેગરીના લોકો પણ ગુજરાતમાં ફસાયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને રજૂઆતો બહેરા કાને અથડાતા આ લોકોએ હવે ‘ ગુજરાત ટુ કેનેડા ‘ ગ્રુપ બનાવ્યું છે. આ લોકોએ ઉડ્ડયન મંત્રી હરદીપ પૂરી, મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિતની નેતાગીરીને રજૂઆતો કરી છે કે પંજાબ દિલ્હી ની જેમ ગુજરાતથી પણ તાત્કાલિક ફ્લાઇટો શરૂ કરાય. કેમ કે, ગુજરાતીઓ પણ પંજાબીઓ ની જેમ મોટી સંખ્યામાં કેનેડામાં જાય છે.
અમદાવાદથી વીકમાં ત્રણ ફ્લાઇટ કેનેડા માટે ચાલુ કરવા માંગ
વડોદરા સ્થિત સુપ્રિયા ચૌધરીએ ભાસ્કરને જણાવ્યું કે, કેનેડાના માટે પીઆર માટે મંજૂરી આવતા મેં મારી મેનેજર તરીકેની નોકરી છોડી દીધી હતી. સરકાર તાત્કાલિક અમદાવાદથી વીકમાં ત્રણ ફ્લાઇટ કેનેડા માટે ચાલુ કરે. કેનેડામાં જોબ ચાલુ ન હોવાથી જે લોકોએ લોન લીધી છે તેમને મુશ્કેલી પડી રહી છે.
દોઢ લાખ રૂપિયા ફસાયા
રાજકોટ સ્થિત મયુરેશ દવે અને તેમના પત્ની એ પણ નોકરી છોડી દીધી હતી અને હાલમાં કેનેડા જવાની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું, મેં પ્રોફેસર તરીકે અને મારી પત્નીએ ટીચર તરીકેની નોકરી જાન્યુઆરીમાં છોડી હતી. પીઆર કન્ફર્મેશન થતાં માર્ચમાં કેનેડા જવા માટે ટિકિટ બુક કરાવી હતી. દોઢ લાખ રૂપિયા તેમાં ફસાયા છે.
આખી ફ્લાઇટ ભાડે કરવા પણ તૈયાર
અમદાવાદમાં રહેતા મૂળ જૂનાગઢના ચિરાગ લોઢિયા એ કહ્યું, હું ફાર્મા કંપનીમાં સારી પોઝિશનમાં કામ કરતો હતો. COPR મળતા મેં નોકરી છોડી હતી. જોકે હવે જોબલેસ થવાથી ઇન્કમના કોઈ સોર્સ રહ્યાં નથી. અમે લોકો આખી ફ્લાઇટ ભાડે કરવા પણ તૈયાર છીએ. સરકારે ઝડપથી ફ્લાઇટ શરૂ કરવી જોઈએ.
વર્ક પરમિટ, વિઝાધારકો પણ ચિંતામાં
અમદાવાદનાં લક્ષિત શાહ છેલ્લાં ત્રણ વર્ષથી કેનેડા વર્ક પરમિટ પર રહે છે. હવે પીઆર માટે તેમને બે જ મહિના વર્ક કરવું પડે તેમ છે. શાહે જણાવ્યું હતું કે, જો સરકાર ફ્લાઇટ શરૂ નહીં કરાવે તો હું જોબલેસ પણ થઈ શકું છું. કેન્દ્ર અને રાજ્ય સરકાર ભેગા મળીને તાત્કાલિક ગુજરાતથી ફ્લાઇટો શરૂ કરાવો જેથી લોકોના ભવિષ્ય દાવ પર ન લાગે.
વિદેશ મંત્રી-ઉડ્ડયન મંત્રીને મેઈલ કર્યા
ગુજરાત ટુ કેનેડા ગ્રુપે ફલાઇટની માગણી માટે હવે સત્તાવાળાઓને મેઈલ કરવાનું શરૂ કર્યું છે. તેમણે વિદેશ મંત્રી જય શંકર, ઉડ્ડયન મંત્રી હરદીપ પૂરી, ખાતાઓના સચિવોને મેઈલ કર્યા છે. આ સિવાય વડાપ્રધાન, ગૃહ મંત્રી, મુખ્યમંત્રીને ટ્વીટરના માધ્યમોથી રજૂઆત કરી છે.
