
from India Today | Top Stories https://ift.tt/3dbfXxA
હિમાચલપ્રદેશમાં કોરોના કિટની ખરીદીના કૌભાંડમાં નામ ઉછળ્યા બાદ સત્તારૂઢ ભાજપના પ્રદેશપ્રમુખ ડૉ. રાજીવ બિંદલે બુધવારે રાજીનામું આપ્યું. કોરોના સંકટમાં ભ્રષ્ટાચારના આરોપસર દેશમાં પહેલી વાર કોઇ પક્ષપ્રમુખે પદ છોડવું પડ્યું છે. કોરોનાથી બચાવ માટેનાં ઉપકરણોની ખરીદીના બદલામાં સપ્લાયર પાસેથી 5 લાખ રૂ. લાંચ માગવાના આરોપસર વિજિલન્સે 21 મેએ રાજ્યના હેલ્થ ડાયરેક્ટર ડૉ. અજયકુમાર ગુપ્તાની ધરપકડ કરી હતી. 43 સેકન્ડનો એક ઓડિયો વાઇરલ થયા બાદ આ કાર્યવાહી કરાઇ હતી.
ધારાસભ્ય સહિત ભાજપના કેટલાક નેતાઓનાં નામ ઉછળ્યા
વિજિલન્સની અત્યાર સુધીની તપાસમાં સરકાર અને ભાજપના કોઇ નેતાનું નામ પ્રત્યક્ષ રીતે જોડાયું નથી પણ પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા ડૉ. બિંદલ સહિત ભાજપના કેટલાક નેતાઓનાં નામ ઉછળી રહ્યાં હતાં. વિપક્ષ પણ તેમના પર સતત પસ્તાળ પાડી રહ્યો હતો. ડૉ. ગુપ્તાની ધરપકડના અઠવાડિયા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાને પાઠવેલા રાજીનામામાં ડૉ. બિંદલે કહ્યું છે કે તેઓ નૈતિકતાના ધોરણે પદ છોડી રહ્યા છે, જેથી કોઇ દબાણ વિના કૌભાંડની તપાસ થઇ શકે.
મુખ્યમંત્રીએ કહ્યું- રાજીનામા અંગે ટિપ્પણી કરવી યોગ્ય નથી
હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે, રાજીનામા અંગે ટિપ્પણી કરવી યોગ્ય નથી. વારંવાર આક્ષેપો કરાય તેના કરતા સારું છે કે તેમણે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દીધું. આ કૌભાંડમાં જે કોઇ દોષિત જણાશે તેમની સામે કડક કાર્યવાહી કરાશે.
વિપક્ષે કહ્યું- રાજીનામું કૌભાંડમાં મોટા નેતાની સંડોવણી દર્શાવે છે
વિપક્ષ નેતા મુકેશ અગ્નિહોત્રીએ કહ્યું કે કોરોના કિટ ખરીદીમાં દાળમાં કંઇક કાળું હતું, જેથી ભાજપના પ્રદેશપ્રમુખે રાજીનામું આપવું પડ્યું. મહામારીમાં આવું કૌભાંડ ભાજપનું અસલ ચરિત્ર બેનકાબ કરી રહ્યું છે. રાજીનામાથી સાબિત થઇ ગયું કે કૌભાંડમાં ભાજપના મોટા નેતાઓનો હાથ છે.
ડબ્લ્યૂએચઓએ કોવિડ-19ની જેમ સ્વાઈન ફ્લૂને પણ 2009માં મહામારી જાહેર કરી હતી અને ભારતમાં 2009 અને 2014માં બંને વર્ષે 2500 મૃત્યુ દેશભરમાં થયાં હતાં પણ આ વખતે કોવિડ-19માં સરકાર એવી ગૂંચવાઈ છે કે સ્વાઈન ફ્લૂ જેવી ઘાતક બીમારીને પણ ભૂલી ગઈ. એ સાબિત થાય છે કે સ્વાસ્થ્ય વિભાગના આંકડાથી. ગત વર્ષે ગુજરાતમાં જ્યાં સ્વાઈન ફ્લૂના 4844 પોઝિટિવ દર્દી મળ્યા અને 151 મૃત્યુ થયાં ત્યાં ચાલુ વર્ષે ફક્ત જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફક્ત 19 પોઝિટિવ મળ્યા અને મૃત્યુ એક પણ થયું નથી. માર્ચ, એપ્રિલ અને મેમાં દર્દી મળવાના પણ બંધ થઇ ગયા. જોકે ગત વર્ષે આ છ મહિનામાં જ ગુજરાતમાં 1223 પોઝિટિવ દર્દી મળ્યા હતા.
કંઈક આ પ્રકારનો મામલો ડેન્ગ્યૂનો પણ છે. ગત વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધી રાજ્યમાં જ્યાં ડેન્ગ્યૂના 14 હજાર 835 દર્દી મળ્યા હતા ત્યાં ચાલુ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફક્ત 1236 કેસ સામે આવ્યા પછી માર્ચ, એપ્રિલ અને મેનો કોઈ ડેટા નથી. ડેન્ગ્યૂથી મૃત્યુ પણ ચાલુ વર્ષે અત્યાર સુધી રિપોર્ટ થયો નથી. મોટો સવાલ તો એ પણ છે કે એવું તો નથી કે સમાન લક્ષણ હોવાને કારણે સ્વાઈન ફ્લૂના દર્દીઓને પણ કોરોનાની જ સારવાર અપાઈ રહી છે. જોકે મેડિકલ એક્સપર્ટ તેનાથી ઈનકાર પણ નથી કરી રહ્યા.
મોટો સવાલ: કેમ કે સ્વાઈન ફ્લૂનાં લક્ષણ પણ કોરોના જેવાં જ છે, ડેન્ગ્યૂમાં પણ તાવ આવે છે તો ક્યાંક આ દર્દીઓને પણ કોરોનાની સારવાર નથી અપાઈ રહી; માર્ચ, એપ્રિલ અને મેમાં ન તો સ્વાઈન ફ્લૂ-ડેન્ગ્યૂની તપાસ થઈ, ન તો દર્દી દાખલ થયા
સ્વાઈન ફ્લૂ : 2019માં એકલા સ્વાઈન ફ્લૂના 4,844 કેસ સામે આવ્યા હતા જેમાં 151 મૃત્યુ થયાં હતાં. જ્યારે 2018માં 2,169 કેસ સામે આવ્યા હતા. જેમાં 97નાં મોત થયા હતા.
ગત વર્ષે આ છ મહિનામાં 1,200થી વધુ સ્વાઈન ફ્લૂ પોઝિટિવ કેસ નોંધાયા હતા
મહિનો | 2018 | 2019 | 2020 |
જાન્યુઆરી | 180 | 403 | 12 |
ફેબ્રુઆરી | 150 | 380 | 7 |
માર્ચ | 120 | 320 | 0 |
એપ્રિલ | 50 | 60 | 0 |
મે | 40 | 60 | 0 |
ડેન્ગ્યૂ: કોરોનાના સમયમાં સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યૂના કેસો જાણે ગાયબ થઇ ગયા છે. માર્ચથી મે સુધી 0 કેસ મળ્યા છે. ડેન્ગ્યૂના કેસ પણ એકલ- દોકલ આવ્યા. પરંતુ તેનો ઉલ્લેખ સરકારી ડેટામાં નથી. ગત વર્ષે ડેન્ગ્યૂના 14,000થી વધુ કેસો મળ્યા હતા. આ વર્ષે માત્ર 12
2016 | 8028 |
14 |
2017 | 4753 | 6 |
2018 | 7579 | 5 |
2019 | 14835 | 6 |
2020 (જાન્યુ., ફેબ્રુઆરી) | 1236 | 0 |
લક્ષણ હોવા છતાં તપાસ કોવિડની જ કરી રહ્યા છે
શરદી-ઉધરસ તાવ અને શ્વાસની સમસ્યાવાળા દર્દીઓને કોરોના શકમંદ માની માત્ર કોવિડ-19નો જ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. પોઝિટિવ આવતા કોવિડની ગાઇડલાઇન મુજબ સારવાર થાય છે. નેગેટિવ આવતા શકમંદ માની સારવાર કરે છે. જ્યારે ડોક્ટર જણાવે છે કે એવાં જ લક્ષણ સ્વાઇન ફ્લૂના પણ હોય છે. તાવ જેવી સ્થિતિ ડેન્ગ્યૂમાં પણ હોય છે.
