
from India Today | Top Stories https://ift.tt/2XfYxtI
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વિશ્વમાં કોવિડ મેનેજમેન્ટ માટે અપનાવાતી શ્રેષ્ઠ પદ્ધતિને ઓળખવાની કવાયત કરી રહી છે. આ સંદર્ભમાં અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તા અને મ્યુનિ. કમિશનર મુકેશકુમારે ‘WHO’ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથન સમક્ષ વીડિયો કોન્ફરન્સથી પ્રેઝન્ટેશન કર્યું હતું.
ડૉ. સ્વામીનાથને જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.એ લીધેલા ધનવંતરી રથ, 104 સેવા, કોરોના ઘર સેવા, સંજીવની વાન તેમજ ખાનગી હોસ્પિટલોની ભાગીદારી જેવા પગલા લઈ જે મોડેલ અપનાવ્યું તે અન્ય શહેરો પણ અપનાવી શકે છે. પ્રેઝન્ટેશનમાં રજૂઆત કરાઈ હતી કે, કોર્પોરેશને 9 પાખ્યો વ્યૂહ અપનાવી કોરોનાના કેસ અને મૃત્યુદરમાં ઘટાડો લાવી રિકવરી રેટ 81 ટકાએ પહોંચાડ્યો હતો. મે મહિનામાં અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને મુકેશકુમારની નિયુક્તી બાદ તેમણે તબક્કાવાર 9 પાખ્યા વ્યૂહથી કેસને કાબૂમાં લીધા છે.
બે માસમાં એક્ટિવ કેસ 53થી ઘટી 13 ટકા થયા
શહેરમાં 17 માર્ચે કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. 19 સપ્તાહમાં એક્ટિવ કેસની ટકાવારી 100થી ઘટી 13 ટકાએ પહોંચી ગઈ છે. વિવિધ પ્રકારની સ્ટ્રેટેજીને પગલે કેસની સંખ્યામાં ઘટાડો થયો. જ્યારે રિકવરી રેટમાં વધારો થયો. જુલાઈ મહિનામાં એક્ટિવ કેસ માત્ર 13 ટકા છે જ્યારે રિકવરી રેટ 81 ટકાએ પહોંચી ગયો છે. 10માં સપ્તાહમાં એક્ટિવ કેસ 40 ટકા હતા ત્યારે રિકવરી રેટ 53 ટકા જેટલો હોવાનું મ્યુનિ. અધિકારી સૂત્રોનું કહેવું છે. તમામ ઝોનમાં સૌથી વધુ કેસ મે મહિનામાં નોંધાયા હતા.
નવા મહિનાની પહેલી તારીખે સારા સમાચાર અને ઈદ મુબારક. આ મહિના સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાત કરીએ. વર્ષ 2020નો આ 8મો મહિનો છે. કોરોનાથી જે વિકટ સ્થિતિનું સર્જન થયું છે તે સ્થિતિમાં આ મહિનો આશાનું એક કિરણ લઈને આવ્યો છે તેમ પણ કહી શકાય છે. આશા એટલા માટે છે કારણ કે આ મહિને કોરોના વેક્સીન અંતિમ પરીક્ષા પાસ કરી લેશે. ઈદ સાથે આ મહિનાનો શુભારંભ થઈ રહ્યો છે અને આગળ જતા આ મહિનામાં રામ લહેર આવશે, શ્રીકૃષ્ણ જન્મ જયંતિ તથા ગણપતિ બિરાજમાન થશે, આ ઉપરાંત દેશની સ્વતંત્રતાને 73માં દિવસની ઉજવણી થશે, આ તમામ આનંદ-ખુશીના માહોલમાં વિદેશમાં યોજાનારી IPLને કેવી રીતે ભૂલી શકીએ. આ ઉપરાંત દેશમાં ચોમાસાનો વરસાદ પણ આ મહિનામાં તેનો ક્વોટા પૂરો કરે. નવા મહિનામાં કોરોનાના વધી રહેલા કેસ, રાજસ્થાનનો રાજકીય રણસંગ્રામ, હોસ્પિટલમાં દાખલ અમિતાભ બચ્ચન અને સુશાંત કેસના વિવાદ વગેરે પર પણ નજર રહેશે. તો ચાલો જોઈએ આજના મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં તમારા માટે શું નવું છે.....
1.રાજસ્થાનમાં રાજકીય રણસંગ્રામઃ હવે જયપુરથી જેસલમેર તરફ
સૌથી પહેલા વાત કરીએ રાજકીય સ્થિતિની તો નવા મહિનાની શરૂઆત સાથે રાજસ્થાનની રાજકીય ઉથલ પાથલ પણ ચોથા સપ્તાહમાં પ્રવેશી ગઈ છે. હોટેલ બંદી બાદ હવે શહેર બંદી થવા લાગી છે. હવે આ રાજકીય સ્થિતિને પાટે ચડતા ચોક્કસપણે સમય લાગશે.
આ તમામ સ્થિતિ વચ્ચે ગેહલોત છાવણીના 95 ધારાસભ્ય 3 વિશેષ વિમાન મારફતે જયપુરથી જેસલમેર શિફ્ટ કરવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ હતી કે પ્લેનમાં જગ્યા ન હોવાથી 2 ધારાસભ્યને હોલેટમાં પરત ફરવું પડ્યું હતું. જતા-જતા ગેહલોતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને નિશાના પર લીધા અને કહ્યું- અમિતજી તમને આ શું થઈ ગયુ છે? દરેક વખતે વિચારો છો કે સરકાર કેવી રીતે પાડી દઉં? આ તમામ ધારાસભ્યો ગત 13 જુલાઈથી જયપુરની એક હોટેલમાં રોકાયા હતા અને હવે તેમને જેસલમેરમાં ફાઈવ સ્ટાર હોટેલ સૂર્યગઢમાં રાખવામાં આવ્યા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રએ 14 ઓગસ્ટના રોજ વિધાનસભા સત્ર માટે મંજૂરી આપી છે અને ત્યાં સુધી જયપુરને બદલે જેસલમેરમાંથી આવશે.
હવે વાત આ મહિને યોજાની સૌથી મોટી ઈવેન્ટની કે જેની પર વિશ્વભરની નજર હશે. સૌ 5 ઓગસ્ટની પ્રતિક્ષા કરી રહ્યા છે અને આ માટેની તૈયારી પણ લગભગ અંતિમ તબક્કામાં છે.
2.અયોધ્યામાં રામ મંદીરનો શિલાન્યાસ થયે, દેશમાં ઘીના લાડુ વહેચાશે
અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનો શિલાન્યાસ કરશે અને આ શુભ પ્રસંગે મિઠાસને વધારવા માટે શુદ્ધ ઘીના લાડુ પ્રસાદ તરીકે વહેચવામાં આવશે. આ માટે વિધ્યાચલના રસોયા 1.11 લાખ લાડુ તૈયાર કરી રહ્યા છે. આ કાર્ય દેવરાહા બાબા સંસ્થાના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. ચાર ઓગસ્ટ સુધીમાં આ લાડુ તૈયાર થઈ જશે. 5 ઓગસ્ટના રોજ ધાર્મિક વિધિથી રામ લલાને આ લાડુ ભોગ ચડાવવામાં આવશે. ત્યારબાદ પ્રસાદને અયોધ્યા તેમ જ દેશના તમામ તીર્થ સ્થળો પર રહેલા રામભક્તો સુધી પહોંચાડવામાં આવશે. સંસ્થાના સંત તુષાર દાસે કહ્યું કે વિતરણ માટે 15 કારીગર લાડુ તૈયાર કરી રહ્યા છે અને તેમા ત્રણ, પાંચ અને 11 લાડુવાળા ડબ્બામાં પેક કરવામાં આવી રહ્યા છે. 2 ઓગસ્ટના રોજ સીએમ યોગી તૈયારીનું અંતિમ નિરીક્ષણ કરવા અયોધ્યા પહોંચશે.
3. હે ભગવાન! સુશાંતના આત્મને શાંતિ આપજો, કેસ તો લાંબો ચાલશે
હવે વાત સુશાંત સુસાઈડ કેસની કરીએ,જેણે બોલીવુડમાં સનસની મચાવી છે. જૂલાઈના અંતે આ કેસે એવી સ્પીડ પકડી છે આ કેસથી ફક્ત ફિલ્મી હસ્તીઓ જ નહીં પણ બે રાજ્યો પણ એકબીજાની સામે આવી ગયા છે.
