
આજે 3 ઓગસ્ટ, સોમવાર છે, રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આપ સૌને અભિનંદન. રક્ષાબંધનનો આ પ્રસંગ આનંદ-ખુશીઓથી ભરપૂર રહે તેવી આશા. કોરોના વાઈરસના જોખમ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું અને માસ્ક પહેરવાનું ભૂલશો નહીં. હવે સમાચારો તરફ આગળ વધીએ....
1- અમિત શાહનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, બિગ બીને હોસ્પિટલમાંથી રજા મળી
સમાચારોમાં કોરોના વિશે વાત ન કરવાની હોત તો કેટલુ સારું કહેવાય. પણ દુખની વાત છે કે કોરોના સંક્રમણ અટકવાનું નામ લેતુ નથી. દેશના ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરની સલાહ પર તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ 22 દિવસ બાદ નેગેટિવ આવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. પણ, દુખની વાત એ છે કે ઉત્તર પ્રદેશમાં કેબિનેટ પ્રધાન કમલ રાણીનું કોરોના સંક્રમણને પગલે મૃત્યુ થયુ છે.
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18 લાખને પાર થઈ ગઈ છે. 5.70 લાખથી વધારે એક્ટિવ કેસ છે. સંક્રમણનો દર અને ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીની સંખ્યા પણ ચિંતા ઉપજાવે તેમ છે. એક સારી વાત એ છે કે સૌથી વધારે સંક્રમણ ધરાવતા ત્રણ રાજ્યોમાં પહેલી વખત એક દિવસમાં કોરોનાના નવા કેસની તુલનામાં ઠીક થનારા દર્દીની સંખ્યા વધારે રહી છે.
2- સુશાંતના બેંક ખાતામાંથી મોટી રકમ ઉપાડવામાં આવી હતી
સુશાંતની આત્મહત્યા કેસની મિસ્ટ્રીએ નવો વળાંક લીધો છે. તેના બેન્ક ખાતાની વિગતો સામે આવી છે. આ માહિતી પ્રમાણે અંતિમ ત્રણ મહિનામાં સુશાંતના ખાતામાંથી ત્રણ કરોડથી વધારે રૂપિયા કાઢવામાં આવ્યા હતા. આરોપ છે કે આ પૈસાનો એક મોટો હિસ્સો સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી તથા તેના પરિવારના લોકો પર ખર્ચ થયા. ખાતામાંથી લાખો રૂપિયાની ચુકવણી પૂજા સામગ્રી તથા દક્ષિણા માટે કરવામાં આવી હતી. સુશાંતના પરિવારનું કહેવું છે કે આ પૂજા-પાઠ મારફતે રિયાએ સુશાંત પર જાદૂ-ટોણા કર્યા. આરોપ કેટલા સાચા છે તે તપાસમાં સામે આવશે. પણ તપાસને લઈ બિહાર તથા મુંબઈ પોલીસ એક બીજાની સામે આવી ગઈ છે. બિહાર પોલીસનું કહેવું છે કે મુંબઈ પોલીસે સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ જેવી બેઝિક માહિતી પણ ઉપલબ્ધ કરાવી નથી.
3. રાજસ્થાનના રાજકારણમાં 'નેટવર્ક' ગુમ
રાજસ્થાનના રાજનીતિનું ઉંટ જયપુરથી જેસલમેર પહોંચ્યુ છે. હવે તે કઈ બાજુ બેસે છે તે જાણવા સમાચાર પર નજર રાખો. જયપુરથી જેસલમેર પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્ય અહીં હોટેલમાં યોગ કરતા દેખાયા હતા. મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ધારાસભ્યોને મળવા જેસલમેર પહોંચ્યા. કોંગ્રેસ નેતાઓનો દાવો છે કે ધારાસભ્યો હોટેલમાં જરૂરી કામ કરી રહ્યા છે. પણ એક સમસ્યા પણ છે. જેસલમેરની જે હોટલમાં ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે ત્યાં મોબાઈલ નેટવર્ક આવતુ નથી. આ હોટેલ શહેરની બહાર હોવાથી આ સમસ્યા આવતી હોય તેવુ બની શકાય. આ હોટેલ જાણી જોઈને પસંદ કરવામાં આવી હોય તેવુ પણ બને.
4. હવે અયોધ્યા વિશે વાત કરશું
ભૂમિ પૂજન માટે પાંચ ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા આવશે. પણ, રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી ભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ નહીં થાય. બન્ને વૃદ્ધ નેતા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમારોહમાં સામેલ થશે. ભૂમિ પૂજન કાર્યક્રમને લઈ અયોધ્યામાં તૈયારી ચાલી રહી છે. સ્થાનિક વહિવટીતંત્ર પણ કોરોનાને લગતા દિશા-સૂચનોનું પાલન કરાવી રહ્યું છે. આ ઉપરાંત શહેરને સેનિટાઈઝ પણ કરવામાં આવી રહ્યું છે.
5.IPL સાથે 'વૂમેન્સ IPL' પણ
કોરોનાને લીધે IPL આ વર્ષ UAEમાં યોજાશે, આ પહેલી વાત છે. હવે અપડેટ એ છે કે IPL સાથે વૂમેન્સ IPL એટલે કે ચેલેન્જર ટ્રોફી પણ રમાશે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ માહિતી આપી છે. વૂમેન્સ T-20 લીગ ચેલેન્જર ટ્રોફી કાર્યક્રમ અંગે હજુ ચિત્ર વધુ સ્પષ્ટ નથી. પણ, IPLનો અંતિમ તબક્કો એટલે કે 1થી 10 નવેમ્બર વચ્ચે આ મેચ યોજાઈ શકે છે. પ્રથમ વખત મહિલાઓની T-20 લીગ વર્ષ 2018માં રમાઈ હતી.
6. આજે શુ કહે છે ગ્રહોની સ્થિતિ
રાશિફળઃ એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બીના મતે આજે આયુષ્યમાન અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ શુભ યોગોનો ફાયદો મિથુન, કર્ક, સિંહ, કન્યા, મકર અને કુંભ રાશિવાળા લોકોને મળશે. તુલા, વૃશ્ચિક, ધનુ અને મીન રાશિવાળા લોકોને આજના દિવસે થોડુ સાવચેત રહેવું. મેષ અને વૃષભ રાશિવાળા લોકો માટે આજનો દિવસ શુભ રહેશે.
અંક ફળઃ ન્યુમેરોલોજિસ્ટ ડો.કુમાર ગણેશના મતે ત્રણ ઓગસ્ટ એટલે કે આજના દિવસનો મૂળાંક 3, ભાગ્યાંક 6 છે. આજના દિવસે અંક 2 ધરાવનારે તેમની યોજનામાં ફેરફાર કરવો પડી શકે છે. અંક 4 ધરાવતા લોકો માટે વધારે કાર્ય રહી શકે છે. બીજી બાજુ 1 અંક ધરાવતા લોકોને ઈવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં સારી તક મળી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3k4fCRo
No comments:
Post a Comment