ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખમાં જારી ગતિરોધને ખતમ કરવા શનિવારે આગામી તબક્કાની મંત્રણા યોજાશે. તેના પહેલાં નિવૃત્ત લે.જનરલ એચ.એસ. પનાગે દાવો કર્યો કે મંત્રણામાં ચીનનું પલ્લું ભારે રહેશે કેમ કે તેણે પૂર્વ લદાખના 3 વિસ્તારોમાં ભારતના 40થી 60 ચો.કિમી વિસ્તારમાં ઘૂસણખોરી કરી લીધી છે. તે ભારત સામે એવી શરતો મૂકશે કે જેને સ્વીકારવી સરળ નહીં હોય. તેમણે ચેતવણી આપી કે ભારતે શરતો ન માની તો ચીન મર્યાદિત યુદ્ધ છંછેડી શકે છે. જોકે એક વેબસાઇટ પર પ્રકાશિત તેમના લેખને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શેર કરતાં લખ્યું કે બધા દેશભક્ત જનરલ પનાગનો આર્ટિકલ જરૂરથી વાંચે.
ચશૂલમાં આજે મંત્રણા, હાલ કોઈ મજબૂત પરિણામની આશા નથી
લેહમાં તહેનાત 14મી કોરના કમાન્ડર લે.જનરલ હરિન્દરસિંહ ભારત વતી ચીન સાથે મંત્રણામાં સામેલ થશે. ચીન તરફથી તિબેટ મિલિટરી ડિસ્ટ્રિક્ટના કમાન્ડર આવશે. સવારના આશરે 8 વાગ્યે ચશૂલમાં બેઠક શરૂ થશે. સૂત્રો મુજબ ભારતને તેનાથી કોઈ મજબૂત પરિણામ મળવાની આશા નથી.
જ્યેષ્ઠ પૂર્ણિમા પર સ્નાન કર્યા પછી ભગવાન જગન્નાથ અને તેમનાં ભાઈ-બહેન બીમાર થઈ ગયાં છે, જેના કારણે આગામી 15 દિવસ માટે તેઓ ક્વોરેન્ટાઈનમાં રહેશે. કેટલાક ખાસ સેવકોને જ તેમની પાસે જવાની મંજૂરી રહેશે. 15 દિવસના આ સમયને ‘અણસર’ કહેવાય છે. આ દરમિયાન તેમને માત્ર પાણી, ફળ અને ઉકાળાનો જ ભોગ ચઢાવાય છે. એવી માન્યતા છે કે એકાંતવાસ અને ઔષધિઓના સેવનથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા 15 દિવસમાં સ્વસ્થ થઈ જશે અને અષાઢ પ્રતિપદાના રોજ નવયૌવન ધારણ કરશે. દ્વિતીયા (23 જૂન)ના રોજ 9 દિવસની રથયાત્રા શરૂ થશે.
જુલાઈ-1થી ધારા 144 લાગુ કરાઈ છે
દર વર્ષે સ્નાનયાત્રામાં લગભગ બેથી અઢી લાખ દર્શનાર્થી મંદિર પહોંચે છે, પરંતુ કોરોનાના કારણે આ વખતે માત્ર પૂજારી અને પુરોહિતોને જ સ્નાનયાત્રામાં સામેલ થવાની તક મળી છે. 9 દિવસની રથયાત્રામાં પણ આ વખત માત્ર પુરીના પંડા-પૂજારી અને સુરક્ષા કર્મચારીઓને સામેલ થવાની મંજૂરી અપાઈ છે. 284 વર્ષમાં એવું પ્રથમ વખત થયું છે કે સ્નાનયાત્રામાં એક પણ શ્રદ્ધાળુ સામેલ થયો નથી અને રથયાત્રામાં પણ કોઈને આવવાની મંજૂરી નથી. જેનું કારણ, પુરીમાં 1 જુલાઈ સુધી ધારા-144 લાગુ કરાઈ છે. આથી પુરીમાં બહારનાં વાહનોનો પ્રવેશ પણ પ્રતિબંધિત છે અને ટ્રેનોને પણ ભુવનેશ્વરમાં જ રોકી લેવામાં આવી રહી છે.જગન્નાથ મંદિરના મુખ્ય પૂજારી જનાર્દન પટ્ટાજોશી મહાપાત્રએ કહ્યું કે સ્નાનયાત્રા અને રથયાત્રામાં ભગવાન જગન્નાથને વિશ્વ કલ્યાણ અને કોવિડ-19ને સમાપ્ત કરવાની પ્રાર્થના કરાઈ છે. ‘અણસર’નો સંદેશો એવો છે કે, બીમાર પડીએ તો પોતે એકાંતવાસમાં રહેવું જોઈએ. આ વખતે રથયાત્રામાં શ્રદ્ધાળુઓને આવવાની મંજૂરી નથી, આથી તેમના પ્રતિનિધિ તરીકે વડાપ્રધાન અને તમામ મુખ્યમંત્રીઓને આમંત્રણ અપાયું છે.