મનપાનો તર્ક-ગરમી હોવાથી આ સમય સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યૂનો નથી
શહેરમાં કોરોનાના 1400 સુધી કેસો આવી ચૂક્યા છે. કોરોના શરૂ થતાં જ મનપાએ માત્ર કોરોના પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. સરકારી રેકોર્ડમાં માર્ચમાં ડેન્ગ્યૂના 7 કેસ આવ્યા. ત્યાર બાદ અત્યાર સુધી ડેન્ગ્યૂ અને સ્વાઇન ફ્લૂનો એક પણ કેસ સરકારી ડેટામાં નથી. મનપા આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. કેતન ચોકસી જણાવે છે કે આ સમય સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યૂની સિઝનનો નથી. વરસાદથી શિયાળા સુધી તેની અસર હોય છે. ગરમીમાં સમાપ્ત થઇ જાય છે.
કોવિડનું દબાણ એટલું કે સ્વાઇન ફ્લૂ-ડેન્ગ્યૂની તપાસ જ બંધ
સિવિલ હોસ્પિટલની માઇક્રોબાયોલોજિકલ લેબમાં માત્ર કોવિડ-19નો જ ટેસ્ટ થાય છે. આ જ લેબમાં સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ થતો હતો પરંતુ કોરોના શરૂ થવાના થોડા દિવસ બાદ આ લેબને કોવિડ ટેસ્ટ માટે શરૂ કરી દીધી. માઇક્રોબાયોલોજી વિભાગના એક પ્રોફેસરનું કહેવું છે કે કોરોનાના ટેસ્ટમાં જ સ્ટાફની અછત થઇ જાય છે તો સ્વાઇન ફ્લૂ ટેસ્ટ મુશ્કેલ છે. છતાં ડોક્ટર તપાસ માટે સેમ્પલ આપશે તો ટેસ્ટ કરવામાં આવશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેની ડિજિટલ અને ટેલિકોમ્યુનિકેશન સહાયક કંપની જિયો પ્લેટફોર્મ્સનું વિદેશી બજારમાં લિસ્ટિંગ કરાવવાના પ્રયાસમાં છે. સૂત્રો મુજબ મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ અમેરિકી શેરબજાર નેસ્ડેકમાં જિયોનું લિસ્ટિંગ કરાવવા ઈચ્છે છે. ગત એક મહિનામાં પાંચ ગ્લોબલ પ્લેયર્સે જિયો પ્લેટફોર્મ્સમાં 17.12 ટકાની ભાગીદારી 78,562 કરોડ રૂપિયામાં ખરીદી હતી. વર્તમાન સમયમાં કંપનીની વેલ્યૂએશન 4.91 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ વિદેશી રોકાણ પછી રિલાયન્સ 2021 સુધીમાં જિયોનો આઈપીઓ લાવવા ઈચ્છે છે.
5 વિદેશી રોકાણકારોની 17.52%ની ભાગીદારી
ગત 1 મહિનામાં 5 ગ્લોબલ પ્લેયર્સે જિયો પ્લેટફોર્મ્સમાં 17.12%ની ભાગીદારી ખરીદી હતી. સૌથી મોટી ભાગીદારી ફેસબુકે 22 એપ્રિલે 9.99% હિસ્સો ખરીદયો હતો. તે પછી સિલ્વર લેક, વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક અને કેકેઆરએ 7.24%ની ભાગીદારી ખરીદી છે. દરેકનો 1.15%થી લઈને 2.23%નો હિસ્સો છે.
કોરોના મહામારીના પગલે રાજ્યમાં લગ્નની સિઝન ખોરવાઈ ગઈ છે. રાજ્યમાં એપ્રિલ-મે મહિના દરમ્યાન અંદાજે 30 હજારથી વધુ લગ્નો કેન્સલ થયા હતા. આ એવા લગ્નો હતા જેના માટે હૉલ બુક કરવામાં આવ્યા હતા. રાજ્યના હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશને આ જાણકારી આપી હતી. એસોસિયેશનના પ્રવકત્તા અભિજીત દેશમુખે જણાવ્યું હતું કે કોરોના કટોકટીના લીધે મોટાભાગના લગ્નો રદ થયા છે કે હાલ પૂરતા મોકૂફ થયાં છે. તેમણે જણાવ્યું હતું કે લગ્નો માટે માર્ચ અને એપ્રિલ પીક સિઝન છે. આ બે મહિનામાં લગ્નો માટે સૌથી વધારે બુકિંગ્સ નોંધાયા હતા.
અત્યારે કોર્ટમાં પરણીને બાદમાં ધામધૂમથી રિસેપ્શન યોજવાનો નિર્ણય
વેડિંગ પ્લાનર દેવાંગ શાહે જણાવ્યું હતું કે એવા ઘણા લગ્નો છે જે ધામધૂમથી મોટાપાયે કરવાના આયોજન થયાં હતા પણ કોરોના મહામારીના પગલે માત્ર 10 લોકોની હાજરીમાં લગ્ન આટોપી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે 18 મે પછી છૂટછાટો આપવામાં આવી હતી પણ હોટેલ, પાર્ટી વેન્યૂને છૂટછાટનો લાભ મળ્યો ન હોવાથી લગ્નો આયોજીત કરી શકાયા નહોતા. ઘણા લોકોએ ધામધૂમથી લગ્ન કરવાને બદલે કોર્ટ મેરેજ કરવાનું પસંદ કર્યું હતું. તેમણે અત્યારે કોર્ટમાં પરણીને બાદમાં ધામધૂમથી રિસેપ્શન યોજવાનો નિર્ણય લીધો છે.
‘લગ્નમાં માસ્ક પહેરીને ફોટો પડાવવા કોને ગમે?’
વેડિંગ પ્લાનર શાહે ઉમેર્યું હતું કે મોટાભાગના લગ્નો હાલ મોકૂફ રાખીને ડિસેમ્બર કે જાન્યુઆરીમાં નક્કી થયાં છે. જે લોકો રાહ જોઈ શકે એમ નહોતા તેમણે માત્ર પરિવારજનોની હાજરીમાં સાદાઈથી લગ્ન કરી લીધાં છે. ડેકોરેટર અને કેટરર અમલ ગાંધીએ કહ્યું હતું કે અમે ઘણા લોકોને માત્ર 50 સ્વજનોની હાજરીમાં લગ્ન આયોજીત કરવા જણાવ્યું હતું પણ બહુ ઓછો લોકો આ માટે તૈયાર થયા હતા. ગાંધીએ કહ્યું હતું કે લગ્નમાં ચહેરા પર માસ્ક પહેરીને ફોટો પડાવવા કોને ગમતા હોય? એટલું જ નહીં માત્ર 50 લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ મુશ્કેલ હોય છે. ઓછા લોકો હોવાથી આયોજન સરળ નથી રહેતું. આ જ કારણોસર મોટાભાગના લોકોએ લગ્ન મોકૂફ રાખ્યાં હતા.
સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો હતો કે, ખાનગી અથવા કોર્પોરેટ હોસ્પિટલોને જે તે સમયે સરકારે મફત અથવા ટોકન ભાડાથી ખૂબ મોટી જમીનો ફાળવી હતી તે હોસ્પિટલો હાલની વિકટ પરિસ્થિતિમાં શું કોરોનાના દર્દીઓને મફત અથવા રાહત દરે સારવાર ના આપી શકે? સર્વોચ્ચ અદાલતે આવી તમામ હોસ્પિટલોની યાદી તૈયાર કરવા સરકારને જણાવ્યું છે તેમજ એક અઠવાડિયામાં આ અંગેનો જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
અમદાવાદમાં આવી પાંચ હોસ્પિટલો ધ્યાને આવી
અમદાવાદ સહિત ગુજરાતમાં પણ ઘણી ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો છે જેને સરકાર દ્વારા જે તે સમયે ખૂબ મોટી જગ્યાઓ નજીવી કિંમતે ફાળવી હતી. એસ.જી. હાઈવે પરની મોટાભાગની હોસ્પિટલોને સરકાર દ્વારા મોકાની જગ્યાએ જમીન અપાઈ છે. સામાજિક અને સખાવતી તથા આરોગ્યના હેતુ માટે 50 ટકા રાહત દરે જમીન આપવાની સરકારી જોગવાઈ છે. કેટલાક ખાસ કિસ્સામાં ટોકન દરે પણ જમીન ફાળવવામાં આવતી હોય છે. અમદાવાદમાં આવી પાંચ હોસ્પિટલો ધ્યાને આવી છે જેને રાજ્ય સરકાર દ્વારા મફત અથવા ટોકન ભાડાથી જમીન ફાળવી છે. કેટલાક કિસ્સાઓમાં સરકાર દ્વારા હોસ્પિટલોને સ્ટેમ્પ ડ્યુટી અને એફએસઆઈમાં જે તે સમયે રાહત આપવામાં આવેલી છે. તો કેટલાકને બાંધકામના નિયમોમાં વિશેષ લાભ અપાયો છે. લોકોમાં ચર્ચા છે કે, સરકાર પાસેથી મોકાની અને કરોડો રૂપિયાની જમીન મેળવતી આ હોસ્પિટલો કોરોનાની કપરી પરિસ્થિતિમાં ગરીબ દર્દીઓ માટે મફત સારવાર ન આપી શકે.અમદાવાદની 5 ખાનગી હૉસ્પિટલોને સસ્તી જમીનો આપી હતી, તો શું સરકાર તેમને ફ્રીમાં સારવાર કરવા જણાવશે?
સરકાર પાસેથી રાહત દરે જમીન મેળવનાર અમદાવાદની 5 મોટી હૉસ્પિટલ
હૉસ્પિટલ | કોવિડ બેડ | સરકારી જમીનનો લાભ |
જીવરાજ મહેતા હૉસ્પિટલ | 100 | કોર્પોરેશન દ્વારા જગ્યા અપાઈ |
રાજસ્થાન હૉસ્પિટલ | 25 | રાહત દરે જમીન મળી |
સ્ટર્લિંગ હૉસ્પિટલ | 100 | રાહત દરે જમીન |
એપોલો હૉસ્પિટલ, ભાટ | 50 | સરકારી જમીનનો લાભ મળ્યો |
જીસીએસ હૉસ્પિટલ | 180 | 1 રૂપિયાના ભાડા પટ્ટે જમીન |
નિયત કરેલા રેટ પ્રમાણે જ બિલિંગ થાય છે
હોસ્પિટલમાં અમારા એક પણ નવા દર્દીને દાખલ કરતા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી રીફર થઈને આવતા દર્દીઓ માટે તમામ બેડ રિઝર્વ રખાયા છે. દર્દી પાસે એક પણ રૂપિયો ચાર્જ લેવાતો નથી. સરકારે નિયત કરેલા રેટ પ્રમાણે બિલિંગ થાય છે. હાલ રાષ્ટ્રીય આપત્તી જેવી સ્થિતિ છે જેમાં દરેક હોસ્પિટલે સહકાર આપવો જરૂરી છે.- નમિષા ગાંધી, વાઈસ પ્રેસિડન્ટ – સ્ટર્લિંગ હોસ્પિટલ
AMCની ગાઈડલાઈન પ્રમાણે 25 બેડ રિઝર્વ રાખ્યા
નિયત નિયમોને આધિન રાજસ્થાન હોસ્પિટલના 25 બેડ કોવિડના દર્દીઓ માટે રિઝર્વ રાખવામાં આવેલા છે. સરકારે રાજસ્થાન હોસ્પિટલને જમીન આપી છે, પણ તે ક્યારે આપી છે તે જોવું પડશે.- પૃથ્વિરાજ કાંકરીયા, ટ્રસ્ટી –રાજસ્થાન હોસ્પિટલ
25 બેડનો સરકારી, 25 બેડનો હોસ્પિટલ રેટ વસૂલાશે
કોવિડના દર્દીઓ માટે 50 બેડ રિઝર્વ રછે. આ કુલ બેડ પૈકી 25નો ચાર્જ સરકારી રેટ મુજબ અને 25નો હોસ્પિટલ રેટ મુજબ ચાર્જ વસુલાય છે. આ અંગે કલેક્ટરને જાણ કરવામાં આવેલી છે.- સંદિપ જોષી, ડેપ્યુટી જનરલ મેનેજર, એપોલો હોસ્પિટલ ભાટ
કોર્પોરેશન દ્વારા જીવરાજ મહેતા હોસ્પિટલને જગ્યા અપાઈ હતી. હોસ્પિટલ તરફથી ચાર્જ વસૂલાતો નથી. ક્ષિતિશ મદનમોહન – સેક્રેટરી, જીવરાજ મહેતા હોસ્પિટલ-જીસીએસ હોસ્પિટલ
સરકારે અમદાવાદની હોસ્પિટલો માટે નિયત કરેલો રેટ
સર્વિસ | સિલિંગ રેટ | AMC દ્વારા નિર્ધારીત રેટ |
વોર્ડ | 10000 | ખાલી બેડ - દર્દી સાથે બેડ 720 - 4500 |
HDU (હાઈ ડિપેન્ડન્સી યુનિટ) | 14000 | 1080 - 6750 |
આઈસોલેશન+ICU | 19000 | 1440 - 9000 |
વેન્ટિલેશન+આઈસોલેશન+ICU | 23000 | 1800 - 11250 |
નોંધઃ ઉપરોક્ત રેટ AMC દ્વારા એક દિવસ માટે નિયત કરેલા છે. તેમાં દવાનો ખર્ચ, ડૉક્ટરની વિઝિટ ચાર્જ સામેલ નથી. હૉસ્પિટલો સિલિંગ રેટ મુજબ ચાર્જ વસૂલી શકે છે.
સુપ્રીમના નિર્દેશ બાદ સુરતની 95 હૉસ્પિટલો તંત્ર સાથે બેઠક કરશે
સુપ્રીમ કોર્ટના નિર્દેશને પગલે સુરત શહેર-જિલ્લાની 15 બેડથી વધુની 95 જેટલી હોસ્પિટલો સાથે તંત્રની બેઠક યોજાશે. સુરતમાં હાલ 2200 બેડની સુવિધાઓ છે. ભાવિ જોખમોને ધ્યાનમાં રાખીને આવાનારા દિવસમાં શહેર અને જિલ્લાની 15 બેડ કે તેથી વધુની 95 હોસ્પિટલોનો સંપર્ક કરવામાં આવશે. સ્મીમેરના 543 બેડનો ઉપયોગ શરૂ થયો નથી.
