
આજે બુધવાર, 5 ઓગસ્ટ 2020, આજનો દિવસ ઐતિહાસિક છે. આજનો આ દિવસ હંમેશને માટે યાદગાર બનશે. રામલલાના ભવ્ય મંદિરના નિર્માણ માટે આજે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. આશરે પાંચ દાયકા બાદ અયોધ્યામાં આ વૈભવ અને ખુશી પરત ફરી છે. ઉલ્લાસ છે, ઉમંગ છે..તો ચાલો શરૂઆત રામલલાથી કરીએ...
રામ મંદિર માટે આજે ભૂમિપૂજન થશે
ભારત દેશમાં જ્યારે ભગવાન રામ આરાધ્ય દેવ છે ત્યારે તેમના જ મંદિરને લઈ વર્ષોથી મોટો વિવાદ રહ્યો છે. દેશમાં કરોડો લોકો રામ મંદિરનું સ્વપ્ન સાકાર થાય તેવી આશા ધરાવતા હતા. આજે બપોરે 12.30 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી મોદી આશરે 3 કલાક અયોધ્યામાં રોકાશે. અવધમાં દિવાળી જેવો માહોલ છે. 14 લાખ લાડુ તૈયાર કરવામાં આવ્યા છે, જે અયોધ્યામાં ઘરે-ઘરે વિતરણ કરવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે બુધવારે મંદિરની ફાઈનલ ડિઝાઈન અને મંદિરની અંદરની ભવ્યતાને લગતા ફોટો શેર કર્યા હતા. મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત અયોધ્યા આવી રહ્યા છે. કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સીમા સીલ કરી દેવામાં આવી છે.બહારથી કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી. જેઓ અયોધ્યામાં છે તે પણ ટીવી પર જ ભૂમિ પૂજન જોઈ શકશે. આશરે 175 મહેમાનોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવશે. મંચ પર પણ પાંચ જ લોકો રહેશે.
કોંગ્રેસમાં પણ રામધૂન, પ્રિયંકાનો સંદેશ, કમલનાથનો સુંદરકાંડ
અયોધ્યાના દરેક ઘરમાં રામધૂન ગવાઈ રહી છે અને આ રામધૂન પર કોંગ્રેસ પણ ઝૂમી રહી છે. પ્રિયંકા ગાંધીએ પણ રામ મંદિર અંગે એક સંદેશ આપ્યો છે. પ્રિયંકાએ તેમના 21 લાઈનના સંદેશમાં 23 વખત ભગવાન રામનું નામ લખ્યુ છે. મધ્ય પ્રદેશના ભૂતપુર્વ મુખ્યમંત્રી કમલનાથે ચાંદીની 11 ઈંટ અયોધ્યા મોકલી છે. નાથે તેમના નિવાસ સ્થાન પર સુંદરકાંડનો પાઠ પણ કર્યો અને હનુમાન ચાલીસા પણ ગાઈ.
સુશાંત કેસમાં બિહાર સરકારની ભલામણ, CIB પાસે તપાસ કરાવો
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં એક બાજુ મુંબઈ અને બિહાર પોલીસ એકબીજાની સામે છે તો બીજી બાજુ બિહાર સરકારે કેસની તપાસ CBIને સોંપવાની ભલામણ કરી છે. મુંબઈ પોલીસ પર સતત કેસમાં બેદરકારી દાખવવાનો અને બિહાર પોલીસને સહયોગ નહીં કરવાનો આરોપ લાગતો આવ્યો છે. બિહાર માટે આ કેસ હવે સામાન્ય નથી. મહારાષ્ટ્ર સરકાર CBI તપાસની માંગ અગાઉથી જ નકારી ચુકી છે. બીજી બાજુ સુશાંતના પરિવારે ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ નાણાંને લગતી છેતરપિંડી કરવાનો આરોગ્ય લગાવ્યો છે.