શુક્રવારે દેશમાં પહેલીવાર એકસાથે 10 હજારથી વધારે પોઝિટીવ દર્દીઓ મળ્યા હતા. 10,649 દર્દીઓ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 2,28,038 થઈ છે. આ સાથે જ કુલ પૉઝિટીવ દર્દીઓની ભારતની સંખ્યા ઇટલી જેટલી થઈ ગઈ છે. ઇટલીમાં 2.34 લાખ પોઝિટીવ દર્દીઓ છે. શુક્રવારે ભારતમાં 334 વધુ લોકોના કોરોનાથી મોત થયા હતા. આ સાથે કુલ મોતનો આંક 6,557 થઈ ગયો છે. પણ રાહતની વાત એ છે કે હજુ દેશમાં મરણાંક 2.9 ટકા જ છે. જ્યારે વિશ્વમાં આ દર 5.8 ટકા છે. શુક્રવારે 4,833 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી દેશમાં કુલ 1.12 લાખ દર્દીઓ કોરોનામાંથી સાજા થઈ ચૂક્યાં છે.
મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ 139 મોત
દેશમાં સૌથી વધુ સંક્રમિત એવા મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાથી 139 લોકોના મોત નિપજ્યાં હતાં. રાજ્યમાં કુલ 2,849 દર્દીઓના મોત નિપજી ચૂક્યાં છે. 2,536 દર્દીઓ સાથે રાજ્યમાં કુલ 80,229 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ તરફ તામિલનાડુમાં 1,438 વધુ દર્દીઓ મળ્યા છે. વધુ 12 લોકોના મોત સાથે કુલ મરણાંક 232 થયો છે.
વ્હાઈટ હાઉસ સામે સોમવારે દેખાવ કરી રહેલાં લોકોને બળજબરીપૂર્વક હટાવવા મામલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ફેડરલ કોર્ટમાં કેસ નોંધાવાયો હતો. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર ગુરુવારે અમેરિકી સિવિલ લિબર્ટીઝ યૂનિયન(એસીએલયૂ) અને બ્લેક લાઈવ્સ મેટર સંગઠને આરોપ મૂક્યો હતો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટોચના અધિકારીઓએ દેખાવકારો અને બ્લેક લાઈવ્સ મેટરના કેમ્પેનર્સના બંધારણીય હકોનું ઉલ્લંઘન કર્યુ હતું. એસીએલયુ મુજબ પોલીસે દેખાવકારોની ભીડ પર સામૂહિક રીતે અચાનક હુમલો કર્યો અને આ દરમિયાન તેમના પર કેમિકલનો છંટકાવ, રબર બુલેટ્સ અને સાઉન્ડ કેનેન જેવી વસ્તુઓનો પ્રયોગ કર્યો.
વ્હાઈટ હાઉસની આજુબાજુ 9 ફૂટની વાડ, અહિંસક દેખાવ
અશ્વેત જ્યોર્જ ફ્લોઈડના મોત પછી અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં હિંસા દેખાવો ધીમા પડી ગયા છે અને દેખાવકારો હવે અહિંસાના માર્ગે આગળ વધી રહ્યાં છે. જોકે વ્હાઈટ હાઉસની આજુબાજુ 7 અને 9 ફૂટની કાળી ઊંચી વાડ ઊભી કરવામાં આવી છે. તેની સાથે જ હથિયારબંધ જવાન અને શાર્પશૂટર પર તહેનાત કરાયા છે. જ્યારે લાફાયેટ સ્કવેરને પણ ફેન્સ બાંધી બંધ કરાયો છે.
બીજી તરફ જયોર્જ ફ્લોયડના મૃતદેહનું પરીક્ષણ પછી જાણવા મળ્યું છે કે તે કોરોના વાઈરસથી સંક્રમિત હતો. તે 3 એપ્રિલના રોજ થયેલા ટેસ્ટમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે તેનામાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા.
So sorry to see the desecration of the Gandhi statue in Wash, DC. Please accept our sincere apologies. Appalled as well by the horrific death of George Floyd & the awful violence & vandalism. We stand against prejudice & discrimination of any type. We will recover & be better.
મેટ્રિસે કહ્યું કે ટ્રમ્પે આપણા ભાગલા પાડવાની કોશિશ કરી
અમેરિકાના પૂર્વ રક્ષા મંત્રી જેમ્સ મેટિસે ટ્રમ્પ ઉપર સમાજમાં વિભાજનને વધારવાનો અને અધિકારોના દુરોપયોગનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આ કેસમાં ટ્રમ્પે જે રીતે હેન્ડલ કર્યું છે તે એનાથી ડરલા છે. જેમ્સે મેટિસે 2018માં રક્ષા મંત્રાલયમાંથી રાજીનામુ આપ્યું હતું. તેઓ સીરિયામાંથી સૈનિકોને પરત બોલાવવાની ટ્રમ્પની જાહેરાતથી તેઓ નારાજ હતા.
ટ્રમ્પે કહ્યું - સુરક્ષાના કારણે નહીં, તપાસ માટે બંકરમાં ગયો હતો
તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે વ્હાઈટ હાઉસ બહાર પ્રદર્શન વધી જતા ટ્રમ્પે બંકરમાં જવું પડ્યું હતું. આ વિશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આ વાત ખોટી છે. તેઓ તપાસ માટે બંકરમાં ગયા હતા.
