
ઈતિહાસકાર રામચંદ્ર ગુહા કાળની ગર્તામાંથી એક નવું મડદું ખોદી લાવ્યાં છે, એમણે ફિલિપ સ્પ્રાટ નામના મૂળ અંગ્રેજ , અડધા સામ્યવાદી અને પા ભાગના બુદ્ધિજીવીનું 1939નું એક વિધાન ખોળી કાઢ્યું છે, જેમાં કદાચ ગુજરાતમાં કયારેય પગ પણ નહીં મૂકનારા ફિલિપે કહ્યું છે કે ‘સમૃદ્ધિની દૃષ્ટિએ ગુજરાત અગ્રેસર છે પણ સંસ્કૃતિની દૃષ્ટિએ પછાત છે’ સૌ પ્રથમ તો એ વાત કરવાની કે ગુજરાતની સંસ્કૃતિ કોઈ ગુહા કે કોઈ ફિલિપના સર્ટિફિકેટની મોહતાજ નથી. આવા કોઈ પણ ઉભા થઈને એલફેલ બોલે એટલે આપણી સંસ્કૃતિ કેટલી બળૂકી છે એના પુરાવા આપવાની આપણે જરૂર નથી.
અહીં સવાલ છે રામની રાવણગીરીનો, રામચંદ્ર ગુહાને થોડા વખત પહેલાં અમદાવાદ યુનિવર્સિટીએ ટીચિંગ માટે જોબ ઓફર કરેલી, ગુહાએ ટ્વિટ કરીને એની વધાઈ લીધેલી. ગુહા કદાચ ઈતિહાસની વિકૃતિઓ શોધવામાં એટલા મગ્ન રહે છે કે એમણે અમદાવાદ યુનિવર્સિટીનો નાનકડો ઈતિહાસ તપાસવાની તસ્દી નથી લીધી! 2009માં સ્થપાયેલી આ યુનિવર્સિટીના ચેરમેન સંજય લાલભાઈ છે, જે કસ્તૂરભાઈ અને એમના જેવા શ્રેષ્ઠીઓની ગર્વપ્રેરક મહાજન પરંપરાના વાહક છે. મહાજનોએ વિશાળ સખાવતો કરીને શિક્ષણ અને અન્ય સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખી છે. સમૃદ્ધિ સંસ્કૃતિનો આધાર બને, સહાયક બને એ ગુજરાતના આગવા સંસ્કાર છે. ગુજરાતીની સમૃદ્ધિ રામચંદ્ર ગુહા જેવાની આંખમાં ખૂંચે છે એટલે જ એ સંસ્કૃતિની આડ લઈ ગુજરાતને નિશાન બનાવી રહ્યા છે.
ફિલિપ સ્પ્રાટનો હવાલો ગુહા આપે છે ત્યારે વધુ એક બાબત સગવડતાપૂર્વક ભૂલી જાય છે આ જ ફિલિપ સ્પ્રાટની જ્યારે 1927માં અંગ્રેજ સરકારે અટકાયત કરી ત્યારે એના વિરોધમાં સરકારને તીખા સવાલો કરી ન્યાયની માંગણી કરનાર પણ એક મૂળ ગુજરાતી હતા, જેનું નામ હતું શાપુરજી સકલાતવાલા! જે તત્કાલીન બ્રિટનમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા! અન્યાયના વિરોધમાં ખડા થઈ જવું એ ગુજરાતી સંસ્કૃતિ છે! ફિલિપ સ્પ્રાટ જેવાને એ ગુજરાતી સંસ્કાર, આજીવન સમજાયા નહી અને ગુહા જેવાને આજીવન સમજાશે નહીં.
એક પ્રામાણિક ઈતિહાસકારના હાથમાં ઈતિહાસ એક મશાલ છે અને ગુહા જેવાના હાથમાં એ આગ ચાંપવાનો કાકડો છે! ખૈર, મોટું મન રાખવું એ પણ ગુજરાતી સંસ્કાર છે. એટલે જાઓ ગુહા તમને માફ કર્યા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30wkSpy
No comments:
Post a Comment