
from India Today | Top Stories https://ift.tt/2NWdjRH
એલએસી પર ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ પછી પણ ચીન વાતચીત દરમિયાન બનેલી સંમતિનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પરિણામે ભારતે ચીનની 59 એપ પર પ્રતિબંધ મૂક્યો છે. ચીનના પ્રોપેગેન્ડા અખબાર ગ્લોબલ ટાઈમ્સે તો ભારતને આર્થિક જંગની ધમકી આપતા કહ્યું કે આના પરિણામ ડોકલામથી પણ બદતર હશે. એપ પર પ્રતિબંધથી અસર જરૂર પડશે પરંતુ ભારત એવી સ્થિતિમાં નથી કે ચીનની શક્તિશાળી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે.
મોદી સરકાર રાષ્ટ્રવાદની ભાવનાની આગ ફેલાવીને ઘર આંગણેના દબાણને કારણે પગલા ભરી રહી છે. જો ચીનના લોકો ભારતના ઉત્પાદનોનો વિરોધ કરવા માંગે તો પણ તેમને ભારતીય ઉત્પાદનો મળશે નહીં. ભારતને રાષ્ટ્રવાદ કરતા અન્ય મહત્ત્વની વસ્તુની જરૂર છે. આ દરમિયાન ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા બોલ્યા- આ પડકાર સ્વીકાર્ય, આ સૌથી પ્રેરક ટિપ્પણી... ઉશ્કેરવા બદલ આભાર
હવે ભારતમાં ચીની રોકાણ ધરાવતી મીડિયા કંપની પર પ્રતિબંધની માંગ
એપ પર પ્રતિબંધ પછી ચીનમાં ભારતીય અખબાર અને ન્યૂઝ વેબસાઈટ બંધ કરી દેવાઈ છે. ચીને એવી ફાયરવૉલ લગાવી છે કે હવે ત્યાંના લોકો વીપીએન દ્વારા પણ ભારતીય મીડિયા પ્લેટફોર્મ જોઈ શકતા નથી. એના જવાબમાં ઇન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટી (આઈએનએસ) અને દેશના ટોચના મીડિયા પબ્લિશર્સના સંગઠન ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસીએશન(ડીએનપીએ)એ કહ્યું છે કે ચીનમાં ભારતીય મીડિયા પર પ્રતિબંધ અનુચિત છે.
બંને સંસ્થાઓએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે ચીની અને ચીની રોકાણ ધરાવતી તમામ એપ અને પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે જેથી ભારતીય લોકોને ચીનના પક્ષપાત ભર્યા ખોટા સમાચારથી બચાવી શકાય. આઈએનએસના અધ્યક્ષ શૈલેષ ગુપ્તા અને ડીએનપીએના ચેરમેન પવન અગ્રવાલે કહ્યું છે કે દેશના સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે કશુ સ્વીકાર્ય નથી. ચીની રોકાણ ધરાવતી મીડિયા કંપની પર પ્રતિબંધ જરૂરી છે.
ટિક ટોકની રૂ.7600 કરોડની વિસ્તરણ યોજનાને ફટકો
ભારતના નિર્ણયથી ટિકટૉક અને હેલોની માલિકી ધરાવતી બાઇટડાન્સ કંપનીને મોટો ફટકો પડ્યો છે. કંપની ભારતમાં 1 અબજ ડોલર (7600 કરોડ રૂ.)ની વિસ્તરણ યોજના પર કામ કરી રહી હતી. છેલ્લા એક વર્ષમાં સિનિયર પોસ્ટ્સ પર ઘણી ભરતીઓ પણ કરી હતી. ભારત ટિકટૉકનું સૌથી મોટું માર્કેટ હતું. દુનિયાભરમાં તેના 200 કરોડ ડાઉનલોડમાંથી 30% ગ્રાહક ભારતમાં હતા.
કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક-2 જાહેર કર્યા પછી ગુજરાત સરકારે તેમાં આંશિક ફેરફાર કરીને તા. 31 જુલાઇના રાત્રિના 12-00 કલાક સુધી અનલૉક-2ની જાહેરાત કરી છે. રાજય સરકારે વેપાર,ધંધા ખુલા રાખવાના સમયમાં એક કલાકનો વધારો કરીને સવારના 8થી રાત્રિના 8 કલાક એટલે કે 12 કલાક સુધી સતત ખુલ્લા રાખવાને મંજૂરી આપી છે. જયારે ખાણી-પીણી અ્ને રેસ્ટોરન્ટ રાત્રિને 9 કલાક સુધી ખુલા રાખી શકાશે. જો કે, કર્ફ્યૂના સમયમાં સરકારે કોઇ ફેરફાર કર્યો નથી અને રાત્રિના 10થી સવારના 5 કલાક સુધી યથાવત રાખ્યો છે.
અનલૉક-2માં રાજય સરકારે કેન્દ્ર સરકારના મોટાભાગના નિર્ણયને યથાવત રાખ્યા છે. શાળા-કોલેજોમાં કાર્યાલય ચાલુ પણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે. શાળાઓને ડિસ્ટન્સ લર્નીંગને પ્રાધાન્ય આપવાની હીમાયત સરકારે કરી છે. કન્ટેઇન્મેન્ટ ઝોન અને માઇક્રો કન્ટમેન્ટ ઝોનમાં જીવન જરૂરિયાતની વસ્તુંઓનું વેચાણ સમગ્ર ગુજરાતમાં સવારના 7થી સાંજના 7 કલાક દરમિયાન જ થઇ શકશે.
