
from India Today | Top Stories https://ift.tt/3gQjEdQ
કોવિડ-19 સુરતમાં કાબૂની બહાર જઈ રહ્યો હોવાની સ્થિતિ સામે આવી રહી છે. કેસોની સંખ્યા હવે ડિસ્ટ્રીક્ટની સાથે 300 થી વધુ થઈ ગઈ છે ત્યાં મોતનો આંકડો સરકારી ચોપડે 275 (સિટી) બોલી રહ્યો છે. અલબત્ત, કોવિડ ગાઇડલાઇન મુજબ જે અંતિમક્રિયા કરવામાં આવી રહી છે તે ડરાવનારી હકિકત રજૂ કરે છે. છેલ્લાં ત્રણ દિવસમાં શહેરમાં 170 બોડીનું કોવિડ- ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર કરાયું છે. જ્યારે અઠવાડિયામાં 390 બોડીને અંતિમદાહ-દફનવિધિ કરાઈ છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે, હવે રોજ અંતિમધામ અને કબ્રસ્તાનમાં 48થી વધુની સંખ્યામાં બોડી આવી રહી છે.
દર કલાકે ચારથી પાંચ બોડીનો નિયમોનુસાર નિકાલ કરાઇ રહ્યો છે
બુધવારે જ શહેરમાં 65 જેટલા મૃતદેહોની સ્મશાન અને કબ્રસ્તાનમાં પ્રોટોકોલ સાથે અંતિમ વિધી કરવામાં આવી હોવાની હકીકત સામે આવી હતી. ત્યારે ગુરુવારે પણ 55 મૃતદેહોની કોરોના ગાઇડ લાઇન મુજબ શહેરની વિવિધ સંસ્થાઓએ અંતિમ વિધી કરી હોવાની માહિતી સપાટી પર આવી છે. તબીબોના મતે ડાયાબિટીસ અને હાયપર ટેન્શન તેમજ હાર્ટ પેશન્ટ આ વાવરમાં વધુ અડફેટે ચઢ્યા છે. જેમકે ડાયાબિટીસથી પહેલાંથી પીડિત દર્દી કોરોના પેશન્ટ તરીકે દાખલ થયું હોય અને તેનું સુગર કંટ્રોલમાં આવે તે પહેલાં કોરોના કરતાં તેની મુળ બીમારી હાવી થઇ હોવાના કિસ્સા વધુ આવ્યાં છે. છતાં આ મૃતકોને કોરોનામાં ન આંકી તેમની શંકાસ્પદ કોરોના સાથે કોવિડ પ્રોટોકોલ મુજબ જ અંતિમ વિધી કરાતા મોતનો આંકડો વધ્યો છે. જોકે ગૂંચવણ સર્જાઇ રહી હોવાના કથિત આરોપો ઊઠી રહ્યા હોવાથી મૃત્યુના આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાની બાબતો પણ પ્રકાશમાં આવી હતી.
બુધવારે 65 બોડીનો નિકાલ
25 દિવસથી એક મહિના અગાઉ કોવિડ ગાઇડલાઇન મુજબ અંતિમક્રિયાની એવરેજ 25 થી 30ની હતી. જે હવે 45 થઈ ગઈ છે. છેલ્લાં બે દિવસમાં તો સંખ્યા 50થી વધી ગઈ છે. બુધવારે સૌથી હાઇએસ્ટ એટલે કે 65 જેટલી બોડીનો કોવિડ ગાઇડલાઇન મુજબ નિકાલ થયો હતો. જો આજ રફતાર રહી તો જુલાઇના અંત સુધી આંકડો 70 સુધી પહોંચી શકે છે. આથી ડોકટરો પણ રિકવરી રેટ વધે એ તરફ ધ્યાન આપી રહ્યા છે.
બોડીને ઉલટી લપેટી દેવાઈ છે
જે સેવાભાવી સંસ્થા કોવિડ-19નો બોડીની અંતિમ વિધિ કરી રહી છે. તેઓને પણ સરકારી હોસ્પિટલના અણઘડ વહીવટનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સ્મિમેર હોસ્પિટલમાંથી મૃતદેહને એવી રીતે પ્લાસ્ટિકમાં લપેટાઈ છે કે પરિવારજનોને જ્યારે મોઢું બતાવવાનો પ્રયાસ કરાય ત્યારે બોડી ઉલટી નિકળે છે. ગતરોજ સ્મિમેર પર એક એમ્બ્યુલન્સમાં એક પર એક લાશો નાંખી દેવાતો હંગામો પણ થયો હતો.
ચીનની કેન્દ્રીય બેન્ક પીપલ્સ બેન્ક ઓફ ચાઈના (પીબીઓસી)એ ભારતની એચડીએફસીમાં ખરીદેલી પોતાની અમુક હિસ્સેદારી વેચી દીધી છે. શેરબજારોને આપવામાં આવેલી માહિતીમાં આ ખુલાસો થયો હતો. એવું મનાય છે કે ચીન અને ભારત વચ્ચેના વિવાદ પછી આ નિર્ણય લેવાયો હતો.
પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ એચડીએફસીમાં જૂનના અંતે પોતાની હિસ્સેદારીને એક ટકાથી પણ ઓછી કરી દીધી છે. માર્ચના અંતે તેની પાસે એચડીએફસીના કુલ 1.01% શેર હતા જેની સંખ્યા 1.75 કરોડ હતી. એચડીએફસીમાં હવે પીબીઓસીની કેટલી હિસ્સેદારી છે અને કંપનીએ કુલ કેટલા શેર વેચ્યા છે? તેની માહિતી હજુ જાહેરકરાઈ નથી.
ઉલ્લેખનીય છે કે ભારતમાં જાહેરમાં બિઝનેસ કરતી કંપનીઓએ દરેક ત્રિમાસિકના અંતે 1%થી વધુની હિસ્સેદારીનો ખુલાસો ફરજિયાત કરવો પડે છે. એપ્રિલમાં કોરોના વાઇરસને લીધે શેરની કિંમતોમાં ઘટાડા પછી વિદેશી કંપનીઓ તકવાદી બની હતી. એવામાં ચીન સહિત પાડોશી દેશો તરફથી ભારતની કંપનીઓમાં કરાતા રોકાણ અંગેના નિયમોને આકરા કરી દેવાયા હતા.