અનેક હૉસ્પિટલોને મફતમાં કે રાહત દરે જમીનો આપવામાં આવી છે આવી ચેરિટેબલ હૉસ્પિટલોએ કોરોના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવી જોઈએ. સરકાર હવે આવી હૉસ્પિટલોને શોધી કાઢે. - સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેના વડપણ હેઠળની બેન્ચ
સુપ્રીમ કોર્ટે બુધવારે એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટમાં મિડલ સીટ બુક કરવાને લગતા કેસમાં તેના આદેશમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે સોમવારે બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે ચીફ જસ્ટીસ એસએ બોબડેની બનેલી ખંડપીઠે તાત્કાલિક સુનાવણી કરી હતી. તે સમયે કોર્ટે એર ઈન્ડિયાને વિદેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે 6 જૂન સુધી મિડલ સીટનું બૂકિંગ કરવા પરવાનગી આપી હતી.બોમ્બે હાઈકોર્ટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે એર ઈન્ડિયાને ગત સપ્તાહ આદેશ આપ્યો હતો કે વિદેશોથી આવી રહેલી ફ્લાઈટમાં મિડલ સીટ ખાલી રાખવામાં આવે. એર ઈન્ડિયા અને સરકારે હાઈકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકાર્યો હતો.6 જૂન બાદ હાઈકોર્ટનો અંતરિમ આદેશ માનવો પડશેઃ સુપ્રીમ કોર્ટ
સર્વોચ્ચ અદાલતે સોમવારે જારી એક આદેશમાં કહ્યું હતું કે અમે હાઈકોર્ટના વચગાળાના આદેશમાં દરમિયાનગીરી કરવા ઈચ્છતા નથી. પણ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ વિદેશોમાં ફસાયેલા ભારતીયોને જે મુશ્કેલી પડી રહી છે તે અંગે જાણકારી આપી છે. યાત્રીઓને માન્ય ટિકિટ જારી કરવામાં આવેલ છે. આ સંજોગોમાં હાઈકોર્ટના આદેશથી લોકોને ઘણી મુશ્કેલી પડશે.
માટે 10 દિવસ માટે એર ઈન્ડિયાને મિડલ સીટ બૂકિંગની પરવાનગી આપવામાં આવે છે. એટલે કે 6 જૂન સુધી એર ઈન્ડિયા મિડલ સીટ પર યાત્રીઓને લાવી શકાશે. પણ, ત્યારબાદ સરકાર અને એરલાઈન કંપનીએ બોમ્બે હાઈકોર્ટના વચગાળાના આદેશને માનવો પડશે. આ અંગે બોમ્બે હાઈકોર્ટમાં બે જૂનના રોજ હવે પછીની સુનાવણી થશે.
બોમ્બે હાઈકોર્ટમાં 2 જૂનના રોજ હવે પછીની સુનાવણી
સુપ્રીમ કોર્ટે સોમવારે થયેલી સુનાવણી દરમિયાન સરકારી એરલાઈન કંપનીને સલાહ આપી હતી કે સુરક્ષા સંબંધમાં તેમણે હાઈકોર્ટના આદેશને માનવો જોઈએ. સાથે એમ પણ કહ્યું કે જ્યાં સુધી કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, ત્યાં સુધી DGCA કોમર્શિયલ વિચાર કરવાને બદલે લોકોના આરોગ્ય અને સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવાના નિયમોમાં ફેરફાર કરી શકે છે.
ઇન્ડિગોના પ્લેનમાં સોમવારે ચેન્નઈથી કોઇમ્બતૂર પહોંચેલો 24 વર્ષનો યુવક કોરોના સંક્રમિત હોવાનો ઘટસ્ફોટ થયો છે. એ પછી ઇન્ડિગોની ફ્લાઇટના તહેનાત તમામ ક્રૂ મેમ્બર્સને ડ્યુટી પરથી હટાવીને 14 દિવસ માટે ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યાં હતાં. ફ્લાઇટમાં સવાર અન્ય પ્રવાસીઓને પણ આ સૂચના આપવામાં આવી છે.
સોમવારે ચેન્નઈ, દિલ્હીથી 130 પ્રવાસીઓ કોઇમ્બતૂર પહોંચ્યા
એરલાઇન્સના જણાવ્યા પ્રમાણે સંક્રમિત યુવકે અન્ય પ્રવાસીઓની જેમ ફેસ શિલ્ડ, માસ્ક તથા ગ્લવ્સ પહેર્યા હતા. તેની આસપાસ કોઈ બેઠું નહોતું. સોમવારે ચેન્નઈ, દિલ્હીથી 130 પ્રવાસીઓ કોઇમ્બતૂર પહોંચ્યા હતા. તમામ પ્રવાસીઓની તપાસ કરવામાં આવી હતી. 24 વર્ષના યુવકનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. સંક્રમિત થયેલો યુવક ચેન્નઈની એક ફાઇવસ્ટાર હોટેલમાં સર્વિસ વિંગમાં કામ કરતો હતો.
ભાસ્કર સવાલ
દરેક જગ્યાએ ડિસ્ટન્સિંગ હોય તો પ્લેનમાં ખભેખભા મિલાવીને કેમ બેસાડાય છે?
કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય સોશિયલ ડિસ્ટન્સિંગ છે. એરપોર્ટમાં પ્રવેશવાથી લઈને પ્લેનમાં બેસવા સુધી દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાય છે તો વિમાનમાં વચ્ચેની સીટ કેમ ખાલી નથી રાખવામાં આવતી? પ્રવાસીઓને એકમેકના ખભા અડે એ રીતે કેમ બેસવા દેવાય છે? તેના લીધે સોશિયલ ડિસ્ટન્સિંગ ઔપચારિકતા બનીને રહે છે.
બીજા દિવસે પણ ફ્લાઇટ્સ રદ, પ્રવાસીઓને જાણ સુધ્ધાં નહીં
ફ્લાઇટ્સ શરૂ થયાના બીજા દિવસે પણ અનેક ફ્લાઇટ રદ થઈ હતી. આ અંગે કોઈ સૂચના નહીં મળવાથી પ્રવાસીઓ પરેશાન થયા હતા. દિલ્હી એરપોર્ટ પર સાંજ સુધીમાં 25 ફ્લાઇટ રદ થઈ હતી. ઘણા પ્રવાસીઓ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને આ અંગે ખબર પડી હતી.
લૉકડાઉન દરમિયાન ભારતીય બેન્કોએ તેમનાં નાણાં રિઝર્વ બેન્કમાં જમા કરાવી 23,500 કરોડ રૂ. વ્યાજ કમાઇ લીધું. એ પણ ત્યારે કે જ્યારે તેઓ વધુમાં વધુ લોન આપી શકે તે માટે રિઝર્વ બેન્કે રિવર્સ રેપો રેટ 20 વર્ષની સૌથી નીચી સપાટીએ લાવી દીધો છે. રિવર્સ રેપો રેટ એ એવો દર હોય છે કે જે દરે રિઝર્વ બેન્ક બેન્કોની તેની પાસે જમા રકમ પર વ્યાજ આપે છે.