શેમાં છૂટ મળી
બેન્કોમાં લઘુતમ બેલેન્સની મર્યાદા પર ફરી ચાર્જ
આજથી અનલૉક-2 શરૂ થઈ રહ્યું છે. મોટાભાગની બેન્કો હવે બેન્કિંગ ચાર્જ વસૂલવાનું શરૂ કરશે. બેન્ક ખાતામાં નિશ્ચિત મર્યાદાથી ઓછું બેલેન્સ હશે તો બેન્કો હવે ચાર્જ વસૂલશે. એસબીઆઈમાં લઘુત્તમ બેલેન્સ 3000 રાખવું પડે છે. ગ્રામીણ ક્ષેત્રમાં આ મર્યાદા 2000ની છે. એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ જેવી બેન્કોમાં રૂ. 10000નું બેલેન્સ જાળવવું પડે છે. આ ઉપરાંત પહેલાની જેમ અન્ય બેન્કના એટીએમમાંથી નિશ્ચિત મર્યાદા કરતા વધુવાર ઉપાડ કરાશે તો ચાર્જ લાગશે.
રેલવેના ઘણા નિયમોમાં પણ આજથી ફેરફાર
2019માં ચિકિત્સાનો નોબેલ પુરસ્કાર જીતનારા ડોક્ટર પીટ રેટક્લિફ નેફ્રોલોજિસ્ટ (કિડની રોગ નિષ્ણાત) છે. તેઓ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં રિસર્ચ સ્કોલર અને ફ્રાન્સિસ ક્રિક ઈન્સ્ટિટ્યુટના ક્લિનિકલ રિસર્ચ ડિરેક્ટર છે. આજે નેશનલ ડોક્ટર્સ ડે પર ભાસ્કરના રિતેશ શુક્લએ તેમની સાથે કોરોના રોગચાળા અને ભવિષ્યના ગંભીર સવાલો અંગે વાતચીત કરી. તેમણે કહ્યું કે, ડબલ્યુએચઓને બંધ કરી શકાય નહીં, તેણે પોતાની પદ્ધતિ બદલવી પડશે. તેના માટે રાજનીતિ અને નેતાઓમાં સહમતિ જરૂરી. વાંચો વાતચિતના સંપાદિત અંશ :
મને જ્યારે નોબેલ પુરસ્કાર મળ્યો તો એટલા ફોન આવવા લાગ્યા કે, અચાનક લાગ્યું કે હું કોઈ મહાન આત્મા છું. મારાં બાળકો પણ મને આદરભાવથી જોવા લાગ્યાં. અમારા વ્યવસાયની મુખ્ય વાત એ છે કે, શરીરના અંગો કામ કરતા કેમ બંધ થાય છે અને તેમને ફરીથી કેવી રીતે કામ કરતા કરવા, આ ભાવના એક ડોક્ટરને ડોક્ટર બનાવે છે. વર્તમાન કોરોનાનો સમય જણાવે છે કે, આપણે ભવિષ્યમાં શું થશે, તેની પૂર્વતૈયારી કરવી પડશે. આપણાં સમાજમાં કોઈ વાત માનવી, કોઈ સવાલ ન પૂછવો ફેશન છે અને આથી જ મોટાભાગના લોકો કોઈ શોધ કરતા નથી. સમાજના બે પ્રકારના લોકોમાં એક પ્રકારનું સંતુલન હોવું જોઈએ. એક એવા છે, જે માન્યતાઓને તોડેે છે અને અસહનીય પરંતુ ઉપયોગી સવાલ ઉઠાવે છે. બીજા એ, જે પેશન સાથે જોડાઈને પોતાનું જીવન ગુજારે છે.
બીજું એ કે, આપણે નિર્ણય લેવા બાબતે જરૂર કરતા ભાર મુકીએ છીએ, પરંતુ નિર્ણય લેવાયા પછી શું કરવું તેના પર ધ્યાન આપતા જ નથી. આ હું એટલા માટે જણાવી રહ્યો છું, કેમ કે આપણે જે નિર્મય કરીએ છીએ, જે યોજનાઓ બનાવીએ છીએ, જરૂરી નથી કે તમામ પૂરી થાય.
હવે કોરોનામાં સવાલ એ છે કે, જો તેનાથી પણ મોટો રોગચાળો આવ્યો, જેમાં મૃત્યુ દર 50 ગણો વધુ હોય તો શું કરવું? શા માટે ભારતમાં કોરોનાથી થનારો મૃત્યુદર ઓછો છે, પરંતુ ઈટાલી કે સ્પેનમાં વધુ છે. રસી ક્યારે બનશે? આ સવાલોનો જવાબ તેના પર આધાર રાખે છે કે, માનવ શરીર પર કેટલા પરીક્ષણ થઈ રહ્યા છે. આપણે એ નથી જાણતા કે આ બીમારી સીધી લોહી પર અસર કરે છે કે કોઈ રિએક્ટિવ માધ્યમથી લોહીમાં પહોંચે છે. જ્યાં સુધી આ વાતની ખબર નહીં પડે ત્યાં સુધી વિશ્વસનીય રસી કે દવા બનાવવામાં મુશ્કેલી પડશે. કોરોના અંગે મારું માનવું છે કે, હાઈપોક્સિયા પર સ્ટડી તેજ કરવાની જરૂર છે. હાઈપોક્સિયા એ સ્થિતિ હોય છે, જ્યારે જરૂર જેટલું ઓક્સિજન શરીરના ટિશ્યુ સુધી પહોંચતું નથી.