અમરનાથ યાત્રા પર ચાલુ વર્ષે કોરોનાને કારણે પ્રતિબંધ મૂકવાની માંગ કરતી એક અરજી સુપ્રીમકોર્ટમાં કરાઈ છે. અરજીકર્તાએ માંગ કરી છે કે આ વર્ષે સામાન્ય લોકો માટે પ્રતિબંધ મૂકવો જોઈએ અને ધાર્મિક અનુષ્ઠાનનું લાઈવ પ્રસારણ કરવું જોઈએ. આ અંગે આગામી સપ્તાહે સુનાવણી થશે.
શ્રી અમરનાથ બર્ફાની લંગર સંગઠનના વકીલ અમિત પાઈએ જાહેરહિતની અરજી કરી છે. અમરનાથ યાત્રાની તારીખ જાહેર કરાઈ નથી તેમ છતાં 28 જુલાઈ પહેલાથી જ ભંડારા સંગઠનોને પહોંચીને કામ કરવાની મંજૂરી આપી દેવાઈ છે.
હવે દેશભરની અદાલતો પક્ષકારો-આરોપીઓને એસએમએસ કે વૉટ્સએપથી પણ સમન્સ કે નોટિસ પાઠવી શકશે. સમન્સ અને નોટિસની સમયસર બજવણી કરવામાં પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમકોર્ટે તે માટે ઇન્સ્ટન્ટ ટેલી-મેસેજિંગ સેવાના ઉપયોગને મંજૂરી આપી છે. કોર્ટે લિમિટેશન અંગેના સુઓ મોટો કેસની સુનાવણી દરમિયાન શુક્રવારે આ વ્યવસ્થા આપી. દેશમાં આવી સુવિધા પહેલી વાર લાગુ કરાઇ રહી છે.
ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેના વડપણ હેઠળની બેન્ચે કહ્યું, ‘અમને જણાવાયું છે કે કોરોના મહામારીના કારણે નોટિસ અને સમન્સ જેવી સેવાઓ માટે પોસ્ટ ઓફિસે જવું શક્ય નથી. આ સેવાઓ ઇમેલ, ફેક્સ અને વૉટ્સએપ-ટેલિગ્રામ જેવી ઇન્સ્ટન્ટ ટેલી-મેસેજિંગ સેવાઓ દ્વારા પૂરી પાડી શકાય. વૉટ્સએપ પર બ્લૂ ટિક દેખાય એટલે સમન્સ બજાવાયેલા ગણાશે. જો કોઇએ આ ફીચર બંધ રાખ્યું હોય તો આ સર્વિસને પૂરી ગણવી કે નહીં તે કોર્ટ નક્કી કરશે.’
સુપ્રીમકોર્ટે કોરોનાના કારણે લૉકડાઉનને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્કને ચેકની વેલિડિટી વધારવા પણ મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે આ અંગે રિઝર્વ બેન્ક તેના વિવેકનો ઉપયોગ કરે તે ઉચિત રહેશે.
દેશની વસ્તીમાં મહિલાઓની હિસ્સેદારી અંગે સુખદ ખબર છે. 15 વર્ષથી વધુ વય જૂથમાં મહિલાઓની વસ્તીની ટકાવારી પુરુષથી વધુની થઈ ગઈ છે. બુનિયાદી માપદંડના હિસાબે મહિલાઓ સંબંધિત તમામ સામાજિક પરિસ્થિતિમાં પણ સુધારાનો સંકેત છે.
ભારતના વસ્તી ગણતરી કાર્યાલયના સેમ્પલ રજિસ્ટ્રેશન સરવેનો રિપોર્ટ જાહેર થયો છે, જે 2018 સુધીની સ્થિતિ દર્શાવે છે. દરેક દાયકા પછી વસ્તી ગણતરી થાય છે. પરંતુ આ દરમિયાન થયેલા પરિવર્તન પર નજર રાખવા માટે આ સરવે કરાયો છે. તેમાં સૌથી પરિવર્તન મહિલાઓ અને પુરુષોની વસ્તીની પેટર્નમાં જોવા મળ્યું. 15થી વધુ વયમાં મહિલાઓની ટકાવારી પુરુષોથી 0.6 ટકા વધુ જોવા મળી. શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારમાં વસ્તીની આ પેટર્ન લગભગ એક જેવી છે. 0થી 4, 5થી 9 અને 10થી 14 વર્ષની વયમાં છોકરીઓની વસ્તી 0.4 ટકા ઓછી છે. ગામડામાં પણ આ ત્રણેય વર્ગમાં આ ફરક માત્ર 0.4 ટકા બચ્યો છે.
મહિલાની લગ્નની વય 19.3થી વધી 22.3 વર્ષ થઈ
1991થી 2018 વચ્ચે વિધવા, છૂટાછેડાવાળી અને ત્યક્તા મહિલાઓની વસ્તીમાં 2.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. 1991માં આ સંખ્યા 8.1 ટકા હતી. જે 2018માં 5.5 ટકા થઈ ગઈ. લગ્નની વયમાં પણ મહિલાઓની સ્થિતિમાં મોટાભાગે સુધારો જોવા મળ્યો છે. આ માપદંડમાં ભારતમાં મહિલાઓએ પ્રગતિ કરે છે. 1990માં મહિલાઓની લગ્નની સરેરાશ ઉંમર 19.3 વર્ષ હતી જે 2018માં વધીને 22.3 વર્ષની થઈ ગઈ. દેશમાં લગ્ન કરેલી મહિલાઓની સંખ્યા 1990માં 45.7 ટકા હતી જે 2018માં 49.5 ટકા થઈ ગઈ.