બેન્કો લોન ડિફોલ્ટના ડરથી લોન આપવાનું ટાળી રહી છે
બ્રિકવર્ક રેટિંગ્સ રિપોર્ટ મુજબ બજારમાં રોકડનો પ્રવાહ વધારવા માટે રેટ કટની રિઝર્વ બેન્કની ફોર્મ્યૂલા બેકફાયર થઇ છે. વ્યાજદર ઘટવા છતાં બેન્કો લોન આપવાના બદલે પોતાનું ફંડ રિઝર્વ બેન્કમાં જમા કરાવી રહી છે. લૉકડાઉન દરમિયાન બેન્કો દ્વારા રિઝર્વ બેન્કમાં ફંડ જમા કરાવવાનું પ્રમાણ બમણું થઇ ગયું છે. 31 ડિસેમ્બર સુધીમાં 1.5 લાખ કરોડ રૂ. ફંડ જમા હતું, જે માર્ચ સુધીમાં વધીને 3.5 લાખ કરોડ રૂ. થઇ ગયું અને 21 મે સુધીમાં વધીને 7.2 લાખ કરોડ રૂ. થઇ ચૂક્યું છે. રિપોર્ટ મુજબ, હાલની સ્થિતિમાં બેન્કો લોન ડિફોલ્ટના ડરથી લોન આપવાનું ટાળી રહી છે. તાજેતરમાં એમએસએમઇ સંગઠનોએ બેન્કો સામે આક્ષેપ કર્યો હતો કે તેઓ લોન નથી આપી રહી. બીજી તરફ સરકારે પણ રાહત પેકેજમાં વધુમાં વધુ લોન આપવાના પગલાં લીધાં છે.
દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમના સંસ્થાપક અને સીઇઓ વિજય શેખર શર્માનું માનવું છે કે કોરોના મહામારીમાં પણ જળવાઇ રહેવા, વધુ મજબૂત બનવા માટે આપણે એક દેશના રૂપમાં સાથે આવવું પડશે. 1.22 લાખ કરોડની માર્કેટ વેલ્યૂવાળી કંપનીના સીઇઓ માને છે કે જ્યાં સુધી રસી ઉપલબ્ધ નથી થઇ જતી અને સંપૂર્ણ વસતીને લગાવવા જેટલું તેનું ઉત્પાદન થઇ નથી જતું ત્યાં સુધી સ્થિતિ પહેલાં જેવી નહીં થઇ શકે. તેમની સાથે વાતચીતના સંપાદિત અંશ...
સવાલ: તમારી ઇન્ડસ્ટ્રી પર કોરોનાની શું અસર થઇ? 2020-21 માટે બિઝનેસ પ્લાન કેટલો બદલાયો?
વિજય શેખર શર્મા: મને વિશ્વાસ છે કે ફાઇનાન્શિયલ ટેક્નોલોજી અને ડિજિટલ ઇકોનોમી કંપનીઓ કોવિડ-19 બાદની દુનિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અમે નાના દુકાનદારથી લઇ કરિયાણા સ્ટોર માલિકો, એસએમઇ સુધી બધાને ડિજિટલ રીતે બિઝનેસ કરવા જેવા કાબેલ બનાવવા માગીએ છીએ. આ મોટા પાયે અર્થતંત્રના વિકાસ માટે જરૂરી છે. અમે અમારા ઇન્ક્રીમેન્ટલ પ્લાનને ત્રણ મહિના સુધી લંબાવ્યો છે. અમારી ડિજિટલ ફર્સ્ટ સ્ટ્રેટેજીને કારણે આગામી ક્વાર્ટર બાદ ગ્રૂપ લેવલે અમને ચીજો સામાન્ય થતી સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે.
સવાલ: કોરોનાનો આ તબક્કો વીતી જશે તો વર્ક કલ્ચરમાં કેવા પ્રકારનાં પરિવર્તનની આશા છે?
વિજય શેખર શર્મા: વૈશ્વિક સ્તરે લોકો લાઇફસ્ટાઇલમાં ઘણા ફેરફાર અપનાવશે. આવનારા લાંબા સમય સુધી વર્ક પ્લેસ પર સોશિયલ ડિસ્ટન્સિંગ નોર્મ્સ હશે. કંપનીઓ બિઝનેસ ચલાવવા માટે ટેક્નોલોજી, વીડિયો કોલ્સ પર વધુ નિર્ભર થઇ જશે. કારણ કે કામ માટે યાત્રાઓ કરવામાં કાપ મુકાશે. વર્ક ફ્રોમ હોમ કોઇ પણ કંપનીનો મહત્વનો ભાગ હશે પરંતુ ઓફિસો જળવાઈ રહેશે. એક વખત સ્થિતિ સામાન્ય થઇ જશે તો મને વિશ્વાસ છે કે લોકો ફરી પોતાની ઓફિસોમાં પાછા ફરશે.
સવાલ: લૉકડાઉને તમારા પ્રોફેશનલ રુટિન પર કેવી અસર કરી? તમે કયા ફેરફારો અમલમાં મૂક્યા?
વિજય શેખર શર્મા: હાલના ફેરફારોનો સામનો કરવાનો સૌથી સારો ઉપાય રુટિનને કડકપણે ફોલો કરવાનું છે. હું પ્રયત્ન કરું છું કે સવારે વહેલો ઊઠવા, એક્સરસાઇઝ, યોગ્ય ખાણી-પીણી અને દિવસમાં મીટિંગ્સનું પ્લાનિંગ સુધીના પોતાના શિડ્યુલનું ચુસ્તપણે પાલન કરું. મેં પોતાને વર્ક ફ્રોમ રુટિનમાં એડજસ્ટ કર્યો છે. હું ટીમને 50 કરોડ ભારતીયોને અર્થતંત્રની મુખ્ય ધારામાં લાવવાના લક્ષ્ય તરફ પ્રેરિત કરવામાં લાગ્યો છું. હું વીડિયો કોલ, ઇ-મેલ દ્વારા ટીમ સાથે સતત સંપર્કમાં રહું છું. દર સપ્તાહે હોલ મીટિંગ કરું છું. લૉકડાઉન છતાં પેટીએમમાં હંમેશની જેમ કામ ચાલી રહ્યું છે.
સવાલ: તમારી કંપનીમાં હાલની સ્થિતિનો સામનો કરવા શું પગલાં લીધા છે?
વિજય શેખર શર્મા: એક કંપની તરીકે અમે એ પ્રોડક્ટ્સ પર કામ કરી રહ્યા છે, જે લોકોને બિઝનેસ ચલાવવામાં અને સફળતાથી આગળ વધવામાં મદદરૂપ થાય. દરેક ઉદ્યો માટે જરૂરી એ છે કે, આ કઠિન સમયમાં પોતાની વર્કફોર્સનું ધ્યાન રાખે, જેતી બધું સામાન્ય થાય ત્યારે તેઓ ઝડપથી અર્થતંત્રમાં યોગદાન આપવાની સ્થિતિમાં પાછા આવી જાય.
સવાલ: તમારા વ્યવસાય પર શૉર્ટ ટર્મ અને લોંગ ટર્મની અસર શું હશે?
વિજય શેખર શર્મા: શૉર્ટ ટર્મમાં તો ટ્રાવેલ અને ટિકિટ આધારિત ઈવેન્ટ્સ આયોજિત કરવાના બિઝનેસને માર પડશે. અમારું નાણાકીય સેવા પર ખાસ ફોકસ છે, જેમ કે અમે વીમો, પેટીએમ મની અને પેટીએમ પેમેન્ટ બેંકના માધ્યમથી બેંકિંગ સેવા સાથે જોડાયેલા છે. પેટીએમ મનીમાં અમારું વૉલ્યુમ સતત વધે છે. અમે કન્ટેન્ટ સ્ટ્રેટેજીમાં પણ મજબૂતીથી આગળ વધીએ છીએ અને અમારી ગેમિંગ કંપની પેટીએમ ફર્સ્ટ ગેમ્સ સારું કામ કરી રહી છે. ભવિષ્યમાં તેનું મોનિટાઈઝેશન પણ થશે.