મારા હિસાબે એલ્મિટ્રીન દવા, જેને એક ફ્રેન્ચ કંપની બનાવે છે, તેની ટ્રાયલ શરૂ કરવી જોઈએ. આ ફેફસાની બીમારીની દવા છે, જેનો ઉપયોગ અટકાવી દેવાયો છે. પરીક્ષણ વગર કોઈ પણ સવાલનો જવાબ મળી શકે નહીં. આજે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જેવી વૈશ્વિક સંસ્થાઓ પર પણ કોરોના કાળમાં આરોપ લાગી રહ્યા છે. હું એમ નહીં કહું કે, હવે ડબલ્યુએચઓની જરૂર નથી, પરંતુ તેના કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂર છે. રાજનીતિ પોતાનાં હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતી આવી છે, પરંતુ કોરોના રોગચાળાએ સ્પષ્ટ કરી દીધું છે કે, હવે રાજનૈતિક નિર્ણયો દુનિયાભરનાં લોકોને ધ્યાનમાં રાખીને કરવા જોઈએ.
કેમિસ્ટ્રી ભણવું હતું, શિક્ષકોએ કહ્યું, મેડિસિન ભણો
હું કોલેજમાં એડમિશન લેવા ગયો તો કેમિસ્ટ્રી લેવું હતું, પરંતુ મારા પ્રિન્સિપાલના કહેવાથી મેડિસિન લીધું. મેં કોઈ સવાલ કર્યો નહીં.મેં તેમના કહેવાથી આ ક્ષેત્ર પસંદ કર્યું અને આજે મને મારું આ કામ ખૂબ ગમે છે. મને લાગે છે કે, તમે શું કરવા માગો છો તેના અંગે નિર્ણય લેવો જરૂરી છે, તો જ તમારે શું કરવું છે એ તમે નક્કી કરી શકશો.
એક સમયે અમદાવાદ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ સંક્રમિત શહેર હતું અને રાજ્યમાં નોંધાતા કોરોના પોઝિટિવના કુલ કેસોના 70 ટકા કેસ અમદાવાદમાં હતા ત્યારે છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં ક્રમશઃ સંક્રમણ અને મૃત્યુઆંક બંને ઘટી રહ્યા છે બીજીતરફ સુરતમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે નોંધાયેલા કેસોમાં સુરત અમદાવાદથી પણ આગળ નીકળી ગયું છે જેના પગલે આરોગ્ય સચિવ જયંતી રવિ પણ સુરતની મુલાકાતે દોડી ગયાં હતાં. 104 દિવસ પછી અમદાવાદ બીજા ક્રમે ગયું છે. આજે અમદાવાદમાં નવા 187 કેસ અને 9 મૃત્યુ નોંધાયા છે જેની સામે સુરતમાં 205 કેસ અને 4 મૃત્યુ નોંધાયા છે.
દેશભરમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમણ હવે પીક તરફ આગળ વધી રહ્યું છે. સતત ચોથા દિવસે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 600ને પાર રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 620 કેસ નોંધાયા છે જેની સામે 422 દર્દીઓ સાજા થઇને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. આજે વધુ 20 લોકોના મૃત્યુ થયા છે.
આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોનો આંક 32,643 પર પહોંચ્યો છે. અત્યારસુધીમાં કુલ 23,670 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે જ્યારે કુલ 1,848 દર્દીઓનું મૃત્યુ થયું છે. હાલ રાજ્યમાં 6928 એક્ટિવ દર્દીઓ છે જેમાંથી 71 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદને ઉકેલવા માટે બંને દેશોની સેનાએ મંગળવારે લેફ્ટનન્ટ જનરલ સ્તરની મંત્રણા યોજી. તેમાં પૂર્વ લદાખના અથડામણવાળા સ્થળેથી સેના ઘટાડવાની પ્રવૃત્તિઓને અંતિમ સ્વરૂપ આપવા અંગે ચર્ચા થઈ. ભારત તરફથી 14 કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ, જોકે ચીન તરફથી તિબેટ મિલિટરી ડિસ્ટ્રિક્ટ મેજર જનરલ લિયુ લિન સામેલ થયા હતા.
સરકાર સૂત્રો મુજબ આ બેઠક પૂર્વ લદાખમાં એલએસી નજીક ભારતીય ક્ષેત્રમાં સ્થિત ચુશુલ સેક્ટરમાં થઇ હતી. અગાઉ બે વખત 6 અને 22 જૂને ચીનના હિસ્સાના મોલ્ડોમાં થયેલી મંત્રણામાં ભારતે યથાસ્થિતિ જાળવી રાખવા અને ગલવાન ખીણના પેંગોંગ ત્સો અન્ય અન્ય વિસ્તારોમાંથી ચીની સેનાને પીછેહઠ કરવાની વાત રજૂ કરી હતી. 22 જૂનની મંત્રણામાં બંને પક્ષ અથડામણવાળા તમામ સ્થળેથી પોત-પોતાની સેન પાછી ખસેડવા સંમત થયા હતા. સૂત્રો મુજબ ચીને પેંગોંગ ત્સોથી પીછેહઠ કરવા સંમતિ દર્શાવી હતી પણ તેણે આવું ન કર્યુ.