ઝડપથી બદલાઈ રહેલા ઘટનાક્રમમાં શુક્રવારે સુશાંતના પિતાના ગંભીર આરોપો બાદ પ્રથમ વખત રિયા ચક્રવર્તી હાથ જોડી રડતા રડતા સામે આવી. રિયાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહે છે કે તેને ભગવાન અને અદાલતો પર ખૂબ વિશ્વાસ રાખે છે. તેને ન્યાય મળશે તેવો તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ રિયાએ કહ્યું- સત્યમેવ જયતે, સત્યની જીત થશે. રિયા સામે સુશાંતના પિતાએ પટનામાં આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો એક કેસ દાખલ કર્યો છે. રિયાના વકીલ સતીશ માનશિંદે મારફતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. બુધવારે પટના પોલીસ રિયાની પૂછપરછ કરવા માટે મુંબઈ પહોંચી હતી. પણ ત્યાં તે જોવા મળી ન હતી.
હવે વાત કોરોનાની કરીએ- ડરના માહોલ વચ્ચે ઓગસ્ટ મહિનો આવી ગયો. પણ કોરોના મહામારીનું જોખમ એક મોટી લહેર સ્વરૂપમાં સૌને તાણીને લઈ જઈ રહીછે. હવે સૌને આશા છે કે એક વખત વેક્સીન આવી જાય એટલે જીવન પાટા પર ચડવા લાગશે-
4. વિશ્વમાં 1.75 કરોડ કેસ થયા, ક્યારે આવશે વેક્સીન?
વિશ્વમાં કોરોના વાઈરસથી સંક્રમણના અત્યાર સુધી 1 કરોડ 74 લાખ 76 હજાર 105 કેસ સામે આવી ગયા છે. તેમા 1 કરોડ 9 લાખ 39 હજાર 477 દર્દીને સારું થઈ ગયુ છે. બીજી બાજુ 6 લાખ 76 હજાર 759 લોકોના મોત થયા છે. 1 નંબર અમેરિકા, 2 નંબર પર બ્રાઝીલ અને 3 નંબર પર ભારત છે. કોરોના સંક્રમણને લીધે થયા મૃત્યુની બાબતમાં ભારત હવે ઈટાલીને પાછળ રાખી 5માં ક્રમ પર પહોંચી ગયુ છે. શુક્રવારે સવારે ભારતમાં કોરોનાથી 35 હજાર 786 મૃત્યુઆંક પહોંચી ગયો છે. અમેરિકામાં બે વેક્સીનના ફેઝ-3નો ટ્રાયલ શરૂ થઈ ગયો છે. ભારત અને ઈઝરાયલના વૈજ્ઞાનિકો સાથે મળી રેપિડ ટેસ્ટિંગ કિટ તૈયાર કરવા છેલ્લા 3 દિવસથી કામ કરી રહ્યા છે. પ્રયોગ સફળ થશે તો ફક્ત 30 સેકન્ડમાં જ કોરોનાની તપાસ કરી રિપોર્ટ મેળવી શકાશે. જોકે, બીજી બાજુ ચીન ફરી વખત સૌને ડરાવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીં સંક્રમણના 127 નવા કેસ આવ્યા છે.
કોરોના મહામારી વચ્ચે ભાસ્કરની ડેટા સ્ટોરીની વાત કરીએ તો સૌને માટે એક આશ્ચર્યજનક વાત સામે આવી છે. વર્ષ 2100 સુધી ભારત અને ચીનની વસ્તી વધવાને બદલે ઘટવાના સંકેત છે-
5. વર્ષ 2048 બાદ વિશ્વમાં વસ્તી વૃદ્ધિ માટે ભારત કારણરૂપ નહીં બને
તાજેતરમાં એક અગ્રણી સંસ્થા લેન્સેટ તરફથી એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલ પ્રમાણે વર્ષ 2064માં વિશ્વની વસ્તી ઉચ્ચ સપાટી પર હશે. ત્યારબાદ તેમા ઘટાડો થવા લાગશે. આ અગાઉ UNએ વર્ષ 2100માં વસ્તી સર્વોચ્ચ સપાટી પર હોવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. અહેવાલ પ્રમાણે વર્ષ 2064માં વિશ્વની વસ્તી 973 કરોડ હશે. 2100 સુધી તે ઘટીને 878 કરોડ થશે. ભારત વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ હશે. જોકે તેની વસ્તી વર્ષ 2048 બાદ ઘટવા લાગશે. ગ્લોબલ ફર્ટીલિટી રેટ 2100 સુધી ઘટી 1.66 થઈ જશે. ભારત સહિત વિશ્વના એ દેશોમાં ફર્ટિલિટી રેટ 70 ટકા સુધી ઓછો હશે કે જ્યાં વસ્તી વધારે છે. વર્ષ 2100માં ભારતના ફર્ટિલિટી રેટમાં 68 ટકા સુધી ઘટાડો આવશે. 138 કરોડ વસ્તી ધરાવતા ભારતમાં 2100 સુધી 28 ટકા વસ્તી ઓછી થઈ જશે.
હવે વાત બોલીવુડના બીગ બીની, જેમને હોસ્પિટલમાં આજે 21મો દિવસ છે. તેમનો દિકરો અભિષેક તેમની સાથે છે.
6. અમિતાભજી જલ્દી સાજા થાય, અને તંદુરસ્ત થઈ ઘરે પહોંચો તેવી શુભકામના
શુક્રવારે હોસ્પિટલમાં અમિતાભનો 21મો દિવસ હતો. તેમને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. પોતાના દાર્શનિક અંદાજમાં તેમણે બ્લોક લખ્યો- દિવસમાં તેને સૌથી વધુ પ્રતિક્ષા એવા સમયે હોય છે કે જ્યારે તે વોર્ડમાં ડોક્ટર્સ અને નર્સિસની મુલાકાત હોય છે. કારણ કે તેમના પર જ પોતાની તમામ આશા ટકેલી હોય છે.આઈસોલેશન, ક્વોરન્ટીન, એકાંત, મેડિકલ કેર રૂમ... અને વિશેષ કંઈ જ નહીં.
તેઓ વધુમાં લખે છે. વિચારું છું એક કલાકમાં નર્સ આવી જાય, ઈન્જેક્શન મારફતે દવા આપવામાં આવશે, ફેફસાંની તપાસ થશે, શરીરની તપાસ થશે. કેટલા શ્વાસ લીધા, કેટલા સમય સુધી શ્વાસ રોક્યા....પછી દિવસના ટાઈમિંગને પછાડવાનો છે...વધારે સારો કરવાનો છે.....લેબ રિપોર્ટના પેરામીટરના નંબર પૂછીએ છીએ... તેમના શબ્દો સમજાતા નથી અને એ પણ નથી સમજાતુ કે ડોક્ટર્સ શું કહે છે.
હવે સમાચારથી આગળ વધીને જાણીએ કે શનિવારનો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે
એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બીના મતે આજે ચંદ્રમા પૂર્વાષાઢ નક્ષત્રમાં રહેશે. જેથી માતંગ નામનો શુભ યોગ બને છે. આ શુભ યોગનો ફોયદો મેષ, વૃષભ, મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન અને મીન રાશિવાળા લોકોનો સમાવેશ થાય છે. બાકી 4 રાશિવાળા લોકોએ સાવચેત રહેવું.
ન્યૂમેરોલોજિસ્ટ ડો.કુમાર ગણેશના મતે 1લી ઓગસ્ટનો મૂળાંક 1, ભાગ્યાંક 4, દિવસ અંક 8, માસાંક 8 અને ચલિત અંક 1,4 છે. શનિવારે અંક 1,4 સાથે અંક 8ની પરસ્પર પ્રબળ વિરોધી યુતિ બને છે. અંક 1ના અંક 4 સાથે વિરોધી યુતી બને છે.
ટેરો કાર્ડ રીડર શીલા એમ.બજાર કહે છે કે 12 પૈકી 9 રાશિ માટે અનેક બાબતોમાં ભાગ્યનો સાથ મળશે. મેષ રાશિવાળા માટે સહાયતા અને સંશાધન બન્ને મળવાના સંકેત છે. વૃષભ રાશિવાળા માટે દિવસ નકારાત્મક પ્રતિક્રિયાઓ વાળો હોઈ શકે છે.
આજનો દિવસ શાં માટે વિશેષ છે અને કયા ફેરફાર થશે
1 ઓગસ્ટથી દેશમાં કેટલાક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. તેની સીધી અસર તમારા જીવન પર અને ખિસ્સા પર થશે. આ કેટલાક ફેરફારોને જોઈએ.