આરોગ્યનું ધ્યાન, અર્થતંત્રને પાટા પર લાવવું બે મહત્ત્વપૂર્ણ જરૂરિયાતો
દેશને આગળ લાવવા માટે લોકોના આરોગ્યનું ધ્યાન રાખવું અને અર્થતંત્રને પાટા પર લાવવું બે મહત્વપૂર્ણ કાર્ય છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર પર ખાસ ધ્યાન આપવું પડશે. ફાઇનાન્શિયલ ટેક્નોલોજી સેક્ટર મોટા ભાગની સેવાઓને મજબૂત બનાવશે.
લૉકલ માટે વૉકલ સ્ટાર્ટઅપનું મોટું બજાર
લૉકલ માટે વૉકલ ચોક્કસપણે MSME-સ્ટાર્ટઅપ્સ માટે મોટું બજાર બનાવશે, જેનાથી મોટા પ્રમાણમાં રોજગાર સર્જાશે. આ સાથે ભવિષ્યમાં આજે જે નાની કંપનીઓ છે, તે મોટા પાયે સફળ થશે.
રાજ્યમાં હિટવેવની અસરોથી અમદાવાદ સહિત રાજ્યનાં 11 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી પાર કરી ગયો હતો. સમગ્ર રાજ્યમાં અમદાવાદની સાથે દરિયાકાંઠાના પોરબંદર અને ભાવનગર 43.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યાં છે. ત્યારે આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં રેડ એલર્ટ જારી કરાતા ગરમીનો કોપ યથાવત્ રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.0 ડિગ્રી વધુ
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.0 ડિગ્રી વધીને 43.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં દિવસ દરમિયાન ચાલુ રહેલા ગરમ પવનો બાદ બપોર પછી લોકોએ કાળઝાળ ગરમીની સાથે અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો. 28 મે બાદ અમદાવાદમાં ગરમીનું જોર ક્રમશ: ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અમદાવાદ, ભાવનગર અને પોરબંદરમાં 43.7 ડિગ્રી
હિટવેવની અસરોથી રાજ્યનાં 11 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં અમદાવાદ, ભાવનગર અને પોરબંદરમાં 43.7 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આગામી 48 કલાક માટે રાજ્યમાં રેડ એલર્ટ જારી કર્યું છે. ખાસ કરીને આગામી બે દિવસો સુધી રાજ્યનાં દક્ષિણ ગુજરાતનાં સુરત અને સૌરાષ્ટ્રનાં ભાવનગર અને દીવ જેવા વિસ્તારોમાં હિટવેવનું જોર યથાવત્ રહેશે. જ્યારે અન્ય વિસ્તારોમાં ગરમીનું જોર મધ્યમ રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ક્યાં કેટલી ગરમી
શહેર | તાપમાનડિગ્રી સેલ્સિયસ |
અમદાવાદ | 43.7 |
ભાવનગર | 43.7 |
પોરબંદર | 43.7 |
ગાંધીનગર | 43.2 |
અમરેલી | 43.0 |
વિદ્યાનગર | 42.9 |
ડીસા | 42.4 |
સુરેન્દ્રનગર | 42.3 |
કંડલા એરપોર્ટ | 42.2 |
દીવ | 42.0 |
વડોદરા | 42.0 |
આ દર્દનાક તસવીર મંગળવારે લૉકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને બિહાર લઈ જતી ટ્રેનની રવાનગી પહેલા પાલીમાં ક્લિક કરાઈ હતી. રવાનગી દરમિયાન કેટલાક લોકો રાહત સામગ્રી પણ વહેંચતા હતા. આ દરમિયાન આ બાળકને પણ કોઈએ રોટલીઓ આપી તો તેણે પોતાના માથા પર સામાનની જેમ ઊઠાવી લીધી. પછી તે માતા સાથે આગળ વધતો ગયો કારણ કે, તે જાણતો હતો કે સફર વખતે ભૂખ તો જીવતી જ રહેશે. આ તસવીર રેલવે સ્ટેશન પર તહેનાત એસસી-એસટી સેલના ડીસીપીના ગન મેન ચંપાલાલ સિરવીએ તેમના મોબાઈલમાં ક્લિક કરી હતી.
ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં બે દિવસ પહેલાં 20 દિવસે 400 કેસનો વધારો આવ્યો છે એ સિવાય અન્ય દિવસોમાં મોટો ઉછાળો આવ્યો નથી. જો આ સ્થિતિ એક મહિના સુધી સતત રહે અને કેસોમાં મોટો ઉછાળો ન આવે તો શક્યતઃ જૂન મહિનાના ત્રીજા સપ્તાહ બાદ કેસમાં ઘટાડો થવાની શરૂઆત થશે. ગુજરાતના આરોગ્ય વિભાગે વિવિધ 20 દેશોમાં કોરોનાના કેસોની વધઘટના ટ્રેન્ડનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કર્યાં બાદ આ તારણ કાઢ્યું છે.
હવે ગ્રાફ ફ્લેટનિંગ એટલે કે સપાટ થઇ રહ્યો છે
આરોગ્ય વિભાગમાં આ અભ્યાસ સાથે સંકળાયેલા એક અધિકારી જણાવે છે કે ગુજરાતમાં હાલ એક પિક આવીને ગયો છે અને તે પછી કેસનો વધારો કે ઘટાડો બહુ મોટો નથી આવ્યો તેથી હવે ગ્રાફ ફ્લેટનિંગ એટલે કે સપાટ થઇ રહ્યો છે. વિશ્વના અનેક દેશોના કેસોનો ગ્રાફ દર્શાવે છે કે સતત 30 દિવસ કે તેથી વધુના ફ્લેટનિંગ બાદ કેસોમાં અને મૃત્યુમાં ઘટાડો થાય છે. યુરોપિયન દેશો, ચીન, સિંગાપોર, જાપાન વગેરે દેશો તેનું ઉદાહરણ છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં નવા કેસો અને મૃત્યુ નોંધાવાની ગતિ અને સંખ્યા ઘટી જાય તેવું આ અભ્યાસ પરથી તારણ નીકળે છે.
તો પછી ચીનમાં કેમ નવા કેસ આવી રહ્યા છે?
આ અંગે આરોગ્ય વિભાગના અધિકારી કહે છે ચીનમાં હાલ નવા કેસ આવી રહ્યા છે અને તે વચ્ચે નવા કેસ આવવાના બંધ થયા પછી આવી રહ્યા છે. પરંતુ તે કોઇ ખૂબ મોટો વધારો નથી. આ રીતે થતો કેસનો વધારો અમુક સમયગાળે દેખાય પણ તે ઝડપથી કાબૂમાં આવી જાય તેમ છે.
