
ગુજરાતમાં 24 કલાકમાં સૌપ્રથમવાર કોરોના પોઝિટીવ કેસનો આંકડો શુક્રવારે પાંચસોને પાર પહોંચ્યો. એક જ દિવસમાં 510 નવા કેસ નોંધાતા હવે ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક 19,119 પર પહોંચ્યો છે. છેલ્લાં પાંચ દિવસથી કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, 30 મેના રોજ એક દિવસમાં 400થી વધુ કેસ નોંધાયા હતા, તે પછી તેમાં વધારો થયો અને હવે પાંચમી જૂને તે આંકડો 500થી વધુનો થયો છે. આ પૈકી અમદાવાદમાં સૌથી વધુ 324 કેસ નોંધાયા છે. જ્યારે સૂરતમાં 67, વડોદરામાં 45 અને ગાંધીનગરમાં 21 કેસ નોંધાયા છે. કોરોના મુક્ત થયેલાં ડાંગ જિલ્લામાં વધુ બે કેસ નોંધાતા તે ફરી કોરોનાયુક્ત જિલ્લો બન્યો છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં હવે એક પણ એક્ટિવ કેસ ન રહેતા તે જિલ્લો કોરોના મુક્ત થયો છે. શુક્રવારે છેલ્લે આ જિલ્લામાંથી ચાર દર્દીઓને રજા આપી દેવાઇ હતી.
શુક્રવારે સૌથી વધારે દર્દી સામે આવ્યાં
અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 13,003 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપી દેવાઇ છે, અને તે સાથે રીકવરી રેટ 68.05 ટકા પર પહોંચ્યો છે. પરંતુ મૃત્યુદર 6.22 પર કૂદકો લગાવીને પહોંચી ગયો છે. મહારાષ્ટ્રના મૃત્યુઆંક કરતાં લગભગ અડધા મૃત્યુ ગુજરાતમાં છે પરંતુ મૃત્યુદર જોઇએ તો મહારાષ્ટ્રના 3.55 ટકા કરતાં તે લગભગ બમણા જેટલો થવા જાય છે. શુક્રવારે પણ ગુજરાતમાં 35 દર્દીઓના કરુણ મોત નિપજ્યા છે. તે પૈકી 30 અમદાવાદમાં નોંધાયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eVYlGF
No comments:
Post a Comment