નાઈટ કર્ફ્યૂનો આજથી અંત
દેશભરમાં નાઈટ કર્ફ્યૂનો આજથી અંત આવશે. અનલોક-1માં રાત્રે 9 વાગ્યાતી અને અનલોક-2માં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બહાર નિકળવા પર પ્રતિબંધ હતો. હવે આ નિયંત્રણ સંપૂર્ણપણે ઉઠાવી લેવામાં આવ્યુ છે.
વાહન ઈન્સ્યોરન્સને લગતા નિયમોમાં ફેરફાર
વિમા ક્ષેત્રની નિયમનકાર ઈરડાના આદેશ પ્રમાણે 1લી ઓગસ્ટથી ગાડીઓ ખરીદતી વખતે કાર માટે 3 વર્ષ અને દ્વિચક્રિય વાહન માટે 5 વર્ષનું થર્ડપાર્ટી કવરેજ લેવાની જરૂર નહીં પડે.
બેન્કિંગ નિયમોમાં ફેરફાર
અનેક બેન્કો 1લી ઓગસ્ટથી અકાઉન્ટમાં ન્યૂનત્તમ બેલેન્સ ન હોવાના સંજોગોમાં ચાર્જ લેવાની જાહેરાત કરી છે. આ બેન્કોએ ત્રણ મફત લેવડ દેવડના વ્યવહાર બાદ ચાર્જીસ વસૂલ કરશે. બેન્ક ઓફ મહારાષ્ટ્ર, એક્સિસ બેન્ક, કોટક બેન્ક અને આરબીએલ બેન્કે આ ચાર્જીની વાત કરી છે.
હવે કહેવુ પડશે કે પ્રોડક્ટ ક્યાં બની છે
1લી ઓગસ્ટથી ઈ-કોમર્સ કંપનીઓએ માહિતી આપવી જરૂરી બનશે કે જે પ્રોડક્ટનું વેચાણ થઈ રહ્યું છે તે ક્યાં બની છે. તમામ ઈ-કોમર્સ કંપનીઓએ તમામ ન્યૂ પ્રોડક્ટ લિસ્ટિંગની કન્ટ્રી ઓફ ઓરિજિનલ અંગે અપડેટ કરવાનું રહેશે.
PM-Kisan હેઠળ છઠ્ઠો હપ્તો મળશે
ખેડૂતો માટે PM Kisan સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો છઠ્ઠો હપ્તો આપવામાં આવશે. એવો દાવો કરવામાં આવે છે કે મોદી સરકારે શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં દેશના 9.85 કરોડ ખેડૂતોને રોકડ રકમનો લાભ પહોંચાડ્યો છે.
આજથી 12 ટકા EPF કપાશે
આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ છૂટની મર્યાદાનો અંત આવ્યો છે અને આજથી EPF 12 ટકા કપાશે. મે મહિનામાં મોદી સરકારે લોકડાઉનના મહાપેકેજમાં EPFમાં માસિક યોગદાન 24 ટકાથી ઘટાડી 20 ટકા કર્યું હતું.
યુવા અગ્રણીઓ વચ્ચે હશે મોદી
પીએમ મોદી પહેલી ઓગસ્ટના રોજ સાંજે 7 વાગે વિશ્વના સૌથી મોટા ઓનલાઈન હેકાથોનના ગ્રાન્ડ ફિનાલેમાં યુવાનો સાથે મુલાકાત કરશે. તે એક નોન સ્ટોપ ડિજિટલ ડેવલપમેન્ટ કોમ્પિટિશન છે,જેમાં આપણા દેશ સામે આવનારા પડકારોનો સામનો કરવા તથા ડિજીટલ ટેકનોલોજીની ઓળખ કરવામાં આવે છે.
પાવાગઢ ખાતે બિરાજતા મહાકાળી માનો મહિમા અપરંપાર છે. શ્રદ્ધાળુઓ વારંવાર દર્શને જતા હોય છે. હાલોલ નજીકથી માચી થઈને પાવાગઢ જવા માટે સર્પાકાર રસ્તો બનાવાયો છે. હાલમાં ચોમાસાને કારણે વરસાદ થઈ ગયા પછી આજુબાજુની વનરાજી પણ ફૂલબહારમાં ખીલી ઊઠી છે. હરિયાળી વચ્ચે સર્પાકાર રસ્તો જાણે કોઈ અજગર બેઠો હોય તેવો આભાસ ઊભો કરે છે. ચાલુ વર્ષે નવરાત્રી યોજાવા અંગે અનિશ્ચિતતા હોવાથી પાવાગઢ ખાતે દર્શન કરવા જનારા શ્રદ્ધાળુઓને પણ તકલીફ પડે તેમ મનાય છે.
(તસવીર : રાજ આચાર્ય)
કોરોના કાળમાં વૈશ્વિક અર્થતંત્ર ભલે મંદ પડ્યું હોય પણ ભારતીય બિઝનેસમેનો આગામી વર્ષના જૂન મહિના પહેલાં એટલે કે એક વર્ષથી પણ ઓછા સમયમાં ફરી પોતાના પગ પર ઊભા થઈ જશે. ભારતીય બિઝનેસ ફરી વેગવંતા થવાની આશા દર્શાવતી આ તસવીર ગુરુવારે પ્રાઈઝ વૉટર હાઉસ કૂપર્સ(પીડબ્લ્યુસી)એ રજૂ કરી હતી. પીડબ્લ્યુસી દુનિયાની સૌથી મોટી પ્રોફેશનલ સર્વિસિઝ ફર્મમાંથી એક અને ચાર સૌથી મોટી એકાઉન્ટિંગ ફર્મ પૈકી સૌથી મોટી ફર્મ છે.
‘વેલ્યૂ કન્ઝર્વેશન ટુ વેલ્યૂ રિકવરી’ નામના રિપોર્ટમાં પીડબ્લ્યુસીએ દેશના 225 સીએક્સઓ(ચીફ એક્સપિરિન્યસ ઓફિસર) સાથે વાતચીત કરી હતી. તેમાં 82% કંપનીઓએ સ્વીકાર્યુ કે કોવિડ-19ને લીધે બિઝનેસમાં અવરોધ તો જરૂર આવ્યો પણ ગાડી પાટા પરથી ઊતરી નથી. જૂન-2021 પૂર્વે બિઝનેસમાં ફરી રિકવરી થઈ જશે. સરવે દરમિયાન બે તૃતીયાંશથી વધુ કંપનીઓએ સ્વીકાર્યુ કે આગામી સમય ડિજિટલ કાયાપલટ કરશે અને બિઝનેસમાં હરીફાઈ વધશે. આ કારણે જ આગળ વધવા ટેક્નોલોજી અપનાવવી પડશે. જ્યારે એક તૃતીયાંશથી પણ ઓછાએ ક્ષમતાઓ વધારવા માટે બિઝનેસને લગતી સમજૂતીઓ કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો.વાતચીતમાં કન્ઝ્યુમર આધારિત સેક્ટરે જ્યાં કોરોનાને લીધે બિઝનેસમાં ઘટાડો થયાની વાત સ્વીકારી ત્યાં જ ઝડપથી રિકવરી કરવાની પણ આશા વ્યક્ત કરી હતી. બીજી બાજુ કેપિટલ ગુડ્સ સેક્ટરની 95 ટકા કંપનીઓએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષની રેવન્યૂમાં થોડોક ઘટાડો થશે. જોકે 70 ટકાથી વધુએ કહ્યું કે તેમાં 10 ટકાનો ઘટાડો નોંધાશે. બિઝનેસવર્ગે કહ્યું કે રેવન્યૂમાં ઘટાડાનાં મુખ્ય કારણોમાં માગમાં ઘટાડો, સપ્લાય ચેન ખોરવાઈ જવી અને રોકડનો અભાવ સામેલ છે.
પીડબ્લ્યુસી ઈન્ડિયાના સંજીવ કૃષ્ણન કહે છે કે બિઝનેસ લીડર્સે કોરોનાની આ અનપેક્ષિત સ્થિતિને સારી રીતે અપનાવી લીધી છે. તે રિકવરી અંગે આશાવાદી છે. અમે સીએક્સઓ દ્વારા ભરવામાં આવેલાં પગલાંમાં વ્યવહારિક પ્રગતિ જોઈ છે. તેમણે સુધાર(રિપેર)થી પુન:વિચાર(રિથિન્ક)થી નવો સ્વરૂપ આપવા(રિકોન્ફિગર)નાં પગલાં ભર્યાં છે. સરવે મુજબ મોટા ભાગના સીએક્સઓ હવે બિઝનેસનાં ડિજિટલ પાસા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર્સ માને છે કે ડિજિટલને અપનાવનારી કંપનીઓ અનેક મામલે ખુદને આગળ રાખી શકશે.
