Ad

Monday, June 22, 2020

પુરીમાં રથયાત્રાને મંજૂરી : અમદાવાદમાં રથયાત્રા પર પાબંધી


અમદાવાદ, તા. 22 જૂન, 2020, સોમવાર

અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાને પરવાનગી આપવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. શનિવારે એક જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે રથયાત્રા પર રોક લગાવતા આજે રથયાત્રાની તરફેણમાં ખાનગી અરજદારોની સાત અને એક અરજી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. 

જેમાં આજે ઓડિશાના પુરીમાં યોજાથી જગન્નાથ રથયાત્રાને સુપ્રીમે મંજૂરી આપી હોવાથી હાઇકોર્ટ પણ અમદાવાદની રથયાત્રા અંગે ફેરવિચારણા કરવા માગણી કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે આ તમામ અરજીઓ ફગાવી ટકોર કરી હતી કે અગાઉ રાજ્ય સરકાર રથયાત્રાની તરફેણમાં નહોતી અને હવે સ્ટેન્ડ શા માટે બદલી રહી છે? કોરોનાની મહામારીની સ્થિતિ જોતા રથયાત્રાને પરવાનગી આપી શકાય નહીં.

હાઇકોર્ટમાં આજે હિન્દુ યુવા વાહિનીએ રથયાત્રાની પરવાનગી આપવા અરજી કરી હતી. શનિવારે હાઇકોર્ટે રથયાત્રા પર રોક લગાલતો આદેશ આપ્યો હોવાથી આ અરજી ફગાવાઇ હતી.

જો કે ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ઓડિશાના પુરીમાં રથયાત્રાને શરતી મંજૂરી આપતા યુવા વાહિનીએ આ આદેશનો આધાર લઇ અરજી રિકોલ કરાવી હતી. મોડી સાંજ સુધીમાં હિન્દુ યુવા વાહિની સહિતના સાત ખાનગી અરજદારો તેમજ રાજ્ય સરકારે રથયાત્રાની તરફેણમાં અરજી કરી હતી. જે

માં ઓડિશાના પુરીની રથયાત્રાને સુપ્રીમ કોર્ટે આપેલી શરતી મંજૂરીનો આધાર લઇ અમદાવાદમાં પણ રથયાત્રાની પરવાનગી માટે માગણી કરવામાં આવી હતી. જેથી મોડી રાત્રે  એક વાગ્યે ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠ સમક્ષ અરજન્ટ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

રથયાત્રાની તરફેણની તમામ અરજીઓ ફગાવી હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે કે સરકાર ઇચ્છે તેવું જ ચલાવી શકાય નહીં.  અગાઉ સરકાર રથયાત્રાના આયોજનની સામે હતી તો સરકારે હવે સ્ટેન્ડ શા માટે બદલ્યું ? લોકો વગર રથયાત્રાનો શું મતલબ? રથ મંદિર પ્રાંગણમાં ફરે તે જ યોગ્ય છે. શ્રદ્ધા એ અંતરાત્મા સંતોષ માટે છે, કોરોનાના મહામારીના કાળમાં રથયાત્રા માટે મંજૂરી આપી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે પુરીની રથયાત્રાને આપેલી મંજૂરીનો આધાર લઇ અરજદારો રજૂઆત કરી રહ્યા છે પરંતુ અમદાવાદ અને પુરીની પરિસ્થિતિની સરખામણી થઇ શકે તેમ નથી. સરકાર અત્યારે લોકોના જીવની ચિંતા કરે તે જરૂરી છે. રથયાત્રાની તરફેણમાં આવેલા અરજદારોની રજૂઆત હતી કે હિ ન્દુ પરંપરામાં ભગવાન જગન્નાથ અને તેમની રથયાત્રા અતિ પવિત્ર અવસર છે.

અમદાવાદમાં યોજાતી રથયાત્રા આશરે પંદર દાયકાનો ઇતિહાસ ધરાવે છે. ભૂતકાળમાં કપરાં સંજોગોમાં પણ ક્યારેય રથયાત્રાનું આયોજન કર્ફ્યૂમાં પણ  મોકૂફ રાખવામાં આવ્યું નથી. 1878થી શરૂ થયેલી રથયાત્રાની ધાર્મિક પરંપરા જળવાઇ રહે તે જરૂરી છે. અત્યારે કોરોના વાઇરસની મહામારીનો સમય છે, પરંતુ હવે સરકાર અનલોકની કામગીરી તરફ આગળ વધી રહી છે.

દેશના તમામ ધાર્મિક સ્થળોને કેટલીક શરતો હેઠળ ખૂલ્લાં રાખવાની પરવાનગી આપવામાં આવી છે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના જરૂરી પગલાંઓને ધ્યાને લઇ રથયાત્રાને પણ પરવાગની આપવામાં જરૂરી છે. દાયકાઓ જૂની આ પવિત્ર પરંપરામાં વિઘ્ન ન આવે તે માટે કોર્ટ જરૂરી આદેશો કરે તે જરૂરી છે.

