Ad

Friday, June 5, 2020

સોમનાથમાં બીલીપત્ર ચઢાવાશે નહીં, દ્વારકામાં પ્રસાદ નિર્ધારિત જગ્યાએ ચઢાવવાનો રહેશે, અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ નહીં મળે

આગામી 8મી જૂનથી રાજ્યમાં મંદિરો ખુલી રહ્યા છે. 75 દિવસના લૉકડાઉન બાદ મંદિરો શ્રદ્ધાળુઓ માટે ખુલી રહ્યા છે ત્યારે ભક્તજનો કોરોના વાઇરસથી સંક્રમિત ન બને એ માટે મંદિરો દ્વારા વિવિધ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ મંદિરમાં પહેલીવાર એવું બનશે કે ભક્તો દર્શન તો કરી શકશે પણ સોમનાથને બિલિપત્ર ચઢાવી શકશે નહીં. તમામ મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઈથી પાલન કરાશે. માસ્ક તથા સેનેટાઇઝરનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. પાવાગઢ મંદિર જો કે 20મી જૂને ખુલશે પણ મોટાભાગના મંદિરો 8 જૂનથી ખુલી રહ્યા છે. વડતાલ સ્થિત સ્વામિનારાયણ મંદિર 17 જૂને ખુલશે. આ નિર્ણય વડતાલ સ્વામિનારાયણ મંદિર ઉપરાંત કષ્ટભંજનદેવ હનુમાનજી અને તાબાના મંદિરોને પણ લાગુ પડશે. દિવ્ય ભાસ્કરે રાજ્યના મોટા મંદિરોના વ્યવસ્થાપકો સાથે વાત કરીને દર્શન માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે એ વિશે માહિતી મેળવી હતી.

સોમનાથ: આરતીમાં પ્રવેશ નહીં, ફક્ત ચિક્કીનો પ્રસાદ
સોમનાથ મંદિરમાં ભાવિકોએ 8 જૂનથી સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખીને દર્શન કરવા માટે લાઇનમાં સફેદ રાઉન્ડ કરવાનું શરૂ થઇ ગયું છે. તો તમામ ભાવિકોને સેનેટાઇઝર લગાડવા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઇ છે. મંદિરની એકપણ આરતી વખતે ભાવિકોને પ્રવેશ નહીં આપવામાં આવે. ભાવિકો મંદિરમાં ફૂલ અને બિલીપત્ર ચઢાવવા નહીં લઇ જઇ શકે. એ બહારજ મૂકી દેવા પડશે. તેઓને મંદિરમાંથી ફક્ત ચિક્કીનો પ્રસાદ મળશે. એમ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.

અંબાજી: સવારે 7.30થી શક્તિ દ્વારથી જ પ્રવેશ
અંબાજી મંદિર સોમવારે સવારે 7:30થી શરૂ થશે. માઈભક્તોને મોહનથાળનો પ્રસાદ કે અંબિકા ભોજનાલયમાં અપાતું ભોજન નહીં અપાય. આ ઉપરાંત આરતી દરમિયાન ભક્તોને પ્રવેશ નહીં અપાય. મંદિરના ગર્ભગૃહમાં 20 દર્શનાર્થીઓ ઊભા રહી શકશે. શ્રદ્ધાળુઓને તેના પગરખા પર્સ બેલ્ટ ઇત્યાદિ વસ્તુ થેલીમાં પેક કરીને લગેજ રૂમમાં આપવાની રહેશે. ભક્તોની શક્તિદ્વાર પાસે તૈનાત મેડિકલ ટીમ દ્વારા તપાસ કરાશે.

દ્વારકાધીશ મંદિર: રાત્રે 9થી સવારે 5 મંદિરબંધ રહેશે
છેલ્લા 75 દિવસથી બંધ દ્વારકાધીશજીનુ મંદિર ખોલવા માટેનું જાહેરનામુ કલેકટર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.મંદિર રાત્રીના નવ વાગ્યાથી સવારે પાંચ સુધી બંધ રહેશે.દર્શન માટેના નિયમો ઘડવામાં આવ્યા છે જેમાં મંદિરમાં પ્રવેશતા પહેલા શ્રધ્ધાળુઓનું થર્મલ સ્ક્રિનીંગ થશે. હેન્ડ સેનેટાઇઝ કરવામાં આવશે. આરતીમાં પુજારી સિવાય કોઇને પ્રવેશ આપવામાં આવશે નહી.જયારે માસ્ક ફરજીયાત પહેરવાનુ રહેશે. બહારથી ખુલ્લો પ્રસાદ વગેરે સામગ્રી મંદિરમાં નકકી કરાયેલા સ્થળએ પધરાવવાની રહેશે.

ડાકોર: ઉકાળો અપાશે, રણછોડ સેના તહેનાત
ડાકોર મંદિર 8મીથી ખુલી રહ્યું છે. મંદિર મેનેજમેન્ટ મંદિરની અંદરની વ્યવસ્થા માટે પુરી તૈયારી કરી ચૂક્યું છે. ડાકોર ટેમ્પલ કમિટિના મેનેજર અરવિંદ મહેતાએ જણાવ્યું હતું કે, ‘મંદિર મેનેજમેન્ટ કમિટીએ સઘન તૈયારી શરૂ કરી દીધી છે. સેનેટાઈઝર ટનલ, સોશિયલ ડિસ્ટન્સના ગોળ કુંડાળા સહિત રણછોડ સેના કર્મચારીઓને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી છે. આ ઉપરાંત આયુર્વેદિક ઉકાળાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અંબાજી - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2UgBM7z

No comments:

Post a Comment