આ પ્રોડક્શન અને ડિલિવરી ચેનલ વચ્ચેનો ગેપ ભરવાની રણનીતિનો સમય
કોરોના મહામારીના કારણે દેશભરમાં બંધ મંદિર, મસ્જિદ તથા અન્ય ધાર્મિક સ્થળો અંગે સુપ્રીમકોર્ટે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. જસ્ટિસ અરુણ મિશ્રાના વડપણ હેઠળની બેન્ચે શુક્રવારે ઇ-સુનાવણીમાં ઝારખંડના દેવઘર સ્થિત, 12 જ્યોતિર્લિંગ પૈકી એક એવા ઐતિહાસિક વૈદ્યનાથ ધામ મંદિર મામલે કહ્યું કે ઇ-દર્શનને દેવદર્શન ન કહી શકાય. રાજ્ય સરકાર મર્યાદિત સંખ્યામાં શ્રદ્ધાળુઓને કેન્દ્રની માર્ગદર્શિકાના પાલન સાથે મંદિરમાં દર્શન કરવા જવાની મંજૂરી આપે.
મંદિરમાં વાર્ષિક શ્રાવણી મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને દર્શનની મંજૂરી માટે અરજી કરાઇ હતી. 3 જુલાઇએ હાઇકોર્ટે માત્ર ઇ-દર્શનની મંજૂરી આપી હતી. આ ચુકાદાને ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સુપ્રીમમાં પડકાર્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ મિશ્રાએ સવાલ કર્યો કે કોરોનાકાળમાં આખો દેશ ખૂલી રહ્યો છે તો માત્ર ધાર્મિક સ્થળો કેમ બંધ છે? તેમને મહત્ત્વના દિવસોમાં શા માટે ન ખોલવા જોઇએ? તેના જવાબમાં રાજ્ય સરકારના વકીલે કહ્યું કે શ્રદ્ધાળુઓને મંદિરમાં પૂજા કરવાની મંજૂરી અપાય તો તેમને નિયંત્રિત કરવાનું મુશ્કેલ થઇ જશે. તેથી સરકારે મંદિરના સંચાલકો સાથે મળીને ઇ-દર્શનની સગવડ કરી છે. આ સાંભળી જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે વૈદ્યનાથ ધામ મંદિરમાં મર્યાદિત સંખ્યામાં શ્રદ્ધાળુઓને દર્શનની મંજૂરી આપી શકાય તેમ છે.
રાજ્ય સરકાર શ્રાવણી પૂનમ નિમિત્તે તથા ભાદરવા મહિનામાં તે માટેની નવી વ્યવસ્થા લાગુ કરે. મર્યાદિત શ્રદ્ધાળુઓને દર્શનની મંજૂરી આપવા ટોકન વ્યવસ્થા પણ લાગુ કરી શકાય. અરજદારનું કહેવું હતું કે યાત્રાધામમાં ભગવાનના સન્મુખ દર્શન કરીને તેમની પાસેથી કંઇક માગવાનું આગવું મહત્ત્વ હોય છે.
અમેરિકી ટેક કંપનીઓ ફેસબુક-ગૂગલે ઓસ્ટ્રેલિયન મીડિયા કંપનીઓ પાસેથી મેળવાતા સમાચાર માટે ચુકવણી કરવી પડશે. સ્વતંત્ર પત્રકારિતાને બચાવવા માટે ટેક કંપનીઓ પર કડકાઈ કરનાર ઓસ્ટ્રેલિયા પ્રથમ દેશ છે. સરકારે આ માટે આચાર સંહિતાનો મુસદ્દો જાહેર કર્યો છે. અત્યાર સુધી આચાર સંહિતા બનાવવામાં નિષ્ફળ રહેલા દેશો પર પણ તેની અસર જોવા મળી શકે છે. આ અંગે ફેસબુક અને ગૂગલ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.
ઓસ્ટ્રેલિયાના નાણામંત્રી જોશ ફ્રાયડેનબર્ગે કહ્યું કે મુસદા પર 28 ઓગસ્ટ સુધી ચર્ચા કર્યા પછી તેને સંસદમાં રજૂ કરાશે. વર્ષના અંત સુધીમાં તે કાયદો બની જશે. તેમણે કહ્યું કે ઓસી. મીડિયા કંપની માટે આ યોગ્ય પગલું છે. આથી સ્પર્ધા, ગ્રાહકોની સુરક્ષા વધશે અને મીડિયા ક્ષેત્રે સ્થિરતા આવશે. આ હેઠળ પહેલા ગૂગલ અને ફેસબુકને ચૂકવણી માટે ફરજ પડાશે. ત્યારબાદ અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પરથી પણ ચૂકવણી માટે જણાવાશે. ટેક કંપનીઓને મીડિયા કંપનીઓ સાથે વાતચીત કરી ચૂકવણીના દર નક્કી કરવા માટે ત્રણ મહિના અપાશે. ત્યારપછી પણ જો સંમતિ નહીં સધાય તો મામલો લવાદ પાસે જશે જેનો નિર્ણય બધાએ માનવો પડશે.
સરયૂ નદી બે કિનારે છે. પ્રવાહ એટલો તેજ અને લહેરોં પર લહેર ફેલાવી રહ્યો છે કે સામે પાર કિનારો દેખાતો નથી. બાળપણથી જ સરયૂ કિનારે લારી લગાવનારા હોય કે મોટા સંભાવનાશીલ વેપારી, દરેકની આંખોમાં ચમક છે. યુવાનોને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, મંદિર સાથે જોડાયેલી રાજનીતિ ભલે ગમે તે હોય, અયોધ્યા હવે હરિદ્વાર અને તિરુપતિને પણ પાછળ પાડી દેશે. જોકે, રામમંદિરની આજુ-બાજુનાં વિસ્તારનાં લોકોનાં ચહેરા પર પુન:નિર્માણ દરમિયાન થોડો ભય પણ સ્પષ્ટ દેખાય છે. જોકે, નવી પેઢીને લાગી રહ્યું છે કે, તેમનું ભવિષ્ય સુધરવા જઈ રહ્યું છે. અયોધ્યા-દેવીપાટન હોટલ એસોસિએશનના અનિલ અગ્રવાલ કહે છે કે, 2000થી વધુ નવી હોટલ ખૂલવાની સંભાવના તો છે જ, અહીંની રેલવે કનેક્ટિવિટી વધવા, એરપોર્ટ બનવા અને પ્રવાસન સમૃદ્ધ થવાની અપાર સંભાવનાઓ છે. રામ નવમી કે દિવાળી પર તો અહીં દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ આવશે. સરયૂનો મહિમા પહેલાથી જ એટલો છે કે અહીં શ્રાવણમાં એક-એક દિવસે 15 લાખ લોકો આવે છે. ગયા વર્ષે 2 કરોડ પ્રવાસી આવ્યા હતા.
શ્રીરામ કી પૌડી અને નયા ઘાટથી માંડીને રામલલ્લાના મંદિર સુધી આખું અયોધ્યા સજી રહ્યું છે. તેની ધજા અગાઉની તુલનામાં એટલી અલગ છે કે, અત્યંત પૌરાણિક અને સાધારણ દેખાતું આ ધાર્મિક અને ઐતિહાસિક નગર હવે સનાતન ધર્મનું મુખ્ય તીર્થસ્થાન બનવા તલપાપડ છે. જોકે, તેમાં હિન્દુત્વની રાજનીતિ પણ રામમંદિરના શિલાન્યાસના માધ્યમથી નવા સંકેત આપી રહી છે. આજે એક નવા અયોધ્યાની સંભાવના સૌની સામે છે.
આ અયોધ્યા એ અવધથી અલગ છે, જેના અંગે ક્યારેક નજીર બનારસીએ એક નઝમમાં કહ્યું હતું - ‘કાલી બલાએં સર પર પાલે, શામ અવધ કી ડેરા ડાલે, ઐસે મેં કૌન અપને કો સંભાલે, મેરા નિવાસસ્થાન યહી હૈ, પ્યાર હિન્દોસ્તાન યહી હૈ!’ અહીંના અયોધ્યાની પણ ઓળખ આપ્યા વગર કહે છે કે, આ અયોધ્યા હવે જૂનું અવધ નથી. અયોધ્યા પર એક બીજો જ રંગ ચડી રહ્યો છે. જ્યાં જાઓ ત્યાં પીળો રંગ થતો જોવા મળી રહ્યો છે. જોકે, પીળા રંગના આ મકાનોના બધા દરવાજા ભગવા થઈ રહ્યા છે. રામ કી પૌડી, નયા ઘાટ, કનક ભવન મંદિર અને મુખ્ય માર્ગો પર પરિવર્તન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગઈકાલ સુધી અયોધ્યાના જે વિસ્તાર વેરાન અને ગંદકીના ઢગલા હતા, તે હવે બોલતા ઘર બની ગયા છે. એવા ઘર, જ્યાં મોદી-યોગીની નવી રાજનીતિ પણ આકાર લેશે!