છેલ્લા 15 દિવસની સ્થિતિ
તારીખ | ટેસ્ટ | પોઝિટિવ | સેમ્પલ સામે % |
26 મે | 2,952 | 363 | 12.52 |
25 મે | 3,493 | 405 | 11.59 |
24 મે | 4,801 | 394 | 8.20 |
23 મે | 5,506 | 396 | 7.19 |
22 મે | 6,410 | 363 | 5.66 |
21 મે | 5,380 | 371 | 6.89 |
20 મે | 6,098 | 398 | 6.52 |
19 મે | 5,850 | 395 | 6.75 |
18 મે | 5,224 | 366 | 7.00 |
17 મે | 5,193 | 391 | 7.52 |
16 મે | 10,548 | 1,057 | 10.02 |
15 મે | 3,151 | 340 | 10.80 |
14 મે | 2,411 | 324 | 13.43 |
13 મે | 2,761 | 364 | 13.18 |
12 મે | 3,066 | 362 | 11.80 |
11 મે | 2,977 | 347 | 11.65 |
10 મે | 3,843 | 398 | 10.35 |
5 મે | 4,984 | 441 | 8.84 |
લૉકડાઉનના ચોથા તબક્કામાં વેપાર, ધંધા, ઉદ્યોગો શરૂ કરવા સહિતની મહત્તમ છૂટ આપવામાં આવી છે સાથે આંતર જિલ્લા અવરજવર પણ કોઇપણ પ્રકારની મંજૂરી વિના શરૂ થઇ ગઇ છે ત્યારે લૉકડાઉન-4ના આઠ જ દિવસમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના 3083 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં 221 મૃત્યુ કોરોનાને કારણે થયા છે. આ સમયગાળામાં અમદાવાદમાં સૌથી વધુ 2158 કેસો નોંધાયા છે જ્યારે 190 દર્દીઓના મૃત્યુ થયા છે. સરકારે આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે છૂટછાટ આપી છે પરંતુ હવે લોકોની જવાબદારી પણ એટલી જ વધી ગઇ છે. 17મી મેના રોજ લૉકડાઉન-3 સમાપ્ત થયું અને 18મીથી લૉકડાઉન-4ની શરૂઆત થઇ.
લૉકડાઉન-4ના પ્રથમ દિવસે 8683 કેસ હતા જે 8 દિવસમાં વધીને 10,841 થયા
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા 19મીએ કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે છૂટછાટો જાહેર કરી છે. એક તરફ બે મહિનાના લૉકડાઉન પિરીયડ બાદ જનજીવન રાબેતા મુજબ ફરી શરૂ થયું છે પરંતુ સંક્રમણ પણ એટલી જ ઝડપથી વધી રહ્યું છે. 18મી મેના રોજ લૉકડાઉન-4 શરૂ થયું એ દિવસે રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસોની કુલ સંખ્યા 11,746 હતી. જેના આઠ દિવસ બાદ એટલે કે 26મી મેના રોજ કુલ 14,829 કેસો નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત અમદાવાદ છે. અમદાવાદમાં લૉકડાઉન-4ના પ્રથમ દિવસે 8683 કેસ હતા જે 8 દિવસમાં વધીને 10,841 થયા છે.
રાજ્યનો રિકવરી રેટ 48 % થયો, અમદાવાદમાં 436 સાથે કુલ 500 દર્દી સાજા
ગુજરાતમાં મંગળવારે કોરોનાના 361 નવા કેસો નોંધાયા હતા અને તેની સામે 503 દર્દીઓ સાજા થયાં હતા. આ સાથે સમગ્ર ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 14,829 પર પહોંચ્યો છે જ્યારે વધુ 27 દર્દીઓના મૃત્યુ સાથે હવે કોરોનાને કારણે જીવ ગુમાવનારાં લોકોનો આંકડો 915 પર પહોંચ્યો છે. હાલ ગુજરાતનો રિકવરી રેટ વધીને 48.13 ટકા થયો છે જે એક અઠવાડિયા પહેલાં માત્ર 40.89 ટકા હતો. ગુજરાત સરકારે છેલ્લાં કેટલાંય સમયથી સરકાર તરફથી કરાતી કાર્યવાહી અંગે સમાચાર માધ્યમોને કરાતાં અધિકારીઓના બ્રિફિંગ બંધ કરી દીધાં છે. આ ઉપરાંત કેસ, મૃત્યુના આંકડા પણ ભળતીસળતી રીતે આપી દેવાય છે.
પ્રહલાદ જાની એટલે કે માતાજી પાણી અને ભોજન વિના કેવી રીતે ટકી શક્યાં એ અંગે ડૉ. સુધીર શાહે ડિટેલ્સમાં અભ્યાસ કર્યો હતો. માતાજીના સ્વર્ગવાસ નિમિત્તે દિવ્ય ભાસ્કરના સમીર રાજપૂતે ડૉ.સુધીર શાહ સાથે વાતચીત કરી હતી. વાંચો શું કહ્યું સુધીર શાહે એમના જ શબ્દોમાં....
2003 અને 2010માં મોનિટરિંગ કર્યુ હતું
માતાજી (પ્રહલાદ જાની)નું મોનિટરિંગ થયું હતું, તેમાં એકદમ સખત ક્રાયટેરિયા હતા, તેમાં દરેક સેકન્ડનું મોનિટરિંગ કર્યું, જેમાં બંને સમયનાં સીસીટીવીનાં ફૂટેજ છે, 23 નવેમ્બર 2003થી 10 દિવસ તેમજ બીજીવાર વર્ષ 2010માં મોનિટરિંગ કર્યુ હતું, જેનાં 15 દિવસનાં સીસીટીવી ફૂટેજ છે. માતાજીનો રૂમ અને બાથરૂમ પણ સીલ કરવામાં આવ્યા હતા, તેમને જે ફલોર પર દાખલ કરાયા હતા તે ફલોર પર અને તેમને રખાયા હતા તે રૂમની બહાર 24 બાય 7 સિક્યુરિટી સ્ટાફ, સર્વેલન્સ ટીમ હતી, અને ડોકટરોની ટીમ નિયમિત તેમનું ચેકિંગ કરતી હતી. આ દિવસો દરમિયાન તેમણે પાણી પીધું ન હતું કાંઇ ખાધું ન હતું.
મનુષ્ય અને પ્રાણીઓમાંથી પણ ઉર્જા ગ્રહણ કરી શકાય
આમાં પોસિબલ મિકનેઝિમ શું છે તે સૌથી અગત્યનું છે, તેમાં ક્રોનિક એડેફટેશન છે એટલે કે માણસ લાંબે ગાળે ઓછું ખાતો જાય તો ધીમે ધીમે 2 હજાર કેલેરીમાંથી ઘટાડીને 1500, 1200 અને એક હજાર કેલેરી પર આવી શકે છે. (81 વર્ષથી અન્ન જળ વિના) આવી રીતે જીવતા હોય તે વિશ્વના કોસ્મિક સોર્સીસ ઓફ એનર્જી હોય તેમાંથી કદાચ શક્તિ ગ્રહણ કરતા હશે. જેમાં સૂર્ય, હીરા, રતન અને માણેકની જે થિયરી છે, હવા છે પાણી છે, વનસ્પતિ છે અથવા આજુબાજુ જીવતા પદાર્થો જેવાં કે મનુષ્ય અને પ્રાણીઓમાંથી પણ ઉર્જા ગ્રહણ કરી શકાય, આ શક્યતાને વિજ્ઞાન હજુ ચકાસી શક્યું નથી, પણ આવતાં વર્ષોમાં તેમાં પ્રકાશ પડી શકે છે, અત્યારે તો હાઇપો થીસીસ કહેવાય. જેમ વનસ્પતિ ફોટો સિન્થેસીસ કરે છે અને માનવી પણ સુર્ય શક્તિથી ફોટો સિન્થેસીસ થઇ શકે છે, અને તે સિન્થેસીસ માટે તેની અંદર પિનિયલ ગ્લેન્ડનો એક મોટો રોલ છે, તેવું મારા રિસર્ચમાં મને મળ્યું પણ આના માટે હજુ ઘણાં પ્રયોગોની જરૂર છે. એક જર્મન ફિલ્મ ‘ઇન ધ બિગેનીંગ ધેર વોઝ લાઇવ’ છે. જેમાં માતાજી પર ફોકસ થયું છે.