કોરોના સંકટ દરમિયાન લૉકડાઉન કે ક્વોરન્ટીનમાં ફસાયેલા અમેરિકનો હવે એકાંતની શોધમાં છે. તે માટે તેઓ કલાક પ્રમાણે રૂમ ભાડે આપતી ઍપનો ઉપયોગ કરી રહ્યા છે. વિવિધ કામો માટે મોટી-મોટી બ્રાન્ડ્સની સર્વિસ લઇ ચૂકેલા લોકો હવે પ્રાઇવસી માટે આ ઍપની મદદ લઇ રહ્યા છે. ઘણા લોકો તો માત્ર પરિવારજનોથી થોડા કલાકો માટે દૂર રહેવા આ સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં ગ્લોબ ઍપ સૌથી જાણીતી છે, જેની માગ સતત વધી રહી છે. આ ઍપનો સૌથી વધુ ઉપયોગ ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, માયામી જેવા શહેરોમાં થઇ રહ્યો છે.
ફ્યુચર પ્લાન માટે 2 કલાક રૂમ ભાડે લીધો
લોકો પત્નીની ઓફિસની વીડિયો મીટિંગ દરમિયાન તેને પ્રાઇવસી આપવા, રૂમ પાર્ટનરને આરામ આપવા, ઓફિસ દરમિયાન ફ્રેશ થવા કે આરામ કરવા, ભીડથી બચવા કે પછી થોડો સમય પરિવારથી દૂર રહેવા માટે પણ રૂમ ભાડે લઇ રહ્યા છે. તે માટે તેઓ નજીકના વિસ્તારોમાં કે વૉકિંગ ડિસ્ટન્સ પરના એપાર્ટમેન્ટને પ્રાથમિકતા આપી રહ્યા છે. તમારે ઍપ પર તમારી જરૂરિયાત જણાવવાની હોય છે. સાથે એ પણ જણાવવાનું હોય છે કે તમને તાવ, ખાંસી કે કોરોના છે કે નહીં? બૉડી ટેમ્પ્રેચર ચેક કરતી વખતનો થર્મોમીટરનો ફોટો પણ અપલોડ કરવાનો હોય છે. તે પછી તમને રૂમ અપાય છે. જોકે, એકેય રૂમ ફુલ નાઇટ માટે નથી અપાતો. 32 વર્ષની બ્રિટની ગાયન જણાવે છે કે, ‘હું બ્રુકલિનમાં મારા બોયફ્રેન્ડ સાથે મેરેજ કરવાની છું. અમે ફ્યુચર પ્લાન માટે 2 કલાક માટે રૂમ ભાડે લીધો હતો. તેનાથી ક્વોરન્ટીનની મુસીબતથી પણ છુટકારો મળ્યો.’ વોશિંગ્ટન યુનિ.ની એક સ્ટુડન્ટ જણાવે છે કે, ‘હું મારા એન્ટી-બેક્ટેરિયલ વાઇપ્સ લઇને રૂમ પર ગઇ હતી. સૌપ્રથમ દરવાજાના નૉબ, લાઇટ સ્વિચ અને એપાર્ટમેન્ટને સેનિટાઇઝ કર્યા બાદ 45 મિનિટ સુધી અગત્યના કામ અને કૉલ કર્યા. પછી એક કલાક આરામ કર્યો.’
લોકો એક કલાકના 7,500 રૂ. ચૂકવવા પણ તૈયાર
ગ્લોબ ઍપ 30 વર્ષના ઇમેન્યુઅલ બામ્ફો અને તેના 36 વર્ષીય મિત્ર એરિક ઝૂએ જૂન, 2019માં શરૂ કરી હતી. તે નોકરિયાત લોકો માટે શરૂ કરાઇ હતી, જેથી શહેરમાં ઘરથી દૂર કે ઓફિસમાં હોઇએ તે દરમિયાન આરામ માટે જગ્યા મળી શકે. જોકે, કોરોનાકાળમાં લોકો એકાંત માટે આ રૂમ્સનો ઉપયોગ કરી રહ્યા છે. એક કલાકના 7,500 રૂ. સુધીની રકમ ચૂકવે છે.