મહિનાઓ સુધી વિજ્ઞાનીઓ એ રહસ્યનો ઉકેલ શોધવામાં લાગ્યા રહ્યા કે કોરોના સમૃદ્ધ પશ્ચિમી દેશોમાં શા કારણે વધુ ફેલાયો અને ગીચ વસ્તી-ઝૂંપડપટ્ટી ધરાવતા દેશો કેવી રીતે બચેલા રહ્યા છે. જોકે, હવે કોરોના આ બચી ગયેલા દેશોમાં પણ ફેલાઈ ગયો છે. મધ્ય-પૂર્વ, લેટિન અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ એશિયાના દેશો પણ હવે તેની ઝપટમાં આવી ગયા છે. કોરોનાના કારણે આ દેશોની હોસ્પિટલો અને કબ્રસ્તાન તો ઉભરાઈ જ રહ્યાં છે, પરંતુ એ નીતિનિર્માતાઓ પણ હતાશ થયા છે, જે અત્યાર સુધી વિચારતા હતા કે તેઓ સાચા નિર્ણય લઈ રહ્યા છે અને રોગચાળાની સૌથી ખરાબ અસરથી બચી જશે.
દક્ષિણ આફ્રિકા સૌથી વધુ પ્રભાવિત
ફ્લોરિડા યુનિવર્સિટીમાં બાયોસ્ટેટિસ્ટિક્સના પ્રોફેસર નતાલી ડીનના અનુસાર, કોરોના પર રિસર્ચમાં એવો પુરાવો જોવા મળ્યો નથી કે કોઈ દેશ તેનાથી બચશે. જોકે, યુરોપિયન દેશોએ તેના પર મોટા ભાગે કાબૂ મેળવી લીધો છે. ફિનલેન્ડમાં તે સમાપ્ત થવાની તૈયારી છે. ન્યુઝિલેન્ડમાં સળંગ 14મા દિવસે એક પણ કેસ આવ્યો નથી. ઈટાલી, સ્પેન અને બ્રિટનમાં પણ નવા કેસ ઘટી ગયા છે. યુરોપમાં 27 એપ્રિલ પછી મૃત્યુની સંખ્યા સતત ઘટી રહી છે. જેની સામે મધ્ય પૂર્વના દેશ ઈજિપ્તમાં એક સપ્તાહમાં જ ચેપગ્રસ્તોની સંખ્યા બમણી થઈ ગઈ છે. લેટિન અમેરિકન દેશ બ્રાઝિલ, મેક્સિકોમાં પણ સ્થિતિ બગડી રહી છે. દક્ષિણ એશિયામાં પાક. અને બાંગ્લાદેશ તો આફ્રિકા ખંડમાં દક્ષિણ આફ્રિકા સૌથી વધુ પ્રભાવિત છે.
લેટિન અમેરિકા: બ્રાઝિલમાં 4 દિવસમાં 1 લાખ કેસ, મેક્સિકોમાં 24 કલાકમાં 4 હજારથી વધુ કેસ
બ્રાઝિલ કોરોનાથી થયેલાં મૃત્યુની બાબતે ઈટાલીને પાછળ મૂકી ત્રીજા નંબરે પહોંચી ગયું છે. બ્રાઝિલમાં કોરોનાથી કુલ 34 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. 6 લાખથી વધુ ચેપગ્રસ્ત છે. છતાં રિયો ડી જેનેરિયોના 1 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને ગુરુવારથી કામ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. આ બાજુ મેક્સિકોમાં એક દિવસમાં જ વિક્રમી 4,442 કેસ સામે આવ્યા છે. અહીં 1 લાખથી વધુ પોઝિટિવ કેસ છે અને 12,545 મોત થયાં છે. રાષ્ટ્રપતિ એન્ડ્રેસ લોપેઝની દલીલ છે કે અન્ય દેશોની સરખામણીએ મેક્સિકોમાં ઓછાં મૃત્યુ થઈ રહ્યાં છે.
આફ્રિકા: ઈજિપ્તમાં મૃત્યુનો દર 2%થી વધુ, કોરોના ફેલાય પછી દ.આફ્રિકામાં 24 કલાકમાં વિક્રમી સંખ્યા
ટેગુસિગાલ્પા
ઈજિપ્તમાં રાષ્ટ્રપતિ અલ સીસી અને ડોક્ટરોમાં ચાલતા સંઘર્ષ વચ્ચે સપ્તાહમાં ચેપગ્રસ્તોની સંખ્યા બમણી થઈ છે. સુરક્ષા ઉપકરણોની અછત અને ટ્રેનિંગ ન મળવાથી ડોક્ટરોમાં ગુસ્સો છે. મૃત્યુનો દર 2%થી વધુનો છે. 30 હજાર ચેપગ્રસ્ત છે અને 1,126 મોત થયાં છે. સપ્તાહથી દરરોજ 1 હજાર કેસ આવ્યા છે. ખંડના ઈકોનોમિક પાવર હાઉસ મનાતા દ.આફ્રિકાએ માર્ચમાં લૉકડાઉન કર્યું હતું છતાં ગયા સપ્તાહે અનલૉક પછી ચેપગ્રસ્તોની સંખ્યા 40 હજારને પાર થઈ છે. છેલ્લા 24 કલાકમાં વિક્રમી 2367 કેસ આવ્યા અને 848 મોત થયાં છે.