ઓસ્ટ્રીયાનાં પીટર સ્ટ્રોબિંગરેફિલ્મ બનાવી
આ ફિલ્મ ઓસ્ટ્રીયાનાં પીટર સ્ટ્રોબિંગર નામની વ્યકિતએ બનાવી હતી, અને તેના માટે ઇન્ડિયા બે વાર આવીને માતાજી પર આખી ફિલ્મ બનાવી ગયા હતા, તેમજ વિશ્વમાં ફરીને કયાં કયાં લોકો લાંબો સમય ભુખ્યા રહે છે અને ઉપવાસ કરે છે તેની પર રિસર્ચ કર્યું હતું.
માતાજીની શરીર રચના જુદી હતી, તેઓ વનસ્પતિની જેમ સૂર્યપ્રકાશમાંથી ઊર્જા મેળવી શકતા હતા: ડૉ. ધ્રુવ
‘એસોસીએશન ઓફ ફિઝિશિયન ઑફ અમદાવાદના પ્રેસિડેન્ટ તરીકે પ્રહલાદ જાની એટલે કે માતાજીના દાવાની સત્યાર્થતા જાણવા માટે યોજાયેલા વૈજ્ઞાનિક પરીક્ષણનું ધ્યાન રાખવાનું મારા ભાગમાં આવેલું. આ પ્રોજેક્ટ ૨૦૦૩માં કરવામાં આવેલો. એ સમયે તેઓ અન્નજળ વિના કેવી રીતે જીવે છે તેનું કારણ જડ્યું નહોતું. એટલું કહી શકાય કે પ્રહલાદ જાનીના શરીરની વૈજ્ઞાનિક રચના અન્ય વ્યક્તિઓ કરતા અલગ હતી. કદાચ તેઓ શરીરમાં ચામડીની નીચે સૂર્યપ્રકાશથી શક્તિ ભેગા કરવા સક્ષમ હતા અને શરીરના ketones વાપરવા સક્ષમ હતા.’ - ડોક્ટર ઉમેન ધ્રુવ, ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટર્નલ મેડિસિન, એચ સી જી હોસ્પિટલ, અમદાવાદ
92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
યાત્રાધામ અંબાજી નજીક આશ્રમ નિવાસી અને રહસ્યમય જીવન જીવતા ચૂંદડીવાળા માતાજી 92 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયાં છે. વતન માણસાના ચરાડા ગામે મંગળવારે રાતે 2.45 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બે દિવસ સુધી ભક્તો આશ્રમ ખાતે તેમનાં દર્શન કરી શકશે. એ પછી ગુરુવારે માતાજીને સમાધિ આપવામાં આવશે.
અમેરિકાના શિકાગો શહેરમાં મેમોરિયલ ડે વીકેન્ડ પર થયેલા ગોળીબારમાં 10 લોકો મૃત્યુ પામ્યા અને 32 અન્ય ઘવાયા હતા. મૃતકોમાં 16 વર્ષનો છોકરો પણ સામેલ છે. પોલીસ અનુસાર સૌથી ઘાતક ગોળીબાર સોમવારે સાંજે ગારફિલ્ડ પાર્કમાં વેસ્ટ સાઈડ પર થયો હતો. લગભગ 08:30 વાગ્યે 45 અને 52 વર્ષીય બે લોકો ફૂટપાથ પર ઊભા હતા. ત્યારે સફેદ કારમાંથી કોઈએ ગોળીઓ વરસાવી જે 45 વર્ષીય વ્યક્તિના માથામાં અને શરીરમાં બીજા ભાગોમાં વાગી.
ગત વીકેન્ડ પર 6 લોકો માર્યા ગયા હતા
ગત વીકેન્ડે થયેલા ગોળીબારમાં 6 લોકો માર્યા ગયા હતા અને 32 ઘવાયા હતા. ‘ધ શિકાગો સન ટાઈમ્સ’ના સોમવારના રિપોર્ટ અનુસાર ‘સ્ટે એટ હોમ’નો આદેશ છતાં હોલિડે વીકેન્ડમાં મૃત્યુનો આંક ગત વર્ષની તુલનાએ વધુ છે. એક વર્ષ પહેલાં ગોળીબારમાં સાતે જીવ ગુમાવ્યા હતા અને 34 ઘવાયા હતા, જ્યારે 2018માં 7 મૃત્યુ, 30ને ઈજા, 2017માં છ મૃત્યુ, 44ને ઈજા અને 2016માં આ આંકડો 6 મૃત્યુ અને 56ને ઈજાનો હતો.
લૉકડાઉનમાંથી ઘણી છૂટછાટો મળી છે પણ હજુ હોટલ અને રેસ્ટોરન્ટને શરૂ કરવાની પરવાનગી અપાઈ નથી. હોસ્પિટાલિટી બિઝનેસમાં ધરખમ ફેરફારો આવી રહ્યા છે. બૂફે બંધ કરી દેવાશે તથા રેસ્ટોરાંની ક્ષમતા પણ અડધી કરી દેવાશે. વેઈટર ગ્લોવ્ઝ અને માસ્ક સાથે સર્વિસ આપશે. આ ઉપરાંત હોટલના ડાઈનિંગની હોલની કેપેસિટી પણ અડધી કરાશે. જે મહેમાનો રોકાયા છે પહેલા તેમને જ ભોજન અપાશે બહારથી જો કોઇ આવે તો તેમણે રિઝર્વેશન કરાવવું પડશે. જે લોકો અલગ શહેર કે દેશથી આવે છે તેમને એરપોર્ટ પરથી જ પિકઅપ કરાશે અને ત્યાં સૌથી પહેલાં હેન્ડ સેનિટાઈઝર અને માસ્ક અપાશે. તેમનો સામાન ડિસઈન્ફેક્ટ કર્યા પછી કારમાં મુકાશે અને હોટલમાં આવતી વખતે પણ ફરી ડિસઈન્ફેક્ટ કરાશે.
રેસ્ટોરન્ટમાં શું બદલાવ આવશે
બુકિંગથી ચેક આઉટ સુધી શું બદલાશે?
યુઝ એન્ડ થ્રો બેડશીટ-ક્લોથ્સ વપરાશે
‘ગેસ્ટની સુરક્ષા માટે હોટલમાં રોકાવાની કેપેસિટી અડધી કરી દેવાઈ છે તેમજ બુફે સર્વિસ બંધ છે. આ ઉપરાંત રૂમમાં બેડશીટ કે ક્લોથ છે તે યુઝ એન્ડ થ્રો મટીરિયલના વપરાશે. સ્ટાફને પણ તાલીમ અપાઇ છે. મનસ્વી પ્રજાપતિ, સેલ્સ હેડ સરોવર પોર્ટિકો
‘ગેસ્ટને ઝેડ પ્લસ જેવી સુરક્ષા ફિલ થશે’
હજુ સરકારની કોઇ ચોક્કસ ગાઈડલાઈન આવી નથી પણ હોટલ સંચાલકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે લોકોને ઝેડ પ્લસ સુરક્ષા હોય તેવો અહેસાસ થશે. શહેરની નામાંકિત હોટલો તેમજ સ્ટાર રેન્કિંગ ધરાવતી તમામ હોટલમાં તેનું પાલન કરાશે. - ઉર્વેશ પુરોહિત, (હોટેલ બિઝનેસના નિષ્ણાત)