ટેલિકોમ સેક્ટરમાં ચીનની ચુંગાલમાંથી મુક્ત થવા માટે બ્રિટનને પરસેવો છૂટી રહ્યો છે. બ્રિટનના ટેલિકોમ ચીફ હાર્વર્ડ વૉટ્સન કહે છે કે જો મંત્રીઓના સમૂહના નિર્દેશ પર ચીનની 5જી નેટવર્ક સ્થાપિત કરતી કંપની હુવાવેનાં ઉપકરણો તાત્કાલિક હટાવવા પડશે તો દેશમાં બે દિવસ સુધી ટેલિફોન નેટવર્ક સંપૂર્ણપણે બંધ રહેશે.
બ્રિટનમાં 4જી, 2જી અને એટલું જ નહીં 5જીના નેટવર્કમાં જેટલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે ટાવર લગાવાયાં છે તેને સંપૂર્ણપણે હટાવવામાં ઓછામાં ઓછા 5થી 7 વર્ષ લાગી જશે. અહીં મનાય છે કે વડાપ્રધાન બોરિસ જોનસન હુવાવેને 5જી નેટવર્કની ટ્રાયલ માટે અપાયેલી મંજૂરી ગમે ત્યારે પાછી ખેંચી લેવાની જાહેરાત કરી શકે છે. જોનસને અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે તે હુવાવેની ભાગીદારી જલદી ઘટાડવાની યોજના તૈયાર કરે.
હુવાવે પર આરોપ છે કે તે પોતાનાં ટેલિકોમ ઉપકરણોની મદદથી દુનિયાના અનેક દેશોમાં જાસૂસી કરે છે. આ ખતરાને જોતાં બ્રિટન ઉપરાંત અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને તાઈવાને તેમની 5જી ટેક્નોલોજીને પોતાના દેશમાં પ્રતિબંધિત કરી છે કાં આકરા નિયમો લાગુ કરી દીધા છે. બીજી બાજુ અઠવાડિયા અગાઉ અમેરિકી ફેડરલ કમ્યુનિકેશન કમિશનના અધ્યક્ષ અજિત પાઈએ ટિ્વટર પર એ પત્ર પણ શેર કર્યો હતો જેમાં પુરાવાના આધારે હુવાવે અને ઝેડટીઈને અમેરિકાના કમ્યુનિકેશન નેટવર્ક અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવાઈ હતી.
પાઈએ કહ્યું કે એફસીસીના 62,416 કરોડ રૂપિયાના વાર્ષિક યુનિવર્સલ સર્વિસ ફંડનો ઉપયોગ આ સપ્લાયર્સ પાસેથી ઈક્વિપમેન્ટ કે સર્વિસ ખરીદવા માટે નહીં કરી શકાય. એફસીસીના કમિશનર જેફ્રી સ્ટાર્ક્સે કહ્યું કે અમેરિકાના ટેલિકોમ સેક્ટરમાં આ પ્રકારના અવિશ્વસનીય ઉપકરણો અનેક જગ્યાએ લાગેલાં છે અને એફસીસીને રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ ચલાવવા કહેવાયું છે. એફસીસીએ રિપ્લેસમેન્ટ માટે 15 કરોડ રૂપિયા માગ્યા છે કે જેથી આ કાર્યક્રમને ઝડપથી લાગુ કરી શકાય.
ભારતે હુવાવેને ટ્રાયલ માટે મંજૂરી આપી છે, સ્પેક્ટ્રમની હરાજીમાં શરતો આકરી હોવી જોઈએ
ભારતે 5જી માટે હુવાવે અને ઝેડટીઈને પહેલાથી મંજૂરી આપી દીધી છે. જોકે ટેલિકોમ ઈક્વિપમેન્ટ એન્ડ સર્વિસિઝ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ડીજી આર.કે.ભટનાગર પહેલાથી જ કહી ચૂક્યા છે કે 5જી ટ્રાયલ સ્તરે કોઈ ખતરો નથી પણ જ્યારે સ્પેક્ટ્રમની હરાજી થશે અને જોગવાઈઓ નક્કી થશે તો સરકારે નિયમ આકરા કરી દેવા જોઈએ જેનાથી સુરક્ષા અંગે કોઈ સવાલ ઊભો ન થાય.
પૈડું, ઉદ્યોગ, એન્ટિબાયોટિક ગર્ભ નિરોધક, રસીકરણ, પોષણ અને સાક્ષરતા આ 7 પગલાં જેને કારણે વિશ્વ આજે અહીં છે અને તેમાં માનવ વસ્તીની સંખ્યા776 કરોડ 70 લાખ થઇ છે.
આ 7 પગલાં જેને કારણે વિશ્વ આજે અહીં છે
વિશ્વમાં વસ્તી વધારો
પોપ્યુલેશન વોચ
કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા કરનારા વિકાસ દુબેને યુપી પોલીસે શુક્રવારે સવારે ઠાર માર્યો. યુપી પોલીસનો દાવો છે કે વિકાસને ઉજ્જૈનથી કાનપુર લાવતી વખતે ગાડી સામે ગાય-ભેંસનું ટોળું આવી ગયું, જેના લીધે ગાડી પલટી ખાઈ ગઈ. તેનો લાભ લઈ વિકાસ ઈન્સ્પેક્ટરની પિસ્તોલ ઝૂંટવી નાસી ગયો. પોલીસકર્મીઓ તેને પકડવા માટે દોડ્યા તો વિકાસે ફાયરિંગ કર્યુ. તેના પછી જવાબી કાર્યવાહીમાં તેને ઠાર મરાયો. આ ઘટના કાનપુરના સચેંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભૌંતીમાં બની હતી જે બિકરુ ગામથી 50 કિમી દૂર છે. 60થી વધુ ગુના કરી ચૂકેલા વિકાસના મોત પર તેના ગામ બિકરુના લોકોએ મીઠાઈઓ વહેંચી ઉજવણી કરી હતી. એક નાગરિકે કહ્યું કે લાગે છે કે અમે સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ ચૂક્યા છીએ. આતંકના એક યુગનો અંત થયો. દરેક વ્યક્તિ ખુશ છે.