યોગી આદિત્યનાથીની હિન્દુ યુવા વાહિનીની પણ અરજી

રથયાત્રાની તરફેણમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા સ્થાપિત હિન્દુ યુવા વાહિનીએ પણ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. હિન્દુ યુવા વાહિનીની ગુજરાતની શાખાએ એક એન.જી.ઓ. તરીકે પક્ષકાર બની રથયાત્રા પર ફરમાવવામાં આવેલો સ્ટે હટાવવા માગણી કરી હતી.

ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા પક્ષકારોએ પણ રથયાત્રાની તરફેણમાં અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથની હિન્દુ યુવા વાહિની વિશ્વ હિન્દુ પરિષદ સામે મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી હોવાની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે ઘણાં સમયથી ચાલી રહી છે. 

સરકારે રથયાત્રાને મંજૂરી આપવા અરજી કરી હતી

રથયાત્રા પર સ્ટે ફરમાવતા આદેશમાં ફેરફાર કરવાની માગણી સાથે રાજ્ય સરકારે અરજી કરી હતી. સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત હતી કે 142 વર્ષ જૂની રથયાત્રા સાથે અમદાવાદ શહેરની ધાર્મિક લાગણી જોડાયેલી છે. જેમ આજે સુપ્રીમ કોર્ટે ઓડિશઆના પુરીમાં કોરોનાની પરિસ્થિતિ અને ધાર્મિક લાગણી વચ્ચે સંતુલન સાધી રથયાત્રા આયોજીત કરવાની મંજૂરી આપી છે તેમ હાઇકોર્ટ પણ અમદાવાદમાં રથયાત્રા કાઢવાની મંજૂરી આપે.

સરકારે તૈયારી દર્શાવી હતી કે સવારે નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી રથયાત્રાના સંપૂર્ણ રૂટ પર કલમ-144 લગાડી કર્ફ્યુ લાગુ કરવામાં આવશે. રથયાત્રા સવારે 11 વાગ્યા પહેલાં પૂર્ણ કરી લેવામાં આવશે અને સરસપુરના રણછોડજી મંદિર  સિવાય રથયાત્રા ક્યાંય રોકાશે નહીં. યાત્રમાં માત્ર ત્રણ જ રથ અને ચાર કાર હશે અને દરેક રથમાં પાંચ વ્યક્તિ હશે. ચાર વાહનો પૈકી બેમાંમહંત તેમજ ધાર્મિક વડાઓ બેસશે અને બીજા બે વાહનોમાં ટી.વી.-મીડિયાકર્મીઓને સમાવિષ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત રથયાત્રાનો પ્રસાદ વહેંચવામાં નહીં આવે.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના સરકાર પર પ્રહાર

'નમસ્તે ટ્રમ્પ યોજી લાખોની ભીડ એકત્ર કરી શકાય તો રથયાત્રા શા માટે નહીં?' 

અમદાવાદ, સોમવાર

'નમસ્તે ટ્રમ્પ'  દ્વારા 1 લાખની ભીડ એકત્ર કરીને કોરોનાને આમંત્રિત કરાવી શકાતો હોય તો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પાંચ લાખથી વધુ લોકોની ભેગી થનારી ભીડ દ્વારા સ્વયં રોગપ્રતિકારક શક્તિના જોરે કદાચ કોરોનાને પાછો પણ ભગાડી શકાય. ભવ્ય રથયાત્રાને પરંપરાને અવિરતપણે આગળ ધપાવવા સરકારને વિનંતી છે તેમ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે. 

ગુજરાત કોંગ્રેસના નેતા પરેશા ધાનાણી, અમિત ચાવડા, ઇમરાન ખેડાવાલાએ સોમવારે  બપોરે રથના પૂજનમાં ભાગ લીધો હતો. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, 'ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પરંપરા 143 વર્ષથી ચાલે છે. રથયાત્રા કોમી એકતાનું પ્રતિક છે, જેમાં બિનરાજકીય રીતે તમામ લોકો જોડાય છે.

રથયાત્રા મુલતવી રાખવાના સમચાર શહેર અને રાજ્યની પ્રજા માટે આઘાતજનક છે. સરકારી તિજોરીના કરોડો રૂપિયા ખર્ચ કરીને નમસ્તે ટ્રમ્પ દ્વારા 1 લાખની ભીડ એકત્ર કરીને પધારો કોરોના આમંત્રિત કરાયો છે તે સ્પષ્ટ થતું જાય છે. વિદેશી વાયરસને નમસ્તે કહેવા ભેગા કરેલા 1 લાખના ટોળાએ અમદાવાદને એપી સેન્ટર બનાવ્યું હતું. 

ગુજરાત સરકારની અપૂરતી તકેદારી અને કથળેલી આરોગ્ય સેવાઓને કારણે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સરકારે ખુદ લોકોને ભગવાન ભરોસે મોતના મુખમાં ધકેલવા છુટા મૂકી દીધા છે. ગુજરાતમાં કોરોનાના ઊંચા મૃત્યુદર માટે અપૂરતા ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ ઘટ, આધુનિક સાધનોની ઉણપ વધારે જવાબદાર છે.'



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dt0bNY

No comments:

Post a Comment