જોકે, કોરોનાને લીધે એક ડર પણ છે. તેમ છતાં દેશભરમાંથી તીર્થયાત્રી અયોધ્યા આવી રહ્યા છે. અયોધ્યાને અડીને આવેલા ફૈઝાબાદ કસબામાં રાજકોટના ગોવિંદભાઈ મહેતાએ જણાવ્યું કે, તેઓ બાળપણથી જ અયોધ્યા આવતા રહ્યા છે. અગાઉ આ એકદમ શાંત અને સુમસામ શહેર હતું, પરંતુ હવે તેની તાસીર બદલાઈ રહી છે. તેઓ એક કવિતા ગાય છે - ‘લૌટ આઓ જો કભી રામ કી સુરત તુમ તો! મન કા સુનસાન અવધ દીપ નગર હો જાએ!’. તેમની જેમ જ અસંખ્ય લોકો 5 ઓગસ્ટના રોજ દીપ પ્રાગટ્ય માટે આવ્યા છે.
વડાપ્રધાન મોદીના પ્રવાસ અને મંદિરના શિલાન્યાસની તૈયારીઓ ચાલુ છે. ઠેર-ઠેર પોલીસનો પહેરો છે. હનુમાનગઢી થઈને રામલલ્લાના મંદિર તરફના મોટાભાગના બજારો ભેંકાર ભાસે છે. માત્ર પ્રસાદ કે ભક્તિવાળા સામાનની દુકાનો જ ખુલ્લી છે. જોકે, ત્યાં પણ ગ્રાહક નથી. દુકાનદાર નિરાશ છે, કેમ કે કામ નથી. કેટલીક દુકાનો પર વડીલોએ કંઈક બોલવા ગયા તો તેમની નવી પેઢીએ પ્રેમથી કહ્યું, બધું બરાબર જ થઈ રહ્યું છે.
ફેઝાબાદ અને અયોધ્યામાં લોકો કહે છે કે, રામ મંદિર બની જશે, સારું છે. મનની ઈચ્છા પુરી થઈ જશે, પરંતુ અત્યારે કોરોનાને લીધે અવધની માટીમાંથી ખુશ્બુ ગાયબ છે. જોકે, રાજનીતિના સમુદ્રમાં મોજા જરૂર ઉછળી રહ્યા છે! ખાસ કરીને ભાજપ અને હિન્દુત્વના વાદળ આ શ્રાવણમાં ગરજી-વરસી રહ્યા છે! ઠેર-ઠેર મોટા-મોટા હોર્ડિંગ આ જ વાત કહી રહ્યા છે.
અયોધ્યામાં 3 કલાક રોકાઈ શકે છે વડાપ્રધાન
વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વખત અયોધ્યા આવી રહેલા નરેન્દ્ર મોદી અહીં લગભગ ત્રણ કલાક રોકાઈ શકે છે. તેમના પ્રવાસની યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. વડાપ્રધાનનું હેલિકોપ્ટર સાકેત ડિગ્રી કોલેજના મેદાનમાં ઉતરશે. અહીંથી, રામજન્મભૂમિ પરિસર સુધી સજાવટની સાથે ભજન કીર્તન અને રામ સાથે જોડાયેલી ઝાંખીઓ હશે.
મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 6 ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયુ નથી. ઘટનામાં કોઇને ઈજા કે જાનહાની થઇ નથી.
Mumbai: Fire breaks out at a hospital in Grant Road; around 6 fire tenders are at the spot. More details awaited. #Maharashtra pic.twitter.com/SEHhCXvKEh
— ANI (@ANI) July 31, 2020
અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનમાં હવે ફક્ત એક સપ્તાહ બાકી છે પણ અત્યાર સુધી એ બે શિલા બહાર લાવવા કોઈ પહેલ કરાઈ નથી જે અયોધ્યા તંત્રના ટ્રેઝરીમાંથી 18 વર્ષથી રાખવામાં આવી છે. આ શિલાઓ માટે વિહિપના તત્કાલીન આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અશોક સિંઘલ અને શ્રીરામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ રામચંદ્રદાસ પરમહંસે અટલ બિહારી વાજયેપીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને પડકારી હતી.
તે સમયે સરકાર દ્વારા ના પાડી હોવા છતાં દેશભરમાંથી શિલાદાન માટે કારસેવકો અયોધ્યા પહોંચી રહ્યા હતા. અટલ સરકાર અને વિહિપ સામ-સામે આવી ગયા હતા. તમામ માથાકૂટ બાદ કેન્દ્રએ પીએમઓમાં અયોધ્યા સેલના પ્રભારી આઈએએસ અધિકારી શત્રુઘ્ન સિંહને શિલા સ્વીકારવા અયોધ્યા મોકલ્યા હતા.
તેમણે 15 માર્ચ 2002ના રોજ અશોક સિંઘલ અને રામચંદ્ર પરમહંસ પાસેથી શિલાદાન સ્વીકાર્યું હતું. તે અયોધ્યાના ડીએમને સોંપી દેવાઈ હતી. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટી વિમલેન્દ્ર મોહન મિશ્રએ કહ્યું કે આ શિલાઓ વિશે મને કંઇ ખબર નથી. જોકે ટ્રસ્ટનાં સૂત્રો કહે છે કે બંને શિલા રામમંદિર આંદોલનના પ્રતીક રૂપે મહત્ત્વ અપાશે. વિહિપ કાર્યકર અને મંદિર આંદોલન સાથે જોડાયેલા સંતોષ દુબે કહે છે કે મંદિરના ભૂમિપૂજનમાં આ બંને શિલાને સ્થાન અપાય કેમ કે તેની સાથે કારસેવકોની ભાવનાઓ સંકળાયેલી છે. સરકાર તેમની ભાવનાઓની કદર કરે. શિલાદાનના કાર્યક્રમથી 21મી સદીની શરૂઆતમાં જ દેશના રાજકારણની દિશા નક્કી થઇ
ગઈ હતી.
રામભક્ત અયોધ્યા ન આવે, લાઈવ પ્રસારણ જુએ : ચંપત રાય
મંદિર નિર્માણ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ભક્તોને અપીલ કરી છે કે તે 5 ઓગસ્ટે ભૂમિપૂજનમાં સામેલ થવા માટે વ્યાકૂળ ન થાય. અયોધ્યા ન પહોંચે. ટીવી પર સમારોહનું લાઈવ પ્રસારણ જુએ અને સાંજે ઘરે જ દીપ પ્રગટાવી તેનું સ્વાગત કરે. ભવિષ્યમાં યોગ્ય અવસરે રામ જન્મભૂમિ મંદિર નિર્માણયજ્ઞમાં તમામ રામભક્તોને એકઠા થવાની તક મળે તેવો પ્રયાસ કરીશું.
પીએમની સુરક્ષા : 9 જિલ્લાના એડીજી-ડીઆઈજી તહેનાત
પીએમની અયોધ્યાની મુલાકાત અંગે કડક સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. ડીજીપી હિતેશચંદ્ર અવસ્થીએ 9 જિલ્લાના એડીજી અને ડીઆઈજી સ્તરના અધિકારીઓને તેની જવાબદારી સોંપવામાં આવી છે. તમામ અધિકારી 6 ઓગસ્ટ સુધી સુરક્ષા ઘેરાની કમાન સંભાળશે. બીજી બાજુ અયોધ્યામાં લોકોએ કોરોના કાળમાં વહીવટી અંકુશોમાં રાહતની માગ કરી છે જેથી 3 ઓગસ્ટથી દીપ પ્રજ્વલિત કાર્યક્રમ યોજી શકાય.
આજે તા. 31 જુલાઇ અને શુક્રવાર છે. જો કોરોના વાઈરસ ન ફેલાયો હોત તો આજે નવી ફિલ્મ રિલિઝ થઇ હોત. આજે હોટસ્ટાર પર કુણાલ ખેમૂ અને રસિકા દુગ્ગલની ફિલ્મ 'લૂટકેસ' રિલિઝ થશે. આ કોમેડી ફિલ્મ છે. કોરોના કાળમાં તો આ ફિલ્મ જોઇ શકાય. આ તો વાત થઇ ફિલ્મની, હવે ઝડપથી કેટલાક સમાચારો પર નજર કરીએ.
1. અયોધ્યામાં શું ચાલી રહ્યું છે?