વિકાસ દુબે અને તેના સાથીઓએ બિકરુ ગામમાં 3 જુલાઈએ ડીએસપી સહિત 8 પોલીસકર્મીઓની હત્યા કરી દીધી હતી. ત્યારથી ફરાર થયેલો વિકાસ ગુરુવારે સવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સામે ચાલીને આવ્યો હતો. વિકાસની ગેંગના અન્ય પાંચ લોકોને અગાઉ જુદી જુદી અથડામણોમાં ઠાર મરાયા હતા.
વિકાસના એન્કાઉન્ટર પછી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ તપાસ કરાશે. આ તપાસ ખતમ નહીં થાય ત્યાં સુધી તેમાં સામેલ પોલીસકર્મીઓને પ્રમોશન અથવા તો વીરતા પુરસ્કાર મળી શકશે નહીં. સુપ્રીમની ગાઈડલાઈન મુજબ એન્કાઉન્ટરની મેજિસ્ટ્રેટ તપાસ જરૂરી છે તેમાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર અને ગોળીઓનો હિસાબ પણ આપવાનો હોય છે. સુપ્રીમ કોર્ટમાં આ અંગે અરજી પણ થઈ છે. તપાસના અહેવાલ પછી સત્ય બહાર આવશે.
વાંચો આખો ઘટનાક્રમ... મહાકાલથી કાનપુર સુધીની સફર
દૃશ્ય - 1 : કાનપુરથી પહેલા ટોલ પ્લાઝા પર તાતાની ગાડીમાં હતો વિકાસ દુબે, તેની 15 મિનિટ પછી મહિન્દ્રાની ગાડી પલટી અને એન્કાઉન્ટર થઈ ગયું
પોલીસ દાવો કરે છે કે વિકાસની ગાડી બદલવામાં આવી નહોતી. કાફલા પાછળ ચાલી રહેલી મીડિયાની ગાડીઓને પણ એન્કાઉન્ટરવાળા સ્થળથી થોડી પહેલાં જ અટકાવી દેવાઈ હતી. ઠીક 15 મિનિટ પછી એન્કાઉન્ટર થઈ ગયું. ચાલતી ગાડી પલટી ખાધા પછી રોડ અને ગાડી પર ઢસડવાનાં નિશાન પડે છે. પણ ત્યાં એવું કંઈ જ ન જોવા મળ્યું. પછીથી ગાડી હટાવવા ક્રેન મગાવાઈ. ક્રેનથી ગાડીને ઢસડવામાં આવી. તેના લીધે રોડ અને ગાડી પર નિશાન બની ગયાં.
દૃશ્ય – 2 : ગાડી પલટવાથી 5 પોલીસકર્મી ઘવાયા, પણ વિકાસને એક પણ ઈજા નહીં
પોલીસનો દાવો છે કે ગાડી પલટ્યા બાદ તેમાં સવાર 5 પોલીસકર્મીઓને ગંભીર ઈજા પહોંચી હતી. વિકાસને કોઈ ઈજા ન થઈ. તકનો લાભ લઈ તે દુર્ઘટનાગ્રસ્ત ગાડીમાંથી ઈન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવી ત્યાંની નાસી ગયો.
દૃશ્ય – 3 : પલટી ખાધેલી ગાડીનો દરવાજો ખોલ્યા વિના જ 2 કિમી ભાગ્યો, જોકે તેના પગમાં સળિયો નાખેલો છે
એસટીએફ અધિકારીઓએ કહ્યું કે વિકાસ બે કિમી સુધી ભાગ્યો હતો. જોકે ગાડીનો દરવાજો તો ખૂલી જ શક્યો નહોતો. પગમાં સળિયો હોવા છતાં વિકાસના આટલા દૂર ભાગવાના પોલીસના દાવા સામે પણ સવાલો ઊભા થઇ રહ્યાં છે.
દૃશ્ય – 4 : …અને આખરે પોલીસે દોડતા દોડતા પાછળથી ગોળીઓ ચલાવી, 3 ગોળી વિકાસને છાતીમાં વાગી
વિકાસને 4 ગોળીઓ વાગી છે. 3 છાતી અને 1 હાથમાં. હોસ્પિટલના પ્રિન્સિપાલ ડૉ. આર.બી. કમલ અનુસાર તેને મૃત અવસ્થામાં લવાયો હતો. તેમના અનુસાર વિકાસને સામેથી ગોળીઓ વાગી હતી. જોકે ભાગ્યો હોત તો પીઠ પર વાગી હોત.
12 વૉન્ટેડ હજુ ફરાર, વિકાસની પત્ની અને દીકરાને છોડી મૂકાયા
8 પોલીસકર્મીઓની હત્યા મામલે આરોપીઓ પૈકી 6ને ઠાર મરાયા છે. 3ની ધરપકડ થઇ છે. 12 આરોપી ફરાર છે. આ દરમિયાન ગુરુવારે લખનઉથી પકડાયેલી વિકાસની પત્ની રિચા અને તેના દીકરાને પોલીસે મુક્ત કરી દીધાં છે. એસએસપી દિનેશકુમારે કહ્યું કે વિકાસના ગુનામાં તેમનો હાથ હોવાના કોઇ પુરાવા મળ્યા નથી.
એન્કાઉન્ટર અંગે સુપ્રીમકોર્ટ અને માનવાધિકાર પંચમાં ફરિયાદ કરાઈ
રાજકીય નિષ્ણાત તહેસીન પુનાવાલાએ રાષ્ટ્રીય માનવાધિકાર પંચને એન્કાઉન્ટર મામલે દખલ કરવાની માગ કરી હતી. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર પર અનેક સવાલો ઊભા થયા છે. જ્યારે થાણેના એક વકીલ અટલ દુબેએ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી એન્કાઉન્ટરને ડ્રામા ગણાવતાં સીબીઆઈ તપાસ કરાવવાની પણ માગ કરી હતી.