ઈરાનમાં રોજના સરેરાશ 3 હજાર કેસ આવી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ 40% રહ્યું છે. લોકોએ માસ્ક લગાવવાનું પણ છોડી દીધું છે.અહીં 8 હજારથી વધુ મોત થયાં છે અને 1.67 લાખ ચેપગ્રસ્ત છે. એપ્રિલના અંતમાં સરકારે અનલૉક શરૂ કર્યું હતું. જાહેર પરિવહન શરૂ થઈ ગયું છે, નાના વેપારીઓએ પણ કામ શરૂ કરી દીધું છે. નિષ્ણાતો હવે બીજા રાઉન્ડની આશંકા સેવી રહ્યા છે. સાઉદીમાં દરરોજ સરેરાશ 1,900 કેસ આવી રહ્યા છે. અગાઉ આ આંકડો 700નો હતો. આ જ કારણે હજ યાત્રા અંગે પણ હજુ નિર્ણય લેવાયો નથી.
દક્ષિણ એશિયા: પાકિસ્તાનમાં 89 હજારથી વધુ ચેપગ્રસ્ત, બાંગ્લાદેશ, નેપાળમાં કેસમાં વધારો
કરાચી
દ. એશિયાના દેશો પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં પણ હવે કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ સપ્તાહે બાંગ્લાદેશના રોહિંગ્યા કેમ્પમાં કોરોનાથી પ્રથમ મોત થયું છે. ત્યાં આવી અસંખ્ય શિબિર છે, એટલે આ સંકેત સારો નથી. બાંગ્લાદેશમાં અત્યાર સુધી 57 હજાર કેસ નોંધાઈ ચૂક્યા છે. નેપાળમાં કેસની સંખ્યા 2,600 થઈ છે. બે સપ્તાહ પહેલાંની સરખામણીએ કેસ બમણાથી વધુ થયા છે. પાકિસ્તાનમાં અમેરિકન રાજદ્વારીને પણ ચેપ લાગ્યો છે. અહીં ચેપગ્રસ્તોની સંખ્યા 89 હજારને પાર થઈ છે. છેલ્લા 24 કલાકમાં 896 કેસ સામે આવ્યા છે.
મેડિકલ જર્નલ ધ લેન્સેટે કોરોનાના દર્દીઓ પર હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાના ઉપયોગથી તેમના મોતનો આંકડો વધી રહ્યો હોવાનો દાવો કરતો પોતાનો સ્ટડી પાછો ખેંચી લીધો છે. જર્નલે લખ્યું છે કે ત્રણેય લેખક તેમના વિશ્લેષણને હાઇલાઇટ કરતા ડેટાનું સ્વતંત્ર ઓડિટ પૂર્ણ કરવા અસમર્થ હતા જેથી સ્ટડી પાછો ખેંચવામાં આવે છે. સ્ટડી તૈયાર કરનારા 4 વિજ્ઞાનીમાં ડૉ. મંદીપ મેહરા, ડૉ. અમિત પટેલ, ડૉ. સપન દેસાઇ અને ડૉ. ફ્રેન્ક રુશિટ્જકા સામેલ હતા. લેન્સેટ સાયન્ટિફિક ઇન્ટિગ્રિટીને બહુ ગંભીરતાથી લે છે. તેથી પબ્લિકેશન એથિક્સ તથા મેડિકલ જર્નલ એડિટર્સના દિશાનિર્દેશો બાદ આ રિસર્ચને સમીક્ષા માટે પરત લેવાનો નિર્ણય કરાયો. સ્ટડીમાં કોરોનાથી સંક્રમિત 96 હજાર દર્દીને આવરી લેવાયા હોવાનો સંશોધકોએ દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સંક્રમિતોમાંથી 15 હજારને હાઇડ્રોક્સિક્લોરોક્વિન કે ક્લોરોક્વિન દવા એન્ટિબાયોટિક સાથે અપાઇ.
કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરાય છે. પરંતુ સરકારી બાબુઓની નિષ્ક્રિયતા અને લોકોમાં જાગૃતિના અભાવના કારણે આ અભિયાનને અવરોધ આવે છે. હજુ છ મહિના પહેલા જ માછીમારો અને મીઠાંના અગરોમાં કામ કરતા અગરિયાઓના બાળકોના શિક્ષણ માટે સરકારે એસટીની ભંગાર બસોને ખાસ પ્રકારે મોડિફાય કરી રણશાળા માટે વર્ગખંડો બનાવ્યા હતાં. જે છ મહિનામાં જ ફરી ભંગાર બનીને ભચાઉના જંગી ખાતે પરત આવી ગયાં છે. રણ શાળાના વાહનોની આવી હાલાત થતાં અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણની યોજનાને ધક્કો લાગયો છે. વાહનો ફરી જાણે ભંગારમાં ફેરવાઇ ગયાં હોય તે હદે નુકાસન થયું છે. બસના આગળના કાચ તૂટી ગયા છે. એક બસમાં ચડવા માટેની સીડી તૂટી ગઇ છે. જ્યારે અન્ય બસની સીડી ગાયબ છે ! બસમાંથી અનેક સામગ્રી અદ્રશ્ય છે.