રામ મંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટે ભૂમિ પૂજન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં સામેલ થવાના છે. પરંતું આ પહેલા જ કોરોના અહીં પહોંચી ગયો છે.
સમાચાર મળ્યા છે કે રામલલા મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સેતેન્દ્ર દાસના શિષ્ય પ્રદિપ દાસ કોરોના સંક્રમિત થયા છે. પ્રદિપ દાસ રામલલા મંદિરના સહાયક પુજારી પણ છે. એટલું જ નહીં રામ જન્મભૂમિમાં તૈનાત 16 પોલીસકર્મી પણ કોરોના પોઝિટિવ હોવાના અહેવાલ સાંપડ્યા છે.
જો કે પુજારી અને પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયાની વાતને અહીંયાના CDO પ્રથમેશ કુમારે નકારી કાઢી છે.
2. રાજસ્થાનમાં હવે કેમ નવો હંગામો થયો?
હવે વાત રાજસ્થાનની. 20થી વધુ દિવસ થઇ ગયા છતાં અહીંયા રાજકીય વિવાદ શાંત નથી થઇ રહ્યો. રાજસ્થાનમાં સરકાર બહુમતી ગુમાવશે? કે બચશે? ત્યારે જ મામલો શાંત પડશે. આ દરમિયાન રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ સી.પી. જોશીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત પણ નજર આવે છે. આ વીડિયોમાં બંને વાતચીત કરી રહ્યા છે.
આ વાયરલ વીડિયોમાં અધ્યક્ષ સી.પી. જોશી મુખ્યમંત્રીના પુત્ર વૈભવને કહી રહ્યા છે કે ‘મામલો ટફ થઇ રહ્યો છે’ વૈભવ કહે છે કે ‘રાજ્યસભાના સમયે જ અહેવાલ આવી ગયા હતા. જે રીતે માહોલ ખરાબ થઇ રહ્યો છે. તેમણે રાજ્યસભા ચૂંટણીના 10 દિવસ જવા દીધા, ફરી પાછા. ’
સી.પી. જોશી વૈભવને જવાબ આપે છે કે ‘30 લોકો નિકળી જાય તો તમે કશું નહીં કરી શકો. માત્ર હંગામો મચાવતા રહેતા. તેમણે સરકારી પાડી દીધી હોત. પોતાની રીતે તેમણે સંપર્ક કરીને કરાવી દીધું છે. બાકી બીજા કોઇના ગજાની વાત નથી.’
3. સુશાંતના મોતનો મામલો ક્યા સુધી પહોંચ્યો?
સુશાંત સિંહ રાજપૂતના મોતને દોઢ મહિનાથી વધુ સમય થઇ ગયો અને દરરોજ આ મામલે નવા વળાંક આવે છે. હવે સુપ્રિમ કોર્ટે સુશાંતના મોતની CBI તપાસ કરાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સુ્પ્રિમ કોર્ટમાં અલ્કા પ્રિયાએ જાહેર હિતની અરજી કરી માંગણી કરી હતી કે આ કેસની તપાસ CBI દ્વારા થવી જોઇએ. પરંતું સુપ્રિમ કોર્ટે કહ્યું કે પોલીસને તેનું કામ કરવા દો.
આ પહેલા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે આ કેસમાં CBI તપાસની જરૂર નથી. મુંબઈ પોલીસ કેસની તપાસ કરવામાં સક્ષમ છે.
બીજી તરફ સુશાંતના પિતા કે.કે.સિંહનું કહેવું છે કે તેમને મુંબઈમાં થઇ રહેલી તપાસ પર ભરોસો નથી. તેથી તેઓ ઇચ્છે છે કે પટના પોલીસ પણ આ કેસમાં તપાસ કરે.
એવી પણ ચર્ચા છે કે, સુશાંતે મુંબઈમાં આત્મહત્યા કરી હતી અને પટનામાં FIR દાખલ થઇ હતી, જે ઝીરો FIR માનવામાં આવશે અને તપાસ મુંબઈ પોલીસ જ કરશે.
4. મણિપુરમાં અસમ રાઈફલ્સના જવાનો પર કોણે હુમલો કર્યો?
આ એક માઠા સમાચાર છે. 29 જુલાઇની સાંજે 7 વાગ્યે મણિપુરમાં અસમ રાઈફલ્સના જવાનો પર હુમલો થયો. જેમાં ત્રણ જવાન શહીદ થયા અને પાંચ ઘાયલ થયા, જેમને સારવાર માટે આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ હુમલો જ્યાં થયો છે એ સ્થળ ભારત-મ્યાનમાર સરહદથી માત્ર ત્રણ કિલોમીટર દૂર છે. આ હુમલો મણિપુરના ચંદેલ જિલ્લાના ખોંગતાલમાં થયો હતો. અહેવાલ અનુસાર અસમ રાઈફલ્સના 13 જવાનોની ટીમ પોતાની પોસ્ટ પર જઇ રહી હતી. રસ્તામાં IED બ્લાસ્ટ થયો. જ્યાર બાદ છૂપાયેલા બળવાખોરોએ ફાયરિંગ કર્યું.
આ હુમલો કોણે કર્યો? એ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે આ હુમલા પાછળ મણિપુરના સ્થાનિક ગ્રૃપ પીપલ્સ લિબરેશન આર્મીનો હાથ હોવાની શંકા છે.
5. નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ સમારંભ ક્યારે યોજાશે?
કોરોના વાઈરસની અસર રમત-ગમત પર પડી અને હવે તેની અસર એવોર્ડ સમારંભ પર પણ પડવાની છે. અહેવાલ સાંપડ્યા છે કે આ વર્ષે 29 ઓગસ્ટે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ સમારંભ યોજાવાનો હતો. પરંતું કોરોનાને કારણે હવે તેનું આયોજન એક કે બે મહિના બાદ થઇ શકે છે. જો કે રાષ્ટ્રપતિ ભવન તરફથી આ અંગે નિર્ણય કરવાનો બાકી છે.
29 ઓગસ્ટે હોકીના ખેલાડી મેજર ધ્યાનચંદની જયંતિ છે. આ દિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેથી આ દિવસે રાષ્ટ્રપતિ રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ અને ધ્યાનચંદ એવોર્ડ એનાયત કરે છે. આ સમારંભ રાષ્ટ્રપતિ ભવનમાં જ આયોજીત થાય છે.
6. કેવો રહેશે આજનો દિવસ?
...અને જતાં જતાં સૌથી જરૂરી વાત એ કે આજનું રાશિફળ શું કહે છે? તો આજે શુક્રવારે જયેષ્ઠ નક્ષત્રમાં ચંદ્ર હોવાથી ચર અને ઇન્દ્ર નામના બે શુભ યોગ બને છે. તેની અસર મેષ, વૃષભ, સિંહ, વૃશ્વિક, મકર, કુંભ અને મીન રાશિના લોકો પર પડશે. તેનો ફાયદો પણ છે. આ સાત રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં આગળ વધવાની તક આપી શકે છે.
પરંતું જો તમારી રાશિ મિથુન, કર્ક, કન્યા, તુલા કે ધન છે તો આજે થોડું સાવચેત રહેવું પડશે. કારણ કે આ પાંચ રાશિના કામકાજમાં અવરોધો આવવાની શક્યતા છે.
આજે શું-શું બનશે?
ટ્રીપલ તલાક બિલ મંજૂર થયાને એક વર્ષ પૂર્ણ થઇ ગયું. આ પ્રસંગે લઘુમતી મંત્રાલય તરફથી આજના દિવસને મુસ્લિમ મહિલા અધિકાર દિવસના રૂપમાં ઉજવવામાં આવશે. સરકારનો દાવો છે કે એક વર્ષમાં ટ્રીપલ તલાકના કેસમાં 70 ટકાનો ઘટા઼ડો થયો છે.
કેન્દ્ર સરકારે ગુરુવારે રંગીન ટેલિવિઝનની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેનો ઉદ્દેશ ડોમેસ્ટિક ઉત્પાદનને વધારવાનો અને ચીન જેવા દેશમાંથી બિનજરૂરી વસ્તુની આયાત ઓછી કરવાનો છે. એક અંદાજ પ્રમાણે ભારતનું ટીવી માર્કેટ 917 અબજ રૂપિયાનું મનાય છે. ડીજીએફટીએ આ અંગેનું એક જાહેરનામું પણ બહાર પાડી દીધું છે.