બ્રૂકિંગ્સ ઈન્સ્ટીટ્યુશનના રિપોર્ટ અનુસાર છોકરીઓના શિક્ષણ અને જન્મદર વચ્ચે ગાઢ સંબંધ છે, કેમ કે શિક્ષણ છોકરીઓને પરિવાર નિયોજનની સમજ આપે છે. તેમને બાળ લગ્ન અને નાની વયે માતા બનતા પણ બચાવે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ‘વર્લ્ડ પોપ્યુલેશન એન્ડ હ્યુમન કેપિટલ ઈન ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી’ સ્ટડી અનુસાર દરેક છોકરી અને છોકરાને ધોરણ-10 સુધીનું નિયમિત શિક્ષણ મળે તો 2050માં દુનિયામાં વસ્તી 150 કરોડ જેટલી ઓછી હશે. યુએન અનુસાર 2050માં દુનિયાની કુલ વસ્તી 980 કરોડ હશે.
દુનિયાનું ઉદાહરણ
આફ્રીકામાં મહિલા શિક્ષણની સુવિધાઓ લઘુત્તમ છે. ત્યાં દરેક મહિલા સરેરાશ 5.4 બાળકોને જન્મ આપી રહી છે. જ્યારે જે દેશોમાં છોકરીઓને 10મા ધોરણ સુધીનું શિક્ષણ મળે છે, ત્યાં દરેક મહિલા 2.7 બાળકને જન્મ આપે છે. છોકરીઓ માટે જ્યાં કોલેજ સુધીનું શિક્ષણ છે, ત્યાં 1 મહિલા સરેરાશ 2.2 બાળકને જન્મ આપી રહી છે.
દેશનું ઉદાહરણ
આ જ ટ્રેન્ડ ભારતમાં છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમના તાજા રિપોર્ટ અનુસાર પ્રતિ એક હજાર પર સૌથી ઓછો જન્મદર કેરળમાં 13.9 છે. તમિલનાડુમાં જન્મદર 14.7 છે. આ રાજ્ય છોકરીઓના શિક્ષણમાં પણ આગળ છે. 2011માં મહિલા સાક્ષરતમાં સૌથી પછાત ત્રણ રાજ્ય રાજસ્થાન (52.7), બિહાર (53.3), ઉત્તર પ્રદેશ (59.5) હતા. રાજસ્થાનમાં જન્મદર 23.2, બિહારમાં 25.8 અને ઉત્તર પ્રદેશમાં 24.8 છે.
છેલ્લાં 200 વર્ષમાં આ મોટા પડકારો માનવીએ ઉકેલ્યા
સાક્ષરતા : 406 કરોડ બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરી
18મી સદીના પ્રારંભમાં જ્યારે વસ્તી ઝડપથી વધવાની શરૂ થઈ ત્યારે 100માંથી 83 બાળકોના શિક્ષણની કોઈ સુવિધા ન હતી. આ બાળકો સાક્ષર થઈ શકતા ન હતા. 100 કરોડની વસ્તીમાં ત્યારે માત્ર 10 કરોડ લોકો જ સાક્ષર હતા. થોડો સુધારો થયો તો 1930માં 15 વર્ષથી વધુની ઉંમરનો દર ત્રીજો વ્યક્તિ સાક્ષર થવા લાગ્યો. હવે દુનિયામાં 86% લોકો સાક્ષર છે. આજે દુનિયામાં 15 વર્ષથી વધીની ઉંમરના લોકોની વસ્તી 504 કરોડ છે. જેમાંથી લગભગ 85% એટલે કે 406 કરોડ લોકો સાક્ષર છે.
ગરીબી : 94% લોકોને દારુણ ગરીબીમાંથી બહાર કાઢ્યા
1820 સુધી એક નાનકડા વર્ગને જ સુખી જીવનની સુવિધાઓ પ્રાપ્ત હતી. 100માંથી માત્ર 6 લોકો જ સારું જીવન જીવતા હતા. બાકીના 94% અત્યંત ગરીબ હતા. 1950માં દુનિયાના બે-તૃતિયાંશ લોકો અત્યંત ગરીબ હતા. જ્યારે 1981માં આ આંકડો ઘટીને 42% થઈ ગયો. 2015માં અત્યંત ગરીબ વસ્તી 10%થી નીચે થઈ ગઈ. તેને છેલ્લા 200 વર્ષની સૌથી મોટી ઉપલબ્ધિ કહેવાય છે. યુએન અનુસાર, આ 200 વર્ષમાં દુનિયાએ વસ્તીના 94% ભાગને ગરીબીમાંથી બહાર કાઢ્યો છે.
આઝાદી : 1% લોકો લોકશાહીમાં રહેતા હતા, હવે 56% રહે છે
1820 સુધી 100માંથી માત્ર એક વ્યક્તિ લોકશાહી દેશમાં જન્મ લેતો હતો. આજે દુનિયાના 56% લોકો લોકશાહી દેશોમાં રહે છે. 19મી સદીમાં વસ્તીનો એક તૃતિયાંશથી વધુ ભાગ કોલોનિયલ શાસનમાં રહેતો હતો અને લગભગ તમાન અન્ય લોકો રાજાશાહી કે સરમુખત્યારશાહીવાળા દેશોમાં રહેતા હતા. 20મી સદીમાં દુનિયા ઘણી બદલાઈ ગઈ. કોલોનિયલ સામ્રાજ્ય સમાપ્ત થયા અને વધુને વધુ દેશ લોકશાહી થતા ગયા. દુનિયામાં લોકશાહી વસ્તીની સંખ્યા સતત વધી રહી છે.
છોકરીઓનો સાક્ષરતા અને જન્મદર
રાજ્ય | સાક્ષરતા | જન્મદર |
કેરળ | 92% | 13.90% |
તમિલનાડુ | 73% | 14.70% |
હિમાચલ | 76% | 15.70% |
ઉત્તરાખંડ | 71% | 15.00% |
ભારત સરેરાશ | 65% | 20 |
સ્રોત: સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ
વસ્તી વધારો ક્યાં જઇને અટકશે?
