
from India Today | Top Stories https://ift.tt/3jNRWjl
બિજીંગ, તા. 1 સપ્ટેમ્બર, 2020, મંગળવાર
ચીની સરકારના અખબાર ધ ગ્લોબલ ટાઈમ્સે ભારતને વધુ એક વખત ધમકી આપી હતી. આ અખબારે લખ્યુ હતું કે ભારત જો સીધી રીતે નહીં સમજે તો ચીને આક્રમણ કરવું પડશે. અને જો ચીન આક્રમણ કરશે તો ભારતના હાલ 1962 કરતા પણ બુરા થશે. 1962ના ભારત-ચીન યુદ્ધ વખતે ભારતે કેટલોક પ્રદેશ ગુમાવ્યો હતો, જે હવે ચીનના કબજામાં છે.
બીજી તરફ ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું હતું કે ભારત-ચીન વચ્ચે સરહદ સ્પષ્ટ રીતે ેઅંકાયેલી નથી, માટે આવા વિવાદો તો રહેવાના જ. ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સે ભારત પર આક્ષેપ કરતાં લખ્યું હતું કે ભારતીય સૈનિકો ચીનની જમીન પર ઘૂસી આવ્યા હતા. એ સંજોગોમાં તેમને પાછા હાંકી કાઢવા એ ચીનનો હક્ક છે. હકીકત જોકે તદ્દન ઉલટી છે.
ભારત એવા ભ્રમમાં ન રહે કે શક્તિશાળી ચીન સામે અમેરિકા તેમને બચાવી શકશે. અત્યારે ચીની સેના એટલી સક્ષમ છે કે 1962 કરતાં પણ ભારતીય સૈન્યને વધારે નુકસાન કરી શકે. ગ્લોબલ ટાઈમ્સે પોતાના લેખમાં આ રીતે ભારતને સ્પષ્ટ ધમકીઓ આપી હતી. આ અખબાર ચીની કમ્યુનિસ્ટ પાર્ટીનું છે અને એ પાર્ટી જ ચીનની સરકાર ચલાવે છે.
ચીની વિદેશ મંત્રી અત્યારે યુરોપના પ્રવાસે છે. કોરોના અને ચીનના અમેરિકા-ભારત સાથેના સંઘર્ષ પછી આ તેમનો પહેલો પ્રવાસ છે. એ દરમિયાન ભારત સાથેના સબંધો અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે બન્ને દેશો વચ્ચે સ્પષ્ટ સરહદ દોરાયેલી નથી. માટે આવા નાના-મોટા પ્રશ્નો ઉભા થાય છે. પરંતુ મને વિશ્વાસ છે કે તેનો ઉકેલ સંવાદથી આવી શકશે. ભારત અને ચીન મહત્ત્વપૂર્ણ પાડોશી હોવાનું પણ તેમણે કહ્યું હતું.
હોંગકોંગ મુદ્દે ચીનની અમેરિકાને પણ ધમકી
ચીની વિદેશ મંત્રીએ હોંગકોંગ મુદ્દે અમેરિકાને ધમકી આપી હતી. અમેરિકા હોંગકોંગને સ્વતંત્ર ગણાવે છે, જ્યારે ચીન પોતાનો ભાગ ગણાવે છે. એટલે અમેરિકાએ થોડા દિવસ પહેલા પોતાના એક મંત્રીને પણ હોંગકોંગ મોકલ્યા હતા. આ પગલાંને ચીને દખલગીરી ગણાવી હતી. વિદેશમંત્રી વાંગે કહ્યું હતું કે જે કોઈ દેશ ચીનની અખંડિતતામાં ભંગાણ સર્જવાનો પ્રયાસ કરશે તેમણે આકરા પરિણામો ભોગવવા પડશે.