
દેશના આર્થિક વિકાસમાં હોટલ અને હોસ્પિટાલિટી સેક્ટરનો સિંહ ફાળો રહ્યો છે. કોરોના મહામારી અને લોકડાઉનની સ્થિતીમાં હોટલ-હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ સાવ ઠપ છે. એટલું જ નહિં લોકડાઉન દૂર થયા પછી અનલોકમાં ઇન્ડસ્ટ્રીઝને ખર્ચનું ભારણ વધી ગયું છે.
સરકાર હોટલ-રેસ્ટોરન્ટને રાત્રીના 11 વાગ્યા સુધી મંજૂરી આપે તો જ સર્વાઇવ થઇ શકે તેમ છે. 75 ટકાથી વધુનો બિઝનેસ સાંજનો છે ત્યારે સરકારે અત્યારે રાત્રીના 9 વાગ્યા સુધી છૂટ આપી છે પરંતુ હોટલ ઇન્ડસ્ટ્રીઝને 7.30-8.00 વાગ્યા સુધીમાં તો બંધ કરી દેવું પડે છે જેના કારણે 10-15 ટકા જ વેપાર શરૂ થયો છે.
હોટલ-હોસ્પિટાલિટી સેક્ટરને ત્રણ માસમાં અંદાજે 15000 કરોડથી વધુનું નુકસાન માત્ર ગુજરાતમાં જ થયું છે. આ સેક્ટરની ગાડી ફરી પાટે ચડતા હજુ સરેરાશ 2-3 માસ જેટલો સમય નિકળી જશે એટલું જ નહિં રાબેતા મુજબ થતા તો દોઢેક વર્ષનો સમય લાગી જશે તે નક્કી છે. દેશમાં આ સેક્ટર દ્વારા સરેરાશ 4.5 કરોડ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે જેમાંથી 50 ટકા બેરોજગારી વધશે.
હોટલ ઇન્ડસ્ટ્રીઝનો બિઝનેસ કોર્પોરેટ સેક્ટર પર પણ આધારિત છે. કોરોના મહામારીના કારણે આગામી 3-6 માસ સુધી કોર્પોરેટ સેક્ટર દ્વારા બિઝનેસ મળી શકે તેમ નથી. એટલું જ નહિં ડિજિટલ ક્રાંતિના કારણે હવે કોર્પોરેટ મિટિંગ ઝુમ-વેબિનાર દ્વારા થવા લાગી છે જેની સીધી અસર આ ઇન્ડસ્ટ્રીઝના વેપાર પર પડશે.
કેન્દ્ર સરકાર આ સેક્ટરને એક વર્ષ સુધી ટેક્સ હોલિડે આપે તે જરૂરી છે. આ ઉપરાંત સરકાર પાસે પડેલા અનયુઝ્ડ ફંડમાંથી લોન આપવામાં આવે તો પણ નાણાંકિય કટોકટીમાંથી સેક્ટર બહાર આવી જશે. ઓક્ટોબર માસ સુધી આ ઇન્ડસ્ટ્રીઝ વેગવંતી બને તેવા સંકેતો નહિંવત્ છે. કેન્દ્ર સરકારે ઉદ્યોગો માટે અનેક રાહત પેકેજની જાહેરાતો કરી છે પરંતુ તેમાં આ સેક્ટરને સીધો કોઇ જ ફાયદો નથી.
ગુજરાતમાં 20 ટકાથી વધુ નાની હોટલ-રેસ્ટોરન્ટ કાયમ માટે બંધ થઇ જશે
- 40 હજારથી વધુ હોટલ-રેસ્ટોરન્ટ ગુજરાતમાં આવેલા છે
- 5000 કરોડથી વધુનો હોટલ-રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝનો માસિક બિઝનેસ
- 20 લાખથી વધુ લોકોને આ ઇન્ડસ્ટ્રીઝ રોજગારી પૂરી પાડે છે
- 15 ટકા ફુટફોલ સાથે વેપારની શરૂઆત થઇ, આવક કરતા જાવક વધુ હોવાથી નુકસાની છે
- 18 માસથી વધુ સમય સેક્ટરને રિવાઇવ થતા લાગી જશે
- 75 ટકા હોટલ-રેસ્ટોરન્ટનો બિઝનેસ સાંજનો છે, માટે મુશ્કેલી મોટો ફુટફોલ મળ્યો નથી.
ઇન્ડસ્ટ્રીઝને રિવાઇવ થતા દોઢ વર્ષ લાગી જશે
મધુભન રિસોર્ટના વાઇસ પ્રેસિડેન્ટ ગુરૂંગ મનોહરે જણાવ્યું કે હોટલ-રેસ્ટોરન્ટ તથા રિસોર્ટ ઇન્ડસ્ટ્રીઝને રિવાઇવ થતા ઓછામાં ઓછા એકથી દોઢ વર્ષ લાગી જશે. મેરેજ અથવા અન્ય ફંક્શન માટે સરકારે 50 લોકોને એકત્ર થવાની છૂટ આપી છે. અનલોકમાં ઓછા લોકોથી મેરેજ માટે પુછપરછ શરૂ થઇ છે. સેક્ટરને આવક કરતા ખર્ચનું પ્રમાણ વઘી ગયું છે ત્યારે સરકાર આ સેકટરને અમુક રાહતો આપે તે જરૂરી છે. ગુજરાતમાં મોટા 20-25 રિસોર્ટ આવેલા છે.
70 ટકાથી વધુ રેસ્ટોરન્ટ હજુ બંધ
કેપ્સિકમ રેસ્ટોરન્ટના કો-ફાઉન્ડર રાહુલ ધીયાના જણાવ્યા અનુસાર અનલોક-1માં સરકારે રાત્રીના 9 વાગ્યા સુધી છૂટ આપી છે પરંતુ હોટલ-રેસ્ટોરન્ટને તો સાંજે 7 વાગ્યે ઓર્ડર લેવાનું બંધ કરી દેવું પડે છે. 75 ટકાથી વધુનો બિઝનેસ સાંજનો છે આવા સંજોગોમાં ખર્ચનો બોજો જો ચાલુ રાખવામાં આવે તો વધી જાય તેમ છે. પરિણામે ગુજરાતના 70 ટકાથી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ હજુ બંધ હાલતમાં છે.
અનલોકમાં ખર્ચ વઘતા મુશ્કેલી વધી
હોટલ-રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યું કે, હોટલ-રેસ્ટોરન્ટનો 75 ટકાથી વધુનો વેપાર સાંજનો રહેલો છે ત્યારે અત્યારે અનલોક-1માં આ સેક્ટરને સાંજે 7.00 વાગે વેપાર બંધ કરી દેવો પડે છે જેના કારણે ઘાટ કરતા ઘડામણ વધી છે. આવક કરતા ખર્ચનું પ્રમાણ વધ્યું છે. સરકાર આ સેક્ટર માટે રાત્રીના 11.00 વાગ્યા સુધી મંજૂરી આપે તે જરૂરી છે. હજુ બે માસ સુધી આ સેક્ટર રાબેતા મુજબ શરૂ થઇ શકે તેમ નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2C3xZEv
No comments:
Post a Comment