ચીને હવે ભૂતાનની જમીન પોતાની ગણાવી, થિમ્પુનો સ્પષ્ટ ઇનકાર
ચીને હવે ભૂતાન સાથે પણ સરહદ વિવાદ શરૂ કરી દીધો છે. જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાયેલી ગ્લોબલ એન્વાયોમેન્ટ ફેસિલિટીની વર્ચ્યુઅલ મિટીંગમાં ચીને ભૂતાનના ત્રાશિગાંગ જિલ્લામાં સકતેંગ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીને મંજૂરી આપવામાં વાંધો લીધો છે. ચીને દાવો કર્યો છે કે આ જમીન વિવાદિત છે. જીઆઈએફની મિટીંગ દુનિયાભરમાં ચાલી રહેલા પર્યાવરણીય પ્રોજેક્ટને ભંડોળ આપવાના નિર્ણય માટે મળી હતી. પરંતુ ચીને વાંધો લેતા ભંડોળની ફાળવણી થઈ શકી નહોતી. જો કે ભૂતાન સરકાર તરફથી થિમ્પુએ ચીનના દાવાનો વિરોધ કર્યો છે.
રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે વીજળીના કડાકા સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘમહેર થઈ છે ત્યારે આકાશી વીજળી કેર બનીને ત્રાટકી છે. રાજ્યમાં વીજળી પડવાથી 11 લોકોનાં મોત થયાં છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં પાંચ માનવ જિંંદગીનો ભોગ લેવાયો છે જેમાં લાલપુર નજીક રક્કા ખટીયા વાડી વિસ્તારમાં માતા અને પુત્ર અને ખંભાળીયાના વિરમદળમાં કાકી-ભત્રીજીએ વીજળી પડવાથી જીવ ગુમાવ્યો હતો.
જ્યારે કાલાવડના નિકાવા પંથકમાં પણ એક યુવાન આકાશી વીજળીનો ભોગ બન્યો હતો. આ ઉપરાંત બોટાદ જિલ્લામાં વીજળી પડવાથી 3ના મોત નીપજ્યા હતા. તો ગાંધીનગર જિલ્લાના દહેગામના ઘમીજમાં ખેતરામાં કામ કરી રહેલી એક મહિલાનું મોત થયું હતું.
અમદાવાદના દસક્રોઈ તાલુકાના જેતલપુરમાં વીજળી પડતાં એક યુવાનનું મોત થયું હતું. વડોદરાના સમસપુર ગામે પણ વજળી પડતાં એક યુવાનનું મોત થયું હતું.
રાજ્યમાં વીજળી પડવાના અનેક બનાવ બન્યા હતા જેમાં કેશોદના રાણીંગપરા અને અજાબમાં વીજળી પડતાં ખેતરમાં કામ કરતા 17 મજૂરો ઇજાગ્રસ્ત થયાં હતાં. રાજકોટ જિલ્લામાં વીજળી પડવાથી વીજ ડીપીઓ બળી ગઈ છે જ્યારે બે પશુનાં મોત થયાં છે.
ખંભાળિયામાં એક મંદિર પર વીજળી પડતા ગુંબજ તૂટી ગયો હતો. મહેસાણાના લીંચમાં ઝાડ પર વીજળી પડતાં ઝાડને ચીરી નાખ્યું હતું તેમજ ઝાડ સાથે બાંધેલ ભેંસનું મૃત્યુ થયું હતું. મેઘરજના ઓઢા કસાણામાં વીજળી પડતાં વૃક્ષ સળગ્યું હતું.
વીજળી કેમેરામાં કેદ
ભાવનગર શહેરમાં મંગળવારે સવારથી અષાઢી ધારાએ વરસાદ શરૂ થયો હતો. એકાએક વીજળીના કડાકા ભડાકા થઇ રહ્યા હોવાનું સાંભળી ભાસ્કરના એક વાચકે પોતાના મોબાઇલ વડે તેને મોબાઈલમાં આબાદ કેદ કરી હતી.
કોરોના વાઈરસની મહામારીને કારણે સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેેડની કોવિડ હોસ્પિટલમાં અંદાજે 700થી વધુ દર્દીના મોત થતાં તેની ઈમેજ ખરડાઈ હતી. જો કે, આ ઈમેજ સુધારવા પ્રયત્નો થઈ રહ્યા હોય તેમ લાગે છે. કોવિડના દર્દીઓથી ઊભરાતી આ હોસ્પિટલમાં હાલ 1200 બેડ સામે માત્ર 270 દર્દી છે. સોલા સિવિલમાં 119 દર્દી સારવાર હેઠળ છે.
સિવિલની કોવિડ હોસ્પિટલમાં અગાઉ રોજના મોત ડબલ ડિજિટમાં રહેતા હતા. જેને કારણે અમદાવાદનો મૃત્યુદર પણ ઊંચો હતો. આ મૃત્યુદરથી ચિંતિત કેન્દ્રીય ટીમે બે વખત કોવિડ હોસ્પિટલની મુલાકાત લેવી પડી હતી. આ ઉપરાંત ઊંચા મૃત્યુદર અને અસુવિધાઓની ગંભીર નોંધ લઈ હાઇકોર્ટે પણ આકરી ટિપ્પણી કરી હતી.
કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી બતાવવા માટે હવે નવા કોરોનાનાગ્રસ્ત દર્દીઓને બીજી હોસ્પિટલોમાં મોકલવામાં આવે છે. કોવિડ હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહેલા 270 દર્દીમાંથી 125ની હાલત ગંભીર હોવાથી આજે પણ આઈસીયુમાં છે. જ્યારે 60 દર્દીને વેન્ટિલેટર અને બાયપેપ પર રાખવામાં આવ્યા છે. દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાને બદલે હોમ આઈસોલેશનનો પણ આગ્રહ રાખવામાં આવે છે.
સિવિલમાં 25 જૂને સૌથી વધુ 359 દાખલ હતા
તારીખ | દાખલ | ડિસ્ચાર્જ | કુલ દાખલ |
25 જૂન | 44 | 35 | 359 |
26 જૂન | 52 | 32 | 341 |
27 જૂન | 54 | 32 | 321 |
28 જૂન | 44 | 29 | 307 |
29 જૂન | 29 | 25 | 270 |
સોલા સિવિલનું સરવૈયું
તારીખ | દાખલ દર્દી |
24 જૂન | 153 |
25 જૂન | 152 |
26 જૂન | 136 |
27 જૂન | 128 |
28 જૂન | 123 |
29 જૂન | 119 |
નોંધ: ડિસ્ચાર્જના આંકડા પોઝિટિવ દર્દીના છે, ટ્રાન્સફરના નથી
આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ કહ્યું- અમદાવાદમાં કેસ ઘટ્યા, રિકવરીમાં સુધારો થયો
ભાસ્કર: સિવિલ હોસ્પિટલમાં હવે ઓછા કેસ આવે તેવું કરાઈ રહ્યું છે, જેથી મૃત્યુ દર ઘટે?
શિવહરે:એવું નથી, ઊલટાનું અમદાવાદમાં દરરોજ નોંધાતા કેસની સંખ્યા ઘટી રહી છે અને તેની સામે રિકવરી સારા એવા પ્રમાણમાં છે એટલે સિવિલમાં દર્દીની સંખ્યા હાલ ઓછી છે.
ભાસ્કર: આવું કેમ બને?
શિવહરે:શરૂઆતથી જ પૂર્વ અમદાવાદમાં નોંધાયેલા દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવતા હતા જ્યારે પશ્ચિમ અમદાવાદમાં નોંધાયેલા દર્દીઓ મહત્તમ એસવીપીમાં દાખલ કરવામાં આવ્યા. હાલ પૂર્વ અમદાવાદમાં કેસમાં ઘટાડો થયો છે તેથી સિવિલમાં ભારણ ઘટયું છે.
ભાસ્કર: આવો દાવો કઈ રીતે કરી શકો?
શિવહરે:અગાઉ કોઈપણ સરકારી કે ખાનગી દવાખાનામાં ઓપીડી દરમ્યાન શંકાસ્પદ કેસના ટેસ્ટ કરાતા ત્યારે પોઝિટિવ દર્દીનો દર 60 ટકા હતો જે હાલ ઘટીને 20 ટકાથી ઓછો છે. એટલે કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. અમે આંકડા જોઇને કામ કરવા કરતાં મહત્તમ દર્દી સાજા થઈ ઘરે જાય તે લક્ષ્ય રાખીએ છીએ.
SVPના ડોક્ટરો પરનું ભારણ ઘટાડવા દર્દી બીજી હોસ્પિટલમાં રિફર થાય છે
એસવીપી હોસ્પિટલમાં હાલ આઇસીસીયુમાં 100 દર્દી છે. અત્યારે પણ એસવીપીમાં 250થી વધુ દર્દી છે. હવે કોરોના સંક્રમણ સાથે આવતા દર્દીઓને શહેરની 62 ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાનો વિકલ્પ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એસવીપીમાં ડોક્ટરો પરનું ભારણ ઘટાડવા માટે નવા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે.
કિડની હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં આગ, સ્ટાફે બુઝાવી દીધી
સોમવારે સિવિલ કેમ્પસની કિડની હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક આગ બુઝાવી દીધી હતી. હોસ્પિટલના ડાયરેકટર ડો. વિનીત મિશ્રા જણાવે છે કે, ચોથા માળના ઓપરેશન થિયેટરમાં સવારે 6.30 વાગ્યે એસીમાં શોર્ટ સર્કિટ થયું હતું.
ફ્રાન્સમાં દોઢ લાખ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા દુનિયાના સૌથી મોટા પરમાણુ ફ્યૂઝન પ્રોજેક્ટમાં ભારત સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા જઇ રહ્યું છે. મંગળવારે સુરતના હજીરાથી આ પ્રોજેક્ટનું ‘હૃદય’ મનાતો હિસ્સો એટલે કે ‘ક્રાયોસ્ટેટ’ ફ્રાન્સ માટે રવાના કરાશે. તેને એલએન્ડટીએ બનાવ્યો છે.
ક્રાયોસ્ટેટ સ્ટીલનું હાઈ વેક્યૂમ પ્રેશર ચેમ્બર હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે કોઇ રિએક્ટર વધારે ગરમી પેદા કરે તો તેને ઠંડુ કરવા માટે એક વિશાળ રેફ્રિજરેટરની જરૂર પડે છે. તેને જ ક્રાયોસ્ટેટ કહેવાય છે. ઈન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર(આઈટીઇઆર) પ્રોજેક્ટના સભ્ય દેશ હોવાને નાતે ભારતે તેને તૈયાર કરવાની જવાબદારી ચીન પાસેથી છીનવી લીધી હતી. આ પ્રોજેક્ટ હેઠળ 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પેદા થશે જે સૂર્યના કોરથી 10 ગણું વધારે હશે.