ફરી આ બસો કામમાં લેવાશે કે બાળમરણ?
આ બસોને અગરોમાંથી ફરી જંગીમાં લઇ આવવામાં આવી છે. હાલ કોરોનાના લીધે વેકેશન ખુલે તેવી શક્યતા ઓછી છે. આ બસોમાં મોટોપાયે નુકસાન કરાયું છે. ત્યારે આ બસને ફરી રીપેરીંગ કરવાની જરૂરીયાત ઊભી થઇ છે. માત્ર છ મહિનામાં જ બસની આવી હાલત થઇ જતાં લાખો રૂપિયાનો ખર્ચ એળે ગયો છે. તેવામાં આ બસો ફરી શિક્ષણ કાર્ય માટે જશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે.
આજે દુનિયાની જે જીવનશૈલી છે, તેના હિસાબે દુનિયાને પોતાની એક વર્ષની જરૂરિયાતો પૂરી કરવા માટે ઓછામાં ઓછી 1.75 ધરતીની જરૂર છે. ગ્લોબલ ફૂટપ્રિન્ટ નેટવર્ક સંસ્થાના રિપોર્ટ અનુસાર, વિકસિત દેશો અને ભારત જેવા વિકાસશીલ દેશોમાં ઘણું અંતર છે. જો દુનિયાની જીવનશૈલી અમેરિકા જેવી થઈ જાય તો દુનિયાને પોતાની જરૂરિયાતો પૂરી કરવા દર વર્ષે ઓછામાં ઓછી 5 ધરતી જોઈશે. પરંતુ જો દુનિયા ભારતની જેમ જીવવા લાગે તો માત્ર 0.7 ધરતીમાં જ બધાનું કામ ચાલી જશે. માણસની જરૂરિયાતો માટે ધરતી પૂરતી નથી
દર વર્ષે ધરતી પર જળ અને વનસ્પતિનું પુન:નિર્માણ થાય છે. જોકે, છેલ્લાં 100 વર્ષથી દર વર્ષે પ્રાકૃતિક સંપત્તિનું જેટલું પુન:નિર્માણ થાય છે, માણસ તેનાથી વધુ વાપરી નાખે છે. વિશેષજ્ઞોનું અનુમાન છેકે, એક વર્ષમાં એકઠી થયેલી સંપત્તિને માણસ વર્ષની કઈ તારીખે સમાપ્ત કરી રહ્યો છે. આ તારીખને ‘ઓવરશૂટ ડે’ કહેવાય છે. 2019માં માણસે એક વર્ષ માટે મળેલી સંપત્તિનો ઉપભોગ 29 જુલાઈ સુધીમાં જ કરી નાખ્યો હતો. જો દુનિયા ભારતની આ રીત-ભાત અપનાવી લે
બચતની ભાવના અને કોઈ પણ વસ્તુનો જરૂર કરતાં ઓછો ઉપયોગ, ભારતની સંસ્કૃતિનો ભાગ છે. જો દુનિયા આ સંસ્કૃતિ અપનાવી લે તો સૌના માટે ધરતી પર્યાપ્ત હશે. ઉદાહરણ તરીકે, અમેરિકાની સરખામણીમાં ભારતની વસતી ચાર ગણાથી પણ વધુ છે, તેમ છતાં અમેરિકામાં ઈંધણનો વપરાશ ભારતથી 16 ગણો વધુ છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમના એક રિપોર્ટ અનુસાર ભારતીય ઉપભોક્તા પોતાના પર્યાવરણ અંગે સૌથી વધુ જાગૃત છે.
નેશનલ જિયોગ્રાફિકની ગ્રીનડેસ્કનો રિપોર્ટ કહે છે, ભારતીય લોકો પોતાનાં માટે ફોર વ્હિલરનો ઉપયોગ ઓછો કરે છે. મોટાભાગના ભારતીય ટુ વ્હીલર કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે.
35% ભારતીય જાતે ઉગાડેલું અનાજ અને શાકભાજી ભોજનમાં લે છે.
જોકે, ભારતની મુશ્કેલી તેની વસતી છે
પર્યાવરણશાસ્ત્રી સીમા જાવેદના જણાવ્યા અનુસાર મોટી વસતી, ભારતની સમસ્યા છે. અહીં દરેક વ્યક્તિ પાસે 0.4 ગ્લોબલ હેક્ટર જમીન જેટલી પ્રાકૃતિક સંપત્તિ છે, પરંતુ જરૂર વ્યક્તિ દીઠ એક ગ્લોબલ હેક્ટરની છે. આટલી જમીન ભારત પાસે નથી. ભારતને તેની વસતીના પોષણ માટે દર વર્ષે ‘2.7 ભારત’ જેટલી પ્રાકૃતિક સંપત્તિ જોઈએ.