જાહેરનામામાં જણાવાયું છે કે રંગીન ટીવીની આયાતનીતિમાં ફેરફાર કરાયો છે. તેની આયાત પ્રતિબંધિત કરાઈ છે. કોઈપણ વસ્તુની આયાતને પ્રતિબંધિતની શ્રેણીમાં મૂકવાનો અર્થએ છે કે જે તે વસ્તુ માટે આયાતકારે તેની આયાત માટે ડીજીએફટી પાસેથી લાઈસન્સ લેવું પડશે. ચીન ભારતમાં ટીવી સેટની મોટાપાયે નિકાસ કરે છે. ચીનની કંપનીઓને આ આદેશથી આંચકો લાગી શકે છે.
ગેરકાયદેસર સોનું ધરાવતા લોકો માટે સરકાર માફીનો કાર્યક્રમ રજૂ કરી શકે છે. આ અંતર્ગત, તેઓ દંડ ભરીને તેમના ગેરકાયદેસર સોનાને કાયદેસર બનાવશે અને સજાથી બચી શકશે.
આ યોજનાની સહાયથી નાણાં મંત્રાલયમાં આ મામલે જોડાયેલા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર કરચોરી અને સોનાની આયાતમાં ઘટાડો કરવા માંગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરેલી દરખાસ્તના ભાગ રૂપે, સરકાર ગેરકાયદેસર સોનુ ધરાવતા લોકોને ટેક્સ ઓથોરિટી સમક્ષ રિપોર્ટ કરવાની માંગ કરી રહી છે. પછી દંડ ચૂકવો અને તેમને માન્ય બનાવો. જો કે, આ દરખાસ્ત હજી પ્રારંભિક તબક્કે છે અને સંબંધિત વિભાગો અને અધિકારીઓ પાસેથી પ્રતિસાદ લેવામાં આવી રહ્યો છે.
દરખાસ્ત મુજબ ગેરકાયદેસર સોનાની ઘોષણા કરનારાઓને પોતાનું સોનું થોડા વર્ષો માટે સરકાર પાસે રાખવું પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર ગયા વર્ષે આવી જ યોજના પર કામ કરી રહી હતી, પરંતુ તેની રજૂઆત થઈ શકી ન હતી. નિષ્ણાંતોના મતે, આવી યોજના રજૂ કરવામાં ઘણું જોખમ છે. આવી યોજના દ્વારા પ્રામાણિક કરદાતાઓને નુકસાન થશે તેવી ટીકાઓ બાદ સુપ્રીમ કોર્ટે સંપૂર્ણ માફી આપવાની મંજૂરી આપવાના વિરુદ્ધ ચુકાદો આપ્યો છે.
ભારતીય પરિવારો પાસે 25 હજાર ટન સોનું
રિપોર્ટ અનુસાર, ભારતીય પરિવારો પાસે આશરે 25 હજાર ટન સોનુ છે. આ કોઈપણ દેશમાં સોનાનો સૌથી મોટો પ્રાઈવેટ સ્ટોક છે. મોદી સરકાર આ ભંડારનો ઉપયોગ લાવવા માટે 2015માં ત્રણ યોજનાઓ રજૂ કરી હતી. તેથી તેની ફિઝિકલ ડિમાન્ડ ઘટાડી આયાત ઘટાડી શકાય. જો કે, તે તમામ યોજનાઓ ખાસ અસર દર્શાવવામાં સફળ થઈ શકી નથી. લોકો તેમનું સોનું દૂર કરવા માંગતા ન હતા. ભારતીયો પાસે સામાન્ય રીતે દાગીનાના રૂપમાં સોનું હોય છે. તેઓ સામાન્ય રીતે જ્વેલરીનો આર્થિક રીતે ઉપયોગ કરતાં નથી. આ સિવાય મોટી સંખ્યામાં એવા લોકો પણ છે. જેમણે ટેક્સ અને દંડના ડરથી આ યોજનાઓથી પોતાને દૂર રાખ્યા છે.
2018ની સરખામણીએ 2019ના વર્ષમાં દેશમાં નકલી નોટોના પ્રમાણમાં 24 ટકાનો વધારો થયો છે. ઑથેન્ટીકેશન સૉલ્યુશન પ્રોવાઇડર્સ એસો.(એએસપીએ) ના અહેવાલમાં આ વિગતો જણાવવામાં આવી છે. અહેવાલ મુજબ દેશમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ નકલી નોટો મળી છે. એ પછી બિહાર અને રાજસ્થાનનો ક્રમ આવે છે. દેશમાં કુલ મળી આવેલી નકલી નોટોમાંથી 45 ટકા નકલી નોટો માત્ર આ ત્રણ રાજ્યોમાંથી મળી છે.
‘ધ સ્ટેટ ઑફ કાઉન્ટરફીટીંગ ઇન ઇન્ડિયા -2020’ નામના આ અહેવાલમાં જણાવાયું છે કે મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, ઝારખંડ, દિલ્હી, ગુજરાત અને ઉત્તરખંડમાં નકલી નોટોની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાથી અહીં તાકીદે ધ્યાન આપવાની જરૂર છે. જે 10 વિવિધ સેક્ટરોમાં નકલી નોટો સૌથી વધારે મળી આવે છે એમાં એફએમસીજી, આલ્કોહોલ, ફાર્મા, ડોક્યુમેન્ટ, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમોબાઇલ, તમાકુ, લાઇફસ્ટાઇલ અને એપરલનો સમાવેશ થાય છે. એફએમસીજી સેક્ટરમાં સૌથી વધુ નકલી નોટો મળી આવી છે. 2019માં એફએમસીજી સેક્ટરમાં નકલી નોટો મળવાનું પ્રમાણ 63 ટકા વધ્યું છે.
એએસપીએ અધ્યક્ષ નકુલ પાસરીચાએ જણાવ્યું કે, દેશના વિવિધ સેક્ટરમાં નકલી ચલણી નોટોના દૂષણને કારણે અર્થતંત્રને વરસે 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચે છે. આ દૂષણને ડામવા માટેના આપણા પગલાં પૂરતા નથી.
બીએસએફએ એ કરી બતાવ્યું છે જે અત્યાર સુધી અસંભવ ગણાતું હતું. ગુજરાતની પશ્ચિમ બોર્ડરની સૌથી ઘાતક સરહદથી પાકિસ્તાનની ઘૂસણખોરીને સંપૂર્ણપણે બ્લૉક કરી દીધી છે. હરામીનાળું ઘૂસણખોરી માટે સરળ રસ્તો મનાતો હતો. એટલે સુધી કે પાકિસ્તાની માછીમારો પણ આ રસ્તેથી ભારતીય સરહદમાં ઘૂસી આવતા હતા, પણ હવે નહીં. કેમ કે કળણવાળી જમીન ધરાવતા હરામીનાળા કે જ્યાં સુધી સુરક્ષા કરવી મુશ્કેલ હતી, ત્યાં સુધી બીએસએફએ સતત પ્રયાસ કરીને 22 કિમી લાંબો ફ્લડ લાઇટથી સજ્જ રોડ બનાવી દીધો છે. આ રોડ હરામીનાળાના છેડા સુધી જાય છે અને રોડના કિનારે જ બોચ/ઓપી ટાવર અને પોસ્ટ(બીઓપી) ઊભા કરી દેવાયા છે.
જોકે અહીં કળણમાંથી આવી ના શકાય અને ફક્ત હરામીનાળાથી ઘૂસણખોરી થઇ શકતી હતી, પણ હવે કોઈ પાણીના માર્ગે ઘૂસણખોરી કરશે તો ટાવર કે પોસ્ટ પર બેઠેલો જવાન તેને ગોળી ધરબી દેશે કાં તે પકડાઈ જશે. આ સફળતા મોટી છે કેમ કે ગુજરાત સાથેની ભારતીય સરહદ પર અહીં 4 હજાર ચો.કિમી કળણવાળી જમીન છે અને તેમાં જ 92 કિમી લાંબો સરક્રીક વિસ્તાર છે. પાકિસ્તાન શરૂઆતથી સરક્રીક પર પોતાનો કબજો ગણાવે છે. સુરક્ષાની દૃષ્ટિએ સિયાચીન બાદ ભારતની સૌથી પડકારજનક સરહદ સરક્રીક જ રહી છે. અને તેનું જ સૌથી ઘાતક ક્ષેત્ર છે હરામીનાળું. હવે બીએસએફએ હરામીનાળાની ત્રણ તરફથી ઘેરાબંધી કરી લીધી છે. પણ હજુ કામ અટક્યું નથી.