ક્રાયોસ્ટેટનું કુલ વજન 3,850 ટન છે. તેનો 50મો અને છેલ્લો ભાગ આશરે 650 ટન વજન ધરાવે છે. તેની પહોળાઈ 29.4 મીટર અને ઊંચાઈ 29 મીટર છે. રિએક્ટર ફ્રાન્સના કાદાર્શેમાં બની રહ્યું છે. વિશ્વવ્યાપી લૉકડાઉન છતાં ભારતે તેના હિસ્સાને ફ્રાન્સ મોકલવાનું જારી રાખ્યું હતું. આ તમામ હિસ્સાને જોડીને ચેમ્બરનો આકાર આપવા માટે ભારતે કાદાર્શે નજીક એક વર્કશોપ પણ બનાવ્યું છે. આ પ્રોજેક્ટમાં ભારતનું યોગદાન 9 ટકા છે પણ ક્રાયોસ્ટેટ આપી દેશ પાસે તેની બૌદ્ધિક સંપદાના અધિકાર સુરક્ષિત રહી જશે. આઈટીઈઆર આ યોજનાથી મેગ્નેટિક ફ્યૂઝન ડિવાઈસ બનાવી રહ્યું છે.
ભારત-અમેરિકા, જાપાન સહિત 7 દેશ આ પ્લાન્ટને મળીને બનાવી રહ્યા છે
પૃથ્વી પર માઈક્રો સૂર્ય પેદા કરવાની આ જવાબદારી 7 દેશોએ ઉપાડી છે. તેમાં ભારત ઉપરાંત અમેરિકા, જાપાન અને રશિયા પણ સામેલ છે. ભારતને ક્રાયોસ્ટેટ તૈયાર કરવાની જવાબદારી મળી હતી. તેનું નીચલું સિલિન્ડર ગત વર્ષે જુલાઈમાં મોકલાયું હતું. જોકે માર્ચમાં તેનું ઉપરનું સિલિન્ડર રવાના કરાયું હતું. હવે તેનું ઢાંકણ મોકલવામાં આવી રહ્યું છે.
સામાન્ય રીતે ફિલ્મોમાં મુખ્ય પાત્રમાં હીરો કે હીરોઈન દેખાય છે, પરંતુ જાપાનમાં એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ફિલ્મમાં મુખ્ય પાત્રમાં રોબોટ દેખાશે. આશ્ચર્યની વાત એ છે કે, આ ફિલ્મમાં કામ કરવા બદલ તે સાત કરોડ ડૉલર એટલે કે આશરે રૂ. 528 કરોડ પણ વસૂલશે.
વાત એમ છે કે, જાપાનમાં એઆઈ આધારિત દુનિયાની પહેલી ફિલ્મ બની રહી છે. તેમાં મુખ્ય પાત્રમાં એક રોબોટ જોવા મળશે, જે એક મહિલાનું પાત્ર ભજવશે. આ ફિલ્મનું નામ ‘બી’ રખાયું છે. ફિલ્મ નિર્માતાઓએ આ ફિલ્મ માટે 70 કરોડ ડૉલર (આશરે રૂ. 5285 કરોડ)નું જંગી બજેટ ફાળવ્યું છે.
ફિલ્મ નિર્માતાઓનો દાવો છે કે, આ ફિલ્મ 2021માં રિલીઝ કરાશે. નિર્માતાઓએ કહ્યું હતું કે, આ ફિલ્મની કહાની એક વિજ્ઞાનીની આસપાસ ફરે છે, જે એક યોજના સાથે સંકળાયેલા ખતરા શોધે છે, જે તેણે સંપૂર્ણ માનવ ડીએનએ માટે તૈયાર કરી હતી. તે એઆઈ મહિલા રોબોટને આ ડિઝાઈન કરવામાં મદદ કરે છે. તે કૃત્રિમ રીતે સંચાલિત રોબોટ છે. આ સાથે અત્યંત સંક્રમિત કોવિડ-19 સામે લડવા પણ સંપૂર્ણપણે સક્ષમ છે.
જાપાની વિજ્ઞાની હિરોશી ઈશિગુરો અને કોહેઈ ઓગાવાએ પોતાના રોબોટિક્સ અભ્યાસના ભાગરૂપે એરિકા રોબોટ વિકસિત કરી હતી. તેમણે જ એરિકાને કૃત્રિમ બુદ્ધિને અભિનયના સિદ્ધાંતો શીખવ્યા હતા.