લૉકડાઉનમા જળ, જંગલ, જમીન, હવાને ફાયદો થયો છે. નદીઓના પાણી ચોખ્ખા થયા, હવા સ્વચ્છ થઈ. જંગલોમાં પણ પ્રાણીઓને મોકળાશ મળી છે. દેશના સૌથી પહેલા મરીન નેશનલ પાર્ક માં પણ લૉકડાઉનની હકારાત્મક અસર દેખાઈ છે. લૉકડાઉન દરમિયાન ફિશિગ, બોટિંગ બંધ હોવાથી ઘણો ફેરફાર છે. ગેરકાયદે ફિશિગથી મોટું નુકશાન થતું હતું. હવે ચોમાસામાં પણ ફિશિગ, બોટિંગ બંધ રહેવાથી જીવસૃષ્ટિ ને લાભ થયો છે. પરવાળાના ટાપુઓ સમુદ્રના કુલ વિસ્તારના 5 ટકા જ હોય છે પણ જૈવિક વિવિધતાના 25 ટકા જીવો માટે આવાસ હોય છે એટલે તેમને સમુદ્રના વર્ષાવનો કહેવાય છે.
ફિશિંગ અને બોટિંગ બંધ રહેતાં જીવસૃષ્ટિ ખીલી
પરવાળાની શૃંખલાઓ દરિયાના મોજાં, તોફાનો, સુનામી જેવી આફતો સામે રક્ષણ આપે છે. દુનિયાના કુલ મત્સ્ય ઉત્પાદનમાંથી 25 ટકા પરવાળાના ક્ષેત્રોમાંથી મળે છે. જામનગર મરીન નેશનલ પાર્ક અંદાજે 600 ચો.કિ.મી.વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં 42 ટાપુઓ છે જેમાંથી 34 ટાપુઓની ફરતે પરવાળાઓની શૃંખલાઓ છે. પીરોટન ટાપુમાં ક્યારેક ડોલ્ફિન પણ જોવા મળે છે. હવાનું પ્રદૂષણ લૉકડાઉનમા ‘ડાઉન’
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એપ્રિલમાં જનતા કરફ્યુના એક અઠવાડિયા પહેલાં તથા જનતા કરફ્યુ અને લૉકડાઉન દરમિયાન એક અઠવાડિયા સુધી એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ ગાંધીનગર, વટવા, મણીનગર, અંકલેશ્વર અને વાપી જેવા સ્થળોએ કરવામાં આવ્યું. ગાંધીનગરમાં લોકડાઉન દરમિયાન પરિસ્થિતિ સુધરી. મણિનગર ખાતે લોકડાઉન પહેલા pm10 જે નિયત માત્રા કરતાં વધારે હતું જેમાં ઘટાડો થયો. લૉકડાઉન દરમિયાન હવા શુદ્ધ થઈ. વટવામાં પણ પ્રદૂષણનું પ્રમાણ ઘટ્યું છે. અંકલેશ્વર અને વાપીમાં હવા શુદ્ધ થઈ છે. ગુજરાતના પર્યાવરણનો આ છે ભવ્ય વારસો
અમદાવાદનું પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર 8 જૂને નહીં ખોલવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. ભક્તો અને આર્મીના જવાનોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને મંદિર 17 જૂન સુધી ન ખોલવાનો નિર્ણય લેવાશે. મંદિરનાં ટ્રસ્ટીઓ થોડા દિવસોમાં 17 જૂન સુધી મંદિર ખુલશે કે નહીં તે અંગેનો નિર્ણય કરશે. સવાર અને સાંજની આરતી સમયે ભક્તોને પ્રવેશ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ વિશે મંદિરનાં પ્રમુખ ટ્રસ્ટી પાર્થિવકુમાર અધ્યારુએ જણાવ્યું હતું કે, મંદિર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં હોવાથી જવાનોમાં સંક્રમણ ન ફેલાય તેનું વિશેષ ધ્યાન આપવાનું છે. અમે કેન્ટોનમેન્ટ બોર્ડ મંજૂરી આપે પછી જ મંદિર ખોલીશું. હાલમાં 17 જૂન સુધી મંદિર નહીં ખૂલે. યોગ્ય તૈયારીઓ બાદ અમે નક્કી કરીશું કે 17 જૂન પછી મંદિર ખોલવું કે નહીં. આરતીમાં માત્ર પૂજારી જ હાજર રહેશે તો બીજી બાજુ મંદિર સવારે 9થી 4.30 સુધી ખુલ્લુ રહેશે. દર્શનાર્થીઓને 10 સેકન્ડનો સમય અપાશે જેથી વધુ લોકો ભગવાનના દર્શનનો લાભ લઇ શકે.
આરતીમાં ભક્તોને પ્રવેશ નહીં મળે
માસ્ક ફરજિયાત. પૂજા-પાઠ નહીં કરી શકાય, પ્રસાદ પણ નહીં અપાય
આરતીમાં ભક્તો નહીં આવી શકે. દર્શનનો સમય 9થી 4.30નો રહેશે.