રાજ્યમાં એક તરફ મોટાપાયે શ્રમિકો પોતાના વતન પરત ફરવા માટે બહાર નીકળ્યાં છે ત્યારે બીજી તરફ લૉકડાઉનમાં છૂટછાટો મળતા બે મહિનાથી ઘરમાં પૂરાઈ રહેલા લોકો આકરી ગરમી હોવા છતાં પણ મોટી સંખ્યામાં બહાર આવ્યા છે. એક તરફ સંઘર્ષ છે પણ બીજી તરફ સંયમ પણ એટલો જ જરૂરી છે.રાજ્ય સરકારે લૉકડાઉનમાં છૂટછાટોની જાહેરાત એવા સમયે કરી જ્યારે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રમિકો સ્થળાંતર કરી રહ્યાં છે. અંદાજે 8 લાખથી વધારે શ્રમિકો ટ્રેનોમાં વતન જઈ રહ્યાં છે. શ્રમિકો વતન જઈ રહ્યાં છે કારણ કે તેઓ મજબૂર છે. એટલે તેમને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પણ છૂટછાટો મળતાં જ સંયમ ત્યજીને મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે. રાજકોટમાં બુધવારે 43 ડિગ્રી ગરમી હોવા છતાં લોકો પાનની દુકાન બહાર એકત્ર થયાં હતાં. જો આપણે સંયમ નહીં રાખીએ તો માઠા પરિણામો ભોગવવા પડી શકે છે.
શ્રમિકો પગપાળા પોતાના વતન જઈ રહ્યા છે. પણ ગુજરાતના અમદાવાદથી એક યુવક પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે છેક 1100 કિમી દૂર વારાણસી સુધી પગપાળા ગયો હતો. બીજી તરફ પ્રેમિકા પણ આ યુવકને મળવા માટે ઘરેથી ભાગી ગઈ હતી. પછીથી પોલીસે બંનેને પકડી પાડ્યા હતા.
જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે બંને પોતાની પ્રેમ કહાની જણાવી બંન્ને વચ્ચે એક મિસકોલથી વાર્તાલાપ શરૂ થયો હતો. જે સમય જતા સંબંધ પ્રેમમાં ફેરવાયો હતો. વારાણસીના મિર્ઝામુરાદ પોલીસ સ્ટેશનમાં એક માતાએ પોતાની પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીનો મોબાઈલ નંબર પૂછીને એના આધારે ટ્રેસ કરવાનું શરૂ કર્યું હતું. યુવતીનું લોકેશન વારાણસીના લંકા વિસ્તારમાં ડિટેક્ટ થયું હતું. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે યુવતી પોતાના પ્રેમી સાથે મળી આવી હતી. જ્યારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, યુવક ગુજરાતનો રહેવાસી છે. બંનેએ પહેલા મળવા માટેનો પ્લાન બનાવ્યો હતો. લૉકડાઉનને કારણે મળવાનું શક્ય બન્યું નહીં. પછી એક દિવસ યુવક અમદાવાદથી વારાણસી સુધી પગપાળા પહોંચી ગયો.
યુવતી પણ સાઈકલ લઈને પોતાના ઘરેથી નીકળી
ગત મંગળવારે યુવતી પણ સાઈકલ લઈને પોતાના ઘરેથી સાંજે નીકળી ગઈ હતી. પછી તે ગામમાં સાઈકલ મૂકીને અમદાવાદથી આવેલા પ્રેમીને મળવા માટે ગઈ હતી. પણ યુવતીના માતા પિતા તથા પરિવારજનો યુવતીને સમજાવીને ઘરે લાવ્યા હતા. અમદાવાદથી વારાણસી વચ્ચે 1100 કિમીનું અંતર છે. આ યુવકે રસ્તામાં જુદા જુદા સ્થળે રોકાઈને રાતવાસો કર્યો હતો.
પોલીસે પણ યુવકની પૂછપરછ કરીને છોડી મૂક્યો
પોલીસે જણાવ્યું કે, 5 મહિના પહેલા બંને લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. યુવકનું વતન પણ વારાણસી છે પણ કામ અર્થે તે અમદાવાદ આવ્યો હતો. યુવકને વારાણસી પહોંચતા બે અઠવાડિયાનો સમય લાગ્યો હતો. પોલીસે પણ યુવકની પૂછપરછ કરીને છોડી મૂક્યો હતો. જોકે, લૉકડાઉનને કારણે હવે તે પરત જઈ શકે એમ ન હતો એટલા માટે વારાણસીમાં જ રોકાઈ ગયો છે.