રોબોટને સ્કેચના માધ્યમથી અભિનય શીખવ્યો
નિર્માતા અને લેખક સૈમ ખોએ કહ્યું કે, અભિનયના એક પ્રકારમાં અભિનેતા પોતાની ભૂમિકામાં પોતાના જીવનના અનુભવો સામેલ કરે છે. પરંતુ એરિકાને જીવનનો કોઈ અનુભવ નથી. આ ભૂમિકા નિભાવવા માટે તેના સ્કેચ બનાવાયા હતા. બાદમાં અમે એક એક સત્રના માધ્યમથી તેની ગતિ અને ભાવનાઓ શીખવી હતી. જેમ કે, તેની ગતિવિધિની ગતિને નિયંત્રિત કરવી, તેની ભાવનાઓ અને ચરિત્રના વિકાસ સાથે બોડી લેન્ગ્વેજ સાથે વાત કરવી.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો યથાવત્ છે. સતત વધતાં ભાવના વિરોધમાં વિપક્ષી દળ કોંગ્રેસે સોમવારે માર્ગો પર ઊતરી દેખાવ કર્યા. તેના નેતાઓએ દિલ્હી સહિત દેશભરનાં અનેક શહેરોમાં દેખાવો કર્યા હતા. આ દરમિયાન કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ સરકાર સમક્ષ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવાની માગ કરી હતી. એક વીડિયોમાં તેમણે કહ્યું કે સરકાર કપરા સમયમાં દેશવાસીઓની મદદ કરે નહીં કે તેમની મુશ્કેલીનો ફાયદો ઉઠાવી નફાખોરી કરે. ગત 3 મહિનામાં મોદી સરકારે 22 વખત પેટ્રોલ/ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો હતો.
2014 પછી કેન્દ્ર સરકારે પ્રજાને ક્રૂડ ઓઈલના ઘટતા ભાવનો લાભ આપવાને બદલે તેના પર 12 વખત એક્સાઈઝ ડ્યૂટી વધારી 18 લાખ કરોડ રૂપિયાની વધારાની વસૂલી કરી છે. આ પ્રજાની મહેનતની કમાણીમાંથી પૈસા કાઢી સરકારી ખજાનો ભરવાનું એક ઉદાહરણ છે. પાર્ટી નેતા રાહુલ અને પ્રિયંકાએ લોકોને ‘સ્પિક અપ અગેન્સ્ટ ફ્યૂઅલ હાઈક’ અભિયાન સાથે જોડાવા અપીલ કરતાં કહ્યું કે સરકાર એક્સાઈઝ તાત્કાલિક ઘટાડે.
કેન્દ્ર 10 લાખ કરોડ, રાજ્યો 3 લાખ કરોડ રૂપિયા કમાયા
2014થી 2016 વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ઝડપથી ઘટાડો થયો તો સરકારે તેનો ફાયદો સામાન્ય લોકોને આપવાને બદલે એક્સાઈઝ ડ્યૂટી ઉપરાંત રોડ સેસ લગાવી આવક વધારી. 2014-15, 2018-19 વચ્ચે કેન્દ્રએ 10 લાખ કરોડ, રાજ્ય સરકારોએ 3 લાખ કરોડની કમાણી કરી છે.
પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું- ઈંધણથી મળેલા પૈસા ગરીબોને જાય છે, વચેટિઓને નહીં
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વળતો હુમલો કરતાં કહ્યું કે ઈંધણ પર ટેક્સથી આવેલો પૈસો ગરીબો, ખેડૂતો અને પ્રવાસી શ્રમિકોના કલ્યાણ પાછળ ખર્ચાય છે, નહીં કે વચેટિયાઓના ખાનગી ફાયદા માટે. તમને જણાવી દઈએ કે 7 જૂનથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાની શરૂઆત થઇ છે.
પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીના સ્ટોક એક્સચેન્જના બિલ્ડિંગમાં એકે-47, હેન્ડગ્રેનેડ જેવા વિસ્ફોટકોથી સજ્જ, પોલીસની વર્દીમાં આવેલા 4 આતંકીએ સોમવારે સવારે ટ્રેડિંગ શરૂ થતાં જ હુમલો કર્યો. પોલીસ અને અર્ધલશ્કરી દળોએ સંયુક્ત અભિયાન હાથ ધરીને ચારેય આતંકીને ઠાર કર્યા. આ ઘટનામાં એક પોલીસ અધિકારી અને 4 સિક્યુરિટી ગાર્ડ સહિત 6 લોકોનાં પણ મોત થયાં છે. કરાચીના એસએસપી મુકદ્દસ હૈદરે જણાવ્યું કે આતંકીઓએ સ્ટોક એક્સચેન્જના બિલ્ડિંગ પર હુમલો કર્યા બાદ સુરક્ષાદળો પર ગ્રેનેડ ઝીંક્યા.
બે આતંકી સુરક્ષાદળો સાથે આમને-સામને થયા તે દરમિયાન માર્યા ગયા અને બાકીના બે સ્ટોક એક્સચેન્જની ઇમારતમાં ઘૂસ્યા બાદ માર્યા ગયા. ઘટના બાદ સમગ્ર વિસ્તારને સીલ કરીને તલાશી લેવાઇ. માર્યા ગયેલા ચારેય સિક્યુરિટી ગાર્ડ સ્ટોક એક્સચેન્જના હતા. પોલીસકર્મીઓ સહિત 7 લોકો ઘાયલ પણ થયા છે, જેમાંથી 2 ગંભીર છે. હુમલાની જવાબદારી બલૂચ લિબરેશન આર્મી (બીએલએ)એ લીધી છે, જે અફઘાનિસ્તાનની બહાર સક્રિય છે. બીએલએનો દાવો છે કે તેની માજિદ બ્રિગેડે આત્મઘાતી હુમલાખોર સાથે મળીને આ હુમલાને અંજામ આપ્યો છે. સોશિયલ મીડિયા પર 3 આતંકીના ફોટો પણ શૅર કરાયા છે.