ગેટથી મંદિર સુધીનાં ઇ-વાહનો બંધ રહેશે. વૃદ્ધો ઘરે રહે તે હિતાવહ.
નિયત કરેલા માર્ગ પર ઊભા રહીને દર્શન કરીને બહાર નીકળવું.
પગરખાં કાઢ્યા પછી હાથ સેનિટાઇઝ કરવા. 10 સેકન્ડમાં દર્શન કરવા જેથી બીજા લાભ લઇ શકે.
દાન હાથોહાથ નહીં સ્વીકારાય. દાનપેટી અથવા તો ઇ-પેમેન્ટથી કરવાનું રહેશે.
રાજ્યસભાની ચૂંટણીના 15 દિવસ પહેલાં કોંગ્રેસના બે ધારાસભ્યો, કરજણના અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીએ રાજીનામાં ધરી દીધાં છે. હજુ કોંગ્રેસના વધુ બેથી ત્રણ ધારાસભ્યો રાજીનામાં આપે અને બીજા બે કે ત્રણ ક્રોસવોટિંગ કરે એવી શક્યતા છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે બુધવારે મોડી સાંજે બન્ને ધારાસભ્યો આવ્યા ત્યારે તેમના માસ્ક ઉતરાવી ઓળખ કરાવી હતી. કોંગ્રેસના વધુ 5થી સાત ધારાસભ્યો પણ ભાજપના રડાવમાં હોવાની અટકળો છે. 19 જૂનના રોજ રાજ્યની 4 બેઠક માટે ચૂંટણી, 5 ઉમેદવાર
ભાજપના ઉમેદવાર: ભાજપથી અભય ભારદ્વાજ, રમીલા બારા, નરહરિ અમીન. કોંગ્રેસના ઉમેદવાર: ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ. શક્તિસિંહની જીતની પ્રબળ, ભરતસિંહના પરાજયની શક્યતા
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસમાં હાલ હાઇકમાન્ડના આદેશ પ્રમાણે શક્તિસિંહને વધુ એકડા આપી જીતાડવા માટે આદેશ કરાયો છે. જેથી કોંગ્રેસમાંથી પણ એક વાત સ્પષ્ટ રૂપે બહાર આવે છે કે શક્તિસિંહ ગોહિલ જીતીને રાજ્યસભામાં જાય અને ભરતસિંહ સોલંકીને હારવું પડે. આવાં સંજોગોમાં કોંગ્રેસમાં ભરતસિંહ સોલંકી સમર્થિત જૂથમાં ભડકો થશે. ભાજપ આ રીતે ખેલ પાર પાડશે
ભાજપ પાસેના 103 મત છે તેથી ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા માત્ર બે મત ખૂટે છે. જેમાંથી એક મત એનસીપીના કાંધલ જાડેજાનો મળશે. બીટીપીના બન્ને ધારાસભ્યો છોટુ વસાવા અને મહેશ વસાવાને ભાજપ ગેરહાજર રખાવશે અને તેથી તેમનો મત કોઇને પણ નહીં મળે. હાલ ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા કોરોનાની સારવાર કરાવી રહ્યા છે અને વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણ ગુરુવારે કોરોના પોઝિટિવ જાહેર થતા સારવાર હેઠળ છે. જો કે આ બન્ને ધારાસભ્યો ચૂંટણી આડે પંદર દિવસ હોવાથી સાજા થયા બાદ પણ ક્વોરન્ટાઇન જ રહેશે, તેથી મત નાખવા આવી શકશે નહીં. આથી ભાજપને વળી બે મત ખૂટશે. ચૂંટણીમાં પણ ધમણ વેન્ટિલેટરની એન્ટ્રી
પરેશ ધાનાણીએ કહ્યું- ધમણ વેન્ટિલેટરમાંથી કરેલી કમાણીથી ધારાસભ્યો ખરીદાયાં છે. આ આખોય મામલો કે કૈલાશનાથનના ઇશારે પાર પડ્યો છે.
નીતિન પટેલે કહ્યું- ધમણ વેન્ટિલેટર સરકારને સાવ નિ:શુલ્ક અપાયાં છે અને આવાં આક્ષેપ પાયાવિહોણા છે. કોંગ્રેસ ધારાસભ્યોને સાચવતી નથી તે સહુ જાણે છે.
જીતુ વાઘાણીએ જણાવ્યું કે, પૈસા આપીને કોઇ ખરીદી થતી નથી. જે લોકો ભાજપમાં આવવા માગે છે તેમને અમે ખુલ્લા દિલે આવકારીએ છીએ, પરંતુ અમે કોઇ ધારાસભ્યો સાથે સંપર્કમાં નથી.