લૉકડાઉન પહેલાં બંનેએ મળીને સગાઈ કરવાનું પણ નક્કી કર્યું હતું
પાંચ મહિના પહેલા બંનેએ એક મિસ કોલથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. યુવકનું વતન પણ વારાણસી છે પણ કામ અર્થે તે અમદાવાદ રહે છે. લૉકડાઉન પૂર્વે બંને મળીને સગાઈ કરીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ કોરોના તેમની પ્રેમ કહાનીમાં વિઘ્ન લાવ્યું. યુવકે પોતાની પ્રેમિકાને મળવાનું વચન આપ્યું હતું.
વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 50 લાખને પાર થઇ ચૂક્યો છે. 25 લાખ દર્દી માત્ર 30 દિવસમાં વધ્યા છે જ્યારે પ્રથમ 25 લાખ દર્દી 142 દિવસમાં મળ્યા હતા. મંગળવારે વિશ્વમાં કુલ 94 હજાર નવા દર્દી મળ્યા. 5 એપ્રિલ બાદથી આ જ સ્થિતિ છે. બે-ત્રણ દિવસે આ આંકડો ઘટીને 80 હજાર સુધી પહોંચે છે અને પછીના બે-ત્રણ દિવસમાં પાછો 95 હજારની નજીક પહોંચી જાય છે. મતલબ કે નવા દર્દીઓની સરેરાશ દોઢ મહિનાથી સ્થિર છે. નવા દર્દીઓની સંખ્યા ઘટતી પણ નથી કે વધતી પણ નથી.
નવા દર્દી: 1 લાખથી વધુ સંક્રમિતોવાળા 11 દેશમાં માત્ર બ્રાઝીલ અને ભારતમાં નવા દર્દી વધી રહ્યા છે
એક્ટિવ કેસ: માત્ર 5 દેશ- અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ, બ્રાઝીલ અને ભારતમાં વધી રહ્યા છે
મોત: વિશ્વમાં ભારત સહિત માત્ર 8 દેશમાં રોજ 100થી વધુ મોત થઇ રહ્યાં છે
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ)ની 10 અને 12મા ધોરણની બાકી રહી ગયેલી પરીક્ષાઓ 1થી 15 જુલાઇ વચ્ચે યોજવામાં આવશે. તે જ્યાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે, એ જ સ્કૂલોમાં થશે. આ માહિતી માનવ સંસાધન વિકાસમંત્રી પોખરિયાલ નિશંકે આપી. તેમણે કહ્યું કે પરીક્ષાના પરિણામ પણ જુલાઇના અંત સુધી જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓનું ટ્રાવેલ કરવાનું સરક્ષિત નથી. તેથી અન્ય સ્કૂલમાં પરીક્ષા કરાવવાના નિયમમાં છૂટ આપવામાં આવી રહી છે. તેમણે એ પણ કહ્યું કે પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. વિદ્યાર્થીઓએ સાથે પોતાનું સેનિટાઇઝર લાવવાનું રહેશે અને માસ્ક પણ પહેરવાનું રહેશે. નિશંકે કહ્યું કે અગાઉ લેવાઇ ગયેલી 10 અને 12મા ધોરણની પરીક્ષાઓની ચકાસણી શરૂ થઇ ગઇ છે.
ઇજનેરી અને નીટને ધ્યાને રાખી તૈયાર કરાયું શિડ્યૂલ
માનવ સંસાધનમંત્રીએ કહ્યું કે શિડ્યૂલ એ વાતને ધ્યાનમાં રાખી તૈયાર કરાયું છે કે વિદ્યાર્થી એજન્જિનીયરિંગની 18થી 23 જુલાઇ વચ્ચે થનારી પ્રવેશ પરીક્ષા જેઇઇ-મેન્સ અને મેડિકલની 26 જુલાઇએ યોજાનારી નીટની પરીક્ષામાં સામેલ થઇ શકે. બીજી બાજુ ગૃહ મંત્રાલયે સીબીએસઇ, આઇસીએસઇ અને રાજ્યોમાં બાકી બોર્ડ પરીક્ષાઓ કરાવવા માટે લૉકડાઉનમાં છૂટ આપી દીધી છે.