બીએસએફ નાળાની બીજી તરફ ટ્રાઈ જંક્શન પોસ્ટ પર બનાવી રહી છે. પાકિસ્તાને ચાઇના ડેમથી મીઠા પાણીનું વહેણ અટકાવ્યું ઝીરો લાઇનથી આશરે 30 કિમી અંદર એક અન્ય નાળા પર પાકિસ્તાને 1998માં ચીન સાથે મળીને એક ડેમ બંધાવ્યો હતો. તેને ચાઇના ડેમ કહેવાય છે. અહીં સિંધુ નદીનું પાણી અટકાવાયું. તેની નજીકમાં જ હરામીનાળાની ચેનલ શરૂ થાય છે. તેમાં પહેલાં મીઠું પાણી એકઠું થતું હતું, પણ ભરતીને લીધે તેમાં સમુદ્રનું ખારું પાણી એકઠું થવા લાગ્યું. આ ચેનલથી પહેલાં આ પાણી ભારત તરફ આવતું હતું.
ખાલી બોટ મોકલી પાકિસ્તાનીઓ આપણી પરીક્ષા લેતા હતા
પાકિસ્તાન આ સીમાએ ક્યારેક ઘૂસણખોરો, ક્યારેક માછીમારો મોકલતું હતું. ભારતીય જવાનો એલર્ટ છે કે નહીં તે ચકાસવા તે અનેકવાર ખાલી બોટ પણ ઊભી કરી દેવાતી હતી. સારી માછલીઓની લાલચ પણ પાકિસ્તાની માછીમારોને આકર્ષિત કરે છે.
ચાંપતી નજર રાખવા નિર્માણકાર્ય ચાલુ
ઘૂસણખોરીની આશંકા વધી ગઈ હતી. તેના માટે વારંવાર એલર્ટ જાહેર કરાતા હતા. હવે અમે આ નાળાને ત્રણેય બાજુથી સીલ કરી દીધું છે. નાળાના છેડા સુધી રોડ બનાવ્યો છે. નિરીક્ષણ માટે નવું નિર્માણ કામ ચાલુ છે.> જીએસ મલિક, IG, BSF ગુજરાત ફ્રન્ટિયર
અગાઉ જવાનો 25 કિમી સુધી સફર કરી હરામીનાળા જતા, હવે રાત્રે પણ ઘૂસણખોરી નહીં થાય
પહેલાં હરામીનાળા સુધી પહોંચવા બીએસએફના જવાન ઓલટરેન વ્હિકલ, બોટ અને પગપાળા ચાલીને પહોંચતા હતા. આ સફર 25 કિમી દૂર લખપત કોટથી શરૂ થતી હતી. નહીંતર કોટેશ્વર થઈને આવવું પડે. ભારતીય બીઓપી પણ લખપત નજીક જ હતી. આટલી દૂરથી નાળા સુધી પહોંચવું જોખમી હતું. વર્ષો સુધી બીએસએફએ આ સ્થિતિનો સામનો કર્યો. નાળાની નજીક જવાનોને સ્થાઈ રાખવાના ઘણા પ્રયાસ નિષ્ફળ ગયા. પછી ઓછી આશા સાથે લખપત કોટથી નાળા સુધી કળણની ઉપર સીધી રોડ ક્નેક્ટિવિટીના આઈડિયા પર કામ શરૂ કરાયું. અહીં વીજળીની લાઈન પાથરવામાં આવી અને બોર્ડર સુધી ફ્લડ લાઇટ્સ લગાવવામાં આવી છે.
55 વર્ષમાં 30 ફૂટથી દોઢ કિમી પહોળું થયું નાળું
પાકિસ્તાનના નાપાક રેન્જર્સ, નાળા સુધી માછીમારોને મોકલે છે
બીએસએફની હાજરી ન હોવાને લીધે પહેલાં પાકિસ્તાની સરળતાથી હરામીનાળામાં ફિશિંગ અને ઘૂસણખોરી કરતા હતા પણ બીએસએફએ ઈન્ટરનેશનલ બોર્ડરના સહારે બધું અટકાવી દીધું. હરામીનાળાની હોરિજેન્ટલ તથા વર્ટિકલ બંને પ્રવાહની ચેનલને સીલ કરી દીધી છે. મુખ્ય ત્રણ પોઈન્ટથી તેને સીલ કરાતા પાક. અકળાયું છે. આટલી કડકાઇ છતાં પાક.માછીમારો ઝીરો લાઈન સુધી ફિશિંગ કરવા આવે છે. પાક. રેન્જર્સ પોતાના માછીમારોને 5થી 10 દિવસની ગેરકાયદે પહોંચ આપી હરામીનાળામાં ફિશિંગ માટે મોકલે છે. ભારતીય હદમાં સારી માછલીઓ હોવાથી આ લાલચે પાકિસ્તાની માછીમારો ભારતીય સરહદમાં ઘૂસી જાય છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના કાશી એવા વડતાલ મંદિરના ઘનશ્યામપ્રકાશદાસ સ્વામીના જ શિષ્ય વેદાંત વલ્લભદાસનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં તેમણે તેમના જ ગુરૂ ઘનશ્યામપ્રકાશદાસ સ્વામી સેક્સ એડીક્ટ હોવાનો આક્ષેપ કર્યો છે. પોતાની વાસના સંતોષવા સેવાના નામે બાળકોને રૂમમાં બોલાવતા હોવાનું જણાવ્યું છે.
મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂર્વ કોઠારી ઘનશ્યામપ્રકાશદાસ સ્વામી ફરી વિવાદમાં આવ્યાં છે. તેમના શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીનો 44 મિનીટનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં તેમણે ઘનશ્યામપ્રકાશદાસ સામે સનસનીખેજ આક્ષેપ કર્યાં છે. ખાસ કરીને તેમની સેક્સલીલાનો પોતે ભોગ બન્યા છે અને તેઓ કઇ રીતે સેક્સ આચરે છે અને પોતાની વાસના સંતોષે છે, તેની વાત કરી છે. વેદાંત વલ્લભસ્વામીના જણાવ્યા મુજબ, દિવ્ય વલ્લભસ્વામીએ મારી નાંખવાની ધમકી આપી છે. આથી, મને કઇ થાય તો આ વિડીયો ઉતાર્યો છે. ઘનશ્યામપ્રકાશદાસ સ્વામી ખાસ પધ્ધતિ દ્વારા શિષ્યોનું શારીરિક શોષણ કરે છે. આ શિષ્યના બારણાં ખોલવાથી લઇ છેલ્લે સ્નાન સુધી ખાસ નિયમોને અનુસરવું પડે છે. વચનામૃત દ્વીશતાબ્દી મહોત્સવ દરમિયાન હું વડતાલ ગયો તે સમયે કેટલાક શિષ્યો તે રીતે વર્તતા હતાં. તેઓ પાપી, દંભી અને પાખંડી છે. નાના બાળકોને ફોસલાવી પટાવી, માઇન્ડ વોશ કરે છે. તેને તેના જ માતા - પિતાની સાથે વેર કરાવે છે. બાદમાં તેને પોતાની પાસે લઇ તેનો ઉપભોગ કરે છે.
ઘનશ્યામ પ્રકાશના શિષ્ય જ તેમનું માર્કેટીંગ કરે છે
ઘનશ્યામપ્રકાશદાસનું તેમના શિષ્યો માર્કેટીંગ કરે છે. તેમાં દિવ્ય વલ્લભદાસ, વિવેક વલ્લભદાસ, દર્શન વલ્લભદાસ સહિતના સ્વામીઓ ઘનશ્યામપ્રકાશ સ્વામીનું માર્કેટીંગ કરે છે. તેઓએ ડાયરીમાં ખોટા પ્રસંગો અને ખોટા મહિમા ઉભા કર્યાં છે. ભગવાને દર્શન આપ્યાની ખોટી વાતો ઉપજાવી કાઢવામાં આવી છે. જેના થકી હરિભક્તો પાસેથી રૂપિયા લેવામાં આવે છે. જેનો સુખ સાહ્યબીમાં ઉપયોગ કરવામાં આવતો હોવાનું વેદાંત વલ્લભે વિડીયોમાં કહ્યું છે.
દિવ્ય વલ્લભ સમજાવવા જાય અને ન માને તો હત્યા કરાવે છે
વેદાંત વલ્લભદાસે ઘનશ્યામપ્રકાશ ઉપરાંત તેના શિષ્ય દિવ્યવલ્લભ સ્વામી સામે પણ સનસની આરોપ મુક્યો છે. દિવ્ય વલ્લભ ધમકી આપી મરાવી પણ નંખાવે છે. સામ, દામ, ભેદની નીતિ અપનાવે છે. તેમના બળે જ ઘનશ્યામપ્રકાશ સ્વામી કુદે છે. પ્રથમ દિવ્ય વલ્લભસ્વામી સમજાવવા જાય છે, જો ન માને તો તેની હત્યા પણ કરાવી દેવામાં આવે છે.