દુનિયાની વસ્તીને 700થી 800 કરોડ થવામાં 13 વર્ષ (વર્ષ 2023) લાગશે. 800થી 900 કરોડ થવામાં 14 વર્ષ (વર્ષ 2037) લાગશે. વસ્તી વધારાનો દર ઘટી રહ્યો છે, આથી 900થી 1000 કરોડ થવામાં 20 વર્ષ (વર્ષ 2057) જેટલો સમય લાગશે.
દુનિયામાં અત્યાર સુધી કેટલા જન્મ થયા છે?
10 હજાર 800 કરોડ લોકો અત્યાર સુધી દુનિયામાં જન્મી ચુક્યા છે અને વર્તમાન વસ્તી 707 કરોડ તેના માત્ર 6.5% છે.
આપણું સરેરાશ આયુષ્ય હજુ કેટલું વધશે?
ઇ.સ. 2045 સુધી આયુષ્ય 6 વર્ષ વધી જશે. 25 વર્ષ પછી મનુષ્યનું સરેરાશ આયુષ્ય 77 વર્ષ હશે.
ઇ.સ. 2100 માં આ 83 વર્ષ થઈ જશે. અત્યારે દુનિયામાં સરેરાશ આયુષ્ય 71 વર્ષ છે. 2000માં 67 વર્ષ હતું.
દરેક જન્મથી ધરતી પર કેટલી અસર?
દરેક અમેરિકન બાળક પોતાના સમગ્ર જીવનમાં વાતાવરણમાં 10 હજાર મેટ્રિક ટન CO2 વધારે છે. કોઈ ચાઈનીઝ બાળકની સરખામણીમાં આ 5 ગણું વધુ છે. ભારતમાં માથાદીઠ કાર્બન ઉત્સર્જન 1.73 મેટ્રિક ટન છે.
સૌથી ઓછો પ્રજનન દર ક્યાં છે?
દુનિયામાં સૌથી ઓછો પ્રજનન દર તાઈવાનમાં છે. 2.38 કરોડની વસ્તીવાળા આ દેશમાં દરેક મહિલા 1.21 બાળકને જન્મ આપે છે. મોલ્દોવામાં દરેક મહિલા 1.23 બાળકો અને પોર્ટુગલમાં 1.24 બાળકોને જન્મ આપી રહી છે. ભારતમાં પ્રજનન દર 2.0 છે.
લોકોનું સરેરાશ આયુષ્ય સૌથી ઓછું ક્યાં?
આફ્રિકાના દેશ નાઈજરમાં લોકોની સરેરાશ આયુષ્ય માત્ર 15.2 વર્ષ છે. આ દુનિયાનો સૌથી વધુ યુવાન વસ્તીવાળો દેશ છે. ભારતમાં 15-59 વર્ષની વસ્તી દુનિયામાં સૌથી વધુ છે. વસ્તીનો 60% ભાગ તેમાં આવે છે.
માનવનું ‘પારણું’: આફ્રિકાની ગુફાઓને ગાર્ડન ઓફ ઈડન કહે છે
સ્ટ્રકફોન્ટિન ગુફાઓ વિશે એવો દાવો છે કે, હોમો સેપિયન્સ, એટલે કે આપણે મનુષ્ય લગભગ બે લાખ વર્ષ પહેલા આફ્રિકાની આ ગુફાઓમાં સૌ પ્રથમ જન્મ્યા હતા. આફ્રિકામાં જોહાનસબર્ગથી 40 કિમીના અંતરે આ ગુફાઓ છે. અહીં, અનેક સ્થળે મનુષ્યના પ્રારંભિક કાળના અવશેષ મળ્યા છે. વિટવોટર્સરે બેઝિનમાં 47 હજાર હેક્ટરમાં ફેલાયેલા આ વિસ્તારને ‘મનુષ્યનું પારણું’ એટલે કે ‘ક્રેડલ ઓફ હ્યુમન કાઈન્ડ’ કહેવાય છે. એ સ્થાન જ્યાં માનવીય સભ્યતાનો વિકાસ થયો.
(ભાસ્કર એક્સપર્ટ- જોન વિલમોથ નિદેશક, પોપ્યુલેશન ડિવિઝન, યુએન અને પેટ્રિક ગાર્લેન્ડ ચીફ પોપ્યુલેશન પ્રોજેક્શન સેક્શન, યુએન)
વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ ફાસ્ટ બોલર માઈકલ હોલ્ડિંગ રંગભેદ અંગે પોતાની સાથે થયેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં રડી પડ્યો. તે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટમાં કોમેન્ટરી કરી રહ્યો છે. તેણે કહ્યું કે, જાતિવાદ અંગે સમાજે પોતાનું વલણ બદલવું જોઈએ. હોલ્ડિંગ પોતાના માતા-પિતાને યાદ કરતાં ભાવુક થઈ ગયો હતો. તેણે કહ્યું કે, સાચું કહું તો ભાવુક ક્ષણ ત્યારે આવે છે, જ્યારે હું મારા માતા-પિતા અંગે વિચારું છું.
66 વર્ષના હોલ્ડિંગે કહ્યું, ‘હું જાણું છું કે મારા માતા-પિતાએ મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડ્યું છે. મારી માતાના પરિજનોએ તેમની સાથે વાત કરવાનું માત્ર એટલા માટે બંધ કરી દીધું હતું, કેમ કે તેમના પતિ (મારા પિતા) વધુ પડતા ડાર્ક હતા’. હું જાણું છું તેમણે કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને મને આ બધું અચાનક યાદ આવી ગયું. હોલ્ડિંગે કહ્યું કે, પરિવર્તન આવશે, પરંતુ ધીમે-ધીમે. તેણે કહ્યું કે, મને આશા છે કે, નાના-નાના પગલાં લેવાઈ રહ્યાં છે, પરંતુ તે સાચી દિશામાં છે.
મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત વધુ કથળી છે. ગાદી સંસ્થાનના મહંત અને જિતેન્દ્રપ્રિય દાસજીના જણાવ્યા અનુસાર, સિમ્સ હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ સ્વામીને વેન્ટિલેટર ઉપરથી હટાવવાની ના પાડી છે.
ડોક્ટરનું કહેવું છે કે, સ્વામીજીના હૃદયના ધબકારા હજુ ચાલુ છે. મુંબઈથી આવેલા 3 ડોક્ટર તેમની દેખરેખ કરી રહ્યા છે. નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને આસાપાસના વિસ્તારોમાં મોકલેલા સંતોને મણિનગર બોલાવી લેવાયા છે.
આચાર્યજી માટે ઘરેઘરે ભજન-કીર્તન શરૂ
આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીની તબિયત માટે હરિભક્તોના ઘરે ભજન કીર્તન શરૂ કરી દેવામાં આવ્યા છે. 7 જેટલા સંતો મણિનગરના મંદિરમાં જ ભજન કીર્તન કરે છે. આ ઉપરાંત દેશ વિદેશમાં તેમના લાખો હરિભક્તો તેઓ જલદી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
આચાર્યની સેવા માટે 3 સંત હોસ્પિટલમાં
આચાર્ય સ્વામીજી પાસે 3 સંતોને રાખવામાં આવ્યા છે. બાકીના તમામ સંતોને આસપાસના વિસ્તારના મંદિરોમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. પરંતુ સંપ્રદાયના આચાર્યની તબિયત વધુ નાજૂક થતાં પરિશિષ્ટ સંતોને મંદિરમાં પરત બોલાવવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં મણિનગર ગાદી સંસ્થાનના અંદાજે 401 મંદિરો છે. માત્ર અમદાવાદમાં જ મણિનગર ગાદી સંસ્થાનના 7 લાખથી વધુ હરિભક્તો છે.
કાનપુરના બિકરુ ગામમાં સીઓ સહિત આઠ પોલીસકર્મીઓની હત્યા કરનારો ગેંગસ્ટર વિકાસ દુબે શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. યુપી STFની ટીમ તેને ઉજ્જૈનથી ટ્રાંજિટ રિમાંડ પર કાનપુર લઈ જઈ રહી હતી. પરંતુ શહેરથી 17 કિમી પહેલા સવારે 6.30 વાગ્યે કાફલાની એક ગાડી પલટી ખાઈ ગઈ હતી.
વિકાસ એ જ ગાડીમાં બેઠો હતો. દુર્ઘટના પછી પોલીસ ટીમ પાસેથી પિસ્તોલ છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તો સામે પોલીસની કાર્યવાહીમાં તે ઘાયલ થયો હતો. તેને છાતી અને કમરના ભાગે બે ગોળી વાગી છે. ત્યારપછી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેને સવારે 7 વાગ્યેને 55 મિનિટ પર મૃત જાહેર કરાયો હતો. જો કે, હાલ પોલીસનું સત્તાવાર નિવેદન આવ્યું નથી. વિકાસ દુબેને ગુરુવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરથી ઝડપ્યો હતો.
ભારે વરસાદના કારણે ગાડી પલટી, બે જવાન પણ ઘાયલ
દુર્ઘટના અંગે UP એસટીએફના અધિકારી પણ કંઈ કહેતા નથી. માનવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદના કારણે ગાડી પલટી હતી. એન્કાઉન્ટરમાં STFના બે જવાનોના ઘાયલ થવાના સમાચાર છે, પરંતુ તેની પુષ્ટી થઈ નથી.
ઉજ્જૈનમાં ધરપકડ વખતે બૂમો પાડતો હતો હિસ્ટ્રીશીટર-વિકાસ દુબે છું, કાનપુર વાળો
વિકાસ દુબેની ગુરુવારે સવારે ઉજ્જૈન મંદિરમાં લગભગ 9 વાગ્યે ધરપકડ કરાઈ હતી. ગભરાયેલો હિસ્ટ્રીશીટર ધરપકડ વખતે બૂમો પાડી રહ્યો હતો કે હું વિકાસ દુબે છું, કાનપુર વાળો. ત્યારપછી પોલીસ તેને મહાકાલ પોલીસ સ્ટેશન, પોલીસ કંટ્રોલ રૂમ, નરવર પોલીસ સ્ટેશન અને પોલીસ ટ્રેનિંગ સેન્ટર લઈ ગઈ હતી. અહીંયા તેની સાથે લગભગ 2 કલાક પુછપરછ કરવામાં આવી હતી. આ સાથે જ સમાચાર આવી રહી છે કે વિકાસની પત્ની રિચા અને તેના દીકરા અને નોકરની લખનઉમાં અટકાયત કરાઈ છે.
8 દિવસમાં વિકાસ દુબે સહિત તેની ગેંગના 6 બદમાશોનું એન્કાઉન્ટર
કાનપુર શૂટઆઉટ કેસમાં અત્યાર સુધી શું થયું?
1. એન્કાઉન્ટરનો ડર
લગભગ અઢી સો વર્ષ પહેલા ઇટલીના મહાના ક્રિમિનોલોજિસ્ટ શેજારે કહ્યું હતું કે ડર તેનાથી પેદા નથી થતો કે સજા કેટલી આકરી છે. ડર ત્યારે પેદા થાય છે જ્યારે એ ખબર હોય કે હવે સજા મળવાનું નક્કી છે. ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર વિકાસ દુબેના કેસમાં પણ આવુ જ થયું. સાત દિવસમાં તેના પાંચ સહયોગીઓને ઠાર કરવામા આવ્યા. એવું લાગતું હતું કે વિકાસનું પણ એન્કાઉન્ટર નક્કી છે પરંતુ થયું તેનાથી ઉલટું. ફૈસલા ઓન ધ સ્પોટના ડરથી વિકાસ દુબેએ સમજી વિચારીને સરેન્ડર કરી દીધું
ઉત્તરપ્રદેશથી લઇને મધ્યપ્રદેશની પોલીસ અને બન્ને રાજ્યોના કેટલાય મંત્ર અને મુખ્યમંત્રી પણ એ જ કહે છે કે ઉજ્જૈનમાં મહાકાના દર્શન કરવા આવેલા વિકાસની ધરપકડ કરવામા આવી હતી. આ લોકો ભલે ગમે તે કહે , લોકો તેને સરેન્ડર જ માને છે. કારણ કે જે ગુનેગાર ચંબલના ડાકુઓથી પણ ખતરનાક હોય અને બાળપણમાં તેના પ્રિન્સિપાલનું ખૂન કરી નાખ્યું હોય, 60થી વધુ કેસ દાખલ હોય તે ચાર રાજ્યો થઇને મહાકાલના દર્શન કરવા તો ન જ આવ્યો હોય. અને તે ખાલી હાથે સિક્યોરિટી ગાર્ડની પકડમાં પણ ન આવે.