હવે IPLમાંથી પણ ચાઈનીઝ કંપનીઓની વિદાય થશે઼
ગલવાન ઘાટીમાં જે હિંસક અથડામણ થઈ ત્યારબાદ ભારતમાં ચાઈનીઝ પ્રોડક્ટ્સને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. હવે તેના પરિણામે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2022 સુધીની સ્પોન્સર રહેવાનો કરાર કરનારી વીવો મોબાઈલ કંપનીથી BCCI અલગ થવાની તૈયારી કરી રહ્યું છે. વીવોની સ્પોન્સરશીપથી ફેન્સ કે ફ્રેન્ચાઈઝી કોઈ ખુશ ન હતું. ટીમ ઓનર્સને ડર હતો કે વીવોને લીધે ક્યાંક તેમને ટીવી પર દર્શકોની અછતનો સામનો ન કરવો પડે. BCCIએ હવે એક નવા સ્પોન્સરની શોધ શરૂ કરી દીધી છે.
રાજસ્થાનની રાજનીતિમાંથી રાજદ્રોહનો આરોપ હટ્યો
રાજસ્થાનની રાજનીતિમાં જે અફરા તફરીની સ્થિતિ સર્જાઈ છે તેને અટકાવવા માટે અશોક ગેહલોત સરકાર શક્ય તમામ પ્રયાસ કરી રહી છે.જે ઘટનાથી ગેહલોત-પાયલટ વચ્ચે વિવાદની શરૂઆત થઈ હતી અને સચિન પાયલટે પોતાની જાતને સરકારથી અલગ-થલગ કરી હતી તે કેસોને હવે કાગળોમાંથી હટાવવાની શરૂઆત થઈ છે. હકીકતમાં ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગને લગતા કેસની તપાસ માટે જે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની રચના કરવામાં આવી હતી તેણે રાજદ્રોહને લગતી કલમો લાગુ કરી હતી, હવે આ કલમો હટાવવામાં આવી છે. એટલું જ નહીં કેસની તપાસ પણ SOG નહીં કરે પણ એન્ટી કરપ્શન બ્યૂરો કરશે.
હવે કોરોના વિશે વાત કરીએ, ઓક્સફોર્ડની કોરોના વેક્સીનના એડવાન્સ ટ્રાયલને મંજૂરી મળી
બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના કોવિડ-19 વેક્સીનનો ટ્રાયલ ભારતમાં પણ શરૂ થશે. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાને તેના એડવાન્સ ટ્રાયલ માટે મંજૂરી આપી છે. હવે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓગસ્ટના અંત ભાગ સુધીમાં દેશમાં બીજા તથા ત્રીજા તબક્કાની વેક્સીનનો ટ્રાયલ શરૂ કરશે. ભારતમાં આશરે 1600 વોલિન્ટિયર્સ પર તેનો ટ્રાયલ કરવામાં આવશે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કંપની ભારતની સીરમ ઈન્સ્ટિટ્યુટ સાથે મળી વેક્સીન તૈયાર કરી રહી છે. ભારતમાં આ વેક્સીન કોવિશીલ્ડ (AZD1222)નામથી લોંચ કરવામાં આવશે. વેક્સીનનો સપ્લાઈ ભારત સહિત અન્ય 60 દેશમાં કરવામાં આવશે. કંપની દ્વારા તૈયાર કરવામાં આવનારી કુલ વેક્સીન પૈકી 50 ટકા ભારત માટે હશે.
આજે તમારા ગ્રહો શુ કહે છે, દિવસ કેવો રહેશે
5 ઓગસ્ટ, બુધવારે ચંદ્રમા કુંભ રાશિમાં રહેશે. ચંદ્રમા પર રાહુની નવમી દ્રષ્ટિ રહેશે. જેથી ચંદ્રમા પીડિત રહેશે. તેને લીધે મેષ, કર્ક અને મીન રાશિવાળા લોકો માટે દિવસ સારો નહીં રહે. આ રાશિવાળા લોકોને જોબ અને બિઝનેસમાં સમજી-વિચારીને નિર્ણય લેવા જઈએ. એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બીના મતે મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક અને મકર રાશિવાળા લોકોએ દિવસભર સાવચેતીપૂર્વક રહેવુ પડશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DBPLPO
No comments:
Post a Comment