આરપીજી સમુહના અધ્યક્ષ હર્ષ ગોયન્કાએ જણાવ્યું હતું કે, 19મી સદી સુધીમાં કામકાજ મોટેભાગે ઘરેથી કે ઘરની નજીકથી જ કરવામાં આવતું હતું. ઑફિસનો વિચાર 20મી સદીમાં શરૂ થયો અને ઝડપથી દિનચર્યાનો હિસ્સો બની ગયો. રોજ સવારે ઊઠવું, ઘરેથી ઑફિસ જવું અને સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સહકર્મચારીઓ સાથે કામ કરવું એ જ કામની પરિભાષા બની ગઈ. છેલ્લા કેટલાક વર્ષોમાં ટેલિકોમ્યુનિકેશનથી કેટલાક ફેરફારો જરૂર આવ્યાં છે. કારણ કે વૈશ્વિક સ્તરે આધુનિક ડિજિટલ નેટવર્ક સ્થાપિત થઈ ચૂક્યાં છે. તેના લીધે રિયલ એસ્ટેટના ભાવ પણ ઊંચકાવા લાગ્યા. અમારી કંપની સહિત ઘણી કંપનીઓએ સમય મર્યાદાને તોડવાનું શરૂ કર્યું. અને એ જ રીતે ઘરેથી કામ કરવાની પ્રથા ફેલાતી ગઈ.
માનસિક સ્વતંત્રતાનો અહેસાસ થયો
હર્ષ ગોયન્કાએ કહ્યું કે, છેલ્લા બે મહિનાથી ઘરેથી જ કામ થઈ રહ્યું છે. જેના લીધે ઘર અને કામ બન્નેની પરિભાષા બદલાઈ ગઈ છે. અચાનક ઘર સૌથી નજીકનું અને સૌથી આરામદાયક કામ કરવાનું સ્થળ બની ગયું છે. જે લોકો આ વ્યવસ્થાથી અજાણ હતા તેમના માટે આ નવી વ્યવસ્થા સુખદ આશ્ચર્ય પુરવાર થઈ. અમારી કંપની અમારા પર એટલો વિશ્વાસ કરે છે કે અમને સુપરવાઇઝ કરવાની જરૂર લાગતી નથી. તેનાથી માનસિક સ્વતંત્રતાનો અહેસાસ પણ થાય છે. અને પરસ્પરના વિશ્વાસમાં વધારો કરે છે. જ્યારે લોકો ઘરેથી કામ કરે છે અને વીડિયો કૉન્ફરન્સિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે એકમેક સાથે સંવાદ કરે છે ત્યારે તેનાથી પોતીકાપણું અનુભવાય છે. જેનાથી પારદર્શિતા પણ વધે છે. આ સમયે જ્યારે વાતચીત વખતે બાળકો અચાનક ટેબલ તળેથી સામે આવી જાય અથવા તમારું પાળેલું પ્રાણી કૂદીને તમારા ખોળામાં આવી બેસે ત્યારે આ ક્ષણો ખરેખર અત્યંત રમૂજી બની જાય છે. ઘર અને ઑફિસ વચ્ચે અવરજવરનો સમય બચી જવાથી ઘણા એવા કામો માટે સમય મળે છે જે અગાઉ આપણી પ્રાથમિકતા નહોતા.
હવે નવા કામના નવા પડકારો ઉકેલવા પડશે
પરસ્પરના મતભેદો ઉકેલવા માટે આમનેસામને બેસીને સંવાદ સાધવાથી સારું પરિણામ મળે છે. એક સ્પર્શ, ખભા પર કરાતો હળવો ધબ્બો એ ફાયદો કરાવે છે જે હજારો શબ્દ નથી કરી શકતા. કેટલીક વહીવટી સમસ્યાઓ પણ હોય છે જેમ કે સાઇબર સિક્યુરીટી મોટો પડકાર છે. હેકિંગની સમસ્યા પહેલેથી જ ગંભીર સાબિત થઈ છે અને કેટલીક વીડિયો કૉલિંગ એપ્સ પણ તેનાથી બાકાત રહી નથી. જેમ જેમ કંપનીઓ કામ કરવાની નવી પદ્ધતિઓ અપનાવતી જાય છે તેમ તેમ તેમણે આ નવી સમસ્યાઓ પર પણ વધારે ધ્યાન આપશે.