2018માં ચીનના દૂતાવાસ પર થયો હતો તેવો હુમલો
ડીજી બુખારીએ કહ્યું કે આ હુમલો 2018માં બીએલએના આતંકીઓએ કરાચીમાં ચીનના વાણિજ્ય દૂતાવાસ પર કરેલા હુમલા જેવો છે. તે હુમલામાં 7 લોકો માર્યા ગયા હતા. ત્યારે બીએલએએ ચીનની સરકારને ચેતવણી આપી હતી કે તે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી)ના નામે બલુચિસ્તાનની ધરતી અને તેનાં કુદરતી સંસાધનો પર કબજો જમાવવાની યોજના બંધ કરે, નહિતર વધુ હુમલા કરાશે.
આતંકીઓ ટ્રેડિંગ હૉલમાં ન ઘૂસી શક્યા, હુમલા દરમિયાન ટ્રેડિંગ ચાલુ રહ્યું
પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જના એમડી ફારુક ખાને જણાવ્યું કે ચારેય આતંકીને સ્ટોક એક્સચેન્જના ગેટ પહેલાં જ ઠાર કરી દેવાયા. તેમાંથી એકેય જ્યાં ટ્રેડિંગ ચાલુ હતું તે હૉલ કે ઓફિસ સુધી પહોંચી શક્યા નહોતા. સોમવારે અહીં સામાન્ય દિવસો કરતા ઓછી ભીડ હતી. સામાન્ય રીતે અહીં અંદાજે 6 હજાર લોકો હોય છે.
આતંકીઓ 8 મિનિટમાં ઠાર મરાયા
એક પ્રત્યક્ષદર્શીએ જિયો ન્યૂઝને જણાવ્યું કે આતંકીઓ કારમાં આવ્યા હતા. કારમાંથી ઉતરતાં જ તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું અને સૌપ્રથમ બિલ્ડિંગના ગેટ પર ગ્રેનેડ ફેંક્યો. ત્યાર બાદ ફાયરિંગ કરતા કરતા અંદર ઘૂસવા પ્રયાસ કર્યો. બે પોલીસકર્મીએ તેમના પર ગોળી ચલાવી. ઓપરેશન સવારે 10:02 વાગ્યે શરૂ થયું અને 10:10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર 8 મિનિટમાં હુમલાખોરો ઠાર મરાયા.
અનલૉક-1 પછી વેપાર-ધંધા ફરીથી શરૂ થતાં અને પરિસ્થિતિ સુધરતાં વતન ગયેલા શ્રમિકો હવે પરત ફરી રહ્યા છે. એક અંદાજ મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળથી રોજ 7થી 8 હજાર શ્રમિક અમદાવાદ સહિત ગુજરાતમાં પાછા આવી રહ્યા છે. શ્રમિકોના ધસારાને કારણે જૂનના અંતિમ સપ્તાહ અને જુલાઈના બીજા સપ્તાહ સુધીની ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે તેમજ લાબું વેઈટિંગ પણ ચાલી રહ્યું છે. શ્રમિકોના ભારે ધસારાને પગલે રેલવે પણ જુલાઈમાં વિશેષ ટ્રેનો દોડાવવાની યોજના બનાવી રહ્યું છે.
કોરોના મહામારીને પગલે લૉકડાઉન જાહેર થતાં પરપ્રાંતીય શ્રમિકો સાગમટે વતન જતા રહ્યા હતા. સરકારે શ્રમિકોને મોકલવા વિશેષ ટ્રેનો પણ દોડાવવી પડી હતી.
એક રેલવે અધિકારીના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત ગુજરાતમાં વેપાર-ધંધા ફરીથી ધમધમતા થતાં શ્રમિકોની ડિમાન્ડ વધી છે અને મોટી સંખ્યામાં આ શ્રમિકો પાછા ફરી રહ્યા હોવાથી વેઈટિંગ લિસ્ટ પણ વધતું જાય છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ દુર્ગેશ બુચે જણાવ્યું કે, ઉદ્યોગો અને વેપાર-ધંધા ફરી શરૂ થતાં શ્રમિકોને ભાડુ આપી પરત બોલાવવામાં આવી રહ્યા છે. આને કારણે અમદાવાદ આવતી ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે.
ફેક્ટરી શરૂ થતાં પરત ફરવાનો આનંદ છે
શ્રમિક મોહન શાહુએ જણાવ્યું હતું કે, લૉકડાઉન દરમિયાન રોજીરોટી ન રહેતા સાથી શ્રમિકો સાથે મજબૂરીમાં વતન જતો રહ્યો હતો. પરંતુ હવે ફેક્ટરીઓ શરૂ થતાં ખુશીથી ફરી એકવાર ગુજરાત પાછો આવ્યો છું. વતનમાં રોજગારીની કોઈ ખાસ તક નથી. લાંબા સમયથી ગુજરાતમાં જ રોજગારી મેળવીએ છીએ. હવે કર્મભૂમિ પર પરત આવવાનો આનંદ છે.
અમદાવાદની ટ્રેનોમાં વેઈટિંગ
ટ્રેન | સીટ | સ્લીપર | થર્ડએસી | સેકન્ડ એસી |
ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ | 79 | 374 | 42 | 19 |
મુઝફ્ફરપુર-અમદાવાદ એક્સપ્રેસ | 100 | 359 | 48 | 26 |
સાબરમતી એક્સપ્રેસ | 78 | 256 | 28 | 8 |
હાવડા એક્સપ્રેસ | 37 | 213 | 34 | 14 |
આશ્રમ એક્સપ્રેસ | 87 | 211 | 40 | 14 |