
અરબી સમુદ્રમાં ઉદભવેલું નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાયું છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ તેની તીવ્ર અસર રહેશે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ડિપ્રેશનના સ્વરૂપે 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નિસર્ગ વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે, છેલ્લા કલાકોમાં તેની તીવ્રતામાં વધારો થયો છે. હાલ સુરતથી 670 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમે દૂર વાવાઝોડું બુધવારે ગંભીર સાયક્લોનિક સ્વરૂપ ધારણ કરીને ઉત્તર પૂર્વ તરફ વળાંક લઇને બુધવારે બપોર બાદ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે, મહારાષ્ટ્રના હરિહરેશ્વર અને દમણ વચ્ચે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા અલીબાગ ખાતે ટકરાવાની સંભાવના છે.
ગુજરાત સરકારનું વહીવટી તંત્ર સજ્જ
હવામાન ખાતાની આગાહી પ્રમાણે વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં ટકરાશે પરંતુ દક્ષિણ ગુજરાતમાં તેની તિવ્ર અસર થશે.વાવાઝોડાના સંકટના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરીને તૈયારીઓની માહિતી મેળવી હતી તેમજ કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાત્રી આપી હતી. બીજીતરફ વાવાઝોડાના સામના માટે ગુજરાત સરકારનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના સંભવિત અસરગ્રસ્ત જિલ્લા સુરત, નવસારી, વલસાડ અને ભરૂચમાંથી 78,971 લોકોને 140 આશ્રયસ્થાનોમાં ખસેડવાની કામગીરી ચાલી રહી છે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇને તમામ રેસ્ક્યુ ટીમોને પીપીઇ કીટથી સજ્જ કરાઇ છે. મહારાષ્ટ્રમાં તારાપુર એટમીક પાવર પ્લાન્ટ, કેમિકલ પ્લાન્ટ અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટ જેવા મહત્ત્વના સ્થળો વાવાઝોડાની દિશામાં આવતા હોવાથી હાઇ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યો છે. સાયક્લોનિક અસરને કારણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે. સુરત, અમરેલી, ભાવનગર અને તાપી જિલ્લાના પાંચ તાલુકામાં 20 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.
વાવાઝોડા વિશે એ બધું જે તમે જાણવા માગો છો
વાવાઝોડની ક્યાં અને કેટલી અસર રહેશે?
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ અસર રહેશે. 110થી 120 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાશે અને હળવોથી ભારે વરસાદ પડશે.
કયા જિલ્લાઓને સૌથી વધુ અસર પડશે?
મહારાષ્ટ્રના રાયગઢ અને પાલઘર ઉપરાંત ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ભાવનગર, ભરૂચ અને દાદરા નગર હવેલી સુધી સૌથી અસર રહેશે.
ગુજરાત સરકારની કેવી તૈયારી છે?
વડાપ્રધાને મુખ્યમંત્રી રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી મદદની ખાત્રી આપી છે. મુખ્યમંત્રી બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા કરી. કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાના હેઠળ નેશનલ ક્રાઇસીસ મેનેજમેન્ટ કમિટિ દ્વારા રાહત અને બચાવ કામગીરીનું મોનિટરિંંગ થાય છે.
કેટલી બચાવ ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે?
રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું કે NDRFની કુલ 13 ટીમો અને SDRFની 10 ટીમોને તૈનાત કરાઇ છે. NDRFની વધુ 5 ટીમો એરલિફ્ટ કરાશે.
સાઇક્લોન નૉલેજ
- નેશનલ સાઇક્લોન રિસ્ક મીટીગેશન પ્રોજેક્ટના જણાવ્યા પ્રમાણે અરબ મહાસાગરમાં સર્જાતા માત્ર 25 ટકા સાઇક્લોન પશ્ચિમ કાંઠે ટકરાય છે.
- મુંબઈ કાંઠે છેલ્લે 11 નવેમ્બર, 2009માં ‘ફાયન’ વાવાઝોડું ટકરાયું હતું.
- અત્યાર સુધી એપ્રિલ-જૂનમાં મહારાષ્ટ્ર કાંઠે વાવાઝોડું ટકરાયું હોવાનું છેલ્લે માત્ર મે 1961માં બન્યું હતું.
- હવામાન વિભાગના ડેટા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં અરબ મહાસાગરમાં વાવાઝોડાની સંખ્યામાં 32 ટકાનો વધારો થયો છે.
ક્યાં કેટલો વરસાદ
- કેશોદ-2 ઇંચ
- મેંદરડા-પોણા બે ઇંચ
- માણાવદર-દોઢ ઇંચ
- માળીયા-અઢી ઇંચ
ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, વાવાઝોડાની સ્થિતિમાં વીજ પુરવઠો જાળવી રાખવા કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા છે. દરેક કોવિડ હોસ્પિટલને પ્રાથમિકતાના ધોરણે વીજ પુરવઠો અપાશે. 683 કોન્ટ્રાક્ટર્સની ટીમો 3763 લોકોના મેનપાવર સાથે ઇલેક્ટ્રીક નેટવર્ક રિપેરિંગ માટે તૈનાત કરાયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Mu0zRb
No comments:
Post a Comment