આ ઘટનાક્રમથી ખાદી અને ખાખી વચ્ચે મિલિભગત હોવાની ગંધ આવે છે. કોંગ્રેસને પણ બેઠા બેઠા મુદ્દો મળી ગયો. તેની આગેવાની દિગ્વિજય સિંહે કરી. તેને પ્રાયોજિત સરેન્ડર કહ્યું અને તેનો શ્રેય મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને આપી દીધો. છેલ્લે કહ્યું કે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી સમયે નરોત્તમ મિશ્રા કાનપુર જિલ્લાના પાર્ટી પ્રભારી હતા.
2. બિહારના સાત જિલ્લામાં આજથી લોકડાઉન, એક જિલ્લામાં પહેલાથી લાગૂ
બિહારના સાત જિલ્લાઓમાં આજથી લોકડાઉન લાગૂ થઇ જશે. પટના અને પૂર્ણિયામાં આજથી 16 જુલાઇ સુધી લોકડાઉન રહેશે. નવાદા અને બક્સરમાં 12 જુલાઇ સુધી પ્રતિબંધો રહેશે. ખગડિયા અને મોતિહારીમાં 14 જુલાઇ અને કૈમૂરમાં 17 જુલાઇ સુધી લોકડાઉન રહેશે. ભાગલપુરમાં 9 જુલાઇથી લોકડાઉન શરૂ થઇ ગયું છે જે 16 જુલાઇ સુધી ચાલશે.
આ દરમિયાન બિનજરુરી સામાનોની દુકાનો બંધ રહેશે. કોરોના બ્લાસ્ટના લીધે આ નિર્ણય લેવામા આવ્યો છે. બિહારમાં બુધવારે એક જ દિવસમાં સૌથી વધુ 749 નવા કેસ સામે આવ્યા હતા. તેનાથી રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 13 હજાર પાર થઇ ગઇ છે.
3. ભારત-ચીન વચ્ચે આજે ફરી વાતચીત
એવું કહેવાય છે કે ગલવાન ઘાટી હવે ખાલી થઇ ગઇ છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગત મહિને અહીં અથડામણ થઇ હતી. ચીનની આર્મી બે કિલોમીટર પાછળ જતી રહી છે. પેટ્રોલિંગ પોઇન્ટ 15 અને 17-એ પરથી પણ આર્મી દૂર કરવા સહમતિ બની હતી. બન્ને દેશો વચ્ચે શુક્રવારે ફરી વર્ચ્યુઅલ મીટિંગ થશે. તેમાં પેંગૌંગ ઝીલ અને ડેપસાંગ વિસ્તારમાંથી આર્મી હટાવવા અંગે ચર્ચા થવાની શક્યતા છે.
4. પીસીબીની હાલત ખરાબ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની હાલત ખરાબ છે. તેને અત્યારે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે સ્પોન્સર પણ નથી મળી રહ્યું. તેનાથી ખેલાડીઓની મેચ ફી પર અસર પડશે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટની સીરીઝ 5 ઓગસ્ટથી શરૂ થઇ રહી છે. પીસીબીનું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ અત્યારસુધી માત્ર એક જ બિડર શોધી શક્યું છે. તેણે પણ અગાઉની ડીલથી 30 ટકા ઓછી રકમ આપવાની વાત કહી છે. અગાઉની ડીલ કેટલી હતી તે અંગે કોઇ જાણકારી નથી. હવે પાકિસ્તાનના ખેલાડીઓ તેમની જર્સી પર શાહિદ અફરીદી ફાઉન્ડેશનનો લોગો લગાવીને રમશે. આ ફાઉન્ડેશન ચેરિટી પાર્ટનર છે. તેથી તેમાં બોર્ડને કોઇ પૈસા નહીં મળે
5. આજનો દિવસ કેવો રહેશે
આજે શુક્રવાર છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજે સૂર્ય અને ચંદ્ર એવા સ્થાને છે કે સૌભાગ્યનો યોગ બની રહ્યો છે. તેની અસર સાત રાશિઓ પર છે. સિંહ, કન્યા, વૃશ્વિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે આજનો દિવસ જોબ અથવા બિઝનેસમાં સારો રહી શકે છે. પરંતુ મેષ, વૃષભ, મિથુન, કર્ક અને તુલા રાશિના લોકોને આખો દિવસ સાચવીને રહેવું પડશે.
6. સેમસંગની પહેલી મેડ-ઇન-ઇન્ડિયા સ્માર્ટવોચ
સેમસંગે તેની પહેલી મેડ-ઇન-ઇન્ડિયા સ્માર્ટવોચ ગેલેક્સી વોચ એક્ટિવ 2 4G એલ્યુમીનિયમ એડિશન લોન્ચ કરી છે. તેની કિંમત 28490 રૂપિયા છે. તે 11 જુલાઇથી રિટેલ સ્ટોર્સ પર ઓનલાઇન મળશે. કંપનીનો દાવો છે કે હવે તે સંપૂર્ણ સ્માર્ટવોચનો પોર્ટફોલિયો ભારતમાં જ તૈયાર કરશે.