ડાંગના કરાડીઆંબા ગામે આંતરરાષ્ટ્રીય દોડવીર ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડને પણ એક બેડુ પાણી પોતાના ઘરેથી એક કિ.મી. દૂર કૂવામાંથી સીંચીને લાવવું પડતું હતું. આ અંગે દિવ્ય ભાસ્કરે સરિતા ગાયકવાડની વ્યથા સાથેનો તસવીરી અહેવાલ પ્રસિદ્ધ કર્યાના 48 કલાકમાં સરિતા ગાયકવાડના ઘરે નળમાં પાણી આવતું થઈ ગયું છે. જિલ્લા કલેકટર એન.કે. ડામોરની સૂચનાથી પાણીની વ્યવસ્થા કરાઈ હતી. ડાંગમાં દર ચોમાસે 100 ઇંચથી વધુ વરસાદ છતાં ઉનાળામાં 311 ગામ પાણીની હાડમારી વેઠે છે.
વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના પ્રેસિડેન્ટ પવન સુખદેવે જણાવ્યું હતું કે, વિશ્વ દાયકાઓથી ક્લાઈમેટ ચેન્જ સામે ઝઝૂમે છે પરંતુ આખું વિશ્વ તેના ઉકેલ શોધવામાં નિષ્ફળ છે. એટલા માટે હવે સામાન્ય માણસે આ સમસ્યાને પોતાના હાથમાં લેવી પડશે. આવામાં મોટો સવાલ એ ઊભો થાય છે કે અંતમાં સામાન્ય માણસ શું કરે ? મારા હિસાબે સમસ્યા જેટલી મોટી છે, એટલો ઉકેલ સરળ છે. સામાન્ય માણસે માત્ર બે કામ કરવાના છે. પહેલું, સમસ્યાને સમજવી પડશે. બીજું, આ સમસ્યાને જળમૂડથી નાશ કરવો પડશે, જેથી તેને પહેલા સમજો. સમસ્યા : ઝેરી રસાયણથી આવેલી હરિયાળીને હરિત ક્રાંતિ માની લીધી
મોટામાં મોટી સમસ્યા ક્લાઈમેટ ચેન્જ નામમાં છે. જો કોઇને હૃદયનો દુખાવો થાય તો આપણે નહીં કહીએ કે હૃદય બદલાઇ રહ્યું છે. આ ક્લાઇમેટ બ્રેકડાઉન છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુ વધી રહ્યા છે, જેથી ધરતીનું તાપમાન વધી રહ્યું છે. પાણીની અછત, પૂર અને તોફાનની વધતી સ્થિતિ આનું જ પરિણામ છે. પ્રકૃતિ હવા, પાણી, જળ, જંગલ જેવી બહુમૂલ્ય સેવા માટે આપણને બિલ નથી મોકલતી, એટલે આપણે તેની કદર કરતા નથી. કોલસો અને તેલના ઉપયોગ સિવાય ખેતી અને ખાદ્ય ચીજો આપણી બનાવટથી ગ્રીનહાઉસમાં ગેસ વધી રહ્યો છે. ખેતીમાં કિટકોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને આને આપણે હરિત ક્રાંતિ માની બેઠા છીએ. આનાથી જમીન ખરાબ થઇ રહી છે. ખોરાકમાં ઝેર ભળી રહ્યું છે અને લોકો આને ખાઇ બીમાર થાય છે. બીજી તરફ આપણે ભોજન પણ બરબાદ કરી રહ્યા છે. અમેરિકા જેવા દેશોમાં તો લોકો ઘણું ખાવાનું ફેંકી દે છે. આ ટ્રેન્ડ ભારત સહિત સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. ઉકેલ: એ જ ખાઓ જે આસપાસ ઊગે, ખાલી જમીનમાં વૃક્ષ વાવો
સામાન્ય માણસે ખેડૂતો પાસેથી રસાયણ વિનાના અનાજ, ફળ અને શાકભાજીની માગ કરવી જોઇએ કેમ કે જ્યાં સુધી માંગ નહીં આવે ત્યાં સુધી ખેડૂત તેનું ઉત્પાદન નહીં કરે.
આપણે પોતાની આસપાસ થતાં સિઝનલ ફળ-શાકભાજી અને અનાજનો ઉપયોગ કરવો જોઇએ. ખાવા-પીવાની બહારથી મંગાવેલી ચીજોથી મોંઘવારી વધે છે. આ ધારણા બિલકુલ ખોટી છે કે જે ચીજ મોંઘી છે તે પૌષ્ટિક હોય છે.
ઝાડ જમીનનાં કપડાં અને માણસોને સ્વસ્થ રાખવાની ઢાલ છે. ખાલી જમીન પર ખાસ રીતેનદીઓ-તળાવોની આસપાસ મોટાં અને પહોળાં પાંદડાનાં વૃક્ષ વાવો. જેનાથી જમીન નરમ રહેશે, હવા શુદ્ધ થશે.
પર્યાવરણ બચાવવા માટે આપણે પ્રકૃતિની પાસે જવું પડશે. પ્રકૃતિ પાસેથી આપણને બધું ફ્રીમાં મળી રહ્યું છે એટલા માટે આપણે તેની કદર કરતા નથી. અત્યારે ખેડૂતને પાક સાચવણી માટે મધમાખી ભાડા પર લેવી પડે છે. આપણે વાતાવરણમાં થતા અન્ય જીવ-જંતુઓની જાળવણી કરતા શીખવું પડશે.