રાજ્યભરમાં લૉકડાઉનમાં ભલે છૂટછાટો આપવામાં આવી હોય પણ દરરોજ કોરોનાથી થતા મોતના આકડામાં હજુ મોટો ઘટાડો થયો નથી. છેલ્લા 10 દિવસમાં રાજ્યમાં કોરોનાથી કુલ 256 લોકોના મોત નિપજ્યાં છે. દરરોજ સરેરાશ 25થી 30 લોકોના મોત નિપજે છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 749 મોત નોંધાઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધુ 602 મૃત્યું એકલા અમદાવાદમાં નોંધાયા છે. બુધવારે રાજ્યમાં કુલ 397 નવા કેસ નોંધાયા હતા જ્યારે કુલ 30 મોત નોંધાયા હતા. એકલા અમદાવાદમાં નવા 271 કેસ અને 26 મૃત્યું થયા હતા. બુધવારે સાંજ સુધીના 24 કલાકમાં કુલ 6,098 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બુધવારે રાજ્યમાં 176 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
બુધવારે રાજ્યમાં કુલ 398 પોઝિટિવ કેસ નોંધાયા
છેલ્લા 10 દિવસમાં એક જ દિવસમાં સૌથી વધુ 35 મોત 18 મેના રોજ નોંધાયા હતા. બુધવારે રાજ્યમાં કુલ 398 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયાની બીજી ઘટના છે. આ પહેલા 5 મેના રોજ 24 કલાકમાં સૌથી વધુ 441 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સાથે જ છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં દરરોજ 300થી વધારે કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં દરરોજ 250થી વધારે કેસ નોંધાયા છે.
કોરોના વાઈરસના સંક્રમણના કારણે બુધવારે દેશમાં 210 દર્દીના મોત થઈ ગયા. 24 કલાકમાં થયેલા મોતની સંખ્યાનો આ સૌથી મોટો આંકડો છે. તેમાં 65 મોત મહારાષ્ટ્ર અને 30 ગુજરાતમાં થયા છે. બુધવારે દેશમાં 5,092 નવા સંક્રમિત પણ મળ્યા. દેશમાં હવે કોરોનાના દર્દીઓનો કુલ આંકડો 1,10,590 થઈ ગયો છે. તેમાંથી 3,355 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 44,757 દર્દી સાજા થઈ શક્યા છે.
મહારાષ્ટ્રમાં નવા 1,372 સંક્રમિતો અને 41 નવા મોત મુંબઈમાં નોંધાયા
દેશમાં સૌથી વધુ 2,250 નવા દર્દી મહારાષ્ટ્રમાં નોંધાયા છે. રાજ્યમાં કુલ 32,297 સંક્રમિત મળી ચૂક્યા છે. દેશમાં થયેલા કુલ મોતમાં 1,390 એકલા મહારાષ્ટ્રમાં થયા છે. મહારાષ્ટ્રમાં નવા 1,372 સંક્રમિતો અને 41 નવા મોત મુંબઈમાં નોંધાયા છે. મુંબઈમાં અત્યાર સુધી 23,935 સંક્રમિત મળ્યા છે, જેમાંથી 841ના મોત થઈ ચૂક્યા છે. સંક્રમિતોની દૃષ્ટિએ જોઈએ તો બીજા રાજ્ય તમિલનાડુમાં 743 નવા સંક્રમિત મળ્યા છે. અહીં કુલ દર્દીનો આંકડો 13,191 સુધી પહોંચી ગયો છે. અહીં નવા દર્દીઓમાંથી 83 મહારાષ્ટ્રથી પરત આવ્યા હતા. 3 દર્દીના મોત સાથે તમિલનાડુમાં મૃતકઆંક 87 થઈ ગયો છે. તેના સિવાય દિલ્હીમાં 534, મધ્ય પ્રદેશમાં 270, રાજસ્થાનમાં 195, પ. બંગાળમાં 142, બિહારમાં 112 અને ઓડિશામાં 74 નવા દર્દી મળ્યા છે.